મારી કલમ, મારા વિચાર – ૧૩ (પરભુભાઈ મિસ્ત્રી)


નામની રામાયણ

નામ એટલે કોઈપણ પ્રાણી કે પદાર્થને ઓળખવા માટેનો શબ્દ; સંજ્ઞા; અભિધાન.

બાહ્ય ઈન્દ્રિય કે મન વડે સમજી શકાય એવા પદાર્થને ઓળખવા માટે જે શબ્દ વપરાય તેને નામ કહેવાય છે. નામ શબ્દ નમ્ નમવું ધાતુ ઉપરથી થયો છે., એટલે કે ક્રિયાપદના અર્થને જે નમે છે તે નામ (સંસ્કૃત પુષ્પાંજલિ)

નામનો બીજા અર્થો પ્રસિદ્ધિ, કીર્તિ, નામના વગેરે પણ છે. એક સુભાષિતમાં કહેવાયું છે કે, ‘નામ રહંતાં ઠાકરાં, નાણાં નવ રહંત; કીર્તિ કેરા કોટડાં પાડ્યા નવ પડંત‘. જેનાથી નાણાંની કોથળી છૂટતી ન હોય તેને લોકકલ્યાણના સાર્વજનિક કામો કરવા તરફ પ્રેરવા માટે આમ કહેવાયું હશે એમ સમજાય છે. સત્તા ચાલી જશે, નાણાં ચાલી જશે, પણ કીર્તિને કોઈ ભૂંસી શકે તેમ નથી. એમ તો ‘નામ તેનો નાશ‘ એવી ઉક્તિ પણ પ્રસિદ્ધ છે. છેવટે તો નામ પણ રહેશે કે કેમ એ શંકાસ્પદ છે, છતાં આપણને સંસારી જીવોને નામનો મોહ તો રહેવાનો જ. જે પુણ્યાત્માઓ સંસાર છોડીને સંન્યાસ લે છે તેઓ પોતાનું સાંસારિક નામ બદલી નાંખે છે અને ભગવાનના ‘આનંદ‘ નામ સાથે જોડાયેલું કોઈ નામ પસંદ રાખે છે. જેમ કે પૂર્ણાનંદ, અમરીશાનંદ, સચ્ચિદાનંદ, વિવેકાનંદ, દયાનંદ વગેરે. એમ તો કેટલાક સમુદાયોમાં કન્યા પરણીને સાસરે જાય પછી સાસરાનાં લોકો તેનું નવું નામ રાખે છે. એવી મહિલાઓને પિયરનું અને સાસરાનું મળી, બે નામ ધારણ કરવાનો લ્હાવો મળે છે. કેટલીક જાતિઓમાં પુરુષો પણ બબ્બે નામના માલિક હોય છે! જ્યારે જે નામ વટાવી શકાતું હોય તે વટાવતા રહે છે. પણ ‘બેનામ‘નો અર્થ નામ વગરનું એવો થાય છે. જેઓ બબ્બે નામના માલિક છે તેમને બીજા નામનો ઉલ્લેખ કરવા માટે ‘ઉર્ફે‘ શબ્દની જરૂર પડે છે. જેમ કે, ભૂરી ઉર્ફે  અસ્મિતા ગોહિલ, મોહસીન ઉર્ફે  અસગર, દિપક ઉર્ફે  ભાવેશ, દેવાંગ ઉર્ફે  દેવલો…

વ્યક્તિને ઓળખવા માટે આપણે ત્યાં બાળકના જન્મના અમુક દિવસો પછી નામકરણનો વિધિ હોય છે. એને માટે જુદા જુદા જનસમુદાયોમાં જુદા જુદા દિવસો નક્કી કરેલા છે. જન્મના છઠ્ઠા દિવસે નામ પાડવાની પ્રથા છે, પણ પ્રાચીન કાળમાં નામકરણ માટે અગિયારમો દિવસ શુભ માનવામાં આવતો. તે દિવસે ન થઈ શકે તો બારમા દિવસે નામકરણ સંસ્કારનો વિધિ થતો. સ્મૃતિ પ્રમાણે ક્ષત્રિયો માટે તેરમો દિવસ, વૈશ્યને માટે સોળમો દિવસ અને શૂદ્રો માટે બાવીશમો દિવસ જણાવવામાં આવ્યો છે, પણ હાલના સમયમાં કોઈ દિવસ નક્કી નથી. નામ ગમે ત્યારે પાડી શકાય. જન્મની નોંધણી કરાવવાની જે તારીખ સરકારે નક્કી કરી હોય ત્યાં સુધીમાં નામ પસંદ કરીને રજિસ્ટ્રેશન કરવવાનું હોય છે. નાના હોય ત્યારે બબલો, બચુડો, નાનકો, લાલો, કિકલો, મુન્નો કે કીકી, ચકુ, સકુ, મુન્ની એવા હુલામણાં નામોથી બાળકો ઓળખાય છે. નિશાળે નામ દાખલ કરાય ત્યારે ઓફિશિયલ નામ લખાવવામાં આવે છે. કેટલીકવાર નાનપણના ઓળખ નામો પરમેનન્ટ બની જાય છે. મુન્નાભાઈ, બચુભાઈ, કિશોરભાઈ, લાલાભાઈ, બાબુભાઈ પચાસ વરસની ઉંમરે પણ મુન્નાથી કે બચુકાકાથી ઓળખાય છે. કવિ ડો. જયંત પાઠકનું બીજું નામ બચુભાઈ હતું અને એમના કાવ્યોમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. એમ તો સ્ત્રી-પુરુષોના અમુક લક્ષણોને અનુરૂપ અનઓફિશિયલી ઓળખ નામો પણ પાડવામાં આવે છે જે નામથી એમનો ઉલ્લેખ થાય તો તેઓ ખુદ ગુસ્સે ભરાય છે પણ તેમના વિરોધીઓ મલકાય છે! વ્યક્તિની ગેરહાજરીમાં એ નામો છૂટથી વપરાતા હોય છે. સ્કૂલ કોલેજોમાં આવાં નામો વધારે પ્રચલિત હોય છે. સર્કલમાં વાત કરતી વખતે ઓફિશિયલ નામનો ઉલ્લેખ કરવાને બદલે સાંકેતિક નામોનો ઉપયોગ થતો હોય છે. એ નામની સાથે માણસનો દેખાવ, સ્વભાવ, ટેવ કુટેવ, વ્યવસાય, લક્ષણ કે કોઈ પ્રસંગ પણ વણાયેલો હોય છે. વિશેષણ સાથે બોલાતા નામો પૈકી કાનજી મુંઢિયો, મોહન ચાંપ, અરવિંદ તોપ, બાબુ બટાકો, ઈસ્માઈલ મરઘી, લલ્લુ બહેરો, જગન ચડ્ડી, બકુલેશ ગેંગુ, વિશાખા ટાઈમ બોમ્બ, મમતા ગિન્ધેલ, જીતેન્દ્ર ફેંકુ, ઓલ ઈન્ડિયા રેડિયો, દોઢનો ફાસ્ટ, વીરલ રામ, કવિ કટલરી, બાલુ જ્ઞાની, પદમેશ પંડિત ઈત્યાદિ. નામ પાડનારની અવલોકનશક્તિ અને કલ્પનાશક્તિ મુજબ પાડવામાં આવતાં આવા નામો સચોટ અને અર્થસભર હોય છે.

સત્તાવાર જે નામો પાડવામાં આવે છે તે નામ સરકારી દફતર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, રેશનકાર્ડ, દસ્તાવેજ, પાસપોર્ટ, આધારકાર્ડ માટે માન્ય ગણાય છે અને તે જ પ્રમાણભૂત ગણાય છે. સામાન્ય રીતે જેનું નામ રાખવાનું છે તેની પસંદ નાપસંદનો ખ્યાલ રાખવામાં અવતો નથી. નામો પસંદ કરતી વખતે વડીલોને જે ઠીક લાગે  તે નામ રાખવામાં આવતું હોય છે. કેટલીકવાર બાળકો મોટાં થયાં પછી એફિડેવિટ કરીને જૂનું નામ બદલીને પોતાની પસંદગીનું નવું નામ રાખતા હોય છે. જાણીતા રેશનાલિસ્ટ રમણ પાઠકનું વડીલોએ પાડેલું નામ તો શાંતિલાલ હતું, પણ એમને શાંત રહેવાનું પસંદ ન હોવાથી એમણે પોતે રમણ નામ ધારણ કરેલું, એમ તેમણે લખ્યું છે. મારા પૌત્રનું નામ અમે ‘અંશ‘ રાખ્યું હતું, પણ એ બોલતો થયો કે તરત હુકમ કર્યો કે મને ‘કુકુ‘ કહીને જ બોલાવવો!

નામ પસંદ કરવા પાછળ અલગ અલગ દૃષ્ટિકોણ કામ કરતા હોય છે. ગુજરાતી ભાષાના મહાન હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેએ લખ્યું છે કે નામ નવું હોવું જોઈએ, ટૂંકું હોવું જોઈએ, બોલવામાં સરળ અને અર્થસભર હોવું જોઈએ. નામ પસંદ કરવાનું કામ છોકરી પસંદ કરવા જેવું બહુ અટપટું હોય છે. જે નામ જીવનસાથીની જેમ આખી જિંદગી આપણી સાથે રહેવાનું છે અને મર્યા પછી પણ આપણા રેકોર્ડ પર રહેવાનું છે તેની પસંદગી કરવી એ લાંબો વિચાર માંગી લેનારી અતિ ગંભીર બાબત છે. બે- ત્રણ અક્ષરના નામોની યાદીમાં મોટેભાગે નવીનતા નથી હોતી. રૂઢ થઈ ગયેલાંને બદલે તાજા અને તાજગી ભરેલા નામો હોવા જોઈએ. નવીનતા પર ધ્યાન આપવા જઈએ તો નામ લાંબા થઈ જાય છે. ટૂંકા નામ વાસી થઈ ગયેલા હોવાથી તે રાખવામાં મન માનતું નથી. વળી લાંબા નામ રાખીએ તો પણ બોલનારા શોર્ટકટ શોધતા હોવાથી એનું સંક્ષિપ્તિકરણ કરતી વખતે એને બગાડી નાંખે છે. એમ થવાથી નામના સૌંદર્યને અને તેના અર્થને ભારે હાનિ પહોંચે છે.

જુની પેઢીના લોકોના નામો પર એક નજર કરીએ તો એવું સમજાય છે કે એક ટ્રેન્ડ દેવ- દેવીના નામો પરથી બાળકોના નામ રાખવાનો હતો. મહાદેવ, શંકર, કાનજી, કરસન, જીવણ, વિઠ્ઠલ, પરસોત્તમ, જગજીવન, નરોત્તમ, ત્રિકમ, રામજી, લખમણ, જયરામ, ભગવાનદાસ, ગોવિંદ, ઠાકોર, નાગર, મધુસૂદન, ગણેશ, રમેશ, ઉમેશ, સુરેશ વગેરે અગણિત નામો દેવોના નામ પરથી પાડેલા જોવા મળે છે. તેવી જ રીતે કન્યાઓના નામ પણ લક્ષ્મી, સરસ્વતી, પાર્વતિ, અનસૂયા, દેવી, અંબા, દુર્ગા, માયા વગેરે હતા તે આપણી જાણમાં છે. પ્રકૃતિપૂજક હોવાને કારણે આપણી કેટલીક બહેનોના નામ સાથે નદી અને પક્ષીઓના નામ પણ જોડાતા આવ્યા છે જેમ કે, ગંગા, જમના, સરસ્વતી, તાપી, અંબિકા, ગોદાવરી, નર્મદા, સરયૂ તથા હંસા, કોકિલા, મેના, સારિકા, ચકોર વગેરે.

કેટલાંક નામો એવા હોય છે કે જેમાંથી કોઈ ખાસ અર્થ નીકળતો નથી, પણ તે કર્ણરંજક લાગતાં હોય છે. દેખાદેખીથી એવા નામો પાડવાનું વલણ આજકાલ વધતું જાય છે. નામના અર્થમાં ઊંડા ઉતરવાની પળોજળ વળી કોણ કરે! કોઈ સફળ મુવીના હીરો કે હીરોઈનના નામો બહુ જલદી પ્રચલિત થઈ જતાં હોય છે. નામ ગમ્યું એટલે રાખ્યું, પછી એમાંથી શો અર્થ નીકળે કે નહિ નીકળે તેની સાથે આપણને શી નિસ્બત! કોઈ ચોખલિયો માણસ પૂછી બેસે કે તારા નામનો અર્થ શો થાય તો તે વ્યક્તિ મુંઝવણમાં મૂકાઈ જતી હોય છે. એમ.એ.ના વર્ગમાં ભણતી એક યુવતિનું નામ ‘શ્લેષ્મા‘ સાંભળીને તેના ભાષાશિક્ષક ચમકી ગયા. તેમણે યુવતિને તેના નામનો અર્થ પૂછ્યો. યુવતિને ખબર નહોતી. સાહેબે તેનો અર્થ જાણી લાવવાનું સૂચન કર્યું. યુવતિએ નામ પાડનાર ફોઈ તથા મમ્મી પપ્પાને પૂછી જોયું, પણ નામનો અર્થ જાણવા ન મળ્યો. યુવતિ અકળાવા લાગી, હવે કોઈપણ હિસાબે તેને નામનો અર્થ જાણવાની તાલાવેલી લાગી. છેવટે સાહેબે કહ્યું કે શ્લેષ્મનો અર્થ જાણી લાવો. શ્લેષ્મા નામ શ્લેષ્મ શબ્દ પરથી આવેલું છે. તપાસ કરતાં માલમ પડ્યું કે એનો અર્થ તો કફ, બળખો, લીંટ એવો થાય છે! શ્લેષ્માબેન ગર્વભેર પોતાનું નામ જણાવતાં હતાં તેના ઉત્સાહ પર બ્રેક લાગી ગઈ!

મારાં બાળકોને લઈને એકવાર ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાહેબને મળવા જવાનું થયું. એમણે મારી દીકરીનું નામ પૂછ્યું અને તેનું નામ હિના છે એમ જણાવ્યું. મારા ઉચ્ચાર પર તેમને શંકા ગઈ એટલે પૂછ્યું, ‘તમે હ ને હ્રસ્વ ઇ લખો કે દીર્ઘ ઈ?‘ મેં જણાવ્યું કે હ્રસ્વ ઇ. તેમને સંતોષ ન થયો! તમે લખતા હશો હ્રસ્વ ઇ પણ બોલો છો દીર્ઘ ઈ. હિના નામમાં દીર્ઘ ‘હીના‘ ન લખવાની મને સૂચના આપી. મારા ઉચ્ચારદોષ બદલ ક્ષોભ તો થયો, પણ મેં પૂછી નાંખ્યું કે ‘સાહેબ, હ્રસ્વ દીર્ઘથી શો ફરક પડે?‘ એમણે કહ્યું કે હીન પરથી નારીજાતિ હીના શબ્દ બન્યો છે. અને તે ઉણપ દર્શાવે છે. જેમ કે, ભાગ્યહીન, પ્રારબ્ધહીન, બુદ્ધિહીન. આ વાત મારી દીકરીના કુમળા માનસ પર એવી અંકાઈ ગઈ કે કોઈ એના નામની જોડણી હીના લખે તો એ અપસેટ થઈ જાય છે! સવિનય વાંધો લે છે.

નામ સંબંધે ત્રિવેદી સાહેબને યાદ કરું ત્યારે એક બીજી ઘટના પણ યાદ આવે છે. જેનો ઉલ્લેખ કુંજવિહારી મહેતા સાહેબે કર્યો હતો. એમના જમાનામાં બંગાળી નામો પાડવાની ફેશન હતી અને બંગાળી નામોનો ઉચ્ચાર પહોળો થતો હોય છે તે આપણને ખબર છે. એક વિદ્યાર્થીને તેમણે નામ પૂછ્યું. વિદ્યાર્થીએ તેનું નામ રોમેશ જણાવ્યું. સાહેબે ખાત્રી કરવા ફરીથી પૂછ્યું, ‘રોમેશ કે રમેશ?‘ પેલાએ રોમેશ જણાવ્યું. સાહેબે સ્પષ્ટતા કરી કે રમા અને રોમના અર્થમાં ફરક છે. ‘રોમ‘નો અર્થ વાળની રૂંવાટી એવો થાય છે જ્યારે રમેશ એટલે રમાનો પતિ વિષ્ણુ થાય છે; તમને શરીરે વાળવાળા રિંછ થવાનું પસંદ છે કે રમાપતિ વિષ્ણુ? છોકરો નીચું જોઈ ગયો. ફેશનેબલ ગણાવા જતાં કોઈકવાર અજાણપણે હાસ્યાસ્પદ બની જવાતું હોય છે!

નામની આ બધી રામાયણ એક પીયૂષભાઈએ પોતાનું નામ પિયુષ લખ્યું તેના પરથી ઊભી થઈ. પીયૂષનો અર્થ થાય અમૃત. આ નામ પણ ભગવાનનું છે. આવા અર્થસભર નામની જોડણી ખોટી લખીને તેને અર્થહીન કરી નાખવાનો શો મતલબ? આપણી બહેનો શીલા (ચારિત્રયવાન), વીણા (એક વાજિંત્ર), ગીતા, મીના વગેરેમાં દીર્ઘ ઈ આવતો હોવા છતાં અંગ્રેજીમાં લખતી વખતે શિલા લખીએ તો પથ્થર થઈ જાય અને વિના લખીએ તો અભાવસૂચક થઈ જાય. તમને શું લાગે છે, નામની જોડણી ખોટી લખીને એનું ગૌરવ ઘટાડવાનું યોગ્ય છે કે?

2 thoughts on “મારી કલમ, મારા વિચાર – ૧૩ (પરભુભાઈ મિસ્ત્રી)

  1. લેખ વાંચવાની મજા આવી. કોઈને સોનલ નામ પસંદ પણ દીકરીની રાશી પ આવી તો પોનલ રાખી દીધું.
    નદીના નામ પરથી સરયૂની જોડણી તમારા લેખમાં જોઈ મને સંતોષ થયો…. સરયૂ પરીખ.

    Liked by 1 person

  2. મા .પરભુભાઈ મિસ્ત્રીનો નામની રામાયણ સ રસ મઝાનો લેખ
    કોઈ પણ વ્યક્તિના જીવનમાં તેનું નામ સૌથી મહત્ત્વનું હોય છે. એમ પણ કહી શકાય કે નામ એ વ્યક્તિ માટે ઓળખ છે. પહેલાંના સમયમાં રાખવામાં આવતાં નામ કરતાં છેલ્લા દાયકાથી યુનિક નામની જાણે પ્રણાલી શરૃ થઈ
    આમ તો બહુ જાણીતી વાત યાદ
    શેક્સપીયરના નાટકમા જુલીયટનો સંવાદ
    What’s in a name? That which we call a rose
    By any other name would smell as sweet;
    So Romeo would, were he not Romeo call’d,
    Retain that dear perfection which he owes
    Without that title. Romeo, doff thy name,
    And for that name which is no part of thee
    Take all myself.
    આવી વાત સાંભળતા એકે તેનો અનુવાદ કરવાનું કહેતા
    રમુજમા કહ્ય્ં,’નામ શું છે ?
    ગુલાબને તમે ગુલાબ કહો
    કે જુલાબ
    સુગંધ તો સરખી જ રહે !’
    વર્તમાનની વાત કરીએ તો સારો અર્થ હોય તો નામ ટૂંકું છે કે લાંબું તે જોવામાં નથી આવતું. જેમ કે સાંનિધ્ય, સ્વમાન, જન્મેજય, કાર્તિકેય, હેલી, આકાંક્ષા, હિરણ્ય, લાસ્ય, નિત્યા જેવા નામોનું લિસ્ટ ઘણુ જ લાંબું છે
    એક નામમાં બે નામો સમાયેલા હોવાથી તેમને દ્વિનામી નામ કહે છે. તેને વૈજ્ઞાનિક નામ કે લેટીન નામ પણ કહેવામાં આવે છે. આવા નામનો પ્રથમ ભાગ સજીવ કઈ પ્રજાતિનું છે તેની ઓળખ આપે છે, અને બીજો ભાગ એ સજીવની પ્રજાતિ સાથેની જાતિની ઓળખ આપે છે. ઉદા. તરીકે, મનુષ્ય ‘હોમો’ (Homo) પ્રજાતિનું પ્રાણી છે અને આ પ્રજાતિ સાથેની તેની જાતિ ‘હોમો સેપિયન્સ’ છે. આ પદ્ધતિના આવિષ્કારનું શ્રેય સ્વિડિશ પ્રકૃત્તિવિજ્ઞાની કાર્લ લિનિયસને જાય છે.
    નામ સ્મરણ એકદમ સરળ છે . ભગવાનન નામ સ્મરણ મનમા , બોલીને, જીભથી , ધીમેથી અથવા મોટેથી બોલી, લખી, વાચીને પણ કરી શકાય છે.કોઈ પણ પ્રકારના ખચ વગર !..

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s