શું વાંધો છે ? (જુગલકીશોર વ્યાસ)


(શ્રી જુગલકિશોર વ્યાસના નામથી આંગણાંના વાચકો પરિચિત છે. આજે જુગલકિશોરભાઈ એક સર્જક અને એક વિવેચક એમ બેવડા રોલમાં આંગણાંમાં આવ્યા છે. આજની આ પોસ્ટ સર્જકોની એ શ્રેણી કે જેમની હજી શરૂઆત છે, એમને માર્ગદર્શન આપશે. સર્જકના મનમાં કેટલી ગડમથલ ચાલતી હોય છે એનું આ X-Ray છે.)

શું વાંધો છે ?

ઝરમર ઝરમર વરસે  તો શું વાંધો છે ?
ઝીણું  ઝીણું  સ્પરશે   તો શું વાંધો છે ?

ધોધમાર  વરસે  એનુંયે સુખ – પરંતુ
ધરતી  થોડું  તરસે   તો શું વાંધો છે ?

બ્હાર બધું મુશળધારે હરખાય, છતાં જો
અંદર  કુણું   કણસે   તો શું વાંધો છે ?

ફુલ્યો ફાલ્યો લીલોછમ સંસાર, વારતા
ઓચીતાંની  વણસે   તો શું વાંધો છે ?

શબ્દો મોંઘા, વેડફવા પોસાય નહીં, પણ
જરી ગઝલમાં ખરચે  તો શું વાંધો છે ?

જનમ જનમની મુંગી શાણી જીભ બાપડી
આ વખતે કંઈ ચરચે, તો શું વાંધો છે ?

આ ગઝલ અંગે કેટલુંક :

આ રચનાને મેં ‘આ ગઝલ ચાલશે?’ કહીને મુકી હતી, કારણ કે મેં એની માત્રાઓ ચકાસી નહોતી. એનું બંધારણ ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગા એ મુજબ હતું, એની ખરાઈ પણ મેં કરી નહોતી. ફક્ત રદ્દીફ–કાફીયાને આધારે મુકી દીધી હતી.

રચનાનું શીર્શક અને રદ્દીફ “ક્યાં વાંધો છે ?” એમ પણ નક્કી કર્યું હતું પણ પછી “શું વાંધો છે ?” જ રાખ્યું. પણ વાચક જોઈ શકશે કે એ બન્ને વચ્ચે સુક્ષ્મ ફેર છે જ. આ સુક્ષ્મ ફેરફારને પણ મહત્વ અપાવું જ જોઈએ. આપણે ત્યાં બ્લોગજગતમાં આવી રીતે ખુલ્લી ચર્ચા કરવાની પ્રણાલી જણાતી નથી, નહીંતર મારા આ ખુલાસા.ઓનો  જવાબ મળે તેમાંથી ઘણું જાણવાનું મળે….

બીજા શેરની પહેલી પંક્તીમા ૨/૧ માં એનું યે સુખ ને બદલે “એનું તો સુખ,” / ૩/૨માં “અંદર કુણું”ને બદલે  “અંદર થોડુ” કે “અંદર ઝીણુ” રાખ્યું હતું; ૪/૧માં “ફુલ્યોફાલ્યો”ને બદલે “ભર્યોભાદર્યો” વીચાર્યું હતું પણ પછી એ ન રાખ્યું.

આ રચના જો કાવ્ય હોત તો ?

સમગ્ર ગઝલમાં પ્રથમ ચાર શેર એક જ વીષય –વરસાદ – સાથે જોડાયેલા છે. છેલ્લા બે અલગ પડે છે. ગઝલમાં દરેક શેરને સ્વતંત્ર રહેવાની છુટ હોય છે, પણ કાવ્યમાં સમગ્ર કાવ્ય દરમ્યાન એક જ વીષય અને તે પણ કોઈ ક્રમને જાળવીને આગળ વધતો હોવો જોઈએ, જે આ રચનામાં અલગ પડે છે. કાવ્યની વીશેષતા જ એ છે કે એમાં આરંભથી અંત સુધીનો એક આકાર હોય છે. આ રચનામાં એ તુટે છે. એટલે આને કાવ્ય કહેવામાંય જોખમ જ ગણાય !

રચનામાં વૈચારીક ભેદને ધ્યાનમાં રાખીને મેં એક પ્રયોગ પણ કરવા નક્કી કર્યું હતું. આ રચનામાં સર્જકને જે જે વાંધાઓ લાગ્યા છે તેને જરા જુદા દૃષ્ટીકોણથી પણ જોઈ શકાય !! આ વાતને ધ્યાનમાં રાખીને મેં એક બીજી જ રચના પણ વીચારી રાખી હતી. એમાં વાંધાઓ અંગે સાવ નવા જ દૃષ્ટીકોણથી જોવાનો ઉપક્રમ છે.

હજી પણ મને આ જ વીષય પર તદ્દન જુદો જ પ્રયોગ કરવાનું મન છે. ગઝલના ફોર્મમાં મુકાયેલી આ જ રચનાને સૉનેટના ફોર્મમાં મુકી હોય તો ? સૉનેટમાં મુકીએ એટલે પછી એ વીષયની પ્રકૃતી આખી બદલી જ જાય ! એને આવી જાડી ભાષામાં મુકવી યોગ્ય ન ગણાય. છતાં આ જ વીષયને સૉનેટ કે ઉર્મીકાવ્ય રુપે મુકવાનો અખતરો કરવાનું મન રોકી શકાતું નથી.

 

8 thoughts on “શું વાંધો છે ? (જુગલકીશોર વ્યાસ)

  1. ઘેર બેઠાં બેઠા હવે ગઝલ અંગે જાણવાનું મળશે ને શિખાશે! ‘મક્તા’માં ગઝલકારનું ‘તખ્ખલુસ’ નામ હોવું જરુરી છે એવું વાંચવામાં આવ્યું છે, તો એ અહિ કેમ નથી?

    Liked by 1 person

  2. ખુબ સરસ રચના.
    ‘ક્યાં વાંધો’…સરખામણીમાં ‘શું વાધો’ ખાસ અનુલક્ષીને પૂછાતો હોય તેમ લાગે. ‘અંદર કુણું’ આળો કોમળભાવ બતાવે છે.
    મને અંગત રીતે, સંદેશો આપતો વિષય ચાલતો હોય તેમાં વચ્ચે ગઝલ વિષે લખાય એ કેટલિક વખત વિષયની ગંભીરતાને ખટકે છે.
    સરયૂ પરીખ

    Like

  3. ગઝલો તો અનેક માણી ,અનેકોના રસદર્શન માણ્યા,તરન્નુમમા પઠન / ગાન માણ્યું પણ આજે સર્જકના મનમાં કેટલી ગડમથલ ચાલતી હોય છે તે જણાવી રસદર્શન કરાવ્યું તેમા ઘણું શીખવાનું મળ્યું.
    વાંધો તો સત્ય સામે પણ હોય ! મા એટલે પિતાની પત્ની પણ અણગઢ પણ આ રીતે ન કહે .ચાલશે , ભાવશે,ગમશે,ફાવશે વિમાન ઉડાડતા પાયલોટ કે જવાબદાર કહે તે ન ચાલે…તેમા ૦ ભૂલ જોઇએ.
    આ ગઝલ સૉનેટ કે ઉર્મીકાવ્ય રુપે મ્કવાનો પ્રયોગ કરશો અને તે દરમિયાન આવતા વિચારવંટોળમા અમને પણ ઘુમરી લેવા દેશો
    .આ વિષય પર સંત સ્વભાવના કવિ મા સંજુવાળાનો જોખમી પ્રયોગ યાદ આવે-
    લાંબી બહેરની ને લાંબી રદીફની લાંબી ગઝલ-ગઝલમાં કવિતાના નામે વૃથા પ્રલાપ અને ભરતીના શબ્દોની ભરમાર થઈ જવાની સંભાવના પૂરેપૂરી પણ સંજુ વાળા સજાગ કવિ છે.
    અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
    ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

    આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
    એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

    સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
    એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

    જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
    વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

    જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
    કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

    પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
    એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

    કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે
    સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

    Like

  4. મા ચિમનભાઇની વાત સાચી છે.વિદ્ધવાનો માને છે કે ગઝલના અંતિમ શેરમાં જો શાયરનું ઉપનામ એટલે કે તખલ્લુસ વણી લેવાયું હોય તો જ એ શેરને ‘મક્તા’ કહેવાય, ગુજરાતીના ઘણા આધુનિક શાયરો તખ્લ્લુસ રાખતા નથી. ટૂંકમાં, ગઝલમાં તખ્લ્લુસ અનિવાર્ય નથી.
    તેની મઝાની વાત પણ છે. ગઝલો જ્યારે તવાયફોના કંઠે ગવાતી ત્યારે ગઝલની તમામ ખૂબીઓ માટે દાદ તવાયફને મળતી અને શાયર બિચારાનો નામોલ્લેખ પણ થતો નહિ. આમ, ગઝલ પરનું પોતાનું કર્તૃત્વ સિદ્ધ કરવાના મરણિયા પ્રયાસરૂપે શાયરોએ છેલ્લા શેરમાં પોતાનું તખ્લ્લુસ મૂકવાનું શરૂ કર્યું, એમ કહેવાય છે.
    કવિ રમેશ પારેખે તખલ્લુસનો વિશિષ્ટ ઉપયોગ કર્યો છે.
    ‘ર’ નિરંતર ‘મેશ’ માં સબડે અને સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે

    Like

  5. કશાયની સામે કશો ય વાંધો ન હોય …. ન હોય….. ન હોય ! સઘળાંનો સ્વીકાર માત્ર જ.
    ————-
    આપણે ત્યાં બ્લોગજગતમાં આવી રીતે ખુલ્લી ચર્ચા કરવાની પ્રણાલી જણાતી નથી,

    બ્લોગજગતનું આ આભૂષણ ગણાવું જોઈએ. માત્ર વાહ! વાહ! જ … અને મિત્રોના ઢગલે ઢગલા !

    Like

  6. Waah, Waah! I thoroughly enjoyed. I have few Shers in reply but getting ready to leave for my trip. Upon my landing in India I will write to Aadarinay Jugalkishorbhai. Any thing coming from his pen cannot be anything other than pure literature value. My Pranams to Vandaniy Jugalkishorbhai.
    Jayshree

    Sent from my iPhone

    >

    Like

  7. આવતા હપતે દાવડાજી આ ગઝલના જવાબમાં લખેલી મારી ગઝલ “હા, વાંધો છે !” મૂકવાના છે ! એમાં કેટલાક મજાના વાંધા બતાવ્યા છે. એટલું જ નહીં, આ જ વિષયને લઈને, મેં એક સૉનેટનોય પ્રયોગ કરેલો છે !! એ પણ આવતા ઝરુખે મૂકવાનું કહેતા હતા……

    વાત નીકળી જ છે ત્યારે જણાવી દઉં કે આદિલજીની પ્રખ્યાત ગઝલ “મળે ન મળે”નો જવાબ પણ સૉનેટથી આપ્યો છે ! આવા કેટલાક પ્રયોગો સુજો કહે છે તેમ નેટ ઉપર પાથરતાં રહેવું જોઈએ……સૌનો આભાર અને જયશ્રીબહેનને વિનંતી કે મારા માટે વંદનીય વગેરે ન હોય…નેટ ઉપર આપણે સૌ ભાષામંડપે ભેગાં મળીએ છીએ…..ભારત મુલાકાત વેળા ફોન કે નેટ–ટપાલથી મળશો તો આનંદ થશે. ખૂબ ખૂબ આભાર. – જુ.

    Like

  8. પ્રતિભાવ આપવા માટે મોડી પડી પણ જયશ્રીબેનની વાત સાથે સંમત છું.
    સર્જન-પ્રક્રિયા અને તેની આ મથામણ પણ કેટલી આનંદદાયક છે!! આના પર તો એક સરસ લેખ લખી શકાય.આ ‘ શુંવાંધો છે’ વિષયને અનુલક્ષીને એક બીજાં પણ એક-બે કાવ્યો વાંચ્યાનું યાદ આવે છે.
    વિષય જોતાં, ઊર્મિકાવ્યને બદલે સોનેટ વધુ જામે એમ મને લાગે છે.
    પદ્ય રચના અંગે આવી ચર્ચા એક આવકારદાયક પ્રયોગ કર્યો જેનો આનંદ.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s