કુમાર વિષે વાત માંડી જ છે તો કુમારની વાત જ પૂરી કરૂં. થોડા સમય પહેલા શ્રી રજનીકાન્ત પંડ્યાએ વેબ ગુજરાતીમાં ખૂબ વિગતવાર કુમારનો ઈતિહાસ આપ્યો છે. અહીં હું કલાગુરૂના સંપુર્ણ જીવન અને કાર્ય વિષે લખવાનો પ્રયત્ન કરૂં છું, એટલે કુમારની વિગત હું સંક્ષિપ્તમાં જ આપવાનો પ્રયત્ન કરીશ.
જે સમયમાં કુમારની શરૂઆત થઈ તે સમયે પ્રિન્ટીંગ ટેકનોલોજી હિન્દુસ્તાનમાં પ્રારંભિક દશામાં હતી. એક એક અક્ષર બીબાંમાં હાથેથી ગોઠવવા પડતા. નાનામાં નાના અને તદ્દન સાદા ચિત્ર માટે બ્લોક બનાવવા અન્ય એજન્સીની જરૂર પડતી. હાથ અને પગના પેડલથી ચાલત છાપખાનાંમાં છપાઈ કામ થતું, હાથેથી પાના ગોઠવી અને સીવવામાં આવતા. સ્ટેપલ્સ કરવાની પ્રથા પણ મોડેથી આવેલી.
તેમ છતાં એ હકીકત ન નકારી શકાય એવી છે કે છેક ૧૯૨૪ થી ગુજરાતીઓની ત્રણ પેઢીઓને સંસ્કારી સાહિત્ય આપવાનું કામ કુમારે કર્યું છે. કુમારની હુંફને લીધે અનેક લેખકો-કવિઓ-નાટ્યકાર-ચિત્રકારો અને તસ્વીરકારો આગળ આવ્યા.
એ સમયે અન્ય સામયિકો હતા, પણ એમાં સાહિત્ય કહી શકાયે એવું ઓછું હતું, મનોરંજન કહેવાય એવા લખાણો, સિનેમાની વાતો, ટુચકાં, જ્યોતિષ, પાકશાસ્ત્ર જેવા વિષય વધારે હતા. આવા સામયિકો કોઈપણ પ્રકારની જાહેરખબરો વિના સંકોચે સ્વીકારતા. એમની ગ્રાહક સંખ્યા પણ ઘણી વધારે હતી. આ સામયિકો આર્થિક રીતે સધ્ધર હતા. કુમાર આવી સામગ્રીથી દૂર હોવાથી એની ગ્રાહક સંખ્યા ખૂબ જ નાની હતી. વળી રંગીન ચિત્રો અને સારા છપાઈ કામને લીધે એમની પડતર કીમત વધારે હતી. એ સમયમાં મોંધા સામયિક ખરીદવાવાળા મળવા મુશ્કેલ હોવાથી પડતર કીમતે તો કેટલીકવાર નુકશાનમાં કુમાર ચલાવવું પડતું.
આખરે ૧૯૪૨ માં થાકી-હારીને રવિશંકરભાઈએ કુમાર બંધ કરવાનું નક્કી કર્યું. ડિસેમ્બર ૧૯૪૨ ના અંકમાં એમણે લખ્યું, “મારા યૌવનજીવનનો નિચોડ આપી દીધા પછી પણ તેની ગ્રાહક સંખ્યા ૨૦૦૦ સુધી પહોંચી નહિં. એ નિરાશાજનક બીના છે.” આટલા વર્ષો દરમ્યાન બચુભાઇ રાવતનો ‘કુમાર’ અને એના રસજ્ઞ વાચકો પરત્વે એક અતૂટ અનુબંધ રચાઇ ગયો હતો એટલે ૧૯૪૩થી તંત્રીપદની સંપૂર્ણ જવાબદારી એમણે સંભાળી લીધી.અને રવિભાઈ છૂટા થયા. તેમ છતાં જીવનના અંત સુધી કુમારને એમનું માર્ગદર્શન મળતું રહ્યું.
નમસ્તે. રવિશંકર રાવળની જીવન ઝરમર વાંચવામાં રસ પડ્યો.
આનંદ સાથ આભાર.
સરયૂ પરીખ
LikeLike