Category Archives: અનિલ ચાવડા

અંતરનેટની કવિતા – (૧૬) – અનિલ ચાવડા

મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ઋણી છું

લોગ ઇનઃ

ખમે છે ભાર જે મારો હું એ કણકણનો ઋણી છું,
છતાં માતા, પિતા શિક્ષક; વિશેષ એ ત્રણનો ઋણી છું.

મળ્યું વર્ષો પછી તો જળ મને અમૃત લાગ્યું છે,
તરસ મારી વધારી છે સતત એ રણનો ઋણી છું.

ભલે છૂટાંછવાયાં છે છતાં રેખાને જોડે જે.
સીધી લીટીમાં રહેનારા એ બિંદુગણનો ઋણી છું.

કહ્યું’તું જેમણે કે મને કંઈ પણ નહીં આપે,
રહી છે આબરૂ તો એમના ‘કંઈ પણ’નો ઋણી છું.

મેં ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ઋણી છું.

સંદિપ પુજારા

સંજુ ફિલ્મમાં સુનિલ દત્તના સન્માનનો એક સિન છે, તેમાં સંજય દત્તે બોલવાનું હોય છે. જિંદગીભર પિતાનું ઋણ તે નહીં ચૂકવી શકે તેની કબૂલાત તેણે કરવી છે. કાર્યક્રમમાં તે બરોબર સ્પિચ તૈયાર કરીને આવે છે; પણ સંજોગો એવા સર્જાય છે કે તેને કાર્યક્રમમાં બોલવાની મંજૂરી નથી આપવામાં આવતી. ઘરે આવીને પિતા કહે છે, ત્યાં તારી સ્પિચ ન બોલી શક્યો તો કંઈ નહીં, અત્યારે મારી સામે વાંચી દે, પણ તે વાંચી નથી શકતો. કહે છે ફરી ક્યારેક સંભળાવીશ. બને છે એવું કે એ જ રાતે પિતાનું અવસાન થાય છે. પિતાનો આભાર પ્રત્યક્ષ ન માની શકવા માટે તેને ખૂબ જ વસવસો થાય છે. આપણે હંમેશાં સમયસર ઋણ ચૂકવાનું ભૂલી જતા હોઈએ છીએ. ઋણ ચૂકવવાની વાત દૂર, સરખી રીતે આભાર પણ નથી માની શકતા.

સંદિપ પુજારાની આ ગઝલ કણેકણથી લઈને મૃત્યુ સુધી જતી હર ક્ષણનો આભાર માને છે. જન્મનો આભાર તો કેક કાપીને કે પાર્ટી કરીને બધા માનતા હોય છે. અહીં તો કવિ મૃત્યુનું ઋણ પણ માથે ચડાવે છે. રાજેશ વ્યાસ મિસ્કીને આભારભાવ વ્યક્ત કરતી ગઝલ લખી છે. પળેપળ શ્વાસ ચાલે છે તે માટે પણ આભાર માનવો જોઈએ. ઘણાને હાથપગ, વાણી, શ્રવણશક્તિ કે દ્રષ્ટિ પણ નથી હોતી. છતાં આનંદથી જીવતા હોય છે. તમે સંપૂર્ણ સ્વસ્થ છો, હરી-ફરી, બોલી-ચાલી, સાંભળી-જોઈ શકો છો તે માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ.

સંદિપ પુજારા કહે છે કે જે મારો ભાર ખમે છે એ દરેક કણેકણનો હું ઋણી છું. ભાર ખમવામાં માત્ર પગના ચપ્પલ ન આવે. જિંદગીના તમામ ભારની વાત છે, પગ નીચે દબાતા નાનકડા રજકણથી લઈને, સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક, વૈચારિક એમ તમામ પ્રકારનો મારો ભાર જે કોઈ સહન કરે છે તેમનો હું ઋણી છું. વળી તેમાં કવ્યનાયક કહે છે તમામમાં માતા, પિતા અને શિક્ષક એ ત્રણનો વિશેષ ઋણી છું. સંસ્કૃતમાં તો बलिहारी गुरु आपनी, जिन्हे गोविंद दियो बताय। કહીને ગુરુનો મહિમા ઈશ્વરથીય વિશેષ ગણાવ્યો છે. માતાપિતાના ઋણની તોલે તો કોઈ આવી જ ક્યાંથી શકે? કવિ એટલા માટે જ આ ત્રણનો વિશેષ આભાર માને છે.

આપણને કંઈક સરળતાથી મળી જાય તો તેનું આપણને કશું મૂલ્ય હોતું નથી. હિન્દીમાં કહેવત પણ છે કે ઘર કી મુર્ગી દાલ બરોબર. જે સરળતાથી હાથવગું છે તેનું આપણને કંઈ મૂલ્ય નથી. જે સંઘર્ષથી મળે છે તે કીમતી છે અને હોવું પણ જોઈએ. સંઘર્ષ છે તો મૂલ્ય છે. ખરું ઋણ તો સંઘર્ષનું માનવું જોઈએ. કાવ્યનાયક આ વાત સારી રીતે સમજે છે. વર્ષો પછી જળ મળ્યું તો અમૃત લાગ્યું, રોજ મળત તો કદાચ પાણી જ લાગત! વર્ષો પછી મળવા પાછળ રણ જવાબદાર છે, રણે સતત તરસ વધારી છે. કવિ પોતાની તરસ વધારનાર રણ પ્રત્યે પણ ઋણ વ્યક્ત કરે છે. આપણે ખરાબ સમયને ભાંડતા હોઈએ છીએ, સંઘર્ષને ગાળો દેતા હોઈએ છીએ. તેનો આભાર ક્યારે માનીશું? સંઘર્ષ થયો તો કશુંક બની શક્યા! ચમકદાર થવા હીરાએ પણ ઘસાવું પડે છે.

સ્ટિવ જોબ્સે આપેલ બિંદુગણનું વ્યાખ્યાન ખૂબ જ લોકપ્રિય છે, યુટ્યૂબ પર ઉપલબ્ધ છે, સાંભળજો. તેણે પોતાના જીવનને જુદા-જુદા બિંદુગણ સાથે સરખાવ્યું છે. તે બધાં બિંદુઓ એકબીજાં સાથે જાડેયાલાં છે. જેમ ઇન્ટરનેટની એક લિંક એકબીજા સાથે જોડાતી હોય છે તેમ! સંદિપ પુજારા એ જ ફિલોસોફી જુદી રીતે વ્યક્ત કરે છે. ચોથો શેર વાંચીને અશોક ચાવડાનો શેર યાદ આવી જાય. મને ખબર છે મને તું કશું ન દેવાનો, કશું ન માગીને હું તારી શાન રાખું છું. નહીં માગીને અશોક ચાવડા શાન રાખે છે, પણ જેમણે કંઈ પણ નહીં આપવાની વાત કરી છે, તેમના કંઈ પણ માટે સંદિપ પુજારા આભાર માને છે. કેમકે તેમના કંઈ પણમાં પણ તેમને ઘણું બધું મળ્યું છે. આપણા જીવનની દરેક ક્ષણ આપણા મૃત્યુ તરફની ગતિ છે. કાવ્યનાયકે મૃત્યુ તરફ ગતિ કરતી દરેક ક્ષણ પ્રત્યે ઋણ વ્યક્ત કર્યું, અર્થાત જિવાયેલી જિંદગીની તમામ ક્ષણનો આભાર માન્યો. શરૂઆતથી લઈને અંત સુધી કવિએ ઋણભાવનો રદીફ સુંદર રીતે જાળવ્યો છે.

લોગ આઉટઃ

ભાર હો તો ક્યાંક જઈ ઉતારીએ,
પણ અહીં આભાર જેવું છે સતત.
ડો. મહેશ રાવલ

અંતરનેટની કવિતા – (૧૫) – અનિલ ચાવડા

દેહની માટી અને માટલાની માટીમાં ફેર શું?

લોગ ઇનઃ

ખરો બપ્પોર, માથે ચૈતરનો આકરો તાપ,
શોષ પડતો હતો ગળામાં.
ઝપટમાં ને ઝપટમાં પાણી પીવાનું ય ભુલાઈ ગયું ‘તું
થયુઃ આટલો ચાસ કાલાની વીણ પૂરી કરી પાણી પીઉં
શેઢે જઈને અમારાવાળો મોરિયો વાંકો કર્યો,
પણ ટીપું પાણી ના મળે!

છેટે ગાડાના શીકામાં ઈમનાવાળી ગટકુડી દેખાઈ,
ખેતરધણી દૂર ખીજડા હેઠે આડો પડ્યો’તો.

હું આગળ વધી…
પગરવથી એણે પડખું ફેરવ્યું,
હું થડકારો ચૂકી ગઈ!
મારી સામું જોતાં જ એના મોંમાંથી લાળ ટપકી,
એવામાં ગટકુડી પર મારી નજર એને પરખાઈ ગઈ,
એની મૂછો તંગ થઈ, ફરફરી, મોંનો કડપ બદલાયો,

એને ગટુકડીની માટી સામે વાંધો હતો,
મારી માટી સામે નહીં!

પ્રતાપસિંહ ડાભી હાકલ

આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ. એક સમય હતો કે વર્ણવ્યવસ્થાના ભેદભાવો પૂરબહારમાં હતા. જોકે એ ભેદભાવો આજે મટી ગયા છે એવું નથી. મારા નાની કહેતા હતા કે એ વખતની આભડછેટું અત્યારની આભડછેટું કરતાં જુદી. એ વખતે દેખાતી, અત્યારે દેખાય નહીં એવી આભછેટું સમાજમાં હાલી રહી છે. દેશીમાં ભાષામાં એ કહેતા ત્યારે અમુક નહીં દેખાતી આભડછેટ આંખ સામે છતી થઈ જતી. પ્રતાપસિંહ ડાભીની આ કવિતા કંઈક એવી જ દિશામાં હાકલ કરે છે. આ કવિતા આપણે એક વાર્તા દ્વારા સમજીએ.

નાનકડું એક ગામ છે. ખરા બપોરનો સમય છે. માથે ચૈતરનો આકરો તાપ ધખધખી રહ્યો છે. એક ખેતરમાં એક મજૂરણ બાઈ કામ કાલા વીણવાનું કામ કરી રહી છે. તરસ લાગી છે, પણ તેને કાલાનો ચાસ પૂરો કરવાની ઉતાવળ છે. ચાસ પૂરો કરવામાં તરસ તેની ચરમસીમાએ પહોંચે છે, ગળું સાવ સુકાવા લાગે છે. તે પાણી પીવા માટે આવે છે અને એમનાવાળો મોરિયો (ગામડામાં માટલાને મોરિયો પણ કહેવામાં આવે છે.) જુએ છે તો ખબર પડે છે કે અંદર તો પાણી જ નથી! આકરા તાપમાં તરસના માર્યા જીવ જાય છે. એવામાં તેનું ધ્યાન થોડે દૂર ગાડામાં રહેલી ખેતરધણીની ગટકુડી (પાણી ભરવાનું એક માટીનું વાસણ) પર ગઈ. ખેતરમાલિક ખીજડના ઝાડ નીચે આડો પડીને આરામ કરી રહ્યો છે. આ બાઈને થાય છે કે ખેતરધણીનું ધ્યાન નથી તો લાવ થોડું પાણી પી લઉં. પણ તે પાણી પીવા માટે આગળ વધે એ જ વખતે તેના પગલાંના અવાજથી ખેતરમાલિક પડખું ફેરવીને આ બાઈ સામે જુએ છે. તે આ સ્ત્રીની દશા સમજી જાય છે. તે જાણી જાય છે કે આને મારી ગટકુડીમાંથી પાણી પીવું છે. તરત જ તેની મૂછો તંગ થઈ જાય છે, થોડો ગુસ્સે થઈ જાય છે. બાઈ રૂપાળી છે, સુંદર છે. તેને જોઈને ખેતરમાલિકની લાળ ટપકે છે. તેનામાં  સૂતેલી વાસના જાગી ઊઠે છે. કોઈ પણ સ્ત્રી પુરુષની વાસના તરત સમજી જતી હોય છે. કાવ્યનાયિકા ખેતરમાલિકની વાસના જાણી ગઈ અને અંદરથી ધ્રૂજી ઊઠી. કાવ્યને અંતે કવિએ કાવ્યનાયિકાના મનમાં એક વાક્ય મૂકીને કવિતા પૂરી કરી દીધી છે. નાયિકા વિચારે છે કે ખેતરમાલિકને ગટકુડીની માટી સામે વાંધો છે, પણ મારી માટી સામે વાંધો નથી!

આપણે શરીરને માટી સાથે સરખાવતા આવ્યા છીએ. માટીનો દેહ છે ને માટીમાં મળી જવાનો છે. બધું જ આખરે માટીને હવાલે થવાનું છે, એ બળીને થાય કે દટાઈને! હિન્દીની એક કાવ્યપંક્તિ છે, માટી કા હૈ પૂતલા એક દિન માટી મેં મિલ જાના હૈ. કબીરનો એક સુપ્રસિદ્ધ દુહો છે, माटी कहे कुम्हार सो, क्यां तू रौंदे मोहि । एक दिन एसा होयगा, मैं रोंदूंगी तोही । કોઈ પણ જાતિનો માણસ હોય, રાજા હોય કે રંક, પોલીસ હોય કે ગુનેગાર, વકીલ હોય કે અસીલ, કાળો હોય કે ધોળો; ધરતી પરનો દરેક માણસ એક દિવસ માટીમાં મળી જવાનો છે. કવિએ જમીનની માટી અને દેહની માટીને સામેસામે લાવીને મૂકી દીધા છે. આજે પણ સમાજમાં આવી અનેક ઘટનાઓ ઘટે છે, અમુક ઘટનાઓ બહાર આવે છે અને અમુક હંમેશાં માટે સમયના પેટાળમાં ધરબાઈ જાય છે. વાસણને અડવામાં અભડાઈ જતા ઘણા લોકો આખા શરીરને ભોગવવામાં જરા પણ અભડાતા નથી! આ કાવ્યમાં રહેલા ખેતરમાલિક માટે પેલી સ્ત્રી કરતા માટીની ગટકુડી વિશેષ મહત્ત્વની છે. સ્ત્રી એને અડશે તો ગટકુડી અને પાણી અભડાઈ જશે, પણ એ પોતે જો સ્ત્રીને અડશે તો એ પોતે નહીં અભડાય! કોઈ પણ જાતિ હોય, એક માણસે બીજા માણસથી શા માટે અભડાવું જોઈએ એ સમજાતું નથી. ખેતરમાલિકના મોંમાંથી ટપકતી લાળમાં તેની વાસના દેખાય છે. કામ કરનાર બાઈના આખા શરીરનો ઉપભોગ કરવામાં એને વાંધો નથી, પણ જો એ જ શરીર ધરાવતી એ બાઈ માટીની ગટુકડીને અડકે તો વાંધો છે! આપણે આવી અનેક વિસમતાઓમાં જીવી રહ્યા છીએ. કવિએ તળપદી ભાષાનો સુપેરે ઉપયોગ કરી જાણ્યો છે. પ્રતાપસિંહ ડાભીની કવિતામાં છલકાતી આવી તળપદી બાની તેમનું જમાપાસું છે.

લોગ આઉટઃ

દેહ માટીનો લઈને નીકળ્યા છો,
માર્ગમાં આગળ સમંદર આવશે.

– હનીફ સાહિલ

અંતરનેટની કવિતા -(૧૪)- અનિલ ચાવડા

ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી
*અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા*

*કોઈ માણસ થોડોઘણો પણ વેરાન ન હોય એવું તો બને જ કેવી રીતે?*

*લોગ ઇનઃ*


ચાલ વર્ષો બાદ આજે સાથ બેસી ઓસરીમાં;
ને અબોલા એકસાથે ચલ ઉલેચી ઓસરીમાં.
એકબીજામાં રહેલાં રણ જરા ખંખોળીએ તો,
થાય સ્મરણોની ઘણીયે રેત ભેગી ઓસરીમાં.
જોઈએ શું નીકળે છે આંસુડાં કે મોતીડાંઓ?
આજ મેં વર્ષો જૂની ખોલી છે પેટી ઓસરીમાં.
વિશ્વની ગલીઓમાં થઈને ને રસ્તામાં થઈને,
છેવટે આવીને અટકી એક કેડી ઓસરીમાં.
બસ હવે ઘરને સજાની જેમ ભોગવતી રહે છે,
‘ભગ્ન’ બેઠી છે જુઓને થઈને કેદી ઓસરીમાં.

                                                – જયશ્રી મરચન્ટ

અત્યારનો સમય વનબીએચકે, ટુબીએચકે કે ડ્રોઇંગરૂમ, કીચન વગેરે શબ્દો સાથે પનારો પાડી રહ્યો છે, ત્યારે આ બધામાં ઓસરી તો જાણે સાવ ઓસરી ગઈ છે. આવા સમયમાં જયશ્રી મરચન્ટ ‘ઓસરી’ જેવી રદીફ રાખીને ગઝલ લખે એ નોંધનીય છે. જયશ્રી મરચન્ટ મૂળ અમેરિકા રહેવાસી, પણ શ્વાસ ગુજરાતી લે છે. ગદ્ય અને પદ્ય બંને કેડી પર તેમની કલમ વિહાર કરે છે. આ ગઝલ તમે જોશો એટલે તેમની કલમમાં રહેલી ગુજરાતી સુગંધ આપોઆપ અનુભવાશે. ફ્લેટમાં કે ટેનામેન્ટમાં કે બંગલોમાં મોટેભાગે આગળના મોટા રૂમને ડ્રોઇંગરૂમ કહેવામાં આવે છે, જ્યારે ગામડામાં ઘરના આવા પ્રથમ મોટા રૂમને ઓસરી કહેવામાં આવે છે. જ્યાં બધા આવે, બેસે, વાતો કરે… ગામડાના ઘરનાં મોટાભાગનાં કામ ઓસરીમાં બેસીને થતાં હોય છે. ઘરના મોભી હોય, બાળક હોય કે સ્ત્રી હોય. ઓસરી દરેક પ્રસંગની પ્રત્યક્ષ સાક્ષી હોય છે. ઓસરીને રદીફ તરીકે રાખીને ગઝલ લખવાની વાત જ આકર્ષક છે. કેટકેટલી ઘટનાની સાક્ષી હોય છે ઓસરી!

પ્રથમ શેરમાં જ કવયિત્રી વર્ષો બાદ ઓસરીમાં બેસવાની વાત કરે છે. અર્થાત વર્ષો સુધી પોતાના પ્રિયજન સાથે ઓસરીમાં બેસાયું નથી. માત્ર બેસાયું નથી એટલું જ નહીં, તેમની સાથે કોઈ વાતચીત પણ નથી થઈ. કેમકે બેસીને વર્ષોનાં અબોલા તોડવાના છે. વર્ષો સુધી વાતચીત ન થઈ હોય એટલે શક્ય છે કે ખાલીપાનું એક રણ જમા થઈ ગયું હોય ભીતર! આ રણની રેતી તો જ ઉલેચાય જો કોઈ શબ્દોનું ઓજાર કામ કરે! અને એટલા માટે જ કદાચ બીજા શેરમાં તેમણે એકબીજામાં રહેલા રણ ઉલેચવાની વાત કરી છે. દરેક માણસમાં નાનું મોટું રણ હોય જ છે. કોઈ માણસ રણ વિનાનો નથી હોતો. રણ એ વેરાનીનું પ્રતિક છે. કોઈ માણસ થોડોઘણો પણ વેરાન ન હોય એવું તો બને જ કેવી રીતે? કવયિત્રી અહીં એકબીજામાં રહેલા રણ ખંખોળવાની વાત કરે છે અને રણમાં રેત સિવાય હોય પણ શું? વર્ષો પછી ફળિયે બેસીએ, વર્ષોના અબોલા તોડીએ, અબોલા તોડીએ તો સ્મરણ તાજાં થાય, અને સ્મરણ તાજાં થાય તો ભીતર રહેલા ખાલીપાની રેત આપોઆપ ખરે ઓસરીમાં!

સ્મરણોની વાત નીકળે એટલે સહેજમાં ઓછું પતે! પછી તો ઉર્દૂ શાયર કફીલ આઝર અમરોહવીએ કહ્યું છે તેમ, ‘બાત નીકલેગી તો બહોત દૂર તલક જાયેગી…’ સ્મરણોની પેટી આપોઆપ ખૂલવા લાગે છે. એમાંથી આંસુ નીકળે કે મોતી એ તો પેટી ખૂલ્યા પછી જ ખબર પડે. ‘આંસુડાં’ અને ‘મોતીડાં’ જેવાં શબ્દો મોટેભાગે ગીતમાં વધારે સારાં લાગતાં હોય છે, અહીં ગઝલમાં કહેવાયાં હોવા છતાં તે નડતાં નથી. વળી તે એક સ્ત્રી દ્વારા કહેવાયાં છે એટલે વધારે સોહામણા લાગે છે.

માનવી આખા વિશ્વમાં ગમે ત્યાં ફરે, રખડે પણ તેની અંતિમ કડી તો ઘર જ હોય છે. આ જ વાત જયશ્રી મરચન્ટ અહીં ઓસરીના રેફરન્સથી કરે છે. કેડી તો આખા વિશ્વમાં ભમીને આવી, પણ અટકી ક્યાં? તો કહે ઓસરીમાં. અહીં અટકવાની સાથે ઓગળવાની વાત છે. કેડી ઓસરીમાં ઓગળી જાય છે.

ઘર ક્યારેક સજા જેવું બની રહેતું હોય છે. તેનું કોઈ એક કારણ નથી હોતું, હજારો કારણો હોય છે અને એ દરેક કારણ વ્યક્તિગત હોય છે. કવયિત્રી અહીં પોતાના જ ઘરને સજાની જેમ ભોગવતાં રહે છે અને પોતે કેદીની જેમ ઘરની ઓસરીમાં બેઠાં છે. આપણી આંખ સામે કોઈ ઉદાસ વ્યક્તિ ઓસરીમાં બેઠી હોય તેવું એક ચિત્ર ઊભું થાય છે. શેરમાં રહેલી ઉદાસી ભાવકના આંખ સુધી પહોંચે છે. આ આખી ગઝલ ઓસરીમાં બેઠેલી ઉદાસી જેવી છે. અમેરિકામાં રહીને પણ ગુજરાતીપણું છલકાવતા જયશ્રી બહેનની આવી કવિતાઓ અહીં ગુજરાતમાં રહેતા અનેક ભાવકોના હૈયાં સુધી પહોંચે એવી છે. તેમની જ એક બીજી ગઝલથી લેખને લોગ આઉટ કરીએ.

*લોગ આઉટ –


એ હતો મુશ્કેલ કે સારો સમય પણ નીકળી ગયો,
તારી સાથોસાથ બસ મારો સમય પણ નીકળી ગયો.
સ્વાદ બદલાતા રહ્યા કાયમ પળેપળ જિંદગી તણા,
નીકળ્યો મીઠો સમય, ખારો સમય પણ નીકળી ગયો.
આપણે ધાર્યો હતો એ પણ ટક્યો છે ક્યાં કદીય પણ?
ધારવાવાળો કે નોંધારો સમય પણ નીકળી ગયો.
સાથમાં વીત્યો હતો, એકાંતમાં વીત્યો હતો અને,
દૂર રહીને સાવ પરબારો સમય પણ નીકળી ગયો.
આ ગઝલ વાંચી જરા, માણી જરા, મમળાવી સ્હેજ તેં,
તો ગઝલની સાથ બસ તારો સમય પણ નીકળી ગયો.

જયશ્રી મરચન્ટ

અંતરનેટની કવિતા – અનિલ ચાવડા

એક વૃક્ષનો વીમો

લોગ ઇનઃ

આજે ગઈ’તી હું એલઆઈસીની ઑફિસમાં,
ઇન્સ્યોરન્સ લેવા, મારા પ્રિય ઝાડનું!

દેખાય આશ્ચર્ય ઓફિસરની આંખ મહી…

પૂછેઃ ‘ઇન્સ્યોરન્સ? એક ઝાડનું?’

પણ, એ માત્ર વૃક્ષ નથી,
વૃક્ષ રૂપે અવતરેલ ઋષી છે.
સ્વજન છે મારું…
એનો વીમો તો ઉતરાવાયને?
ચક્રવાત, વરસાદમાં એને કાંઈ થઈ જાય તો?

ઓફિસર પૂછે વીમાની કીમત…

કરો સરવાળોઃ

રોજ સવારે એનાં પાંદડાંમાંથી ચળાઈને આવતા સૂર્યનાં કિરણો દ્વારા મારા આંગણામાં પુરાતી રગોળી…
એ મસ્ત ઠંડક આપનારો છાંયડો…
પક્ષીઓનો કલરવ,
ખિસકોલીઓનો દોડાદોડ અને ઉછળકૂદ
વાંદરાઓનું તોફાન,
નવી ઊગતી કૂંપળનું વિસ્મય,
અને એક સ્વજનની હૂંફ!

ઓફિસર નિઃશબ્દ!

વીરલ જોશી

વીમા જેવા વિષય પર ઓછી કવિતા લખાઈ છે. આપણે ત્યાં કાર, સ્કૂટર, ઘર જેવાં સાધનોનો વીમો સહજતાથી લેવાય છે. માણસના જીવન વીમા ને મેડિકલ વીમા ને એવા બધા તો અનેક વીમાઓ છે, પણ અહીં કવયિત્રી વીરલ જોશી વૃક્ષનો વીમો લેવાની વાત કરે છે. વૃક્ષનો વીમો લેવાની વાત સંવેદનશીલ છે. આવો વિચાર કોઈ કવિહૃદયને જ આવી શકે. લાભશંકર ઠાકરે વૃક્ષ નામનું એક એકાંકી લખેલું. તેમાં એક માણસ અચાનક વૃક્ષ થઈ જાય છે. તેના શરીર પર કૂંપળો ફૂટવા લાગે છે. ઘરના બધા જ લોકો ચિંતા કરવા લાગે છે, દુઃખી દુઃખી થઈ જાય છે. આ ઘટના સમાચાર જગતમાં વાયુવેગે પ્રસરે છે. બધા જોવા આવે છે અને તેમાંથી ઘરનાને કમાણી થવા લાગે છે. શરૂઆતમાં આવી ઘટનાથી બધા દુઃખી થઈ ગયા હતા, હવે એ જ ઘટનાને કેશ કરી રહ્યા છે. આખરે એટલા બધા પૈસા આવી જાય છે કે ઘર મોટું કરવામાં તેમને આ જ વૃક્ષ નડે છે અને કાપવાની નોબત આવે છે. કવિને અને વૃક્ષને સીધો સંબંધ છે. કવિ વૃક્ષનું પ્રતિક લઈને અનેક સંદર્ભોની વાત કરતો હોય છે. વૃક્ષ એ સંવેદનાનું હાથવગું અને જીવંત પ્રતીક છે.

વીમો લેનાર માણસો જાણતા હશે કે વીમા એજન્ટો કઈ રીતે વાત કરતા હોય છે. તેમની વાતો રસપ્રદ હોય છે. એ આપણને એમ પૂછે કે ક્યારે વીમો લેવો છે, જાણે એમ પૂછતા હોય કે ક્યારે મરવાનું છે! પછી આગળ ઉમેરે કે તમારી વાઇફનો પણ વીમો સાથે સાથે લઈ જ લોને. એક સાથે બે રિસ્ક કવર થઈ જશે. તમે મરશો તો તમારી પત્નીને ફાયદો થશે ને પત્ની મરશે તો તમને! અને બંને મરશો તો બાળકોને! આ બધું એ એટલી સહજતાથી બોલતો હોય કે જાણે એક કપડું ફાટે તો બીજાને થીંગડું થશે ને બીજું ફાટે તો પહેલાને! આજકાલ અનેક જાતના અને અનેક ભાતના વીમાઓ અપાય છે. એ જોતા લાગે છે કે અમુક કવિસંમેલનમાં જતાં પહેલાં શ્રોતાઓએ વીમો ઉતરાવી લેવો જોઈએ.

અહીં કવયિત્રીના સ્વજન સમા વૃક્ષના વીમાની વાત છે. તે ઓફિસરને જઈને કહે છે કે મારે મારા પ્રિય ઝાડનું ઇન્સ્યોરન્સ લેવું છે. સ્વાભાવિક છે કે ઝાડના ઇસ્યોરન્સથી વીમા ઓફિસરને આશ્ચર્ય થાય જ. પ્રશ્ન પણ થાય કે વૃક્ષનું ઇન્સ્યોરન્સ? તેણે તો કાયમ બીજા પ્રકારના જ ઇન્સ્યોરન્સ ઉતાર્યા હોય. પણ વીરલ જોશી જણાવે છે કે તે વૃક્ષ, વૃક્ષ નથી, મારું સ્વજન છે. વરસાદ, ચક્રવાતમાં તેને કંઈ થઈ જાય તેની મને ચિંતા છે. એટલે સ્વજનનો વીમો તો ઉતારવો જ પડે ને?. ઓફિસર બાપડો પોતાની ડ્યૂટીમાં આવતું હોય તેમ પછી પૂછે બેસે કે ઠીક છે તો પછી વીમાની કીમત શું નક્કી કરવી? તેના આવા સવાલ સામે કવયિત્રી કીમત રજૂ કરે છે. પાંદડામાંથી ચળાઈનો આવતાં સૂર્યકિરણો, તેના દ્વારા પુરાતી રંગોળી, છાંયડો, પંખીઓનો કલરવ, ખિસકોલીઓની દોડાદોડ, વાંદરાની ઉછળકૂદ, કૂંપળનું વિસ્મય અને એક સ્વજનની હૂંફ!

આ બધું સાંભળ્યા પછી ઓફિસર નિઃશબ્દ થઈ જાય છે. આ બધાની કીમત તો ક્યાંથી આંકી શકાય? એક વૃક્ષ પાસેથી માણસને કેટકેટલું મળતું હોય છે. અત્યારનો સમય જ એવો છો કે પહેલાં નવાં બિલ્ડિંગો બનાવવા માટે બધાં જ વૃક્ષો કાપી નાખવામાં આવે છે અને પછી વૃક્ષારોપણનાં અભિયાનો ચલાવવામાં આવે છે! આવા સમયમાં વૃક્ષમાં પોતાના સ્વજનને જોતી વ્યક્તિને તેનો વીમો ઉતારવાનો વિચાર આવે તે સ્વાભાવિક છે. વીરલ જોશી વિદ્યાર્થિની છે, પણ તેમની કવિતામાં પક્વતા છે. તેમની કવિતાની ડાળ પર માંડ થોડીક કૂંપળો ફૂટી હશે, પણ તેમાં રહેલી સંવેદના તેમનું જમાપાસું છે. વૃક્ષનો વીમો ઉતારવાનો વિચાર કવિને જ આવી શકે.

લોગ આઉટઃ

ઘર સળગે તો વીમો લેવાય,
સપનાં સળગે તો શું કરવું?

– ગણપત ચાવડા

અંતરનેટની કવિતા-(૧૨) – અનિલ ચાવડા

બાળપણમાં ઉખાણાની રમત રમી હોય એવું કોઈને યાદ છે?

લોગ ઇનઃ

સરસ સરોવર એક, ભર્યું છે નિર્મળ નીરે,
પીએ નહીં કોઈ પંથી, હંસ નવ બેસે તીરે.

તે સર સમીપ જાય, બૂડે જન જોતાં ઝાઝા,
દુઃખ ન પામે દેહ, રહે તરબીબે તાજા.

કવિ શામળ કહે કારમું, હોંશીજનને હિત હશે,
સ્વામી લાવો સોહામણું, તો સોળે પૂરા થશે.

શામળ ભટ્ટ

શામળ ભટ્ટ આપણા મધ્યકાલીન સમયના કવિ. મદ્યકાલીન સમયમાં તેમણે રચેલી પદ્યવાર્તાઓ ખૂબ જ લોકપ્રિય હતી. તેમનો વ્યવસાય કથાકારનો હતો. આજે જેમ મોરારિબાપુ રામકથા કરે છે, તેમ એ સમયે શામળ ભટ્ટ પદ્યવાર્તાઓ કહેતા. તે સમયે મનોરંજનના વિશેષ સાધનો હાથવગાં નહોતા. લોકો આખા દિવસના કામથી પરવાર્યા પછી સાંજે આ વર્તાઓ સાંભળવા ઉમટતા. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશકાળની પૌરાણિક કથાઓનો આધાર લઈને શામળ ભટ્ટ સુંદર વાર્તાઓ રચતા. એ વાર્તામાં પોતાની મૌલિક કથનકળા અને કલ્પનાકળા તેઓ ઉમેરતા. આ વાર્તાઓનો મુખ્ય આશય સમાજને મનોરંજન સાથે બોધ આપવાનો રહેતો. વાર્તાઓમાં ઘણી વાર ઉખાણાં પણ આવતાં. કાવ્યસ્વરૂપે આવતાં આ ઉખાણાં લોકોની બુદ્ધિને કસતાં. વાર્તામાં રહસ્ય જગવતાં. આજનાં બાળકોને જોકે ઉખાણાં સાથે વિશેષ નિસબત નથી, તેમને રાય્મ્સ અને ગેમ સાથે ઘરોબો છે. તેમને મોબાઈલ સાથે મૈત્રી બંધાઈ ગઈ છે. આ મૈત્રી બીજી રમતોને જલદી નજીક આવવા દેતી નથી. પહેલાંના સમયમાં રમાતી ઉખાણાની બૌદ્ધિક રમત બાકળોમાંથી આજે ગાયબ થઈ ગઈ છે. બાળપણમાં ઉખાણાની રમત રમી હોય એવું કોઈને યાદ છે? આજના અમુક યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધોને બાળપણમાં રમેલી ઉખાણાની રમતો યાદ હશે. કેટકેટલાં ઉખાણાં પૂછાતાં, ગમ્મતો થતી. ખૂબ મજા પડતી. એક જનાવર એવું, પૂંછડે પાણી પીતું’, ‘કૂવામાં કોષ તરે. જેવાં અનેક ઉખાણાં પૂછાતાં.

ઉપરની કવિતા ઉખાણાં સ્વરૂપે છે. આપણે મગજ કસીને નક્કી કરાવનું છે કે એ ઉખાણું શેનું છે? કવિએ તો વાત કરી દીધી કે એક સરસ સરોવર છે, તેમાં નિર્મળ નીર ભર્યું છે, પણ એ નીર કોઈ પી શકતું નથી. એ સરોવરને આરે આવીને કોઈ હંસ પણ બેસતા નથી. કોઈ પંખી પણ આવતાં નથી એવું કહીને કવિએ જિજ્ઞાસા જગાવી છે. વળી આ સરોવરમાં અનેક લોકો ડૂબી ગયા છે એવું કહીને રહસ્ય પણ ઊભું કર્યું છે.

આ ઉખાણું અરીસા વિશેનું છે. અરીસો નિર્મળ અને સ્વચ્છ સરોવર જેવો હોય છે. તે સરોવરનો આભાસ ઊભો કરે છે. આપણે ત્યાં કવિતામાં અરીસાને સરોવર જેવો કે સરોવરને અરીસા જેવું ઘણી વાર કહેવામાં પણ આવ્યું છે, પણ અરીસારૂપી સરોવરનું પાણી કોઈ પી થોડું શકે?  તેના કિનારે કોઈ પંખી ઓછાં બેસવાં આવે? વળી અરીસામાં જોઈને પોતાના રૂપની પાછળ ઘેલા થનારા આપણે ત્યાં ક્યાં ઓછા છે! સરોવરમાં ડૂબવાની વાત અરીસામાં જોઈને પોતાની જ પાછળ ઘેલા થવાની છે. પોતાના જ પ્રેમમાં પડવાની વાત તો ઘણી જૂની છે. હજારો વર્ષ પહેલાં નાર્સિયસ નામનો એક માણસ હતો. તે ખૂબ જ રૂપાળો હતો. પણ તે વખતે અરીસાની શોધ નહોતી થઈ. તેણે પોતાને ક્યારેય જોયો નહોતો. તેને જોઈને ઇકો નામની એક સુંદર યુવતી તેના પ્રેમમાં પડી હતી. પણ નાર્સિયસે તેને ઠુકરાવી દીધી, ધીરે ધીરે તે દુબળી પડતી ગઈ, એ હદે દુબળી પડી ગઈ કે તેનું શરીર સાવ જતું રહ્યું, માત્ર તેનો અવાજ જ બચ્યો. કદાચ આજે અવાજ માટે ઇકોસાઉન્ડ શબ્દ વપરાય છે, તે ત્યાંથી આવ્યો હોય તો નવાઈ નહીં! આ નાર્સિયસ એક દિવસ એક શાંત સરોવરમાં પાણી પીવા માટે ઉતર્યો. સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને પોતાના જ પ્રેમમાં પડી ગયો. તે ચુંબન કરવા ગયો, ત્યાં તેનું પાણીમાં રહેલું પ્રતિબિંબ વમળોમાં વિખરાઈ ગયું. આવું વારંવાર થયું. તે ન પાણી પી શક્યો કે ન પોતાના પ્રતિબિંબને ચૂમી શક્યો. આખરે તરસને લીધે તેનું મૃત્યુ થયું. અરીસો પણ આપણને આપણા પ્રેમમાં પાડે છે, તેના આ ભેદી જાદુથી બચવા જેવું ખરું. પરંતુ આ ઉખાણાને અંતે કવિ સ્વામી લાવો સોહામણું, તો સોળે પૂરા થશે. એવું કહી પતિ પાસે અરીસો મગાવતી નાયિકા દ્વારા અરીસાથી યૌવનને પૂર્ણતા મળે છે તેવો પણ સંકેત કરે છે.

ઉખાણું માણસની બુદ્ધિને કસે છે. ઉખાણાં રચનારની એ જ તો કળા છે કે તેનો રચનાર તમને દિશા ચીંધે છે, રહસ્ય જગવે છે, ભરમાવે પણ છે. આજના સમયમાં અમુક જિગર જોષી પ્રેમ જેવાં બાળસાહિત્યમાં ખેડાણ કરતાં સાહિત્યકારો ઉખાણાં રચી રહ્યા છે તે સારી વાત છે. શામળના ભટ્ટના આ ઉખાણાની વાત કર્યા પછી, થોડાક ઉખાણાંથી જ લેખને લોગઆઉટ કરીએ.

લોગ આઉટઃ

રાતે જુએ ને દિવસે અંધ, પાસે જાઓ તો મારે ગંધ,
પગ ઉપર ને નીચે અંગ, કાળો મેશ જેવો છે રંગ.

(ચામાચીડિયું)

બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ,
જે કોઈ આવે વચમાં, કપાઈ જાય એની કચકચમાં.

(કાતર)

હવા કરતા હળવો હું, રંગે બહુ રૂપાળો છું,
થોડું ખાઉં ધરાઈ જાઉં, વધુ ખાઉં તો ફાટી જાઉં.

(ફુગ્ગો)

શરીર નહીં પણ જન્મે ખરી, મોં નહીં પણ કરે અવાજ,
હાથ મહીં વસવાટ કરે, જન્મી એવી ઝટ મરે.

(ચપટી)

અંતરનેટની કવિતા- (૧૧) – અનિલ ચાવડા

એકવાર યમુનામાં આવ્યું ‘તું પુર

લોગ ઇનઃ

એકવાર યમુનામાં આવ્યું’તું પુર,
મથુરાથી એક વાર માથે મૂકીને કોક લાવ્યું’તું વાંસળીના સુર,

પાણી તો ધસમસતા વહેતાં રહેને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો,
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો;

ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં બાઝી રહ્યાં છે નુપૂર…
એકવાર યમુનામાં આવ્યું’ પુર…

જુકેલી ડાળી પર જુક્યું છે આભ કંઈ જોવામાં થાય નહીં ભૂલ,
એવું કદંબવૃક્ષ ઝૂલે છે, ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ?

પાણી પર અજવાળું તરતું રહેને એમ આંખોમાં ઝલમલતું નૂર…

એકવાર યમુનામાં આવ્યું’તું પુર…

કાંઠો તો યમુનાનો, પૂનમ તો ગોકુળની, વેણ એક વાંસળીનાં વેણ,
મારગ તો મથુરાનો, પીંછું તો મોરપીંછ, નેણ એક રાધાનાં નેણ…

એવાં તે કેવા કહેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર…

એકવાર યમુનામાં આવ્યું’તું પુર…

માધવ રામાનુજ

કૃષ્ણજન્મનો તહેવાર આપણે ત્યાં ખૂબ ધામધુમથી મનાવવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં અનેક કૃષ્ણકાવ્યો લખાયાં છે. ગુજરાતી ભાષામાં જ કેમ? ભારતની અનેક ભાષામાં કૃષ્ણભક્તિએ સાહિત્યનો ઘણો ખરો ભાગ રોક્યો છે. નરસિંહ મહેતાએ પોતાનાં મોટાભાગનાં પદોમાં કૃષ્ણપ્રેમ ગાયો છે, મીરાં તો કૃષ્ણની પ્રેમદીવાની હતી. તેણે તો કૃષ્ણને જ જીવન સમર્પિત કરી દીધું હતું. મધ્યકાલિન સાહિત્યમાં ભક્તિરસથી છલકાય છે. અર્વાચીન અને આધુનિક સમયમાં પણ કૃષ્ણ હંમેશાં બિરાજમાન રહ્યા છે. માધવ રામાનુજે કૃષ્ણજીવનની ઘટનાઓને કવિતામાં જરા અલગ સૌંદર્યથી નિરૂપી છે. તેમનું આ ગીત ખૂબ જ જાણીતું છે.

કૃષ્ણજન્મનો ઉત્સવ એ યમુનામાં આવેલા પુરની વાત છે, મથુરાથી માથે મુકાઈને આવેલી એક ટોપલીની વાત છે, ટોપલીમાં મુકાઈને આવેલા વાંસળીના સુરની વાત છે. કૃષ્ણજન્મ થયો છે, એવી સીધી જ વાત કરવી હોય તો કવિતા કરવાની જરૂર ક્યાં છે? કવિને તો આ વાત વધારે વિશેષ રીતે કહેવી છે. સમગ્ર ઘટનાના ભાલ ઉપર કૃષ્ણજન્મની મહત્તાનું તિલક કરવું છે. એટલે માટે જ તો મથુરાથી માથે મૂકીને કોઈ વાંસળીના સૂર લાવ્યું હતું એમ કહે છે. મૂળ ઘટના શું છે તે આપણે બધા જ જાણીએ છીએ. દેવકીએ તેના આઠમા સંતાનને જન્મ આપ્યો અને કંસ તેને મારવા આવે તે પહેલા જ વાસુદેવ તેને લઈને ગોકુળ નીકળી પડે છે. પુષ્કળ વરસાદ પડી રહ્યો છે, વચ્ચે યમુનામાં પુર આવ્યુ છે, પણ મનોજ ખંડેરિયાએ લખ્યું છેને- ટોપલીમાં તે જ લઈ નીકળી પડે, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. કૃષ્ણ ગોકુળ પહોંચી ગયા. આ ઘટના આપણાથી જરા પણ અજાણી નથી, પણ જ્યારે માધવ રામાનુજ મથુરાથી માથે મૂકીને વાંસળીના સુર લાવવાની વાત કરે ત્યારે એ જ ઘટના એક જુદી આંખથી દેખાય છે. કૃષ્ણ હોય અને વાંસળી ન હોય એવું તો ક્યાંથી બની શકે? અહીં કવિ વાંસળીને બદલે સુદર્શન પણ કહી શક્યા હોત, પણ તેમને કૃષ્ણનું એ રૂપ નથી દર્શાવવું, તેમને તો કૃષ્ણજન્મનું સૌંદર્ય વ્યક્ત કરવું છે. એટલે જ તેમણે વાંસળીના સુરની વાત કરી છે. કૃષ્ણજન્મના આ સમાચારથી ચારેબાજુ આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું છે. પાણીની જેમ ગોકુળમાં વાત વહેતી થઈ ગઈ છે. તેના લીધે જાણે ફળિયું, શેરી, પનઘટ, હયું બધે જ નુપૂર બાજી રહ્યાં છે.

કવિતાના બીજા બંધમાં જાણે પરોક્ષ રીતે ગોપીઓના વસ્ત્રની કૃષ્ણ દ્વારા થયેલી ચોરીનો આછો સરખો સંકેત કવિ કરતા હોય તેવું લાગે છે. ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ? ડાળી પર ગોપીઓનાં વસ્ત્રો ફૂલ જેવાં શોભી રહ્યાં છે. પાણી પર અજવાળાં જેમ ગોપીઓની આંખમાં નૂર ઝલમલ થઈ રહ્યું છે.

કાંઠો તો યમુનાનો, અર્થાત તેના જેવા અન્ય કોઈ નદીના કાંઠા ન હોઈ શકે તેવું નથી, પણ અહીં યમુનાના કાંઠાને વિશેષ મહત્ત્વ અપાયું છે, કૃષ્ણના સંદર્ભમાં! પૂનમ પણ ગોકુળની, બીજી નહીં, કેમકે કૃષ્ણએ ગોકુળવાસીઓની અનેક પૂનમને પોતાની હાજરીથી વધારે રળિયાત કરી છે. વેણ તો વાંસળી સિવાય બીજા ક્યાંથી હોઈ શકે, અને સ્વાભાવિક છે કે એ વાંસળી કૃષ્ણના હોઠથી ફુંકાતી હોય! મારગ મથુરાનો એટલા માટે કે તે મારગે કૃષ્ણ જાય છે. મોરપીચ્છ બાળકૃષ્ણના માથે આપણે હંમશાં જોયું છે. અને રાધાના નેણમાં કૃષ્ણ માટે પ્રેમનો છલકાતો આખો સાગર છે. એના સિવાય અન્ય નેણનો અહીં સદર્ભ પણ ટંકાય ક્યાંથી? પણ કૃષ્ણને જવું પડે તેમ છે, તે મથુરા જાય છે. કહેણ આવ્યાં છે. પ્રશ્ન સાથે કવિતા પૂર્ણ થાય છે- એવા તે કેવા કહેણ, જે દૂર દૂર લઈ ગયા…  આખી કવિતા બાળકૃષ્ણ યમુના પાર કરીને ગોકુળ આવ્યા અને મથુરાની વાટે વિદાય લીધી ત્યાં સુધીનો આછો પ્રવાસ છે. સરળતા, સહજતા, ગેયતા આ કવિતાનો પ્રાણ છે.

લોગ આઉટઃ

ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા,
વર્ષોથી જે ના કીધું તે હવે કહું છું, ‘સોરી રાધા!’

હવે મળે તો સાથે રહું ને ગોકુળ હું ના છોડું,
યમુના તીરે સેલ્ફી લઈને ટ્વિટર ઉપર ચોડું.

તને સમયના સ્ક્રીન ઉપર મેં મોરપીંછથી દોરી રાધા!
વર્ષોથી જે ના કીધું તે હવે કહું છુ, ‘સોરી રાધા!’
– અક્ષય દવે

અંતરનેટની કવિતા – (૧૩) – અનિલ ચાવડા

શ્વાસની છેલ્લી સફરમાં એકલો છું

લોગ ઇનઃ

શ્વાસની છેલ્લી સફરમાં એકલો છું,
હું હવે મારા નગરમાં એકલો છું. Continue reading અંતરનેટની કવિતા – (૧૩) – અનિલ ચાવડા

ગઝલઃ    “..બેસ..!” – ગઝલઃ અનિલ ચાવડા – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગઝલઃ    “..બેસ..!”

બેસવાનું દે વચન તો પાળ, બેસ!
થઈ શકે તો તું જવાનું ટાળ, બેસ! Continue reading ગઝલઃ    “..બેસ..!” – ગઝલઃ અનિલ ચાવડા – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરનેટની કવિતા – (૯) – અનિલ ચાવડા

‘જેટલા ઘસાવ એટલી મહેક આવે’

લોગ ઇનઃ

સ્હેજ જો હળવાશ છે? તો કર કવિતા!
હોઠ ઉપર હાશ છે? તો કર કવિતા! Continue reading અંતરનેટની કવિતા – (૯) – અનિલ ચાવડા

અંતરનેટની કવિતા – (૮) – અનિલ ચાવડા

જાતને મળવા તમારે એકલા પડવું પડે

લોગ ઇન

જાતને મળવા તમારે એકલું પડવું પડે,
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે. Continue reading અંતરનેટની કવિતા – (૮) – અનિલ ચાવડા