Category Archives: કવિતા/ગીત

“ઊડો તો કેમ…?” – કાવ્ય – જયશ્રી વિનુ મરચંટ

ઊડો તો કેમ…? – કાવ્ય – જયશ્રી વિનુ મરચંટ

ઊડો તો કેમ, પંખીડા વ્હાલા!
કહો હવે તમે ઊડો તો કેમ?
ધુમ્મસિયું નભ ને કાળી છે રાત,
શોધો દિશા જો શોધો તો કેમ?
ઊડો તો કેમ, પંખીડા ઊડો તો કેમ….

વીંઝવું તો છે આ આખુંય નભ,
પણ, પાંખી પડી ગઈ પાંખો!
અજવાળું ખોવાણું જાણે ક્યાં જઈ,
સૂરજયે પડ્યો છે હવે ઝાંખો!
સમયના આ ચૂકાદા ચૂકવો તો કેમ..?
——ધુમ્મસિયું નભ ને…..

નીચા છે નેજવા ને નીચી છે છત,
ને નીરની આંખોમાં ક્યાં છે અછત?
ભીનાશના ઊભરાતા દરિયા મહીં,
ડૂબવાની અમને તો લાગી છે લત!
વહેતી આ ધારાને સાહેબા રોકો તો કેમ…
——-ધુમ્મસિયું નભ ને……
—–ઊડો તો કેમ…….

મિત્રો સાથે વાતો…કાવ્યો અને લઘુકથા

                     મિત્રો સાથે વાતો…કાવ્યો અને લઘુકથા

Continue reading મિત્રો સાથે વાતો…કાવ્યો અને લઘુકથા

કોરોના ક્રૂર આ કારમો  – કવિતા – નટવર ગાંધી 

કોરોના ક્રૂર કારમો 

નટવર ગાંધી 

છેલ્લા કેટલાક મહિનાઓથી ટીવી, રેડિયો, અને છાપાંઓમાં દિવસ ને રાત કોરોના વાયરસ સિવાય બીજું કાંઈ દેખાતું કે સંભળાતું જ નથી. પણ ઇતિહાસમાં આવી વિનાશક ઘટનાઓ બનતી જ રહી છે. છેલ્લા સોએક વર્ષોમાં જ કૈંક ભૂખમરાઓ, ધરતીકંપ, જંગલોની આગ, પ્રલય સમા પૂર, અને ભયંકર વાવાઝોડાઓ થયા છે. જો કે આ બઘી હોનારતોમાં કોરોના વાયરસ કૈંક જુદો તરી આવે છે એનું એક કારણ એ છે કે એ વિશ્વવ્યાપી છે. તેમાંથી છટકવું મુશ્કેલ છે. એનાથી બચવા માટે ક્યાં જાવું? Continue reading કોરોના ક્રૂર આ કારમો  – કવિતા – નટવર ગાંધી 

જીવન -મૃત્યુ – સરયૂ પરીખ – રસદર્શનઃ વિજય શાહ

જીવન – મૃત્યુ

રૂઠતી  પળોને  સમેટતી  હું   શ્વાસમાં,
દુઃખના દીવામાં સુખવાટ વણી બેઠી છું.
ઘૂઘવતા  સાગરમાં   નાનીશી  નાવમાં,
હળવા  હલેસાંથી  હામ  ધરી  બેઠી  છું.

ઓચિંતા  ભમરાતી   ડમરીની   દોડમાં,
રજકણ  બની  અંક  આકાશે  ઊઠી  છું.
અંજળના  આંસુથી  આંખોની   આહમાં,
કરુણાનું   કાજળ  લગાવીને  બેઠી   છું.

ઉરના  સન્નાટામાં  લાગણીના  ગીતમાં,
ઝીણા  ઝણકારને  વધાવીને   બેઠી  છું.
નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
ક્યારનીયે મુજને  શણગારીને  બેઠી  છું.

સરી  રહ્યો સથવારો  મમતાના  મેળામાં
આજે  અજાણી,  પરાઈ બની  બેઠી  છું.
જીવન  પ્રયાણમાં ને  મંગલ  માહોલમાં,
હંસ જાય ચાલ્યો,  પિંજર થઈ  બેઠી  છું.
————      સરયૂ પરીખ

રસદર્શનઃ સરયૂબેનને ભાષાનો વારસો તો માતૃ પક્ષેથી ભરપુર મળ્યો છે અને આવા સુંદર કાવ્યો દ્વારા તેમાં પોતાનો કસબ પણ કેળવ્યો છે અને જાળવ્યો છે. ઢળતી ઉંમરે મૃત્યુ તો આવવાનું જ છે પણ તેનાથી ભય ભીત થયા વિના સમજણથી કહે છે,

રૂઠતી  પળોને….   દુઃખના દીવામાં સુખવાટ વણવી તે વાત કહેતાની સાથે તેમના અંતરમાં વિકસેલ આધ્યાત્મ ઝળકી ઉઠે છે.. આમ જુઓ તો વાત નાની છે પણ તે ઘુઘવતા સાગરમાં નાની શી નાવમાં હામ હળવા હલેસાથી ભરે છે. જે જાગ્રૂતિનું અને સમજણનું ઉંચુ પ્રતિક બને છે.

બીજી  પંક્તિમાં વાત તો એની એજ છે પણ રૂપક બદલાય છે

ભમરાતી ડમરીમાં રજકણ જેવું જીવન ઉંચે આકાશે ચઢી ગયુ છે. ભાઇ ભાંડુરા ,દીકરા દીકરી અને પતિની મમતા (અંજળ) આખોમાં જલન તો લાવે છે.. પણ કરુણાનાં કાજળ લગાવી રાહ જોઉ છું કે ક્યારે ડમરી શમે અને આકાશને આંબતી રજકણ ભોં ભેગી થાય ( મૃત્યુનું કેવું સરસ આલેખન!)

ત્રીજી  પંક્તિ તો ઘણી જ સ્પષ્ટતા થી કહે છે,  

નક્કી છે આવશે… મૃત્યુ તો નક્કી આવશે જ પણ ઉરનાં સન્નાટામાં લાગણીનાં ગીતમાં ઝીણા એ ઝબકારને વધાવીને બેઠી છું..બધી લીલી વાડી છે..ઘણા સુખો અને દુઃખો ને જાણીને હવે મૃત્યુ તુ આવશે તો પણ હું તે ક્ષણને આવકારવા મારી જાતને શણગારીને બેઠી છું. આ તૈયારી જાતને જાણનાર અને મારા તારાથી પર થઈ શકે તેવા ઉચ્ચ સમજ્થી સજ્જ વિદુષી જ કરી શકે.

અને છેલ્લે જાણે મૃત્યુ થી તેઓ ભયભીત નથી તે વાતને ફરી દોહરાવતા કહે છે, સરી  રહ્યો…

જીવન પ્રયાણમાં હંસ ચાલ્યો જશે અને પીંજર અહીનું અહીં રહી જશે કહીને બહુ સાહજીકતાથી મમતાનાં મેળામાં અજાણી કે પરાઇ થઇને સહુને કહી રહ્યા છે કે, “નવ કરશો કોઇ શોક..”

સરયૂબેન સુંદર આત્મલક્ષી કવન રચી ને અમારા સૌનાં આપ માર્ગદર્શક બની રહ્યા છો…સલામ તમારા કવિ કર્મને.. વિજય શાહ.
——-

રિસામણાં – જયશ્રી વિનુ મરચંટ

આજના  સોશ્યલ મીડિયાના સમયમાં જો રાધા અને મીરાં કાનાથી રીસાય અને ફરિયાદ કરે  તો કેવી રીતે ? પણ કાનજી? એ તો બેઉને  પાછા મનાવે  તો કેવી રીતે? આ જ વાત આ રમતિયાળ ગીતમાં રજુ કરી છે.

રિસામણાં

રાધા તો કેમેય માનતી નો’તી,
ને વળી ઉપરથી મીરાં રિસાણી ઈ તો જુદું..!
રોઈ રોઈ આંખ્યું થઈ ટેભા જેવી,
ને બેઉ પાછી આંસુમાં ભીંજાણી ઈ તો જુદું…!
—–રાધા તો કેમેય….!

બેઉને કાના માથે એવી તો ખીજ,
લાગે કે ધિંગાણે ચડી નભમાં વીજ ઈ તો જુદું!
કાનાને સમજાય ન’ઈં એવું તે શું થયું?
બેઉ કાનાના મેસેજ કરે ડિલીટ ઈ તો જુદું…!
—–રાધા તો કેમેય….!

મીરાં કરે કાનાને ફેસબુકમાં ડી-ફ્રેન્ડ,
ને ઈન્સ્ટાગ્રામમાં લખતાં રાધારાણી ઈ તો જુદું..!
“ભામાને નામે કાનજી તમે કરો ટ્વીટ,
ને રુકમણીને નામે વેબસાઈટ આખી ઈ તો જુદું..!”
—–રાધા તો કેમેય….!

જવાબમાં મોકલે કાનો મલકતી સેલ્ફી,
“કીધું ન કશુંય ને સીધું આમ રિસાવું ઈ તો જુદું..!
આ સેલ્ફીમાં તમે તમને જ જોશો પણ,
આમ તમારું મને બહાર શોધવું ઈ તો જુદું..!”
—–રાધા તો કેમેય….!

મીણબત્તીની શોધાશોધ —– કવિશ્રી જગદીશ જોષી

હું એકાગ્ર ચિત્તે વાંચું છું
સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કઈંક ગર્જે છે.
દિવાલ પરનું ઈલેક્ટ્રીકલ ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટ્યૂબલાઈટનું સ્ટાર્ટર
તમરાનું ટોળું થઈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.

ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપલે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કુથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
ને, ઓચિંતો ફ્યુઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.

મારો આખો માળો અંધરોધબ….
નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે
“કાલિદાસ  ! તુકારામ ! અલ્યા નરસિંહ !
અરે, કોઈ તો
ઈલેક્ટ્રિશિયનને બોલાવો !”

બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે
“અરે ગિરિધર ! સાંભળે છે કે, —
પહેલાં મીણબત્તી તો લાવ….”

અને –
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં—–

મીણબત્તીની શોધશોધ ચાલે છે………..!

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

કવિશ્રી જગદીશ જોષી, વિષાદના કવિ, એમની કવિતામાં રેખાચિત્ર કે રૂપકોની સાથે અચાનક જ કાવ્યત્વસભર વેદનાની એકાદ આછી ટીસ આવે. પણ, એ ટીસ ઝીણું દર્દ બનીને વાંચનારના દિલમાં ચૂપચાપ ઘર કરીને બેસી જાય. આ ઝીણું દર્દ પાછું જાનલેવા નથી પણ એ દર્દીને જગાડવાનું કામ કરીને જીવને સધિયારો આપે છે, ઉમેદ આપે છે. દર્દને જગાડીને ભાવિ માટે આશાનો દિપક જલાવનારા વિષાદના કવિ શ્રી જગદીશ જોષીનું અત્યંત પ્રસિદ્ધ ગીત, “વાતેવાતે તને વાંકુ પડ્યું ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.” અહીં ટાંકવાનો મોહ જતો નથી કરી શકતી. એ ગીતની આ પહેલી પંક્તિમાં જ કેટલી સિફતથી વાત વિષાદની કરે છે પણ કઈંક છોડવાથી કઈંક સુધરી શકાશે એની તરફ એક subtle – નાજુક અને માર્મિક ઈશારો કરી જાય છે અને આ જ વાત વાચકના હ્રદય સોંસરવી ઊતરી જતાં વાંચનાર તરત જ કવિકર્મ સાથે અનાયસે જોડાઈ જાય છે.

કઈંક આવી જ પ્રક્રિયા આ “મીણબત્તીની શોધાશોધ” કાવ્યના અંત સુધી પહોંચતાં થાય છે. ઘરમાંથી આથમેલા પ્રકાશને સહજતાથી અને સિફતથી કવિ ચાલી, માળો અને દેશમાં લઈ આવે છે અને એ પહેલાં, જે શબ્દચિત્રો રચે છે, જે રૂપકો રચે છે તે પણ સાદી વાતવાતમાં જ સહજતાથી રચાયા છે. આપણી રોજિંદી જિંદગી જ્યાં સુધી એના નિત્યક્રમમાં આપણી આજુબાજુ, ફેમિલિયર વાતાવરણમાં એની ગતિથી ફર્યા કરે, ત્યાં સુધી આપણને કઈં ફરક પડતો નથી. આપણી ક્રિયા અને પ્રક્રિયાઓ પણ ગ્લોબલાઈઝશનના યુગમાં આપણી આસપાસના લોકો અને વાતાવરણ ની સાથે, પરસ્પર આધારિત બની ચૂકી છે. આમ બધાં જ એકલા છે અને આમ જુઓ તો સચરાચર સાથે એક રૂટિનના વર્તુળમાં, બધું એક નિશ્ચિત ધરી પર એની મેળે ચાલ્યા કરે છે, ત્યારે જ આપણને એક સલામતી અનુભવાય છે. એમાં કુથલી છે, રકઝક છે, રેડિયાનો ઘૉઘાટ છે, આજુબાજુવાળાની જરૂર વગરની બૂમાબૂમ પણ છે. જે પણ થઈ રહ્યું છે તે બધું જ દેખાય છે અને અંધકારની ગર્તામાં સરી નથી પડ્યું. પણ, જેવો સમજણની બત્તીનો ફ્યુઝ જાય છે કે આ વર્તુળની ધરી દેખાતી બંધ થાય છે. જેવું દેખાવાનું બંધ થાય છે તેવું જ અનુભવવાનું પણ બંધ થાય છે. કદાચ આજના આ જેટ યુગની આ દેન છે કે અનુભૂતિને પણ અનુભવવા માટે દ્રશ્યમાન હોવું જરૂરી છે. એક એવી પરિસ્થિતિ સર્જાય છે કે જેમાં ઘરના, માળાના, ચાલીના, દેશના સર્વે જે આપણી આજુબાજુ એક નિત્યક્રમની ધરી પર સતત ફરતાં હતાં, એની ગતિ ખોરવાય જાય છે. હવે તો આપણે માણેલું સુખ પણ અંધકારમાં વાગોળતાં ડરીએ છીએ. આપણી છ એ છ ઈન્દ્રિયોને પણ અજવાસ વિના માણી નથી શકતાં. પોતે પણ એક કોલાહલના સાગરમાં ડૂબીએ છીએ, સાથે, આજુબાજુવાળા બધાંને ડૂબાડીએ છીએ. આપણા આત્મજ્ઞાનનો ફ્યુઝ ચમકે અને એકાંતમાં અંદરના ઉજાસથી જોતાં શીખી શકીએ ત્યાં સુધી તો આપણે, આ અંધકાર દૂર કરીને, અંતરમાં જ્ઞાનની મીણબત્તીનો પ્રકાશ રેલાવા માટે આપણને કોની આવશ્યકતા પડે છે, એને કવિશ્રી જગદીશભાઈએ ખૂબ જ સરસ રીતે સેટાયરમાં કવિતા અને કવિતામાં કાવ્યસભર સેટાયર મૂકીને કવિત્વના ચરમ શીખરને આંબી લીધું છેઃ

“કાલિદાસ  ! તુકારામ ! અલ્યા નરસિંહ !
અરે, કોઈ તો
ઈલેક્ટ્રિશિયનને બોલાવો !”
બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે :
“અરે ગિરિધર ! સાંભળે છે કે, —
પહેલાં મીણબત્તી તો લાવ….”

કાલિદાસ, તુકારામ અને નરસિંહનું કામ તો ઈલેક્ટ્રીશિયનને આપણા સુધી લઈ આવવાનું છે જેથી કાયમી પ્રકાશ થાય પણ અંતરની મીણબત્તી આપવાનું કામ તો ગિરિધરનું છે. ગિરિધરને આપણે કહ્યા કરીએ છીએ કે “મીણબત્તી લાવ” અને ઘરમાં, ચાલીમાં, માળામાં ને પૂરા દેશમાં આપણે સહુની સાથે આ મીણબત્તીની શોધમાં લાગી જઈએ છીએ. કવિ અહીં બાકીની ખાસ વાત ભાવક પર છોડે છે કે કાલિદાસ, તુકારામ અને નરસિંહ તો ગુરૂકર્મ કરીને ફ્યુઝ રીપેર કરવા માટે રસ્તો બતાવશે, પણ આત્મજ્ઞાનની મીણબત્તી નહીં સળગે તો લાઈટ આવી જશે છતાં પણ અંતરમાં અંધારું જ રહેશે. આ આત્મજ્ઞાનની મીણબત્તી સુધી જવા ગિરિધરની આંગળી પકડવી જ રહી. ગિરિધરને મીણબત્તી માટે પૂછતાં પહેલાં આપણી સર્વે ઈન્દ્રિયોને સતેજ કરી લઈને ગિરિધરને આપણે સાંભળી શકીએ એ લાયકાત કેળવવાની આવશ્યકતા છે. આ લાયકાત માત્ર વ્યક્તિગત રીતે જ નહીં, પણ, સમસ્ત ઘરમાં, માળામાં, ચાલીમાં, નગરમાં અને આખા દેશમાં કેળવાય એ વિષે જાગરૂકતા ફેલાવવાની જવાબદારી સમાજ તરીકે અને વ્યક્તિ તરીકે આપણી જ છે. અહીં જે શોધાશોધ ચાલે છે તે આ જાગૃતિની છે. આ શોધાશોધ કરતાં એક દિવસ તો મીણબત્તી મળશે જ એનું છાનું સાંત્વન પણ છે. જગદીશભાઈ એમની કવિતાઓની લાક્ષણિકતા પ્રમાણે, અંધકારના નૈરાશ્યમાં અજવાળાના રહસ્યને સમજાવીને આશાનું કિરણ મૂકતા જાય છે અને એ જ આખી કવિતાનો ઉઠાવ છે. કવિશ્રી જગદીશ જોષીની આ “સીગનેચર” કવિતા આજે પચીસ-ત્રીસ વર્ષો પછી પણ આજના આ હાઈ-ટેક જમાનામાં પણ એટલી જ સાંપ્રત લાગે છે, જેટલી લખાઈ ત્યારે હતી. કદાચ, કવિતાનું આવું ચિરંજીવીપણું જ એક સક્ષમ અને ધરખમ કવિને સર્વકાલિન બનાવે છે અને વિશ્વસાહિત્યમાં અમરત્વ આપે છે. કવિશ્રી જગદીશ જોષીને સો સો સલામ!

ક્લોઝ-અપઃ
(અમૃતા પ્રીતમની પંજાબી કવિતાનો ભાવાનુવાદ)

“મેરી જિંદગીકી સફરકા સફરનામા
સિર્ફ ઈતના સા હૈ,
મૈં એક પ્યાસ લે કે બસ, ચલતી હી રહી ભરી ધૂપમેં
યે સોચકર કિ કભી તો યે ધૂપ ઢલ જાયેગી તો યે જલતી પ્યાસ ભી કમ હો જાયેગી
ફિર સોચા, અંધેરા હો ગયા તો?
મેરી પાસ તો મોમબત્તી ભી નહીં,
ઔર ઈતના હી નહીં
ઉસે જલાને કે લિયે
મેરી પાસ માચિસ કી ટીલી ભી નહીં!”

એનેસ્થેસીયા – હરીશ દાસાણી

(ભાઈશ્રી હરીશ દાસાણી  આંગણું માટે નવું નામ નથી. એક સહહ્રદયી વાચક સાથે હરીશભાઈ એક સંવેદનશીલ  સર્જક પણ છે.  વ્યવસાયે તેઓ  મેનેજર ઓફ સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડીયા,  સુરતમાં કામ કરતા હાત અને હવે નિવૃત્ત જીવન ગાળે છે. તેમની કવિતાઓ પરબ, શબ્દસૃષ્ટિ  કવિતા, ગઝલવિશ્વ, ધબક, એતદ્, અખંડ આનંદ, નવનીત, નિરીક્ષક, રંગ તરંગ, તથા મકરંદ દવે સંપાદિત ગઝલસંચય જેવા લબ્ધપ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહે છે. આકાશવાણી રાજકોટ પરથી કાવ્ય ધારા કાર્યક્રમમાં  તેમની કવિતાઓ પ્રસારિત થઈ છે.  એમની વાર્તાઓ કંકાવટી, નવચેતન, અખંડ આનંદ, સંકલ્પ, વગેરે સામયિકોમાં પ્રકાશિત થતી રહે છે.
પૂજ્ય દાદા-પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય પરિવાર સાથે ભકિતફેરી વગેરે પ્રવૃત્તિઓ પણ તેઓ કરતા રહે છે. એમને માટે એમના શબ્દોમાં કહીએ તો “જીવન અને કવિતા બંને આરાધ્ય.”
નીચેના કાવ્યમાં આજના આધુનિક સમાજની હવે વરવી થઈ ચૂકેલી માર્કેટિંગ ગ્રસ્ત જીવનશૈલી પર કવિ લાલબત્તી ધરે છે અને કઈ રીતે સમસ્ત અસ્તિત્વ અને ઈન્દ્રિયો પર હાવી થઈ જાય છે  એનો ચિતાર સાદા શબ્દોમાં પણ કાવ્યતત્વને સહજતાથી ખીલવા દઈને આપે છે.  આખી કવિતા બને છે, નીચેની આ પંક્તિઓમાંઃ
     “—-બધું જ ખંખેરીને આ ઊભો અહીં  ! ના. હું કોઇ સંત,સિદ્ધપુરુષ નથી.
આ માર્કેટિંગ જગતે મને એનેસ્થેસીયા દીધો છે  !”)
હા.
હવે કોઈ શબ્દોના
સ્પર્શ થતાં નથી.
કાન ફાટી જાય તેવા બોમ્બ
કે પછી
નરમાઈના -શરણાઈ સૂર.
બહેરા મન પર અથડાઇને
પાછા ફરે.
મોગરાની સુગંધ
એક બુદ્ધિ -વાદીએ
ગટરમાં નાખી.
મારી નજર સામે જ.
મને કંઈ ન થયું  !
ક્ષણ માત્રમાં
સુંદર રૂપ પર
પિશાચી વાસનાએ
કૂચડો ફેરવી દીધો.
છતાં હું તો સ્થિતપ્રજ્ઞ  !
હવે કયાં કંઇ ફરક પડે મને –
ગુરુનો ચરણસ્પર્શ;
મિત્રના ઉષ્મા ભર્યા હાથ
અને કૂતરાની રુંવાટીમાં !
જલેબી રસ;
ગઝલ રસ
સરોદના સૂર રસ
બધું જ
ખંખેરીને આ ઊભો અહીં  !
 ના.
હું કોઇ સંત,સિદ્ધપુરુષ નથી.
આ માર્કેટિંગ જગતે
મને
એનેસ્થેસીયા દીધો છે  !
—————-☆——-☆—————–
હરીશ દાસાણી
મુંબઈ
———————————————–
29-2-2020.શનિવારે.
સવારના 6-15.

કાગળની હોડી (ડો. મુનિભાઈ મહેતા)

(એક સાહિત્યકાર બહેને, એક વૈજ્ઞાનિક અને સાહિત્યકારભાઈનો પરિચય લખ્યો છે એ કોઈપણ જાતના સંપાદન વગર અહીં મૂકું છું.)

 

 

 

 

 

 

Dr. M. H. Mehta. Vadodara, India.

પરિચયઃ

મુનિભાઈ મહેતાનો બાલ્યકાળથી કવિતા લખવાનો શોખ આજે પણ ચાલુ છે. કલાકાર તરિકે કાષ્ટતરંગ કુશળતાથી વગાડે છે. Continue reading કાગળની હોડી (ડો. મુનિભાઈ મહેતા)

ચાલ વરસાદની મોસમ છે (હરીન્દ્ર દવે)

 

ચાલ, વરસાદની મોસમ છે,  વરસતાં જઈએ,

ઝાંઝવા હો  કે હો  દરિયાવ, તરસતાં જઈએ. Continue reading ચાલ વરસાદની મોસમ છે (હરીન્દ્ર દવે)