All posts by hitenanandpara

ઍક્ઝિટ લેતાં પહેલાં ~ કવિ: કરસનદાસ માણેક ~ આસ્વાદ: હિતેન આનંદપરા

એવું જ માગું મોત,
        હરિ, હું તો એવું જ માગું મોત!
આ થયું હોત ને તે થયું હોત ને
        જો પેલું થયું હોત…

અન્ત સમે એવા ઓરતડાની
        હોય ન ગોતાગોત! હરિ, હું0
કાયાની કણીકણીથી પ્રગટે
        એક જ શાન્ત સરોદ:
જોજે રખે પડે પાતળું કદીયે
        આતમ કેરું પોત! હરિ, હું0

અંતિમ શ્વાસ લગી આતમની
        અવિરત ચલવું ગોતઃ
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે
        ઊડે પ્રાણકપોત!

ઘન ઘન વીંધતાં, ગિરિગણ ચઢતાં,
        ખરતાં સરિતાસ્રોત.
સન્મુખ સાથી જનમજનમનો
        અંતર ઝળહળ જ્યોત!
હરિ, હું તો એવું જ માગું મોત!

કરસનદાસ માણેક

મોત માગવા જેવી વસ્તુ નથી. દુનિયામાં આવવા માટે અંજળ જોઈએ ને અલવિદા કહેવા માટે જિગર જોઈએ. રાતે સૂતી વખતે એક ક્ષણ માટે વિચારો કે સવારે નહીં ઊઠું તો? ઊંઘ બળવો પોકારશે. હૈયું ધબકારો ચૂકી જશે. મોત આવવું સહજ છે, સ્વીકારવું સહજ નથી.  

    અસંતોષ સાથે મોતને આવકારો ન અપાય. ઘણી મહત્વાકાંક્ષાઓથી આપણું મન ફાટફાટ થતું હોય છે. આ બનું, તે બનું, આમ કરું, તેમ કરું… એવા અનેક પ્લાનમાં બાન થયેલી જિંદગી ફોકસ ન થઈ શકે ત્યારે અસંતોષ જન્મે. જે કામ ભાગે આવ્યું હોય એ નિભાવવાની જીવની ફરજ છે. દરેક માણસમાં બધું જ ન મળે.

    ચાની જાહેરખબરમાં એક કેચ લાઈન આવે છેઃ ઊઠો નહીં જાગો. આ જાગવું જેટલું સમયસર થાય એટલી ઊંઘ સાર્થક થાય. નિરાંતે આથમતા શ્વાસ પાસે ગરિમા હોય છે. અધૂરા ઓરતા સાથે મૂકાતા શ્વાસ ભગવાન જાણે કઈ ગતિ પામતા હશ! એન્ટ્રી થઈ છે તો ઍક્ઝિટ લેવાની જ છે. કોઈનો અને પોતાનો આત્મા પણ દુભાય નહીં. કવિ કહે છે એમ દેહની સરોદમાંથી શાંત સૂર ઝંકૃત થવા જોઈએ, ઉહાપોહ નહીં.

     પ્રત્યેક જિંદગી એક પ્રયોજન છે. પ્રત્યેક શ્વાસ રિફિલીંગ છે. પ્રત્યેક સમજણ શોધ છે. પ્રત્યેક સમર્પણ ભક્તિ છે. આપણે શું કરવા આવ્યા છીએ કે આપણે શું કરવા લાયક છીએ એની ગતાગમ પડતાં પડતાં લગભગ અડધી જિંદગી વીતી જાય છે. બાકીની અડધી આ ગતાગમને ઉજાળવાની હોય છે. જીવની યાત્રા સ્વથી સર્વસ્વ તરફ અને સર્વસ્વથી સ્વ તરફની છે. જ્યાંથી શરૂ કર્ય઼ું ત્યાં જ પાછું પહોંચવાનું છે. વચ્ચેનો પ્રવાસ આપણને સમૃદ્ધ કરે છે, દૃષ્ટિને ખોલી આપે છે.

     આ પ્રવાસ દરમ્યાન આપણે ઓતપ્રોત થવાનું હોય છે. સાંપ્રત દૃષ્ટિએ વિચાર કરીએ તો માત્ર મૂર્તિ સામે બેસી રહેવું એ જ ભક્તિ નથી. તમે જે કામ કરો છો તેમાં નિષ્ઠા હોય, તમારી સમજણનો લાભ સમાજને મળતો હોય, તમારા થકી કોઈની જિંદગીને સધિયારો મળતો હોય, તમારા કારણે કોઈ આગળ આવતું હોય તો એવા બધા સદ્કાર્યો પૂજા જ છે. માળા ફેરવવાથી મણકા જરૂર ફરે, માણસાઈ તો લોહીમાં જ ફરવી જોઈએ. સ્માર્ટફોનની ભાષામાં વાત કરીએ તો તમારી એક એપ્લિકેશનથી ખરેખર કોઈનું ફંક્શન સ્મૂધ થતું હોય તો એ તમારું યોગદાન કહેવાય.

     જિંદગીના અંતિમ વરસોમાં અરીસો લાજશરમ નેવે મૂકીને એક સોંસરવો સવાલ પૂછવાનો. ભઈલા! તે શું કર્ય઼ું આખી જિંદગી? માત્ર ટક્યો? સર્વાઈવલની સોગઠાબાજી એટલી સંકુલ છે કે બીજું બધું આડે હાથે મૂકાઈ જાય. જેને ઓડકાર આવતો હોય એણે બીજાની ભૂખ વિશે વિચારવું જોઈએ. જેની પાસે સમૃદ્ધિ હોય એણે ઍટલિસ્ટ આસપાસના લોકો વિશે વિચારવું જોઈએ. 

     હે ઈશ્વર! મારી વાસના પર ઉપાસના હાવી થાય, મારી ઝંખના પર તૃપ્તિ હાવી થાય, મારી લાલસા પર કરુણા હાવી થાય એવી કૃપા વરસાવજે. મોત આપોઆપ સુધરી જશે. મંદિરમાં એક પૈસાની લાંચ આપ્યા વગર.

***

ઇચ્છા ~ રમેશ પારેખ : (આસ્વાદ) હિતેન આનંદપરા

એક કવિની ઇચ્છા શું હોય?

ઇચ્છા

બૉમ્બ ન પડે કોઈના વિચારો પર
ઘરડી ન બની જાય આંખ
દોસ્તો ચાલ્યા જતા ન હોય
ભવિષ્ય તરફ અજાણ્યા બનવા
ખાવા ધાતાં ન હોય રસ્તાઓ, મકાનો, ચહેરાઓ
ફૂટી ન જાય બાળકના ફુગ્ગાનું સુખ
ન અવતરે કોઈ સ્ત્રીને મૃત બાળક
વાંઝણી સ્ત્રીનો ખોળો ભરાઈ જાય બાળકોથી
દરેક બાળક પાસે હોય પિતાનું નામ
નગરમાં ઉજવાય કવિતાવાચનના ઉત્સવો
પતંગિયાંના સત્કાર-સમારંભમાં અર્ધુંઅર્ધું થતું હોય શહેર
ખોફનાક હથિયારો ફેરવાઈ જાય ફૂલહારમાં.

~ રમેશ પારેખ

17 મે એટલે કવિ રમેશ પારેખની ઍક્ઝિટનો વસમો દિવસ. 2006માં આ કવિએ વિદાય લીધી ત્યારથી એમના ચાહકોને કળ વળી નથી. કાયમી લીલુંછમ આ છ અક્ષરનું નામ હજીયે લયના કસુંબલ કેફ સાથે ઘોળાયા કરે છે. આ કવિના સંગ્રહનું કોઈ પણ પાનું ઉઘાડીએ, આગિયાની જેમ ઝગમગ થતી કોઈ વિરલ સંવેદના તમારી આંખોને અચૂક ઝળહળ કરશે.

પ્રસ્તુત રચના ‘ઈચ્છા’ કાવ્યનો તારવેલો એક અંશ છે જેમાં કવિએ કેટલીક ઇચ્છાઓ પ્રગટ કરી છે. સામાન્ય માણસની ઇચ્છા સ્વ અથવા સંબંધીઓ પૂરતી સીમિત રહી જાય. કવિની ઇચ્છાને કોઈ આરો નથી હોતો. એ તો આખી સૃષ્ટિને પોતાની બાથમાં સમાવી લે. એને આસપાસના વાતાવરણથી લઈને સચરાચર સુધી પહોંચવું હોય છે. એના હાથમાં માણસાઈની મશાલ હોય છે જેનું અજવાળું એ બધામાં વ્હેંચવા માગે છે. એને એક એવી દુનિયા જોવી છે જે અસ્તિત્વમાં નથી, છતાં અશક્ય પણ નથી.

જેમ લોકો સાધનસંપન્ન હોય એમ વિચારોનો વૈભવ જેમની પાસે હોય એ લોકો વિચારસંપન્ન છે. એક નાનકડો વિચાર સાકાર થાય ત્યારે મોટી હરણફાળ સાબિત થઈ શકે. મોટાભાગની વિરલ વૈજ્ઞાનિક શોધ અચાનક ઝબકેલા વિચારને આધીન હોય છે. સર્જકના વિચારોમાં જો ખલેલ પહોંચે તો એનું સર્જનાત્મક ચિત્ર-ચરિત્ર અધૂરું રહી જાય. બાળકના વિચારોમાં જો ખલેલ પડે તો એની બાળસહજ વિસ્મયી સૃષ્ટિ નંદવાઈ જાય. ધ્યાનસ્થ યોગીની તલ્લીનતામાં જો ખલેલ આવે તો સદીઓનું અનુસંધાન ક્ષણમાં સમેટાઈ જાય. આસ્વાદને અહીં જ સ્ટેચ્યુ કહી ઈચ્છા કાવ્યની કેટલીક અન્ય પંક્તિઓને વહેવા દઈએ.

કવિ ઇચ્છા વ્યક્ત કરતાં કહે છેઃ હૉસ્પિટલોમાં રઝળતું કાળું મોત રૂપાંતર પામે શિશુઓના પ્રથમ રુદનમાં. રૂપવતીના ગાલે ખીલ ન થાય. કતલ ન થાય સૈનિકોની સામસામી. સામસામા ન ફરકે રૂમાલો છેલ્લી વારના. ન વાગે ઠેસ રસ્તાની સપનાંને. બાળક સાથે ન જોડાય દૂધનો અભાવ. માળામાંથી ઈંડું નીચે ન પછડાય. મનગમતી ફિલમની ટિકિટ મળી જાય સૌને. અફસોસ ન હોય કોઈને લૉટરી નહીં લાગ્યાનો. છાપરે છાપરે લુંટાવાય પતંગો. શીંગદાળિયા ફાંકતાં ફાંકતાં નીકળાય ઊભી બજારે. ચાબુકની બીક ન હોય ઘોડાને. જાહેર હોજમાં વિવસ્ત્ર નાહવાય. છોકરીના ઘર સામે સિટ્ટી વગાડાય ખુલ્લેઆમ. કોઈ હાથ ખિસ્સાકાતરુ ન બને. પતાસાંનો વરસાદ વરસે શેરીએ શેરીએ. ટ્રેન નીચે કપાયેલું આંધળું કૂતરું જીવતું થઈ દોડી જાય. દુષ્કાળની આગાહીઓ ખોટી પડે. બાપની આંખમાં પડતી હોય બાળકની પ્રથમ પગલી. વિખૂટા પડવાના દિવસો લંબાતા જાય અનંત. ગર્ભ પડી ન જાય કોઈ સ્ત્રીનો. કતલખાનાઓ બંધ થઈ જાય.

સહુ સપડાય વસંતમાં. ચુપકીદીથી તણખલું ચોરી જતી હોય ચકલી. કાચી કેરી જેવી છોકરીઓને ચૂંટી ખણાતી હોય, ઠેરઠેર. માતાઓનાં સ્તનો ઉજવે દૂધ ઉભરાવાનાં પર્વો. ગાડાંમાં બેસી ગામ ધાન્યો લણવા જાય. શેરીઓમાં નાગીપૂગી દોડાદોડી હોય ટાબરિયાંની. શરમાતી છોકરીઓના વાળમાં તાજાંતાજાં ફૂલ મૂકાતાં હોય. ચંદુ સાથે બુચ્ચા થાય. વૃદ્ધોને ફૂટે દુધિયા દાંત…

રમેશ પારેખ એટલે દૂરબીન વગર સમષ્ટિની પીડા જોઈ શકતી દૃષ્ટિ. રમેશ પારેખ એટલે એક ખોળિયામાં અનેક પરકાયાને અનુભવી શકતી સંવેદના. રમેશ પારેખ એટલે આરસના મોરમાં ટહુકા ઉમેરતો શખ્સ. રમેશ પારેખ એટલે વરસાદને પણ ભીના થવાનું મન થાય એટલું વ્હાલ વેરતો ખેડૂત. રમેશ પારેખ એટલે છોકરીને મઘમઘ અહેસાસ કરાવતી મુલાયમ વેણીમાં પરોવાયેલી મોગરાની ખુશ્બુ. રમેશ પારેખ એટલે હરિને અડીને આવેલો દર્શનાર્થી. રમેશ પારેખ એટલે ગુજરાથી કવિતામાં પાંગરેલો ગરવો ગુલમહોર. છોકરી ન હોય ત્યારે અરીસાઓ સામટા ગરીબ બને છે કે નહીં એ તો ખબર નથી, પણ રમેશ પારેખ નથી એટલે કેટલાય ભાવકો સામટા ગરીબ બની ગયા છે એ નક્કી. તેમના બહુ ઓછા વંચાયેલા ગીત સાથે ર.પા.ને શકવર્તી સલામ.  

ચિઠ્ઠી, જીવણા, તને

ગોકુળમાં હોઈ શકે દહીંની દુકાન
અને રાધાને હોઈ શકે ચશ્માં
અમરેલી ગામમાં મસાણ જોઈ જીવણા,
તું ખિખ્ખીખી ખિખ્ખીખી હસ મા.

છતરી ખોલીને કોઈ હાશકારે બેસે
ત્યાં ભોમાંથી ફાટે વરસાદ
બેઉ કાન જોડી વંદન કરો તો
Bomb ટોપરાંનો વ્હેંચે પરસાદ
અમથું દીવાસળીનું ટોપકું ય હોઈ શકે
વેશ્યા કે મહાસતી જસમા.

શ્રીમંગળવાર કે બુદ્ધજયંતી
ને એક ઘટનાવિશેષનો ત્રિભેટો
ઘર ખુશખુશાલ (ઉર્ફે બકરો હલાલ)
જણ્યો ખાટકીની બીબીએ બેટો
જીવણા, તું લાખેણો લાડકો છતાંય
અરે, નહીં દોઢમાં કે નહીં દસમાં

નક્શા પર દરિયાનું નામ લખો એટલામાં
રેખાઓ નદી બની જાય
જીવણા, તું ફૂલ જેમ ખીલે તો
એમાંથી મ્હેંક નહીં અફવા ફેલાય
હલ્લા કરતાં ય ઘણીવાર કોઈ
હોણાના અણસારા હોઈ શકે વસમા

***


વેદના ~ ધર્મેન્દ્રસિંહ રાઠોડ

“સમય પણ કેટલો ઝડપથી પસાર થઈ ગયો. સુસવાટા મારતા આ પવનની ઝડપની જેમ જ તો!’’ દેવીપ્રસાદ જીવનની ફ્લેશબૅકની યાત્રા પર હતા.

શહેરમાં દૂરના અલ્પવિકસિત વિસ્તારમાં ખોબા જેવડા મકાનમાં સુનંદા સાથે ગૃહસ્થ જીવનની શરૂઆત થઈ હતી. સંઘર્ષમય દિવસોનો તબક્કો હતો. નવા શરૂ કરેલ ધંધાના સ્થળે સમયસર પહોંચવા એક સાઇકલની ખાસ જરૂર હતી. પરંતુ તાત્કાલિક પૈસાની વ્યવસ્થા શક્ય નહોતી. એક સાંજે કામ પરથી પાછો ફર્યો ત્યારે સુનંદા કાંઈક વધારે ખુશ દેખાતી હતી. રાત્રે સૂતા પહેલા ગાંઠ વાળેલ એક રૂમાલ તેણે મને આપ્યો.

“સાનુ, શું છે …. આ રૂમાલમાં?’’ મેં પૂછયું હતું.

“તમે જ ખોલીને જુઓને!’’ લાડ કરતા એ બોલી હતી. રૂમાલમાં હજારેક રૂપિયા હતા. “આ પૈસા તો આપણા લગ્નપ્રસંગે વડીલોએ તને આશીર્વાદ આપતા સમયે આપ્યા હતા એ છે ને? સાનુ, આ પૈસા તારા છે. મારે એ પૈસાને હાથ પણ લગાડાય નહીં.’’ રૂમાલ પાછો આપતા મેં કહ્યું હતું.

“દેવ, તમે પણ! હવે શું મારું અને તમારું! અને હા, નવી સાઇકલ પર બેસવાના અભરખા અમને પણ હોય ને?’’ અને પછી તો હું, સુનંદા, રાહુલ અને અમારી નવી સાઇકલ, રવિવારની સાંજ પડે તેની રાહમાં હોઈએ. સાઇકલ નહીં પણ કોઈ નવા સાથીદારે અમારા જીવનમાં પ્રવેશ કર્યો હતો. દર રક્ષાબંધને સુનંદા સાઇકલના હેન્ડલ પર રક્ષાનો દોરો અચૂક બાંધતી.

પાંચેક વર્ષ પસાર થયાં. સમયે કરવટ બદલી. ધંધામાં બરકત આવી. આવતી જ રહી. શહેરના પોશ વિસ્તારમાં મોટો બંગલો, નોકર-ચાકર અને કોણ જાણે કેટલાંય સ્કૂટરો અને મોટરો બદલાતી રહી. પરંતુ પેલી સાઇકલ સુનંદાએ પૂરા જતનથી સાચવીને રાખી હતી. સુનંદાના અવસાન પછી મેં એ સાઇકલને સ્ટોરરૂમમાં પડેલી જોઈ હતી.

0 0 0

રાતના દસેક વાગ્યા હશે. બારણાને નોક કરી પુત્રવધૂએ દેવીપ્રસાદના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે એ આંખો બંધ કરી પથારીમાં જાગતા પડ્યા હતા. “પપ્પાજી દવા સાથે લેવા માટેનું દૂધ ટેબલ પર રાખ્યું છે; અને હા, પપ્પાજી આજે બપોરે સ્ટોરરૂમાં પડેલ બધો જ ભંગાર વેચી નાખ્યો. તેના પાંચસો રૂપિયા આવ્યા છે. એ પણ ટેબલ પર રાખ્યા છે.’’ પુત્રવધૂએ નિર્દોષભાવે કહ્યું.

“વહુબેટા, એ પૈસા તમારી પાસે જ રાખો. દાનધર્મમાં તેનો ઉપયોગ કરજો.’’ ગળગળા અવાજે દેવીપ્રસાદ માંડ એટલું બોલી શક્યા અને ઝડપથી પડખું ફરી ગયા.

***

બ્લેક ગોગલ્સ ~ કવિ: ભાનુપ્રસાદ પંડ્યા ~ આસ્વાદ: હિતેન આનંદપરા

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!
        પણ કલરવની દુનિયા અમારી!
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
        ને તોય પગરવની દુનિયા અમારી!

કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર
        બંધ પોપચાંમાં રંગોની ભાત!
લોચનની સરહદથી છટકીને રણઝણતું
        રૂપ લઈ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
        વૈભવની દુનિયા અમારી!

ફૂલોના રંગો રિસાઈ ગયા,
        જાળવતી નાતો આ સામટી સુગંધ!
સમા સમાના દઈ સંદેશા લ્હેરખી
        અડક્યાનો સાચવે સંબંધ!
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
        અનુભવની દુનિયા અમારી!

– ભાનુપ્રસાદ પંડ્યા

કેટલીક મહામૂલી ભેટ એવી હોય જેની ગણના કરવાનું ચૂકી જવાય. આમ તો આખો દેહ એક જીવતુંજાગતું દૈવી યંત્ર છે. બધા અવયવ મિલીભગત કરીને શરીરને સાચવે છે. એમાં બે જણનું વર્ચસ્વ વિશેષ વર્તાય – હૃદય અને આંખો.

     જેની પાસે આંખો ન હોય એની દુનિયા સાવ અલગ હોય. આંખ બંધ કરી અંધારામાં દસ મિનિટ ઘરમાં ચાલવાની કવાયત કરીએ તોય ફાંફા પડી જાય. વિચારમાત્રથી કમકમાટી છૂટી જાય કે જિંદગીમાં રંગોની સૃષ્ટિ જ નહીં. ભૂરું આભ નહીં, લીલાં વૃક્ષો નહીં, લાલ માટી નહીં, પીળું પીતાંબર નહીં, કાળા વાદળ નહીં, શ્વેત ચંદ્ર નહીં. બધું જ તિમિરરંગી. બરફાચ્છાદિત પર્વતોની દિવ્યતા નહીં, બિલાડીની માંજરી આંખોમાં વર્તાતું કૂતુહલ નહીં, કબૂતરનું ટગરટગર નહીં, દીવાલ પર દોડતી ખિસકોલીનો આલાગ્રાન્ડ વૈભવ નહીં, સરોવરમાં તરતા હંસની શાંત મુદ્રા નહીં, રંગબેરંગી માછલીઓની ચમત્કૃતિ નહીં, ક્યારામાં પાંગરતા ગુલાબનું હૅલો નહીં, અમિતાભના ચહેરા પર દેખાતી અભિનયની બારીકી નહીં… અરે પ્રિયજનનો ચહેરો પણ આંગળીઓથી જોવો પડે. આ યાદી એટલી લંબાય કે ડિપ્રેશન આવી જાય. છતાં ઈશ્વર એકાદ છટકબારી ખુલ્લી રાખવાની કૃપા રાખે છે. આ છટકબારીમાં કાન અને આંગળીઓ સ્ટેન્ડ બાય ભૂમિકા ભજવતા થઈ જાય.   

     કવિ આખી વાત હકારાત્મક રીતે કરે છે. દૃશ્યો છીનવી શકાશે, પણ કલરવ નહીં છીનવી શકો. ઉબડખાબડ રસ્તાઓ પર ટહેલવાની મોજ ભલે છીનવાઈ જાય, પણ પગરવની પૂંજી નહીં છીનવી શકો. સપનાંઓ ભલે રંગીન ન આવે, સવાર ભલે સલૂણી ન દેખાય, સાંજની લાલિમા ભલે રિસાઈ ગઈ હોય, પણ નાદ-સાદ-અવાજનો જે વૈભવ છે એ તો અકબંધ જ રહેવાનો. મોરને ભલે જોઈ ન શકાય, પણ ટહુકા તો આત્મસાત કરી જ શકાય.

     લાખો રંગનું વૈવિધ્ય ધરાવતા ફૂલોની ધનાઢ્ય સૃષ્ટિનો અણસાર ભલે આંખોના નસીબમાં ન હોય, પણ એની ખુશ્બૂ તો જરૂર માણી શકાય છે. લ્હેરખી જ્યારે ત્વચાને સ્પર્શે છે ત્યારે જાણે ઈશ્વરની કૃપા આવીને સ્પર્શી ગઈ હોય એવું લાગે. પરિસ્થિતિને સમજી ટેરવાં પર નજરો ફૂટતી થઈ જાય. ઠોકરથી બચવા ઠકઠક કરતી લાકડી અંતરંગ સખી બની જાય. કોઈએ મહિનાઓ પહેલાં રસ્તો ક્રોસ કરવા હાથ આપ્યો હોય એ જ હાથ મહિનાઓ પછી મળે તો પણ ઓળખી જાય એવી અદૃશ્ય આંખો ઈશ્વર વિકલ્પ તરીકે આપે છે.

    દૃશ્ય ન હોય, દર્શન હોઈ શકે. વાસ્તવિકતા ન હોય, કલ્પના હોઈ શકે. આકૃતિ ન હોય, અણસાર હોઈ શકે. સબજેક્ટ તાદૃશ્ય ન થાય છતાં અનુભૂતિ હોઈ શકે.

     1994માં એક વાર મનાલી ટ્રેકિંગ પર જવાનું થયું હતું. ત્યારે અમારી સાથે યાહ્યા સપાટવાલા નામનો મિત્ર સાથે હતો. આ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભાવંત આજે તો વડોદરામાં પ્રોફેસર છે. ટ્રેકિંગ પર અમે બધાં સાથે જતા, ત્યારે અમે ઘણી વાર પડ્યા, એ નહીં. નાનકડી કેડીઓ પર ચડાણ વખતે પડવાની ભીતિ વચ્ચે પણ એણે પૂરા આત્મવિશ્વાસ સાથે ટ્રેકિંગ કર્યું ત્યારે આંખો આંસુઓથી રળિયાત થઈ હતી. ઈશ્વર પર ગુસ્સો અને વ્હાલ બંને વારાફરતી આવ્યા. સિક્સ્થ સેન્સનો પ્રત્યક્ષ અનુભવ કર્યો.

     જે છીનવાઈ ગયું છે એ પાછું ન આવવાનું હોય તો એનો વસવસો ન હોય, સ્વીકાર હોય. જેમની પાસે આંખનો કેમેરો નથી એમની પાસેથી છતી આંખવાળાઓએ ઘણું બધું શીખવાનું છે.

***

બૅન્ક-બૅલન્સ્ (લઘુકથા) ~ ધર્મેન્દ્રસિંહ રાઠોડ

ત્રીજા માળે આવેલ અમારા ફ્લૅટનાં પગથિયાં દરરોજ ઊતરવાં અને ચડવાનો મારો રોજનો ક્રમ હતો. પરંતુ આજે સાંજે પગથિયાં ચડી ઘરમાં દાખલ થયો અને શ્વાસ ચડ્યો. મારા શ્વાસોચ્છ્વાસની ગતિ જોઈ પુત્રવધૂએ પાણીનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને મારી પીઠ પર હાથ ફેરવવા લાગી. તેનો હાથ ફરતો રહ્યો. થોડી વારે હું સ્વસ્થ થયો.

“પપ્પાજી, હવે કેમ છે?’’ તેણે પૂછયું.

“સારું છે, આ પગથિયાં જરા ઝડપથી ચડયો એટલે… અને બેટા, હવે છાસઠ થયાં. ક્યારેક થાય આવું. ચિંતા નહીં કરવાની.’’ મેં સહજભાવે કહ્યું.

કમલ ઘેર આવ્યો ત્યારે ફૅમિલી ડૉક્ટરને સાથે લઈને આવ્યો હતો. ડૉક્ટરે મારું બી.પી. વગેરે તપાસ્યું. બધું જ નોર્મલ હતું. હતી તો માત્ર સંતાનોની મારા તરફની ચિંતા.

સવારે મૉર્નિંગ વૉકમાં અને સાંજે ગાંધી પાર્કમાં જૂના મિત્રોને મળ્યા વગર મને ચાલતું નહીં. આ બંને મેળાપ મારું ‘ટૉનિક’ હતું! કમલ એ જાણતો હતો. મારા આશ્ચર્ય વચ્ચે પંદરેક દિવસ પછી રવિવારની સવારે એક ટ્રક અમારા ફ્લૅટની નીચે આવીને ઊભો હતો.

“નજીકમાં સરકારી ક્વાર્ટર છે. ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે રહેવા જવાનું છે.’’ કમલે કહ્યું.

“પણ… ત્યાં તારા પગારમાંથી મોટું ઘરભાડું કપાશે અને આ ફ્લૅટના હપ્તા પણ ચૂકવવાના. મને પૂછવું તો હતું!’’

“પપ્પાજી, કેટલાક નિર્ણયો લેવાનો અધિકાર હવે અમને પણ આપો.’’ પુત્રવધૂએ હસીને કહ્યું. બપોરના એક વાગ્યા સુધીમાં નવા ઘરમાં સામાન પણ ગોઠવાઈ ગયો. કમલ બધા માટે સારી હોટલમાંથી જમવાનું લઈ આવ્યો હતો. જમીને બે-અઢી વાગ્યે કમલ અને પુત્રવધૂ તેમના રૂમમાં જઈ ઊંઘી ગયા. પાંચ વર્ષના લાલાને મારા પડખામાં સૂવાની આદત હતી. થોડી વારે એ પણ ઊંઘી ગયો અને હું વિચારતો રહ્યો…

આઠેક વર્ષ પહેલાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો ત્યારે વીસેક લાખ રૂપિયા આવ્યા હતા. કેટકેટલી સલાહ મળેલ ‘જો જો હો… લાગણીમાં આવી બાળકો પાછળ ખર્ચી નાખતા નહીં. આ મરણમૂડી કહેવાય. ખાતામાં પૈસા પડયા હોય તો વૃદ્ધાવસ્થામાં બીમારી સામે લડી શકાય. સારી હૉસ્પિટલમાં સારવાર લઈ શકાય. પૈસા હોય તો બાળકો પણ સારસંભાળ લેવામાં કાળજી લે.’ વગેરે ઢગલો સલાહસૂચનો મિત્રો અને સંબંધીઓ દ્વારા મળ્યા હતા, પરંતુ હું મારા સ્વભાવ પ્રમાણે જ ચાલ્યો. પુત્રને ફ્લૅટ ખરીદવા મોટી રકમ આપી. અને નિવૃત્તિ પછી અન્ય કેટલાક વ્યવહારિક ખર્ચાઓ પણ આવ્યા. પરિણામ બૅન્ક બૅલન્સનું તળિયું દેખાયું.

આજે આ ઉંમરે બૅન્ક બૅલન્સ્ લગભગ નહિવત્. પરંતુ સામે પક્ષે જે કાંઈ હતું એ સો ટચના સોના જેવું હતું.

***

મળ્યા વગરનો મેળો : એષા દાદાવાળા ~ આસ્વાદ: હિતેન આનંદપરા

પ્રયોગ 

એક દિવસ ડાયરીમાં સાચવી રાખેલું 
વર્ષો પહેલાનું સુકાઈ ગયેલું ગુલાબ કાઢી 
એને એક 
ખાલી કુંડામાં ફરી વાવી જોયું.
બે-ચાર દિવસ પાણી પાયું 
પ્રમાણસરનો તડકો પણ આપ્યો 
શક્ય એટલી બધી જ કાળજી લીધી 
પણ ન તો એ ગુલાબ ફરી પાછું તાજું થયું 
ન તો કોઈ નવી કૂંપળ ફૂટી 
બસ,
એ દિવસથી તારા પાછા ફરવાની આશા 
મેં છોડી દીધી !!

એષા દાદાવાળા 

સુરતમાં રહેતી આ પત્રકાર-કવયિત્રી ગુજરાતી કાવ્યસાહિત્યનું, સવા દાયકાથી ઊભરી ચૂકેલું, ગુજરાત ગૌરવ સન્માનથી પુરસ્કૃત “એષાસ્પદ” નામ છે. પ્રસ્તુત કાવ્ય તેમના કાવ્યસંગ્રહ ‘જન્મારો’માંથી લીધું છે.

અહીં  વાત પ્રયોગની છે, જે સાવ જુદો છે. શાળામાં આપણને વિજ્ઞાનના વિષયમાં પ્રયોગો ભણવાના આવતા. ચંબુમાંથી કસનળીમાં રસાયણ રેડી એમાં અમુકતમુક પદાર્થ નાખો. દ્રાવણને સરખું હલાવો અને 20  મિનિટ રાખી મુકો…. આ રીતે બધી કાર્યવાહી ચાલતી.

જિંદગીના પ્રયોગમાં વાત થોડી જુદી બને. પહેલા તો બે જણ વચ્ચે રસાયણ સર્જી શકાય એટલો સંબંધ વિકસ્યો છે કે નહિ તે જોવાનું હોય. યોગ થયા પહેલા પ્રયોગ કરી લેવો પડે. આ પ્રયોગમાં સફળતા ન મળી હોય ત્યારે મહેબુબ કે મહેબુબા બની મહોબતને બદલે માયુસી પધારી હોય. યાદ આવે છે પેલું ‘મેરે મહેબુબ’ ફિલ્મનું ગીત જેમાં રાજેન્દ્રકુમાર અને સાધના વચ્ચે પડી ગયેલા પુસ્તકો ઉપાડતો  નજરોનો ખેલો રચાય છે. નજરો મળે પછીની પ્રોસેસ હૈયા મળે તેની હોય છે. હૈયા મળે પછી વડીલોની અનુમતિ લેવી પડે છે. આમ વિવિધ તબકકામાંથી પ્રેમ પસાર થાય છે. ક્યારેક એકાદ તબક્કે અટકી જવાય તો જિંદગીના સમીકરણ બદલાઈ જાય.

ડાયરીમાં મુકાયેલી ગુલાબની પાંદડીમાં ઘણા સ્મરણો સચવાઈને  બેઠા હોય છે. ડાયરીમાં ગજબની તાકાત છે. કબાટમાં એક ખૂણે પડી પડી પણ પોતાનું અસ્તિત્વ નોંધાવે.  ડાયરી એ ક્ષણોને સાચવીને બેસે છે જે કદાચ  હવામાં ઓસરી ગઈ હોત. એને દસ્તાવેજ સાચવવામાં રસ નથી, એને આંખોનો ભેજ સાચવવામાં રસ છે. પાનાનો રંગ તો વરસો જતા બદલાવાનો જ. એમાં ધબકતો પ્રેમ સમયની પરીક્ષા આપતો રહેવાનો.  એક સમયે વિશ્વાસ હોય કે સંબંધમાં દેખાતી ગુલાબની લાલી કદી ઝાંખી નહિ પડે. હાંસિયામાં સચવાયેલી ઈચ્છાઓ હાંસિયાની બહાર નહિ મુકાય. બધું પાર પડી જશે એવી શ્રધ્ધા હોય. આવું કશું ન થાય ત્યારે સ્મરણોના ખાતામાં ઘણું બધું જમા થાય, પણ જિંદગીને ઉઝરડાની ભેટ મળે.  

મનગમતી વ્યક્તિ ન મળે ત્યારે ઝુરાપો કબજો લઇ લે. જે કામ થઇ ન શક્યું એનો અફ્સોસ તો ટાંકણીની માફક ભોંકાતો રહેવાનો. સાવ લગોલગ રહેતું પાત્ર અલગ થઇ ગયું હોય ત્યારે ઇનામમાં પીડા સિવાય કશું મળતું નથી. વિસરાયેલા સંબંધને ફરી જીવંત કરવાનું કામ કપરું છે. પ્રયાસ કરીએ તો પણ એ કેટલો ફળીભૂત થશે એની આશંકા વર્તાતી રહે. એક શેર યાદ આવે છે.

સંબંધ તોડ્યા પછી પસ્તાવો કરવાનો નથી કોઈ અર્થ
ફરી જોડો તમે ને તોય સાંધો આંખમાં રહેશે

સવાલ એ છે કે ફરી પાછો તાર સંધાય એના પ્રયાસો કરવા ગુનો છે? નથી. માનસિક તૈયારી એ રાખવાની છે કે આ પ્રયાસો નિરર્થક નીવડે તો શ્વાસોને ટૂંપો ન દઈ દેવાય. પ્રેમ સર્વોપરી છે એમાં કોઈ બેમત નથી, પણ જિંદગી છે તો પ્રેમ છે. દેહ છે તો સાયુજ્ય છે. પ્રસ્તુત કાવ્યના સમર્થનમાં એષાનું જ ‘મૂર્ખામી’ કાવ્ય વાંચવા જેવું છે.

એક દિવસ એ મારી પાસે આવેલો 
અને માંગેલું થોડું વહાલ 
એણે  કહેલું:
મુઠ્ઠી ભરેલા વહાલને 
કૂંડામાં રોપીશું
તો વહાલનું એક આખું વટવૃક્ષ ઊગી નીકળશે.
અને હુંય મૂરખી 
તે એક મુઠ્ઠી વહાલ આપી
આખાય વટવૃક્ષની રાહ જોતી 
હજીય ઊભી છું 
એ જ રસ્તાની ધાર પર !!

***

પ્રસાદ – ધર્મેન્દ્રસિંહ રાઠોડ

(આજથી દર ગુરુવારે મૂકાતી વાર્તાઓનું સંપાદન કરવાના કામનો સક્ષમ સાહિત્યકાર શ્રી હિતેન આનંદપરાએ સહર્ષ સ્વીકાર કર્યો છે એ બદલ “દાવડાનું આંગણું” તરફથી હું એમનો દિલથી આભાર માનું છું. એમની સાહિત્યની સૂઝબૂઝનો આપણને સહુને અમૂલ્ય લાભ મળશે જેનો મને અત્યંત આનંદ છે. થેંક્યુ હિતેનભાઈ. – જયશ્રી વિનુ મરચંટ)

(આવકાર: રાજકોટસ્થિત વાર્તાકાર ધર્મેન્દ્રસિંહ રાઠોડ નિવૃત્ત શિક્ષક છે. વર્ષ 2017થી ‘ફૂલછાબ’ની બુધવારની પંચામૃત પૂર્તિમાં ‘સ્પંદન’ કૉલમ અંતર્ગત તેમની લઘુકથાઓ પ્રગટ થાય છે. કેરળ રાજ્યનાં ગુજરાતી વિષયના ધોરણ-10ના પાઠયપુસ્તકમાં વર્ષ 2012થી તેમની લઘુકથા ‘દૂધપીતી’નો સમાવેશ થયો છે. મોરારિબાપુની ઉત્તર કાશીની કથામાં તેમની સાથે વ્યક્તિગત મુલાકાત થઈ. કવિતા પછી વાર્તા મારો વિશેષ ગમતો પ્રકાર છે. તાજેતરમાં તેમના લઘુકથાના પુસ્તક ‘કૂંપળ લીલીછમ’માંથી  લીલુંછમ પસાર થવાનું બન્યું. કેટલીક કથાઓ સ્પર્શી ગઈ. તે આ બ્લોગના માધ્યમથી વિશેષ કરીને પરદેશમાં રહેતા ભાવકો સુધી પહોંચે એવી મારી ઇચ્છાને તેમણે સહર્ષ સંમતિ આપી. આ ક્ષણે પ્રકાશક કોમલ પબ્લિકેશનનો પણ ખાસ આભાર. ચાલો, આજનો ‘પ્રસાદ’ ગ્રહણ કરીએ. – હિતેન આનંદપરા )
—————————————————————————————————————————-

લઘુકથા : પ્રસાદ’

“માસીબા, મને ન ઓળખ્યો?’’

ઊંડી ઊતરી ગયેલી આંખોએ પચાસેક વર્ષના પ્રૌઢને ઓળખવાનો રૂડીમાએ નિષ્ફળ પ્રયત્ન કર્યો.

“હું ઘનશ્યામ, તમારો ઘનયો!’’ આંગણે ઊભેલાએ પોતાની ઓળખ આપી.

“અરે મારો ઘનયો! આ તારા વાળ પણ ધોળા થયાં અને હું પણ હવે ઓછું ભાળું – દીકરા, કેટલા વર્ષે આવ્યો?’’

“પાંત્રીસ-છત્રીસ તો ખરા.’’ ઘનશ્યામે જવાબ આપ્યો.

“તું નવમા ધોરણમાં હતો અને તારા બાપુજીની અહીંથી બદલી થઈ હતી. છેક બીજા રાજ્યમાં. રોટલો રળવા માણસે વતન છોડવું પડે. પણ, પછી તમે કોઈ દેખાયા જ નહીં. ક્યારેક તમારા કુટુંબના વાવડ મળતા. પછી વાવડ મળતા પણ બંધ થયા. નોકરિયાત લોકોની આ જ તકલીફ, માયા મૂકીને ચાલ્યા જાય!’’ રૂડીમાએ લાગણીની વ્યથા ઠાલવતાં કહ્યું.

આજે પચાસની ઉંમરે પહોંચેલ ઘનશ્યામ કરોડોનો આસામી હતો. થોડાં વર્ષ પરદેશમાં રહી પૈસા કમાઈને ભારત આવ્યો હતો. માતા-પિતાની છત્રછાયા રહી નહોતી. પત્ની અને બાળકો સાથે મુંબઈમાં રહેતો હતો. રાત્રે રૂડીમાના ઘેર રોકાઈ સવારે મુંબઈ જવા એ નીકળી જવાનો હતો.

પછી તો ઘનશ્યામ અને રૂડીમા વચ્ચે ઘણી વાતો થઈ. વચ્ચેનાં વર્ષો ઓગળતાં વાર લાગી નહીં! ઘનયાનો જન્મ થયો ત્યારથી પંદર વર્ષનો થયો ત્યાં સુધીના રૂડીમા સાક્ષી હતાં. ઘનયાને શું ભાવે, શું ન ભાવે? શું ગમે, શું ન ગમે? જેટલું ઘનયાની મા જાણે, તેટલું રૂડીમા પણ જાણે.

સાંજે વાળુ કરવા રૂડીમાનો નાનો દીકરો અને ઘનશ્યામ રસોડામાં જ પલાંઠીવાળીને બેઠા. બાળપણમાં પણ આ રીતે પલાંઠી વાળીને ઘણી વખત અહીં જમ્યો હતો.

“વહુબેટા, ભાણામાં ગોળ મૂકવાનું ભૂલતાં નહીં.’’ અંદરના ઓરડામાંથી રૂડીમા બોલ્યાં.

“બા, મોહનથાળ પીરસ્યો છે.’’ વહુએ જવાબ આપ્યો.

રૂડીમા ધીમા પગલે રસોડામાં ગયાં. ગોળનો ડબ્બો શોધ્યો. જાતે જ ગોળનો ગાંગડો થાળીમાં મૂક્યો અને એ પણ પલાંઠી વાળી ઘનયાની સામે બેઠાં. “મારા ઘનયાને ગોળ બહુ ભાવે હો… આખા મલકની મીઠાઈ એક તરફ અને તેને ભાવતો ગોળ એક તરફ.’’

ભાણામાં પડેલ ગોળ તરફ ઘનયાએ જોયું. ઘણાં વર્ષ થયાં ગોળની તેણે ટેક લીધી હતી. ‘ભાવતી વસ્તુની ટેક રાખીએ તો ટેક ફળે.’ કોઈએ તેને કહ્યું હતું.

દીવાના આછા પ્રકાશમાં તેણે રૂડીમાના મોં તરફ જોયું, એક પળનો પણ વિલંબ કર્યા વિના ગોળની ગાંગડી તેણે મોઢામાં મૂકી.

***

જેવી દૃષ્ટિ, એવી સૃષ્ટિ ~ કવિ સુરેશ દલાલ : આસ્વાદ હિતેન આનંદપરા

નથી નથીનો નથી વસવસોઃ છે એનો આનંદ
કદીક હોઠ પર ગીત હોય ને કદીક રમે છે છંદ

બારી ખુલ્લી, દરવાજા ખુલ્લા
        ખુલ્લું છે આકાશ,
ધરા-ગગનનો મળે ક્ષિતિજે
        કોઈ અવનવો પ્રાસ.
હાશ! મને છે અહો એટલીઃ હું નહીં મારામાં બંધ
નથી નથીનો નથી વસવસોઃ છે એનો આનંદ

જ્યાં જાઉં ને જોઉં ત્યાં તો
        મળે શુભ ને લાભ,
સરવરજળમાં અહો! અવતરે
        મેઘધનુષી આભ.
એક એક આ વૃક્ષને મળતો પવનનો પ્હોળો સ્કંધ.
નથી નથીનો નથી વસવસોઃ છે એનો આનંદ

– સુરેશ દલાલ

કવિ સુરેશ દલાલની સમગ્ર કવિતાનો સંપુટ ‘કાવ્યવૃષ્ટિ’ 2014માં પ્રગટ થયેલો. 3 ભાગ, 50 કાવ્યસંગ્રહ, 2028 પાનાં, 3652 કાવ્યો ધરાવતા આ દળદાર સંપુટમાંથી એક કવિતાની ઝરમર માણીએ. જિંદગીભર જેમણે સેંકડો કવિઓના કાવ્યોનો આસ્વાદ કરાવ્યો છે એ કવિના કલામને આસ્વાદની તક મળે એ પણ એક ગમતો ઋણાનુબંધ છે.

કવિએ આપણી માનસિકતાને આબાદ ઝીલી છે. માણસની લાલસાને કોઈ થોભ નથી હોતો. ભૂખ અને તરસની કક્ષાએ એ આવી ગઈ છે. સંતોષવી જ પડે, છીપાવવી જ પડે. લાલસા માણસનો જન્મજાત ગુણ છે. બાળપણમાં રમકડા, લખોટી, ટિકિટ વગેરે ભેગા કરવાની નિર્દોષ લાલસા આજીવન માફ છે. એમાં સમજ નથી હોતી, એમાં આનંદ હોય છે. ભણીગણીને ઠરીઠામ થવાની દોડ શરૂ થાય ત્યાંથી લાલચટાક લાલસા અંતિમ શ્વાસ સુધી લંબાય છે. જે અલગારી છે એ લોકો અધવચ્ચે અટકી જવામાં માને છે. જે સ્વર્ગમાં પણ પોતાની પિગી બૅન્ક લઈ જવાની અભિપ્સા રાખે છે તેની કડાકૂટ ચાલુ જ રહે છે.

આપણને બધું જ મળે એ જરૂરી નથી. જે જરૂરી છે એ પણ મોટા ભાગના લોકોને નથી મળતું. એક વર્ગ એવો છે જે ઉપર આભ ને નીચે ધરતીની મૂડીના સહારે જીવતો હોય છે. ના ઘર હોય, ના અવસર હોય. લાખો લોકો ઝુંપડપટ્ટીઓમાં જિંદગી વ્યતિત કરે છે. ઘણી વાર વિચાર થાય કે વિધાતાએ પણ કેવી રચના કરી છે! એકની એક સ્થિતિમાં કોઈ માણસની આખી જિંદગી વીતી જાય. જાણે પૃથ્વી પર સજા કાપવા આવ્યો હોય એ રીતે શ્વાસો ખૂટે.

પૈસા અને ફ્લેટ આ બે એવા આકર્ષણો છે જે દરેકની જિંદગીમાં સુપરસ્ટારનું સ્ટેટસ ભોગવે છે. વન રુમ કિચનને ઝંખના હોય વન બીએચકેમાં જવાની. વનવાળો ટુ બીએચકે, ટુવાળો થ્રી બીએચકે… એમ ઝંખના વિસ્તરતી જાય. 3000 સ્કવેર ફીટના ઘરમાં રાત્રે 2800 સ્કેવર ફીટ તો ખાલી જ પડ્યા હોય, છતાં રમણા હોય વિસ્તરવાની. જે છે એનો આનંદ માણવાને બદલે, જે વધારાનું છે એને નભાવવામાં જિંદગી ખર્ચાતી જાય.

સંતોષ નામનું સ્પીડબ્રેકર દરેકે જાતે જ બનાવવાનું હોય. પરસેવો સીંચીને બધું ઊભું કર્યું હોય ને ભોગવવા જ ન મળે એ નિષ્ફળ વેપાર ગણાય. મારુતિમાંથી હોન્ડા સિટી ને હોન્ડા સિટીમાંથી મર્સિડિઝના વિચારો કર્યા કરતી જિંદગી જે છે એનેય ઉજવી નથી શકતી. ઈશ્વરે દરેકને જાતજાતના દુઃખની સાથે ખપ પૂરતું સુખ આપ્યું છે, પણ ખપ પૂરતો સંતોષ કેળવવાનું કામ આપણા પર જ છોડ્યું છે.

હકારાત્મક અભિગમ ધરાવતી આંખો ઉપર ચશ્મા ભલે હોય, પણ એ દૂરનું જોઈ શકે છે. ઈશ્વરે આપણને સૃષ્ટિ જાણવા ને માણવા મોકલ્યા છે. જે નથી એનો વસવસો કરવામાં, જે છે એનો આનંદ અળપાઈ જાય છે. હાયહાયમાં હોશ ભૂલાઈ જાય અને હોંશિયારીમાં હાશ ગુમાઈ જાય. કમળાવાળી આંખો લઈને ફરતા આપણે કૌતુક ગુમાવી બેઠા છીએ. જેને સમજાય એ દિવાના ગણાશે, નહીં સમજાય એ સમજદાર. બોલો, તમારે લાંબું વિચારવું છે કે ઊંચું વિચારવું છે?  
***

વારસાગત ષડ્યંત્ર ~ હિતેન આનંદપરા

કોયલ શોધે છે કાગડાનો માળો,
હોમલોન માટે નહીં મૂકે ડિમાન્ડ
નહીં ઊઘરાવે ઝાડ પાસે ફાળો Continue reading વારસાગત ષડ્યંત્ર ~ હિતેન આનંદપરા

ખુદને તપાસવાનો અવસર ~ હિતેન આનંદપરા

માણસો ઉપર કોરોના વિષાણુનું જે ખતરનાક આક્રમણ થયું છે એની સામે લડવામાં દવા સાથે દુઆ પણ જરૂરી છે. અનેક પડકારો આપણને દેખાઈ રહ્યા છે અને અનેક સમાધાનો સમજાઈ રહ્યા છે. દેશ જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એમાંથી બહાર આવતા નવ નેજે પાણી ઉતરશે. ક્રૂઝની લક્ઝરી ટૂર નહીં પણ ઘનઘોર જંગલમાં ટાંચા સાધનો સાથે કરાતી પદયાત્રાનો અનુભવ કરવા જનતાએ તૈયાર રહેવું પડશે. માનસિક તૈયારી યાતના ઓછી તો નહીં કરી શકે, પણ એની ચૂભન થોડી ઓછી વર્તાશે. લલિત વર્માની શીખ સાંભળવી પણ પડશે અને સમજવી પણ પડશે…
સમય સાચવો તો સમય સાચવે છે
જીવન, મોત જેવા વિષય સાચવે છે
પરાભૂત શૂરા નથી હામ ખોતા
પરાજિત ભૂજામાં વિજય સાચવે છે

આપણે નાગરિક તરીકે પરાજિત થઈ ચૂક્યા છીએ. સરકારી માર્ગદર્શિકાઓનું છડેચોક ઉલ્લંઘન કરવામાં બડે બડે લોગ શામિલ છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલિગી જમાતના મેળાવડાએ સાવચેતીના ફુગ્ગામાં ટાંકણી ભોંકી દીધી. ધાર્મિક પ્રચાર કરતો મુસ્લિમ મિશનરીઓનો આ સંપ્રદાય માર્મિક અર્થો ચૂકી ગયો. ધર્મ કોઈપણ હોય, માનવધર્મથી ઉપર કોઈ નથી એ સત્ય બધાએ સ્વીકારતા શીખવું પડશે. કુમાર જિનેશની પંક્તિઓ કડવી લાગશે, પણ કડુ કરિયાતું હેલ્થ માટે સારું હોય છે…
આ હૃદયનો, તે અકલનો દેશ છે લ્યા
શાણપણ ત્યાં ને અહીં આવેશ છે લ્યા
આરતી, લોબાન, ડંકા બંધ કર.. આ-
આદમીની હામનો પ્રદેશ છે લ્યા

ચૈત્રી નવરાત્રિમાં મોટા મંદિરોમાં એની ઉજવણી મોકૂફ રહી. દેશની અનેક મસ્જિદોમાં નમાજ માટે ભેગી થતી મેદનીએ ઘરે જ નમાજ પઢવાની સમજદારી દર્શાવી. ગુરુદ્વારામાં ન જઈને ભક્તોએ ઘરમેળે જ પોતાની શ્રદ્ધાને સાર્થક કરી. આ શીખ તબલિગી જમાતને પલ્લે ન પડી. એટલું જ નહીં સંસ્થાના પ્રમુખ મૌલાના સાદે જે નિવેદન આપ્યું એમાં ભૂલ થયાનો એક નેનોમીટર જેટલો અપરાધભાવ પણ નહોતો. એમાં છાનો હુંકાર પ્રગટ થતો હતો. વીણી વીણીને પકડવા જોઈએ એવા અગ્રણીઓને વસંત રાવલ ગિરનારીનો શેર લાલ મરચાના પાણીમાં  બોળીને મુબારક… 
આકળ વિકળ ફર મા ઓઘડ
નહીં કરવાનું કર મા ઓઘડ
મોત આવે તૈં મરજે ને ભૈ
જીવતેજીવ તું મર મા ઓઘડ

એક માણસની ભૂલ પણ ભારે પડી શકે એવા સંજોગોમાં આવી સામૂહિક ભૂલ તો ડૂબાડી જ દેશે. તબલીગી અર્થાત્ અલ્લાહની વાતોનો પ્રચાર-પ્રસાર કરવો. જમાતનો મતલબ છે સમૂહ-જૂથ. તેઓ મરકસ માટે દિલ્હીમાં ભેગા થયા હતા. મરકસનો અર્થ થાય કેન્દ્ર. ૧૮૦થી વધુ દેશોમાં આ જમાતના સભ્યો ફેલાયેલા છે.  લાહોરમાં ૧૧થી ૧૫ માર્ચ સુધી તબલિગી જમાતે એક મોટા જલસાનું આયોજન કર્યું હતું જેમાં પચ્ચીસ હજારથી વધુ લોકો ભેગા થયા હતા. પાકિસ્તાનમાં કોરોનાના આંકડા વધારવામાં એમનું આગવું પ્રદાન રહ્યું. આ ધાર્મિક મેળાવડામાં ભાગ લઈને પાછા ફરેલા બે પેલેસ્ટાઈનવાસીઓમાં પણ કોરોના પોઝિટિવ મળ્યો. ટ્યૂનિશિયા, કુવૈતમાં સંક્રમણ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો. બધું ખુલ્લું પડતું જાય છે. હેમંત પુણેકરનો શેર પ્રસ્તુત પરિસ્થિતિમાં સીવડાવેલા શર્ટની જેમ ચપોચપ બેસે છે…
આંસુ બની જો આંખથી કિસ્સો પડી જશે
જગથી છુપાવ્યો હાલ જે ખુલ્લો પડી જશે
ચકચાર થાય એટલું અફવાનું જોર બસ!
સચ્ચાઈ સામે આવશે સોપો પડી જશે

પ્રાથમિક તપાસ દર્શાવે છે કે લાહોરનાં સંમેલનમાં ભાગ લેનારા લોકોએ બ્રુનેઈ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા સહિત કુલ છ દેશોમાં કોરોના વાયરસનો વ્યાપ વધાર્યો. સચ્ચાઈ સામે આવી રહી છે. હવે એ આંકડાઓમાં દેખાશે અને માતમમાં વર્તાશે. ભાવેશ ભટ્ટની પંક્તિઓમાં એનો થાક  વાંચી શકાશે…
અગર જો સજાથી મળ્યું કૈંક ઓછું
થયું છે કશું તો ગુનાથી વધારે

કશે પણ ગયા ના, જરા પણ હલ્યા ના
છતાં થાક લાગ્યો હવાથી વધારે

મોતના આંકડાઓ વિશ્વભરમાં અટ્ટહાસ્ય કરી રહ્યા છે. અમેરિકામાં નિવેદન-નિષ્ણાત અને મંતવ્ય-મહારથી ગણાતા ટ્રમ્પે ભાંગરો વાટ્યો છે એવું ખુદ અમેરિકાવાસીઓ માને છે. અર્થતંત્રને ઉઝરડા ન પડે એ માટે મોતના ઘા સહેવાનું સ્વીકારી લીધું હોય એવું આંકડાઓમાં ફલિત થાય છે. કોઈ પણ મહાનગરને લાગુ પડે એવી વાસ્તવિકતા દેવિકા ધ્રુવની પંક્તિમાં વ્યક્ત થાય છે.
રાત દિ’ આઠે પ્રહર ડોલરની દોડધામમાં
આદમીને હર પળે પલ્ટાવતું નગર જુઓ

દૂરથી સોહામણું ને પાસથી બિહામણું
દંભને મોહે જીતાઇ હારતું નગર જુઓ

વિકસિત હોય કે વિકાસશીલ, કોઈ પણ દેશને કોઈ પણ પ્રકારની શેખી પોષાય એમ નથી. મશીનગનો, મિસાઈલો, સબમરીનો ને લડાકુ વિમાનો આ લડતમાં કામ આવવાના નથી. આ સંયમ અને શિસ્તની લડાઈ છે. આ નાગરિકી નિષ્ઠા અને સરકારી સંચાલનની લડાઈ છે. આ સાવધાની અને જાગૃતિની લડાઈ છે. સતત છંછેડાતી પ્રકૃતિ બેચાર વર્ષે એક એવું મોટું ડબકું મૂકી દે કે આખી માનવજાત ટપકું લાગવા માંડે. ઓજસ પાલનપુરીની પંક્તિઓ સાથે મનમાં એક આશા ઉછરતી રાખીને સકલ વિશ્વનું શુભ થાય એવી કામના કરીએ…
ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે
માણસ એ વખતે સાચો કલાકાર હોય છે
તુજથી પુનર્મિલનનું વચન લેવું એટલે
સાચું કહું તો મોતને પડકાર હોય છે


ક્યા બાત હૈ

અસ્તિત્વ બોધવાનો, અવસર મળ્યો બધાંને
ખુદને તપાસવાનો, અવસર મળ્યો બધાંને

મહામારગે ચડીને કેડીને સાવ ભૂલ્યાં
ત્યાં સ્હેજ ચાલવાનો, અવસર મળ્યો બધાંને

સમદરના બુંદથી ના કંઈ પણ વધુ કોઈપણ
ભીતર ભીંજાવવાનો, અવસર મળ્યો બધાંને

સંકલ્પ ના કરો કોઈ, કાલે તૂટી જશે એ
ઝંખા જગાવવાનો, અવસર મળ્યો બધાંને

વિરલાઓને જે મળતી, વીજળી સતત ઝબૂકે
મોતી પરોવવાનો, અવસર મળ્યો બધાંને

કરુણાનિધિની કરુણા ઓછી નથી થઈ પણ
ધારકને તાગવાનો, અવસર મળ્યો બધાંને

પોથી ફકત ના કાફી, સંવેદના જરૂરી
મોટે પુકારવાનો, અવસર મળ્યો બધાંને

પ્રતાપસિંહ ડાભી હાકલ