સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૧ (ડો. ભરત ભગત)


ઋષભભાઈ

          તાજેતરમાં હું, મારી પત્ની સાથે બેંગ્લોરથી અમદાવાદની ફલાઈટમાં આવી રહ્યો હતો અને અમારે ટર્મીનલથી એરક્રાફ્ટ સુધી બસમાં જવાનું હતું. અમે બસમાં ચઢનારા છેલ્લા પેસેન્જર હતા એટલે ખીચોખીચ ભરેલી બસમાં જે ટેકો મળ્યો તે પકડીને ઊભા રહ્યા. મારી પત્ની તો ઉપરથી લટકતા હોલ્ડીંગના પટ્ટા સુધી પહોંચી શકતી ન હતી એટલે મારા ટેકે ઊભી રહી ગઈ. બસ ચાલુ થાય એ પહેલાં છેક છેલ્લી સીટ ઉપર બેઠેલો એક યુવાન બધાને ખસેડીને દોડી આવ્યો. મારી પત્ની માટે પોતાની સીટ ખાલી કરી દીધી. અમે બંનેએ ના કહી છતાંયે એ મારી પત્નીને દોરીને લઈ ગયો, પોતાની સીટ ઉપર બેસાડી, આનંદથી ઊભો રહ્યો. આંખોમાં ભાવ સાથે અમે માત્ર થેન્ક યુ જ કહી શક્યા.          આવા અસંખ્ય પ્રસંગો રોજબરોજના જીવનમાં સહુ કોઈ અનુભવે છે અને એટલે જ મારું તારણ છે કે પ્રત્યેક માનવીના મનમાં કરૂણા, બીજાને સહાયરૂપ થવાની ભાવના પહેલી જ હોય છે. દુનિયાના કોઈ પણ પ્રદેશમાં માનવતાની મહેંક પ્રસરતી જ રહેતી હોય છે. જ્યારે દુનિયા આટલી સરસ છે ત્યારે આજની પરિસ્થિતિ કેમ વિકટ અને વિરોધાભાસી લાગે છે ? ચોરી, લૂંટફાટ, ગુંડાગીરી, આંતકવાદ, યુધ્ધોથી ઘેરાયેલું માનવજીવન કેમ ત્રસ્ત છે? એવા પ્રશ્નો જરૂર થાય પરંતું આમાંથી એટલું જરૂર સમજાય છે કે હ્રદયમાં સારા ભાવ હોવા છતાંયે બહારની પરિસ્થિતિઓ, સંજોગો, અપેક્ષાઓ, ભૌતિકવાદના વિસ્તૃતિકરણથી હ્રદયના ભાવો ઉપર કાળો ડામર પ્રસરી ગયો છે. વ્યક્તિગત સારાઈ રહેવા છતાંયે સામુદાયિક રીતે સદ્દગુણો દબાઈ ગયા છે.

          આવી પરિસ્થિતિને કેવી રીતેપલટાવવી ? માનવ- માનવને સહાયરૂપ થાય, એકબીજા માટે પૂરક બને, તકલીફમાં મુકાયેલા, જાણીતા કે અજાણ્યાનો હાથ પકડી તકલીફમાંથી બહાર કાઢી શકાય અને એથી એ આગળ સમગ્ર વિશ્વ માનવતાના ઉચ્ચત્તમ શિખરે કેવી રીતે પાછી લાવી શકાય એવું મનોમંથન કરતાં મુંબાઈના સમૃધ્ધ વેપારી ઘરના સંસ્કારથી ઘડાયેલા અને ધર્મમાં સંપૂર્ણ આસ્થાથી ભરાયેલા યુવાન ઋષભ તુરખિયાને એક અદ્દભુત વિચાર આવ્યો. એણે એક ડગલું માંડ્યું સાવ નાનકડા વિચારથી યોર ટર્ન નાવ જે હવે વામનમાંથી વિરાટ થવાની દિશામાં જઈ રહ્યું છે. ઋષભભાઈના શબ્દોમાં જ એમની આ પહેલને માણવા જેવી છે.

           પેઈડ ફોરવર્ડ નામની હોલીવુડની ફિલ્મ મને ગમી, એનો ભાવ મને સ્પર્શી ગયો અને એટલે એ ફિલ્મ મેં 52 વખત જોઈ. એમાંથી મને વિચાર સ્ફ્રુર્યો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને મદદ કરે અને મદદની દોરનો ગુણાંકાર થતો રહે તો આખા સમાજમાં એક નવું જ વાતાવરણ સર્જાય. મારો ભાવ હતો કાઈન્ડનેશ. આ શબ્દના અનેક અર્થો થઈ શકે, જેવા કે માનવતા, સદ્દભાવના, સતકર્મ, કરૂણા, માયાળુપણું. આપણને જે પર્યાય ગમે તે લઈએ પરંતું અજાણ્યાને મદદ કરવી અને એ જ વ્યક્તિ, બીજા અજાણ્યાને મદદ કરે એ મારું ધ્યેય બની ગયું. મદદ કરનારને, મદદ લેનાર આભાર કહે ત્યારે મદદ કરનાર એને એક કાર્ડ આપે જેના ઉપર લખ્યું હોય Your turn now આવો વિચાર દ્રઢીભૂત થયો એટલે મેં આસમાની વાદળી રંગનું કાર્ડ બનાવ્યું જેના ઉપર લખ્યું કે Your turn now આ કાર્ડ જેને મળે તેને સતત યાદ રહે કે કોઈકે મને મદદ કરી હતી અને હવે મારે બીજાને મદદ કરવાની છે. આ કાર્ડ મેં સુક્ષ્મતાથી વિચાર કરીને ડીઝાઈન કર્યું હતું કે જેનો ધારક આ કાર્ડથી પ્રોત્સાહિત થતો રહે. 

          આ પહેલાં મુંબઈ શહેરમાં ટ્રેઈનમાં, રસ્તા ઉપર, કાર્યક્ષેત્રમાં અગર તમામ ક્ષેત્રોમાં લડતાં – ઝગડતાં માનવીઓ જોયા હતાં. અહમ અને તુમાખીભર્યો વર્તાવ સતત જોતો હતો. બીજા માટે ઘસાવવાની વાત તો બાજુએ રહી પરંતું નિઃસ્વાર્થભાવે હાથ પકડવાની પણ તૈયારી ન હતી. લોકલ ટ્રેઈનમાં ધુસેલો એક વ્યક્તિ, અંદર ચઢતાં બીજી વ્યક્તિઓને સહાય કરવાને બદલે અંદર પેસતા જ રોકતો હતો. આ પરિસ્થિતિઓ જોઈ ત્યારે મારી સંવેદનાઓ જાગી ઊઠી અને યોર ટર્ન નાવનો વિચાર દ્રઢપણે મૂર્તિમંત થયો.

           2009 માં એક ચેઈન – સાંકળ શરૂ થાય એ માટે લિટલ બ્લ્યુ કાર્ડ ડીઝાઈન કર્યું. એ સાથે યોર ટર્ન નાવની વેબસાઈટ શરૂ કરી. સોશિયલ મીડીયાનો મોટા પાયે ઉપયોગ શરૂ કર્યો. મારું લક્ષ્ય હતું કે પહેલાં વર્ષે પાંચ હજાર કાર્ડ વહેંચવા એટલે કે પાંચ હજાર મદદના કાર્યો થાય પરંતું મારા આશ્ચર્ય વચ્ચે પહેલાં જ વર્ષે 25000 કાર્ડનું વિતરણ કરી શક્યો. કહે છે ને કે સફળતા એક નશો છે અને આ જ સફળતાએ મારો ઉત્સાહ અનેકગણો વિસ્તરી ગયો.

           ઋષભભાઈના આ નવીન પ્રોજેક્ટથી હું થોડો અંજાયો પરંતું મનમાં થોડી શંકાઓ તો જરૂર હતી જ. શું આટલાથી જગત બદલાઈ શકે એવા પ્રશ્નો પણ હતા અને સાથે સાથે એમની સફળતા માટે કુતૂહલતા પણ હતી. મારા ભાવને સમજી એમણે વધુ વાતો મારી સમક્ષ રજુ કરી. “આ દસકામાં યોર ટર્ન નાવ મુમેન્ટ 45 દેશોમાં પ્રસરી ચૂકી છે અને વિશ્વની દસ ભાષામાં આ લિટલ બ્લ્યુ કાર્ડ મોકલાય છે.સોશિયલ મીડીયાના બહોળા ઉપયોગથી લોકો મને પોતે કરેલાં કાર્યોની વાતો અને આવેલા પલટાવની માહિતિ ઈ-મેઈલમાં મોકલે છે. એટલી મોટી સંખ્યામાં સક્સેસ સ્ટોરીઝ આવે છે કે જેના કલેકશનની મેં બે બુક્સ બહાર પાડી છે – જેની બાર હજાર નકલો વેચાઈ ગઈ છે. આની રોયલ્ટીમાંથી મારો કાર્ડ બનાવવાનો ખર્ચ નીકળવા માંડ્યો છે.

           સત્કાર્યોની વણઝાર થઈ રહી છે જેમાં મારા થકી થયેલાં પ્રયાસોથી લાખ્ખો રૂપિયાનું ફંડ નેપાળમાં ભૂકંપ, દુષ્કાળમાં પાણીની ટેંકરો, શહીદો માટે ફંડ રેઈઝીંગ કે જયપુર ફુટની વહેંચણી માટે એકત્રિત થઈ શક્યું છે.આ મારા સોશિયલ મીડીયાના માધ્યમથી જ થયું છે. આ તો હિમશીલાસમુ છે. કેટલાંક પ્રસંગો આંખ સામે તરવરે છે જે મારા હ્રદયને પ્રસન્નતા આપે છે. આવા જ પ્રસંગો માનવતાની ચેતના પ્રજ્વલિત કરવાના મારા પ્રયત્નો માટે પ્રોત્સાહક છે. મેં એકાદ પ્રસંગ જાણવા આતુરતા વ્યક્ત કરી ત્યારે એમણે આંખો બંધ કરી ભૂતકાળમાં ડોકિયું કરતાં કહ્યું : “

          સેન્ટ્રલ લંડનમાં એક મોડી સાંજે ચંદ્રકાંત નામના ગુજરાતી યુવાનને ગુંડાઓ ઘેરી વળે છે. એની પાસેના પૈસા, કાર્ડસ, ઘડિયાળ, ચેઈન લૂંટી લે છે ઘેર કેમ પહોંચવું એ પણ એના માટે સમસ્યા હતી. નિરાશ થતા ઊભો રહ્યો હતો ત્યારે એક પોલીસ અધિકારીને જોયો. દોડતા ત્યાં પહોંચ્યો અને પોતાની આપવીતી કહી સંભળાવી. અધિકારી એને પોલિસ સ્ટેશને લઈ ગયો, ફરિયાદ નોંધાવી અને પોતાના ખિસ્સામાંથી થોડા પાઉન્ડ આપ્યા જેથી એ પોતાના ઘેર જઈ શકે. અશોકની આંખો આંસુઓથી છલકાઈ ગઈ અને આભાર કહે એ પહેલાં અધિકારીએ એને લિટલ બ્લ્યુ કાર્ડ – યોર ટર્ન નાવ આપી વિદાય કર્યો. આવી અનેક યાદો મારી પાસે છે.”

           મેં ઋષભભાઈને અભિનંદન તો આપ્યા જ પરંતું મને જાણીને આનંદ થયો કે એમણે 600 થી 700 સેમિનાર્સ આ વિષય માટે કરી હજ્જારો લોકો સુધી વિચાર પ્રસરાવ્યો છે. અત્યાર સુધીમાં એમણે છ લાખ છપ્પન હજાર કાર્ડ દેશ – પરદેશમાં લોકોને પોતાના ખર્ચે મોકલ્યા છે. એમનું લક્ષ્ય તો દુનિયાના 7 બીલીયન લોકો સુધી પહોંચવાનું છે જેથી આ દુનિયા જ સ્વર્ગ બની જાય.

           કોઈકે સાચું જ કહ્યું છે કે સેંકડો નિષ્ક્રિય લોકોની વચ્ચે એક સક્રિય માણસ પરિસ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે. ક્યારેક એક એકલો માણસ બહુમતી બની જાય છે જે ઋષભભાઈ થવા જઈ રહ્યાં છે.

4 thoughts on “સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૧ (ડો. ભરત ભગત)

  1. બહુ જ પ્રેરણાદાયી વાત ! એમણે જણાવેલ મુવી અને વેબ સાઈટ પણ અનુકૂળતાએ જોઇશ .. સરવાળો સત કર્મનો એ સાંભળ્યું છે … અહીં તો એક પ્રવાહ જ ઉભો થયો ! Very nice ! Thanks for sharing .🙏

    Like

  2. ‘માનવ- માનવને સહાયરૂપ થાય, એકબીજા માટે પૂરક બને, તકલીફમાં મુકાયેલા, જાણીતા કે અજાણ્યાનો હાથ પકડી તકલીફમાંથી બહાર કાઢી શકાય ‘આવા બનાવ તો લગભગ દરેકના જીવનમા બનતા હોય છે પણ ‘ એથી એ આગળ સમગ્ર વિશ્વ માનવતાના ઉચ્ચત્તમ શિખરે કેવી રીતે પાછી લાવી શકાય એવું મનોમંથન’કેટલાકને જ થાય અને ઋષભભાઈના આ નવીન પ્રોજેક્ટ અમલમા મૂકી શકે સત્કાર્યોની વણઝાર થાય છે અને સેંકડો નિષ્ક્રિય લોકોની વચ્ચે એક સક્રિય માણસ પરિસ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે. ક્યારેક એક એકલો માણસ બહુમતી બની જાય છે જે ઋષભભાઈ જેવા થાય છે
    અને અનેકોને તૈયાર કરી શકે છે આવા પ્રેરણાદાયી પ્રવૃતીવાળા ઋષભભાઇને વંદન

    Like

  3. બહુ સુંદર પ્રયોગ.. બહુ જ પ્રેરણાદાયી વાત !

    આજે લોકોને પણ મનમાં ભાવના હોય તો પણ આસપાસનું-આજુબાજુનું વાતાવરણજ એવું બની ગયું છે કે એનાજ વિચારમાં લોકો રચ્યાઅચ્યા રહી જાય છે. શું ભારત કે અમેરીકા કે બ્રીટન કે ઈઝરાયેલ, દરેક જગ્યાએ ચુંટણી થયા કરતી હોય છે અને એક કરતાં અનેકોને ઉમેદવાર બનીને ‘સેવા’ કરવી છે…!!! ખરેખર તો મેવા કમાવા છે. ચુંટણી પછી રીઝલ્ટ અને પછી સત્તા માટેની ખેંચતાણ….મોંઘવારી, બેકારી, વસ્તુઓની અછત… અંદરોઅંદરની ચર્ચાઓ, અખબારોમાં પણ આના આજ સમાચારો… હવે આવા વાતાવરણમાં કોઈને અલિપ્ત રહેવું હોય તો પણ મગજ કામ ન કરે અને પછી પોતાનું કરવામાં સમાજસેવા બાજુ પર રહી જાય. બહુ ઓછા વિરલાઓ આ પ્રલોભનથી દુર રહે અને પોતાના સમયનો સદુપયોગ કરતાં રહે છે. આવા સજ્જનોથીજ જગતમાં રહેવા જેવું લાગે છે, ગમે છે.

    Like

પ્રતિભાવ