પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)


પડછાયાના માણસ ……..!

(“પડછાયાના માણસ” – ૬૦ના અને ૭૦ના દાયકાની અંદર આકાર લેતી લઘુનવલ છે કે જેમાં એ સમયની નાવીન્ય તરફ ઝડપથી ગતિમાન અને ધરમૂળથી બદલાતી સમાજ, કુટુંબ અને શૈક્ષણિક વ્યવસ્થાના પ્રતિબિંબો ઝીલવામાં આવ્યા છે. ઓરીજીનલી આ નવલકથા ૧૯૭૬માં લખી હતી પણ, આજના સંદર્ભમાં આ નવલકથા ૨૦૦૫ સુધી આગળ વધારીને થોડા સુધારા સાથે અહીં રજુ કરતાં એક અદભૂત રોમાંચ થાય  છે. પહેલો પ્રણય સમય, કાળ અને સ્થળની સાથે એક પડછાયો બની સતત સાથે રહે છે, જે કાળ રૂપી સૂરજની સાથે લાંબો કે ટૂંકો થતો રહે છે, અને રાત આવતાં આ પડછાયો કાયમ માટે વિલીન થાય છે. આશા છે કે આ કથાના ત્રણ મુખ્ય પાત્રો અને પાંચ સપોર્ટીંગ પાત્રો આપના મન અને હ્રદયના કોઈ ખૂણાને સ્પર્શી શકે. આપ સમક્ષ આ લઘુનવલ મૂકતાં અત્યંત આનંદ તો અનુભવું જ છું પણ એ સાથે, મારા માટે આ વિનમ્રતાનો અનુભવ- humbling experience-છે. આગોતરા આભાર માની આપ સહુને આ કથા વાંચવા માટે ભાવભર્યું આમંત્રણ આપું છું.- જયશ્રી વિનુ મરચંટ)

પ્રકરણ-૧

બસ, એક કવિતા _ _

એક એવી સાંજ હશે, જ્યારે, હું લખીશ,
બસ, એક કવિતા, પહેલી અને છેલ્લી!
બસ, એક જ કવિતા!
મારા અંતિમ શ્વાસ લેવાય તે પહેલાં
લખવી છે મારે એક કવિતા!.
હું જોયા કરું છું, શૂન્ય નજરે, સંધિકાળના ખુલ્લા, રેશમી આકાશમાં _ _ _ _!
આ રમતયાળ વાદળોની ચાંદીના રંગમાં રંગાઈને લખું હું, કે, પછી,
સમી સાંજના, આછી આછી આ ઠંડકની શાલ ઓઢીને, શરમાતી, મલપતી ચાલે,

ગરિમાથી આથમતા આ સોનેરી તડકાને, આકંઠ પીને લખું?
આંખો થઈ જાય છે બંધ, અચાનક, અને,
સોનેરી તડકાને આકંઠ પી ગયેલી, શાંત, સાવ શાંત, ઝગમગાટ તેજવલયમાં આવરાયેલી હું,
રમતયાળ વાદળોની ચાંદીના રંગને માથાથી પગ સુધી ઓઢીને સૂતી છું_ _ _ _!
શાંત, સાવ શાંત, કોઈ અધૂરપ કે કોઈ પણ કમી અનુભવ્યા વિના_ _ _ _!
બસ, એક કવિતાની, પહેલી અને છેલ્લી કવિતાની પણ _ _ _ _!”

મેં એક ઊંડો શ્વાસ લઈ, આ કવિતા પાછી “કવિતા” માં વાંચીને, એ જુન ૧૯૭૮નું ત્રૈમાસિક બાજુની ટિપોય પર મૂક્યું. ન જાણે કેટલીયે વાર વાંચી હશે, મેં અને દિલીપે આ કવિતા સાથે સાથે, છેલ્લા બે મહીનામાં? અરે, હજી ત્રણ દિવસ પહેલાં જ, નવું “કવિતા” આવ્યું, ત્યારે જ મેં રસોડામાંથી જ બૂમ મારી હતી, ”સાંભળે છે કે? આ નવું “કવિતા” આવ્યું છે તો ગયો અંક ફેંકી ન દેતો. મારે આપણી પ્રિય કવિતા, “બસ, એક જ કવિતા”, કાપી લઈને ફાઈલમાં મૂકવી છે!” દિલીપનો થાકેલો અને મીઠ્ઠું મ્હેણું મારતો અવાજ પણ એનું હાસ્ય છુપાવી શક્યો નહીં. એ બોલ્યો, “તું _ _ _? અને કવિતા કાપીને ફાઈલમાં મૂકીશ? મેમસાબ, આ ફાઈલનો, જુલાઈ ૧૨, ૧૯૭૮સુધી તો જન્મ પણ નહોતો થયો! આ ફાઈલ સિસ્ટમનો જન્મ થયો છે ત્યારથી માંડીને આજ સુધી કદીયે તને ફાઈલમાં એક ચબરખી મૂકતાં પણ મેં જોઈ નથી! તો, હવે, તમે, એક્ચ્યુલી, કાતર શોધશો, પછી આ પર્ટીક્યુલર અંક શોધશો, એમાંથી આ કવિતાને કાપી, આ ફાઈલને શોધી, એમાં જાળવીને મૂકી, આ ફાઈલ એની જગ્યા પર મૂકશો! વાહ, ભઈ, વાહ! તો, હવે તો તું જ મૂકજે! હુંયે તને જોઉં………………!!!” મેં રસોડામાંથી ડોકિયું કરીને કહ્યું “જોઈ લે _ _ _ _! આ રહી હું _ _ _ _!” ને મેં મીઠ્ઠો છણકો કર્યો હતો.

આજે હું મારા નાનકડા બે બેડરુમના ફ્લેટની, લિવીંગરુમની બાલ્કનીમાં ઊભી છું, એકલી અને વિચારું છું, હવે મારે વળીને પાછા, ફરીથી એકલા જ જીવવાનું છે, ફાઈલમાં કવિતા જાતે મૂકવાની વાત તો પછી કરવી જ શું? આ માત્ર ત્રણ દિવસમાં તો મારી આખી દુનિયા જ ફરી ગઈ! હું અને દિલીપ ત્રણ દિવસ પહેલાં, આ જ બાલ્કનીમાંથી આથમતા સૂરજને સમુદ્રમાં ડૂબતો જોવા રોજની જેમ જ સાંજના સાડા છ વાગે ઊભા હતાં. વહેલા ઊઠી જતાં તો સૂર્યોદય જોવો અને સાંજનાં સૂર્યાસ્ત જોવો એ અમારી મનગમતી પ્રવૃતિ હતી. દિલીપ બોલ્યો, “સુલુ, Times of Indiaમાં સૂર્યાસ્તનો સમય તો સાંજના ૬;૪૦ નો આપ્યો છે. હમણાં શાર્પ સાડા છ થયા છે.. પણ સૂરજનો મિજાજ જોતાં લાગે છે કે ભાઈસાહેબ હજુ બીજી ૨૦-૨૫ મિનિટો સુધી નીચે નમવાના નથી!” અને એક હલકી ખાંસી ખાધી.  એની તબિયત થોડી નરમ ગરમ તો બે દિવસથી જ હતી. તે સાંજે, પછી તેણે જુહુના દરિયા ની અસીમતાને નજરમાં ભરી, મને હાથ પકડીને નજીક ખેંચી અને મારા ખભા પર એનું માથું ઢળી પડ્યું……! એ સાથે જ મારી ચીસ નીકળી ગઈ. “અરે, કોઈ છે, સીતા, જલદી આવ, સીતા….!” બીજા માળની અટારીએથી મારી ચીસ નીચે રસ્તે ચાલતા રાહદારીઓ સુધીયે પહોંચી હોય કદાચ…….! મેં ફરીને મારી કામવાળીને ચીસ પાડી “સીતા, જલદી, ક્યાં છે તું? સાહેબને કઈંક થઈ ગયું છે. જલદી આવ. ડોક્ટર મહેતાને ફોન કર. એમને કહે, ઘરે આવે!, જલદી!” દિલીપને મારા ખભા પર, એમ જ રહેવા દઈ, ખેંચીને લિવીંગરુમના સોફા પર સૂવડાવ્યો. પછી તો જે બન્યું તે બધું જ યંત્રવત જ થતું રહ્યું. ડોક્ટર ૧૫ મિનિટમાં આવી પહોંચ્યાં, નાડી તપાસી, અને મ્હોર મારી દીધી. “સોરી, હી ઇઝ નો મોર, મિસિસ સીંઘાનીયા! સોરી.” ત્યાં સુધીમાં તો અમારા પડોશીઓ, મારી ખાસ દોસ્ત્ત, ઋચા ને એનો પતિ રવિ તથા બીજા અમારા સ્નેહીજનો-મિત્રો આવવા માંડ્યા. મને તો એટલું જ યાદ છે કે ડોક્ટરે મને ડેથ સર્ટીફિકેટ એમના દવાખાના પરથી લઈ જવાનું કહ્યું પણ પછી કોણ ગયું, ક્યારે ગયું અને બાકી જે પણ થઈ રહ્યું હતું એ બધું જ હું હતબુધ થઈ જોતી રહી અને મારે જે કરવાનું હતું એ કરતી ગઈ સાવ જડ, પ્રાણહીન યંત્ર સમાન! મારી અંદર જાણે મારી પ્રિય કવિતા આથમી ગઈ હતી. દિલીપ, મારો પતિ, મારો પ્રિયતમ, મને એકલી મૂકી જતો રહ્યો હતો કાયમ માટે, લગ્નના ફક્ત બે મહિનાની અંદર જ!! આવનારા બધા મને એમની રીતે આશ્વાસન આપતા રહ્યા. મારા કર્ણપટલ પરથી ન જાણે કેટલા શબ્દોની વણઝાર અથડાતી રહી. “અરેરે, બિચારી! ૩૫ વરસની ઉમરે લગ્ન કર્યા અને માંડ બે-ત્રણ મહિનામાં ફરી સાવ એકલા જીવવાનું આવ્યું!” તો કોઈ કહેતું, “સમજ જ નથી પડતી એને બિચારીને આશ્વાસન પણ કઈ રીતે અને ક્યા શબ્દોમાં આપવું?” આવા શબ્દો અર્થહીન હતા કે અર્થ શબ્દહીન હતા એ આજે પણ નક્કી નથી કરી શકતી!

*******

હું દિલીપના મૃત્યુ પછી આજે ત્રીજે દિવસે, મારા તથા દિલીપના-અમારા- છેલ્લા બે મહિનાના રુટિનની જેમ, સાંજના છ-સાડા છની આજુબાજુ, બાલ્કનીમાં સૂર્યાસ્ત જોવા ઊભી હતી. પણ……, સાવ એકલી ઊભી હતી, મારા દિલીપ વિના! હું શું જોઈ રહી હતી, એકલી, સાવ જ એકલી ઊભી ઊભી? અરે, જોઈ રહી હતી શું, મનમાં તો જિંદગીના અતીતના પાનાં ઉથલાવી રહી હતી ને પહોંચી ગઈ હતી ન જાણે કેટકેટલા વર્ષો પાછળ….! હું અતીતના પાનાં ઉથલાવતાં ક્યારે ગઈકાલની ગર્તામાં સરતી ગઈ,……સમજ જ ન પડી…..! હું વિચારોની બેભાનીમાં, ત્યાં, બાલ્કનીમાં આમની આમ, હતપ્રભ ઊભી રહી. અતીતની આગગાડી, ફુલ સ્પીડમાં ટેકનીકલરમાં પ્રસંગોના તાકા ઉકેલતી ગઈ. ક્યારે આ સફર શરુ કરી, અને ક્યા મુકામ પરથી શરુ કરી હતી આ મુસાફરી? મારે તો ફ્ક્ત સફરનો જ આનંદ લેવો હતો, મારે ન તો ક્યાંય પહોંચવું હતું કે ન તો કોઈનેય કશુંય બતાડવું હતું. મારા લગ્નજીવનની મુસાફરીનો આરંભ જ દ્રુતવિલંબીતમાં થયો પણ અંત, આમ અને આટલી ત્વરાથી? જો કે ખબર તો હતી, સાચું પૂછો તો પણ આ હકીકત આ રીતે, ખરેખર જ સિંહમુખ ફાડીને આમ વિકરાળતાથી મારી સામે આવી જશે આટલી જલદી, એવું હજી મનાતું નહોતું. દિલીપ સાથે લગ્ન કર્યા ત્યારે પણ મૃત્યુનું આ વસમું સત્ય તો નિશ્ચત હતું, પણ આટલા ટૂંકા સમયમાં જ મારે એને ઝીલવું – ઝેલવું – પડશે, એ વરવી વાસ્તવિકતાથી જાણે હું વાકેફ હોવા છતાં પણ અભાન હતી! હવે જાણે મંદાક્રાતામાં ધીરે ધીરે, મારા જીવનના આખરી દિન સુધી, મારી પાસે આ કડવી હકીકતના ઘૂંટડા ગળે ઉતારવા સિવાય છૂટકો પણ નહોતો.  કદાચ મારા નસીબમાં જ એકાકી જિંદગી ગુજારવાની સજા ભોગાવવાની હતી….! હવે આ રીતે, આમ જ, સદંતર એકાકી જીવનની સાક્ષીએ, કેટલા આથમતા સૂરજ, મારે એકલીને જોવાના હજુ બાકી હતા? કાશ, આ જવાબ મને મળી શકત….! શું આ જવાબ મને કોઈ પાસેથી ક્યારેય મળી શકશે ખરો?

“કેટલું આમ બાકી રહી જશે, શી ખબર?

આંખ બોલ્યા વિના વહી જશે, શી ખબર?

જે કહેવું હતું દિલ ખોલીને, કહેવાયું નહીં!

પણ આંસુ એ બધું કહી જશે, શી ખબર?”

8 thoughts on “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)

  1. મનની વાત કહેવાની અનોખી રીતમાં આ નવલકથા સૌને ખેંચી રાખશે જરુર ! સરસ શબ્દોથી આ નવલકથાને શણગારાઈ છે. છેલ્લે મુકતક (ગાલગાગા,ગાલગાગા,ગાલગા) મૂકીને જયશ્રીબેને કમાલ કરી છે! આવતા ગુરુવાર સુધીની રાહ જોવી મારા માટે અઘરી બની રે’શે!

    Liked by 4 people

  2. ”મારે તો ફ્ક્ત સફરનો જ આનંદ લેવો હતો, મારે ન તો ક્યાંય પહોંચવું હતું કે ન તો કોઈનેય કશુંય બતાડવું હતું. મારા લગ્નજીવનની મુસાફરીનો આરંભ જ દ્રુતવિલંબીતમાં થયો પણ અંત, આમ અને આટલી ત્વરાથી?”
    કારુણ્ય નો રંગ જમાવતી જયશ્રીબેન ની લઘુનવલ ની શરૂઆત સારી થઇ છે. વાચકને હવે શું થશેની ઈન્તેઝારી અને પકડ જમાવતી લેખન શૈલી ધ્યાન ખેંચે છે.

    “કેટલું આમ બાકી રહી જશે, શી ખબર?
    આંખ બોલ્યા વિના વહી જશે, શી ખબર?
    જે કહેવું હતું દિલ ખોલીને, કહેવાયું નહીં!
    પણ આંસુ એ બધું કહી જશે, શી ખબર?”

    પ્રથમ પ્રકરણની શરૂઆત અને અંતમાં ભાવવાહી કાવ્ય કંડિકાઓ પણ ભાવવાહી અને કથાને અનુરૂપ મૂકી છે .

    Liked by 4 people

  3. અતીતની આગગાડી ફુલ સ્પીડમાં જ્યાં સુધી ટેકનીકલરમાં પ્રસંગોના તાકા ઉકેલે ત્યાં સુધી તો જીવન અકારુ ના લાગે પણ વાર્તાની શરૂઆતમાં બંધાયેલી હવા કંઇક અલગ સૂચવી જાય છે.
    જયશ્રીબેનની સરસ અને સરળ શૈલીમાં લખાયેલી કોઇપણ વાત દિલ-દિમાગને સ્પર્શે એવી જ હોય છે.

    Liked by 3 people

  4. પડછાયાના માણસ વાંચતા–
    આસાવરી.મા ગવાતું અરદેશરજીના ગીતના ભણકારા વાગ્યા…
    પાણીમાં મોજાં પર સરતાં
    બિંબ શશીનાં સળકે :
    પાણીમાં શું જોય ? ઉપર જો !
    ચંદ્ર ખરો નભ ચળકે !
    મનવા ! છોડ બધી તુજ માયા !
    મનવા ! છોડ બધી તુજ માયા :
    એ નહીં વસ્તુ, એ પડછાયા…

    ‘બસ, એક જ કવિતા! વાંચતા…’
    અમિતાભ નો અવાજ સંભળાયો
    મૌત તુ એક કવિતા હૈ
    મુઝસે એક કવિતાકા વાદા હૈ , મિલેગી મુઝકો
    ડૂબતી નબ્ઝોમેં જબ દર્દકો નિંદ આને લગે
    ઝર્દસા ચહેરા લિયે ચાંદ ઉફ તક પહુંચે
    દિન અભી પાનીમેં હો , રાત કિનારે કે કરીબ
    ના અંધેરા ના ઉજાલા હો , ના અભી રાત ના દિન
    જીસ્મ જબ ખતમ હો ઔર રૂહકો જબ સાંસ આયે
    મુઝસે એક કવિતાકા વાદા હૈ , મિલેગી મુઝકો !

    ‘સોરી, હી ઇઝ નો મોર…’ વાંચતા
    રાજેશ નું પઠન
    ઝિંદગી બડી હોની ચાહીયે , લંબી નહીં !
    બાબુ મોશાઇ – ઝિંદગી ઔર મૌત ઉપરવાલેકે હાથ હૈ –
    ઇસે ના તો આપ બદલ શકતે હૈ , ના મૈં .
    હમ સબ રંગમંચકી કઠપૂતળીયાં હૈ ,
    જિનકી દોર ઉપરવાલેકી ઉંગલિયોંમેં બંધી હુઇ હૈ ;
    કબ કૌન કૈસે ઉઠેગા યે કોઇ નહીં બતા શકતા હૈ , હા – હા – હા !

    ‘…આંસુ એ બધું કહી જશે,’ સુખી અને પ્રસન્ન દાંપત્યજીવન સૌના નસીબમાં હોતું નથી.
    તમે કોઈ દિવસ ખખડાવશો મારા હૃદય-દ્વારો,
    ફરીથી સાંધશો તૂટી ગયા છે જે મધુર તારો,
    વાંઝણી આશા મિલનની છે છતાં રોજ મળવાની આશ રાખું છું

    આગાઝ જેવો જ શાનદાર અંજામની ખાત્રી છે
    રાહ…

    Liked by 4 people

  5. jayshree bahen,
    as announced by davda saheb- we were eagerly awaiting this laghu Navalkatha..PM (Padchayano Manas)…
    its really touching more at this age…we understand every word of it..as already our friends have commented above…heaving touched and said all .
    –shadow Man/Woman… and this Shadow does not follow at night– how difficult it is to spend night EKALA…this one word also recently touched me..when recently my neighbor lost her husband-at last moment i was there and she uttered this word –
    “I have become EKALI” this one word is enough to depict Vyatha of other one – without First One. This Novel will make many of us to shed tears all through out-

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s