જાગો સોનેવાલો (હરનિશ જાની)


જાગો સોનેવાલો

શું અમેરિકા કે શું  ભારત ! આ દરેક પ્રજાએ જીવનમાં ક્યારેક તો માથા ભારે વક્તાઓનો સામનો કરવો જ પડે છે.

              ભાષણ કેટલું લાંબું હોવું જોઇએ? આ સવાલનો જવાબ કોઇ વક્તાએ આપ્યો નથી કે વિચાર્યો નથી. પરંતુ ભાષણ આપતી વખતે તે વક્તા કાગળમાંથી ડોકું ઊંચું કરી ઓડિયન્સ તરફ જુએ તો તેમને તુરત જ સમજ પડી જાય. કે આપણાં ભાષણની અસર લોકો પર કેવી છે. તે હજુ બેઠા છે  કે જતા રહ્યા? અને જેટલા છે તેમાં જાગતા કેટલા છે? અને ભાષણ કેટલા લોકોને સુવાડવામાં સફળ રહ્યું છે? આનો અર્થ એ લેવાનો કે અનિદ્રાનો રોગ દૂર કરવા કોઇનું પણ ભાષણ સાંભળવું જોઇએ. સામાન્યરીતે તેમ કરવામાં ખર્ચ તો જરાય થતો નથી.ઉપરથી ચહા પાણી અને નસીબ હોય તો નાસ્તો પણ મળે.

               બીજા લોકોના ભાષણોનો બહુ પરિચય નથી,પરંતુ કોઇપણ ગુજરાતી સંસ્થામાં અપાતા ભાષણોને જોવાનો અનુભવ છે.તેને પુરેપુરું સાંભળવા જેટલી મારી ધીરજ નથી હોતી-પ્રસંગ જ્ઞાતીનો હોય,ભાષાનો હોય,ધર્મનો હોય ,કે પોલિટીક્સનો હોય  ત્યારે લોકોને માથે ભાષણો ફટકારવાની પ્રથા છે.જો આપણે એ ભાષણો છપાયેલા જોઇએ અને વાંચવા પ્રયત્ન કરીએ તો વાંચતાં કલાકેક લાગે.ત્યારે  વિચાર આવે કે જયારે આ પ્રવચન ચાલતું હશે ત્યારે કેટલા માઇના લાલ સાંભળતા હશે? હા, એક વ્યક્તિ જરૂર સાભળે છે, તે છે બોલનાર પછીનો વક્તા.તેને એમ કે આ પુરું કરે તો સારું. જેથી લોકોને ટોર્ચર કરવાનો આપણો વારો આવે.અને એના ભમરડાની જાળી તપતી હોય છે.

 ભાષણની વાત આવે તો અમારા રાજપીપળાના મહારાજા અવશ્ય યાદ આવે-મહારાજા રાજેન્દ્રસિંહજી વરસમાં એક વખત પોતાના પિતાશ્રીએ બંધાવેલી ભવ્ય ઇમારતવાળી હાઇસ્કુલની વિઝીટ મારતા. આઝાદી પછી દશ -પંદર વરસ સુધી પ્રજા,રાજાને માન આપતી. અમારી હાઇસ્કુલમાં મહારાજા આવે એટલે અમે ખુશ થઇ જતા.અમને સેન્ટ્રલ હોલમાં ભેગાં કરતાં-અમારા સંગીત માસ્તર પોતાની નોકરીની અગત્યતા જાળવવા,સ્કુલની છોકરીઓ પાસે ચાર પાંચ સ્વાગત ગીત ગવડાવતા. એકવાર પ્રિન્સીપાલે કહ્યું “હવે મહારાજા સાહેબ,પ્રેરણાદાયક  બે બોલ કહેશે.” મહારાજાએ બેઠા બેઠા કહ્યું-“નથી કહેવા”. પછી પ્રિન્સીપાલે જાહેરાત કરી કે “પ્રવચનની જગ્યાએ મહારાજાસાહેબે આપણાં વિદ્યાર્થીઓને દૂધ પીવાના સો રૂપિયાનું દાન કર્યું છે.”ભાષણના બદલે દૂધ મળે તો આપણે ખૂશ થવાનું ને ! મહારાજાનું આગમન અમે દર વરસે વધાવી લેતા.

                  મારું માનવું છે કે પ્રવચનો થતાં હોય ત્યારે જે શ્રોતા, વક્તાની સામે ટગર ટગર જોતા હોય છે. તે સહેલાયથી હિપ્નોટાયઝ થઇ જાય છે અને તેમની આંખો બિડાય જાય છે.આમાંથી બચવું હોય તો બોલનાર સાથે આંખ જ નહીં મિલાવવી. આમાં સ્ટેજ પર બેઠેલાની સ્થિતી સૌથી દયાજનક હોય છે.ઊંઘ આવે તો આપણે તો ઓડિયન્સમાંથી ઊભા થઇને બહાર આંટો મારી આવીએ.પરંતુ સ્ટેજ પર બેઠાં બેઠાં ઝોખું પણ ન ખવાય અને ઉઠાય પણ નહીં.તેમાં સભાપ્રમુખનો તો મરો જ.તેમણે બધાંના બોરિંગ લેક્ચરો સાંભળવા પડે જો કે એમને મનમાં એક શાંતિ હોય છે કે છેલ્લે આ બધા અત્યાચારોનો બદલો લેવાની તક મળશે.

                     અમારે ત્યાં અમેરિકામાં તો પહેલીથી નક્કી હોય કે આપણે ફલાણા સંમેલનમાં મળીશું. ચા પાણી -ભોજનનું પણ  ત્યાં જ પતી જાય.અને પ્રેમથી મિત્રને પણ ભેટાય. એટલે આવા સમ્મેલનમાં હૉલ કરતાં બહાર વધુ લોકો હોય છે. તેમાં કોઇ ધાર્મિક કથામાં પણ એ જ દશા. કથામાં  તો લોકો સમજીને જ આવે છે કે આપણે રામ કે કૃષ્ણની વાતો સાત દિવસ સાંભળવાની છે. એટલે કંટાળાનો સવાલ જ નથી.એ કથામાં કોઇ થાક્યો પાક્યો ઊંઘતો હોય તો લોકો એના તરફ દયાદ્રષ્ટિ રાખી ઊંઘવા દે છે. મને સ્વામિનારાયણ મંદિરમાં જવાનું ગમે છે.એ જ મંદિર એવું છે કે જેમાં મારે મારી પત્ની સાથે બેસવું નથી પડતું. એટલે હોલમાંથી ઊઠીને બહાર જતાં કોઇ ન રોકે.અને જો બેસી રહીએ તો ધ્યાનના બહાને આંખો મીંચીને બેસવાનું અને માથું ટટ્ટાર રાખીને એકાદ ઊંઘ ખેંચી કાઢવાની.અમેરિકામાં ધાર્મિક કથાઓમાં પણ બહાર મિટીંગ તો ચાલતી જ હોય.  પરંતુ લંડન જેવામાં તો હૉલની બહાર થોડું ચાલો, ત્યાં પબ મળે-જ્યાં બિયરની ચુસ્કીઓ લેતાં લેતાં મિટીંગ થાય અને આવી મિટીંગનો તો નશો જ

      ઓર હોય છે.

                    આમાં ભાષણનો વિષય અગત્યનો છે. વિષયની વાત કરીએ તો વડોદરા યુનિ.માં ભણતો હતો ત્યારે પ્રો.રાનડેના બાયોલોજીના કલાસમાં મને કાયમ ઊંઘ આવતી.જયારે જુઓ ત્યારે તે “રાના ટિગ્રીના” પર બોલતા હોય આથી જ અમે તેમને “દેડકા સર” કહેતા.પ્રો.જી.કે.જી.જોષીના ઇંગ્લીશના પિરીયડમાં તો મને સપના પણ આવતા.અમારી ટેક્ષ બુક- વિલીયમ થેકેરેની “વેનિટી ફેર” તો સપનામાં જ પતી.સામાન્ય રીતે જોષી સાહેબ મારી આ ટેવ સહન કરી લેતા. ફ્ક્ત એક વખત કલાસમાંથી કાઢી મુક્યો હતો.અને હું બહાર નિકળતો હતો ત્યારે તે બોલ્યા-“ આઇ ડોન્ટ માઇન્ડ યુ સ્લીપીંગ, બટ આઇ હેઇટ સ્નોરિંગ.”પાછળથી મારા મિત્રે જણાવ્યું હતું કે મારા નસ્કોરાં બોલતા હતા.

                  એટલે વિષય ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે.ગુજરાતી ભાષાના પ્રવચનો ખૂબ ભારેખમ હોય છે.એક તો વિષય જ શુષ્ક-ફલાણા યુગની કવિતાઓ કે ગુજરાતી ભાષાનો ઇતિહાસ કે પછી ફ્લાણા કવિ કે લેખકની કૃતિઓનું રસ દર્શન. જ્યારે આવા વિષય સ્કુલ અને કોલેજમાં અભ્યાસક્રમમાં ભણવામાં આવતા ત્યારે નહોતા સાંભળતા. તો હવે સ્વેચ્છાથી સાંભળવા ગમે ખરા? ઊંઘવા માટે, કવિ સંમેલન નકામા.એક કવિની કવિતાથી કદાચ ઊંઘ આવતી હોય ત્યાં બીજા કવિ આવે એટલે ઊંઘ ઊડી જાય. અને જો કવિઓએ નક્કી કર્યું હોય કે બધાંએ બે કૃતિ વાંચવાની.અને જો કોઇ કવિ ત્રીજી કવિતા વાંચવા બેસી ગયા તો તેમના પર ચિઠ્ઠીઓ આવવા માંડશે. ઓડિયન્સમાંથી  નહીં પરંતુ પાછળ બેઠેલા બીજા કવિઓ તરફથી. એટલે આપણી આવતી ઊંઘ ઉડી જાય. અને તેમ ઓછું કોય તેમ લોકો વાહ વાહ કરી ને ઊંઘવા નહીં દે!

                     ભાષણ સાંભળવાની મઝા તો આપણાં ભૂતપૂર્વના વડા પ્રધાન શ્રી મનમોહન સિંહના ભાષણમાં. હું કહેતો કે “મનમોહનસિંહને કોઇ દુશ્મન જ નથી. કારણ કે એ શું બોલે છે તે જ કોઇને સમજાતું નથી..” એ એમની જાતે નીચું ડોકું કરીને બોલ્યે જાય છે. મને તો લાગે છે કે દુનિયામાં સૌથી બોરિંગ પ્રવચનો દરેક દેશની પાર્લામેંટમાં થતા હશે. તેમ છતાં ઊંઘવા માટે પાર્લામેંટ નકામી.પુષ્કળ બૂમાબૂમ થતી હોય છે.આપણે ત્યાં તો વિરોધ પક્ષ વિરોધ કરવાનું નક્કી કરીને જ આવે અને ગાદી પર બેઠેલા પક્ષના પ્રધાન બીજા એમ.પી.ના માથામાં જાત જાતના આંકડા ફટકારે.એટલે એમ.પી. લોકોને ઊંઘ આવે ખરી ? મને લાગે છે કે એ ઊંઘ ઉડાડવા માટે જ આ સભ્યો,બૂમો પાડતા હશે. અને ગાળા ગાળી કરતા હશે.

                 છેલ્લે,કદી વિચાર્યું છે કે જે લોકોને ભાષણોમાં ઊંઘ આવતી હોય છે તે લોકો કરીના કપૂર સ્ટેજ પર બેસીને બીજું કાંઇ જ ન કરવાની હોય અને ફક્ત છીંકો ખાવાની હોય તો તેને જોતાં મટકું પણ નહીં મારે !

2 thoughts on “જાગો સોનેવાલો (હરનિશ જાની)

  1. હા, એક વ્યક્તિ જરૂર સાભળે છે, તે છે બોલનાર પછીનો વક્તા.તેને એમ કે આ પુરું કરે તો સારું. જેથી લોકોને ટોર્ચર કરવાનો આપણો વારો આવે.અને એના ભમરડાની જાળી તપતી હોય છે.
    છેલ્લે,કદી વિચાર્યું છે કે જે લોકોને ભાષણોમાં ઊંઘ આવતી હોય છે તે લોકો કરીના કપૂર સ્ટેજ પર બેસીને બીજું કાંઇ જ ન કરવાની હોય અને ફક્ત છીંકો ખાવાની હોય તો તેને જોતાં મટકું પણ નહીં મારે !
    we all have had habit of sleeping in class room some time or other– perhaps even seeing dreams– but no experience gathered from friends of Snoring– great to know you were so much hypnotized that going to sushuti state of slumber .nice and authentic essay- read without blinking eyes even !!!

    Liked by 1 person

  2. … ‘બેઠેલા પક્ષના પ્રધાન બીજા એમ.પી.ના માથામાં જાત જાતના આંકડા ફટકારે.એટલે એમ.પી. લોકોને ઊંઘ આવે ખરી?’…
    તેમા હોર્સ ટ્રેડીંગની સતત બીક રહે! સાંપ્રતસમય્રે કર્ણાટકમાં હોર્સ ટ્રેડીંગ જેવી પરીસ્થીતી પેદા થઇ તો- ‘મઝા તો આપણાં ભૂતપૂર્વના વડા પ્રધાન શ્રી મનમોહન સિંહના ભાષણ…’ મા કહેનારાઓની ઉંઘ ઉડાડી એક સુચનથી ! ‘ હોર્સ ટ્રેડીંગને બદલે જે.ડી નો આખો તબેલો જ ટ્રેડ કરી બધા ઘોડાને રીસોર્ટમા ચરણ આપવું અને ત્રીજીવાર કડપ્પાની તલવાર બાહુબલીની આરપાર નીકળી..!!.
    તમારે જાગો સોનેવાલો ન કહેવું પડે
    ગુજરાતી ભાષાના પ્રવચનો ખૂબ ભારેખમ તેમા
    इतरकर्मफलानि यद्दच्छ्या विलिखितानि सहे चतुरानन |
    अरिसिकेषु कवित्वनिवेदनं शिरसि मालिखमालिखमालिख ||
    કહે એટલે પણ સોનેવાલા જાગે
    છેલ્લે-‘કરીના કપૂર સ્ટેજ પર બેસીને બીજું કાંઇ જ ન કરવાની હોય અને ફક્ત છીંકો ખાવાની હોય તો તેને જોતાં મટકું પણ નહીં મારે..
    संचारिणी दीपशिखेव रात्रौ यं यं व्यतीयाय पतिंवरा सा।
    नरेन्द्रमार्गाट्ट इव प्रपेदे विवर्णभावं स स भूमिपालः।
    મટકું કેવી રીતે મરાય ?
    ज़ुल्फ़ की छाँव हाय होश उड़ा जाए पाँव डगमगाए
    हो आया प्यार भरा ..
    .
    .
    .તમારે જાગો સોનેવાલો ન કહેવું પડે

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s