કંઈ નથી (નરેંદ્રસિંહ મકવાણા ‘અતુલ’)


(‘અતુલ’ ઉપનામથી છંદના નિયમો અનુસાર ગઝલ લખતા નરેંદ્રસિંહ મકવાણા સુરેંદ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાના વતની છે. એમણે B.A. (English), LL.B., PG DCS સુધીનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ માત્ર ગઝલ લખે છે. આજે એમની એક ગઝલ અહીં પ્રસ્તુત કરી છે. -સંપાદક)

કંઈ નથી (નરેંદ્રસિંહ મકવાણા ‘અતુલ’)

આપણી વચ્ચે હવે વિશ્વાસ જેવું કંઈ નથી,

છે હકીકત આ બધી આભાસ જેવું કંઈ નથી.

બે ઘડી મળશે અને છુટા પડી જાશે બધા,

કોઈ સાથે કાયમી સહવાસ જેવું કંઈ નથી.

એટલે રડતો નથી હું દુખ તમારૂં જોઈને,

આ સંબંધોમાં હવે ભીનાશ જેવું કંઈ નથી.

છે બગીચામાં ઘણા ફૂલો અને જોતા રહો,

કોઈનામાં પણ હવે સુવાસ જેવું કંઈ નથી.

દુખ છે, દર્દોય છે, સંઘર્ષ ને વ્યથા જ છે

જીંદગીમાં જીવવાની આશ જેવું કંઈ નથી.

લ્યો ઈબાદતથી મને તો સત્ય આ સમજાઈ ગયું,

હે ખુદા તારા મહીં પણ ખાસ જેવું કંઈ નથી.

જે દિવસથી એ અતુલ છોડી તને ચાલ્યા ગયા,

તે દિવસથી આંગણે ઉજાસ જેવું કંઈ નથી.

***************

3 thoughts on “કંઈ નથી (નરેંદ્રસિંહ મકવાણા ‘અતુલ’)

  1. સુંદર ગઝલ
    સ રસ મત્લા
    આપણી વચ્ચે હવે વિશ્વાસ જેવું કંઈ નથી,
    છે હકીકત આ બધી આભાસ જેવું કંઈ નથી.
    મા સુરેશ દલાલ કહે
    આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે. તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે. સમજું છું એથી તો જોને ચૂપ રહેવાની વાત કરું છું.
    ધુમ્મસ જેવા દિવસોની હું ઘોર અંધારી રાત કરું છું. વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે. આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે. હવે વિસામો લેવાનો પણ થાક ચડ્યો છે.
    આપણો આ સંબંધ આપણને ખૂબ નડ્યો છે.
    આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આમ જુઓ તો મોઘમ છે. તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે. –
    ડૉ વિવેક કહે
    આપણી વચ્ચે હવે કંઈ પણ નથી,
    જે હતી ક્યારેક એ સમજણ નથી.
    આપણી વચ્ચે શું એવું થઈ ગયું?
    હું નથી એ જણ, તું પણ એ જણ નથી.
    મા મુકેશજી કહે
    આપણી વચ્ચે હવે નક્કર થતી આ લાગણીનું શું કરીશું? સૂર્યના ચિક્કાર પડતા તાપ વચ્ચે એક ટુકડો બર્ફ લઈને ક્યાં ફરીશું?

    Liked by 1 person

  2. every stanza full of messages of reality of life like:
    “બે ઘડી મળશે અને છુટા પડી જાશે બધા,
    કોઈ સાથે કાયમી સહવાસ જેવું કંઈ નથી”
    liked it very much- thx

    Like

પ્રતિભાવ