ગુજરાતમાં ચિત્રકળાના પગરણ કલાગુરૂ રવિશંકર રાવળના આગમનથી થયા. મુંબઈની જે. જે. કોલેજ ઓફ આર્ટસમાંથી શિક્ષણ પ્રાપ્ત કરી, થોડા સમય માટે મુંબઈમાં કામ કરી, રવિભાઈ અમદાવાદમાં સ્થાયી થયા. અહીં એમણે પોતાની કળા–સાધના તો કરી, પણ એમના માર્ગદર્શન હેઠળ ઘણાં સફળ ચિત્રકારો તૈયાર થયા.
ગુજરાતમાં પધ્ધતિસરનું શિક્ષણ, મહારાજા સયાજીરાવ વિદ્યાપીઠ–વડોદરામાં Fine Arts ના વિભાગની સ્થાપનાથી શરૂ થયું. Faculty of Fine Arts માંથી માત્ર ગુજરાતના જ નહીં, સમગ્ર દેશના, આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારો સ્નાતક થયા. જ્યોતિભાઈ આ સંસ્થામાંથી સ્નાતક થયા એટલું જ નહીં, આ સંસ્થામાં વર્ષો સુધી શિક્ષક પણ રહ્યા.
પ્રકૃતિ
મૂળ ચિત્ર ૩૦” X ૩૦ “ ના બોર્ડ ઉપર એક્રીલીક રંગોથી તૈયાર કરવામાં આવ્યું હતું. ૨૦૧૫-૨૦૧૬માં L/E Serigraph નકલો પેપર ઉપર તૈયાર કરવામાં આવી હતી. કેટલાક આર્ટ ડીલરોએ પ્રત્યેક નકલની કીમત ૩૦,૦૦૦ રૂપિયા રાખી હતી.
ચિત્રમાં પુરૂષ અને સ્ત્રી, પોઝીટીવ અને નેગેટીવ વચ્ચેનું સમતુલન દર્શાવવામાં આવ્યું છે. રંગો અને રેખાઓની મદદથી આ સમતુલન દર્શાવ્યું છે. કેટલીક આર્ટ ગેલેરીઓએ આ ચિત્રને Cosmology વિભાગમાં રાખ્યું છે.
અગાઉ મેં જણાવ્યું છે તેમ આ ચિત્રમાં પણ Mythology ( Om, Ganesh, Sun), અને આધુનિક ચિત્રકળા (Modern Art) બન્નેનો સમનવય નજરે પડે છે. આ ચિત્રનું વિશ્ર્લેષણ નીચે શ્રી બાબુ સુથારે આપ્યું છે.
જનમ જનમ કે હમ હૈ સાથી
૩૬” X ૨૪” નું કેનવાસ ઉપર Oil, enamel અને Metalic paint થી આ ચિત્ર ૧૯૬૭ માં તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યોતિભાઈના આવા જાણીતા ચિત્રોની Certified કોપીઓ કેટલાક આર્ટ ડીલર્સ ૨૦,૦૦૦ થી ૬૦,૦૦૦ રૂપિયા સુધીમાં વેંચે છે. આ ચિત્રના નામને સાર્થક કરે એવી કેટલી બધી વાતો આ ચિત્રમાં વણી લેવામાં આવી છે. એક બીજાની સામે ટક ટકી લગાવી રાખેલી આંખો, એક બીજાની કાળજીના પ્રતિક તરીકે બન્નેએ પોતાની છત્રી સામી વ્યક્તિ ઉપર ધરી છે. બન્નેના બીજા હાથની એક બીજા ઉપરની પકડ જ સાત જનમ સુધી ન છૂટે એવી છે. વસ્ત્રોની ડીઝાઈનની બારીકી અને આસપાસની ડીઝાઈનના રંગો અને બારીકી એ ચિત્રમાં વપરાયલી મહેનતની સાક્ષી પુરે છે.
આ ચિત્રનું પણ વિગતવાર વિશ્ર્લેષણ શ્રી બાબુ સુથારે અહી આપ્યું છે.
(બન્ને ચિત્રોનું શ્રી બાબુ સુથારે આપેલું અવલોકન)
કોઈ પણ ચિત્ર હોય. જ્યાં સુધી આપણે એને ચિત્રકળાની પરંપરામાં ન મૂકીએ ત્યાં સુધી એમાં રહેલી કેટલીક ખૂબીઓ આપણને સમજાય નહીં. આજે જ્યોતિ ભટ્ટનાં ‘પ્રકૃતિ’ અને ‘જનમ જનમ કે હમ સાથી’ ચિત્રોની વાત કરવાની છે. આ બન્ને ચિત્રોને આપણે આધુનિકતાવાદી ચિત્રોની સામે મૂકીને જોવાં જોઈએ. પણ, સાથે સાથે એ વાત પણ યાદ રાખવાની છે કે આધુનિકતાવાદ કોઈ એક જ પ્રવાહનું નામ નથી. એ અનેક પ્રવાહોનું નામ છે. જેમ બીજે બધે બન્યું છે એમ ભારતમાં પણ એક સાથે અનેક આધુનિકતાવાદી પ્રવાહો હતા. આપણે એ બધા પ્રવાહોની વિગતોમાં નહીં જઈએ. પણ એમાંના એક પ્રવાહને આપણે બરાબર સમજવો પડશે. આ પ્રવાહને ચિત્રકળામાં દેશ અને કાળથી નિરપેક્ષ એવા સત્યની શોધ સાથે સંબંધ હતો. આ પ્રવાહ પણ અનેક નામથી ઓળખાય છે. આપણે એને આકારવાદી પ્રવાહ કહીશું. એ પ્રવાહ઼નાં ચિત્રોમાં અર્થ મહત્ત્વનો ન હતો. અથવા તો એ પ્રવાહને વરેલા ચિત્રકારો આકારને જ અર્થ માનતા હતા એમ પણ કહી શકાય. આ પ્રવાહનાં ચિત્રોમાં figure જોવા મળતી ન હતી. એમાં રેખાઓ ક્યારેક જોવા મળતી પણ અમૂર્ત. એ કશાનું સૂચન કરતી ન હતી. એ જ રીતે એમાં રંગ અને રંગોનું composition પણ ચિત્રની બહારના કોઈ જગતનું સૂચન કરતું ન હતું. ટૂંકમાં, એ ચિત્રોને આપણા સમાજ સાથે, આપણી સંસ્કૃતિ સાથે, આપણા ઇતિહાસ સાથે પ્રત્યક્ષ સંબંધ જરા પણ ન હતો.
હવે જયોતિ ભટ્ટનાં આ બે ચિત્રો જુઓ. અહીં જે કંઈ છે એ જોઈને કોઈને પણ ગુજરાતની લોકકળા યાદ આવી જશે. આપણે તરત જ કહીશું કે હા, આવું મેં લોકકળામાં જોયું છે. અર્થાત્, અહીં આપણે દેશકાળની પેલે પાર જતા નથી. આપણે આપણા દેશ અને કાળમાં રહીએ છીએ. જો કે, એનો અર્થ એવો નથી કરવાનો કે આપણા દેશકાળનું સત્ય કેવળ આપણા માટે જ છે. ના, કળા કદી પણ કોઈ પણ સત્યને કોઈનો ઇજારો ન બનાવે. બીજું, આ બન્ને ચિત્રોમાં figures છે. બન્નેમાં માણસ છે, પ્રાણી છે, પ્રકૃતિ છે. તદ્ઉપરાંત માનવસર્જિત પદાર્થો કે વસ્તુઓ પણ છે.
દાખલા તરીકે, ‘પ્રકૃતિ’ ચિત્ર જુઓ. ચિત્રની વચ્ચોવચ્ચ સૂર્યમુખીનો છોડ છે. પણ એ છોડ કુદરતી (naturalistic) નથી. એ જ રીતે આદર્શ (idealistic) છોડ પણ નથી. એની બન્ને બાજુ નાગ. એ પણ કુદરતી કે આદર્શ નથી. નાગની ફેણની ઉપર બે આંખો. કોઈને થશે કે આવું તે હોય? જેણે લોકકળાને નજીકથી જોઈ છે એને ખબર છે કે આમાં કશું ખોટું નથી. હજી થોડાક ઉપર જુઓ. સૂર્યમુખીનું ફૂલ કાળા વર્તુળમાં મૂક્યું છે. એટલું જ નહીં, સૂર્યમુખીના ફૂલનો રંગ પણ વાદળી છે. આ બધાનો આપણા જગત સાથે પ્રત્યક્ષ તાળો મળે એવો નથી. એમ છતાં આપણે તાળો મેળવી શકીએ છીએ. ઉપર એક પંક્તિ છે: “જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે.” આ પંક્તિ જોવા માટે નથી. વાંચવા માટે છે. આપણને પ્રશ્ન થશે: પણ ચિત્ર તો જોવા માટે હોય. ચિત્રકાર એ નિયમ સાથે છૂટછાટ લે છે. આ પંક્તિ એ રીતે જોતાં એક સાથે text પણ બને ને image પણ. જેને ગુજરાતી વાંચતાં આવડે છે એના માટે આ text છે, નથી આવડતું એના માટે image. અહીં રેખાઓ છે. પણ ભૌમિતિક આકારોને હોય છે એવી નથી. જરાક ધ્યાનથી જોશો તો ઘણી બધી રેખાઓ ટપકાંની અથવા તો બિંદુઓની બનેલી છે. આ ટપકાં/બિંદુ રેખાઓને સજીવ બનાવે છે. આવી તો બીજી અનેક વિગતો છે ‘પ્રકૃતિ’માં. સ્ત્રીની figure પાસે જ હથેળી જુઓ. ‘સતી માતાના હાથ’ જેવી. એ હથેળીમાંનાં ચિત્રો જુઓ. નાનપણમાં જોયેલાં કેટલાંક કેલેન્ડર પરનાં ચિત્રો યાદ આવી ગયાં. સ્ત્રીની figureની ઉપર પણ એક માનવીય figure છે. ‘પ્રકૃતિ’ની ઘણી બધી figures પ્રતીક તરીકે જોઈ શકાય. હજી રંગો પર તો આપણે ધ્યાન આપ્યું જ નથી. આકારવાદી ચિત્રો આપણને મૂર્તની પેલે પાર રહેલા અમૂર્તને અનુભવ કરાવે તો એની સામે છેડે આ પ્રકારનાં ચિત્રો આપણને મૂર્તનો અનુભવ કરાવે.
એ જ રીતે, ‘જનમ જનમ કે હમ સાથી’ ચિત્ર જુઓ. એમાં પણ figures છે. બે મનુષ્યો. એક સ્ત્રી અને એક પુરુષ. એમના એક હાથમાં છત્રી છે, બીજા હાથેથી એ બન્ને એકબીજાને આલિંગન આપી રહ્યાં છે. સ્ત્રી અને પુરુષની ડાબે અને જમણે પ્રેમનાં પ્રતીક. ઉપર પણ. તદ્ઉપરાંત, બીજા શણગાર જુદા. અહીં પણ મોટા ભાગની રેખાઓ બિંદુઓ કે ટપકાંની બનેલી છે. મેં અહીં આ ચિત્રને narrate કર્યું. પણ એવું હું આકારવાદી ચિત્ર સમજાવતી વખતે ન કરી શકું. કેમ કે figureની અનુપસ્થિતિમાં કથન શક્ય ન બને.
આ બન્ને ચિત્રોમાં ચિત્રકારે લોકકળાની શૈલીનો વિનિયોગ કર્યો છે. એટલું જ નહીં, બન્ને ચિત્રો આપણને કોઈકને કોઈક ‘કથા’ કહી જાય છે. અને એ ખૂબી છે વડોદરા કળા સંપ્રદાયની. વડોદરા કલાસંપ્રદાય આકારવાદનો અસ્વીકાર કરી કથન તરફ વળે છે. કેટલાક ચિત્રકારો (જેમ કે ગુલામમોહમ્દ શેખ) મિનિયોચર ચિત્રો પાસેથી કથન લાવ્યા તો કેટલાક (જેમ કે ભૂપેન ખખ્ખર) રોજબરોજના જીવનમાંથી. જ્યોતિ ભટ્ટ આ બન્ને ચિત્રોમાં લોકકળા પાસેથી ‘કથન’ લાવે છે. ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં આ એક મોટી ઘટના હતી.
શ્રી જ્યોતિ ભટ્ટનાં દિલહર ચિત્રો એના રસાસ્વાદ સાથે માણીને ધન્યતાનો અહેસાસ થયો. સાચા કલાકાર ની કૃતિ એટલે કે એક નીવડેલ કવિનું
ભાવવાહી કાવ્ય જ જોઈ લો !
LikeLike
પ્રકૃતિ અને જનમ જનમ કે હમ હૈ સાથી ચિત્રો મા દાવડાજી રસદર્શનથી માણવાની વધુ મઝા આવી
LikeLike
par excellent indeed!!!
LikeLike