પરિચયઃ ભાવિન ગોપાણી એ નવયુવાન તરવરિયા શાયર છે, ગઝલોને ઘોળીને પી ગયા છે. વ્યવસાયે બીઝનેસમેન પણ શબ્દોના વનોમાં અલગારી રખડપટ્ટીના માણસ. ૨૦૧૬માં એમનાં બે ગઝલસંગ્રહો, ‘ઉંબરો’ અને ‘ઓરડો’ પ્રગટ થયા છે. એમને ૨૦૧૬માં શયદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને ૨૦૧૮માં એમને રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ મળ્યો હતો. એમનો જન્મ સુરેન્દ્રનગર પણ કર્મભૂમિ અમદાવાદ. ભાવિન ગોપાણી જેવા નવયુવાન સાહિત્ય સર્જકો, ગુજરાતી ભાષાને જીવંત જ નહીં, પણ વિશ્વભરમાં ધબકતી રાખશે એની ખાતરી છે. એમની ગઝલોના આસ્વાદ “દાવડાનું આંગણું”માં મૂકતાં અને “આંગણું’ની ટીમ તરફથી એમનું સ્વાગત કરતાં, હું અત્યંત આનંદ અનુભવું છું. આશા રાખું છું કે આપ સહુ વાચકોને પણ એમની ગઝલો સ્પર્શી જશે.
અજવાસ તારતાર ખબર પણ પડી નહી
થઈ રાત આરપાર ખબર પણ પડી નહી
રાત્રે સહાયભૂત થયો એ ચિરાગથી
સળગી ગઈ સવાર ખબર પણ પડી નહી
પહેલેથી જાણ હોત તો ઉત્સવ બની જતો
છેલ્લો હતો પ્રહાર ખબર પણ પડી નહી
મંદિરને જોઈ કેટલો બેધ્યાન થઈ ગયો?
ઈશ્વર થયા પસાર ખબર પણ પડી નહી
આપ્યું જો દર્દ જાણ થઈ રોમરોમને
આપી જો સારવાર ખબર પણ પડી નહી
એ ટોચ પરથી ખીણમાં ક્યારેય ના પડ્યો
મિત્રો હતા હજાર ખબર પણ પડી નહીં
બહુ કાળજીથી ડાઘ હું સંતાડતો રહ્યો
કરતો રહ્યો પ્રચાર ખબર પણ પડી નહી
થઈને પરાવલંબી રખડવું ગમી ગયું
શું હોય રોજગાર ખબર પણ પડી નહી
– ભાવિન ગોપાણી
“ખબર પણ પડી નહીં” – ભાવિન ગોપાણી – આસ્વાદ જયશ્રી વિનુ મરચંટ
અજવાળું રહ્યું ન રહ્યું, એનાથી પણ બેખબર થઈ જવાય અને રાત આખી ની આખી પાર કરી ગયા એનાથી પણ અજાણ રહેવું એ પ્રણયમાં વિતાવેલી પળો અને પ્રણયના અનુભવોના રોમાન્સનો સંધિકાળ છે. દરેક સંધિકાળની જેમ આ સંધિકાળ પણ આથમી જાય છે. પ્રિયતમના આવવાની રાહનો આશાદીપ જે રાતના બળતા દીવાને લીધે જલતો રહ્યો અને એમાં ને એમાં સવાર પડી ગઈ, પણ, પ્રિયજન તો આવ્યા નહીં. રાત આખી જે દીવાની સાક્ષીએ ગુજારી એ દીવો, સદ્ય ઉદીપ્ત કોમળ કોમળ સવારને વિરહની આગમાં સળગાવીને બુઝાઈ ગયો. હવે દિવસ કેમ જશે એનો કોઈ અંદાજ કવિ આપતા નથી, પણ એક આરત આપણી અંદર જગાવી જાય છે.
કવિશ્રી ‘કાન્ત’ ના ખંડકાવ્ય, “ચક્રવાક મિથુન” ની આ પંક્તિ ઓચિંતી યાદ આવે છે,
“પ્રણયની પણ તૃપ્તિ થતી નથી
પ્રણ્યયનો અભિલાષ જતો નથી
સમયનુંય લવ ભાન રહે નહીં,
અવધિ અંકુશ સ્નેહ સહે નહીં!”
કવિનો આગલો શેર એક શાયર જ કરી શકે એવો સિંહનો હુંકાર છે. પ્રણયીને માટે વાક્બાણ, ઉપેક્ષા અને તિરસ્કારના જુલમો સહેવા એ કંઈ નવી વાત નથી. “કોઈ પથ્થર સે ન મારે મેરે દિવાને કો” એવું કહેવાવાળી લયલા જ જો જુલમ કરે તો? જમાનાએ આપેલા દુઃખ-દર્દ તો સહી લેવાય છે પણ જેને છાતીફાટ પ્રેમ કરતા હો એના તરફથી જ આઘાત કરવામાં આવે તો સાચા પ્રેમીની ખુમારી તો જુઓ..! જરા પણ વિચલિત થયા વિના કવિ કહે છે કે,
“પહેલેથી જાણ હોત તો ઉત્સવ બની જતો
છેલ્લો હતો પ્રહાર, ખબર પણ પડી નહીં”
જિંદગી આખી જુલમ અને આઘાતો સહન કરવામાં વિતી ગઈ પણ જો એ છેલ્લો જ ઘા થવાનો હોત એની ખબર આગળથી હોત તો એક ઉત્સવની જેમ એને ઉજવી લેત, જો આ છેલ્લો પ્રહાર હોય તો બે વાત બની શકે, કાં તો એ આ છેલ્લા ઘા પછી કદીયે ઘા ન આપે અથવા પ્રહાર કરીને કાયમ માટે જતાં પણ રહે! આ બેઉ સીનમાં એક ઉત્સવ, ઉજવણી તો બને જ છે ને?
આપણે પ્રભુ મળે એના માટે મંદિરોમાં જતાં હોઈએ છીએ, પણ પ્રભુ શું મંદિરોમાં મૂકેલી પથ્થરની મૂર્તિઓમાં છે? માણસમાં રહેલા ઈશ્વરીય તત્વને ઓળખવાની નજર આપણે ખોઈ બેઠાં છીએ. બાહ્ય આડંબર અને દંભનું ધુમ્મસ આપણી આંખોમાં પડળ બનીને રહે છે, જેથી માણસમાં રહેલો ઈશ્વર જોવાનું શક્ય નથી.
“રાહોં પે નજર રખના, હોંઠોં પે દુવા રખના,
આ જાયે કોઈ શાયદ, દરવાજા ખુલા રખના” બસ, આટલું યાદ રાખીને, અંતરમનના દ્વાર સહુને માટે ખુલ્લા રાખીએ. આવનાર જો ઈશ્વર હોય તો?
જીવન પણ સાચે જ કેવું Unpredictable – જેની પૂર્વ આગાહી ન કરી શકાય એવું હોય છે. જ્યારે પ્રિયપાત્ર દર્દ આપે, તે સાચે જ આપણા રોમરોમમાં પ્રસરી જાય છે અને દર્દની એ ટીસ ક્યારેક જાનલેવા પણ બને છે. પણ, જ્યારે એમને જ આપણે ચૂપચાપ કોઈ પણ શોર વિના એમના ચારાસાજ બનીને સારવાર આપીને નીકળી જઈએ છે એની તેઓ કદી નોંધ પણ લે છે ખરા? કદાચ નહીં પણ, પ્રેમીઓને એની ક્યાં પડી હોય છે? એને તો બસ, એટલું જ જોઈએ કે હું ગમે તેટલું દર્દ સહન કરી લઉં, પણ મારા પ્રિયજનને ઈલાજ દરમિયાન પણ કોઇ તકલીફ ન થવી જોઈએ અને આ ભાવના જ છે પ્રેમનું ઉત્તુંગ શીખર.
સાત્વિક રીતે, એવું કહેવાય છે કે પડતાને થામે એ મિત્ર અને પડવા પહેલાં એના હાથમાં ઉપાડી લે તે ઈશ્વર. ટોચ પરથી નીચે ખીણમાં પડ્યા જ ન હો તો મિત્રોના વજૂદનું પ્રમાણ મળવું મુશ્કેલ છે. પણ સિક્કાની બીજી બાજુ, બીજો વિચાર એ પણ છે કે, ટોચ પરથી નીચે પડો અને તમને ઊઠાવવા માટે એકેય હાથ ન આવે તો? બેઉ સ્થિતિમાં હજારો મિત્રોમાંથી સાચા મિત્રો કોણ હતા, એની પરખ કરવી સરળ પડત, પણ અફસોસ, શિખર પર પહોંચવાની અને ત્યાં જ રહેવાની આ કિંમત તો ચૂકવવી જ પડે છે, કારણ સાચા મિત્રો કોણ હતા એની ખબર ક્યારેય પડતી નથી.
નીચેના શેરમાં એક માણસ સ્વભાવની મજેદાર વાત કહી છે. આપણી બહુ ઉજળી ન હોય એવી બાજુ આપણે જાહેરમાં ઉઘાડી ન પાડીએ એને માટે સદા સતર્ક રહીએ છીએ, પણ, એ સતર્કતા જ એ વાતનો સતત ઉઘાડ કરતી હોય છે એની ખબર પણ નથી પડતી.
“બહુ કાળજીથી ડાઘ હું સંતાડતો રહ્યો
કરતો રહ્યો પ્રચાર ખબર પણ પડી નહીં’
બે પંક્તિ યાદ આવે છે,
“રસભરી નિંદાના જામ કેવી ભર મહેફિલે પીતી રહી હું,
હોંશ આવ્યાં તો જાણ્યું, એ મારા જ ઘરની વાત હતી!”
ગઝલના શિરમોર સમો, છેલ્લો શેર તો શાયરની અલગારી રખડપટ્ટી અને ફકીરીહાલની ચાહમાં જીવન જીવવાના જોમની વાત કરે છે. આ શેર તો આંખ મીંચીને વાંચ્યા પછી મમળવતાં અંતરથી માણવાનો છે, જેની રંગત તો “માંહી પડ્યાં તે મહાસુખ પામે,” જેમ જ જીવી જવાની છે, પોતપોતાની રીતે!
“થઈને પરાવલંબી રખડવું ગમી ગયું
શું હોય રોજગાર ખબર પણ પડી નહી” આ ઈશ્વર પરના આલંબનનું જગત એ જ છે મીરાંની મિરાત, કબીરની વાણીનું સત્ય, અને નરસિંહનું વૈંકુઠ! આ છેલ્લા શેર સાથે ઊંચાઈ પર એકદમ જ કવિ આપણને લઈ જાય છે અને પછી એક ચૂપકી સાધીને મૌન થઈ જાય છે. કવિશ્રી ભાવિનભાઈની આ ગઝલ આપણી અંદર એક પ્રેમ અને અલખ એક સાથે જગાવી જાય છે.
ખૂબ સરસ ગઝલ, “મંદિરને જોઈ કેટલો બેધ્યાન થઈ ગયો?
ઈશ્વર થયા પસાર ખબર પણ પડી નહી”
અને જયશ્રીબેને રસ ઉમેરીને આપ્યો છે રસાસ્વાદ.
સરયૂ પરીખ
LikeLiked by 1 person
“રસભરી નિંદાના જામ કેવી ભર મહેફિલે પીતી રહી હું,
હોંશ આવ્યાં તો જાણ્યું, એ મારા જ ઘરની વાત હતી!”
અફલાતુન શેર
“ખબર પણ પડી નહીં” – ભાવિન ગોપાણીની મજાની ગઝલનો
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા સ રસ આસ્વાદ
LikeLiked by 1 person