પ્રકરણ ૪: કંપની સૂરતમાં – વિલિયમ હૉકિન્સ
૧૬૦૩ પછી ૧૬૦૭ સુધી સાત ખેપ થઈ પરંતુ તે પછી, સદીનાં બાકીનાં વર્ષો લંડનની ઈસ્ટ ઇંડિયા કંપની માટે ઇંડોનેશિયામાં લગભગ ખરાબ રહ્યાં. આ દરમિયાન ડચ કંપની સાથે લડાઈઓ થઈ. જો કે, ઇંગ્લૅન્ડના રાજા અને હૉલૅન્ડ વચ્ચે સંધિ થઈ ગઈ હતી પરંતુ બાંદાના ટાપુઓ પર આ સમાચાર પહોંચ્યા નહીં એટલે લડાઈઓ ચાલુ રહી; મોટા ભાગની લડાઈઓ તો સંધિ થયા પછી જ થઈ અને એમાં ડચ કંપનીએ લંડનની કંપનીના કેદ પકડાયેલા માણસો પર ગોઝારા અત્યાચારો કરીને મોતની સજાઓ પણ કરી. આમ આખી સત્તરમી સદી દરમિયાન પણ લંડનની કંપની તેજાનાના વેપારમાં પોતાનું વર્ચસ્વ જમાવી ન શકી, એટલું જ નહીં, છેક ૧૬૬૫માં પુલાઉ રુન પર ફરી કબજો કરવાનું કંપનીએ નક્કી કર્યું ત્યારે ટાપુ નિર્જન બની ગયો હતો અને જાયફળનાં ઝાડોનું નામ નહોતું રહ્યું.