Category Archives: કાર્તિક ત્રિવેદી

કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા (અંતીમ)

આજે કાર્તિકભાઈના સ્ત્રીપાત્રો ઉપર આધારિત ચાર ચિત્રો રજૂ કરૂં છું.

૨૪” X ૩૦ના કેનવાસ ઉપર ઓઈલપેન્ટથી દોરેલા ચિત્રમાં એક યુવાન સ્ત્રી એક પત્ર પોસ્ટ કરવા જાય છે. પત્ર એક પ્રેમપત્ર છે દર્શાવવા ઝાડ ઉપર એક પ્રેમી પંખીડાનું જોડું બતાવ્યું છે. જોડામાં નર અને માદાને અલગ અલગ રંગથી દર્શાવ્યા છે. સામાન્ય રીતે પીંક સ્ત્રીલીંગ સૂચક અને બ્લુ પુલીંગ સૂચક રંગોથી દર્શાવાય છે. યુવતીની નજરે પ્રેમીપંખીડાઓ ઉપર કેંદ્રિત છે. સ્ત્રીના વસ્ત્રો અને સ્કાર્ફ ઉપરથી ઋતુ સહેજે સમજાઈ જાય છે.

૨૪” X ૩૦ના કેનવાસ ઉપર ઓઈલપેઈન્ટથી દોરેલા ચિત્ર માટે કાર્તિકભાઈએ મને કહ્યું મારી મોનાલિસા છે.” દરેક કલાકારને પોતાનું સ્ત્રી પાત્રનું ઉત્તમ ચિત્ર મોનલિસા લાગે છે. લાંબા સમયના અમેરિકામાં વસવાટને લીધે, એમના સ્ત્રી પાત્રોમાં પરદેશી નારીઓના ચહેરા, પહેરવેશ, ઘરેણાંનો અભાવ વગેરે સ્પષ્ટ દેખાઈ આવે છે. ચહેરા અને આંખોમાં કળી શકાય એવા ભાવ, વાળ ઉપર ઢાંકેલું સ્કાર્ફ, વાળની એક છૂટી પડેલી લટ વગેરે ખાસ ધ્યાન આકર્ષે છે.

૨૪” X ૩૦ના કેનવાસ ઉપર ઓઈલપેઈન્ટથી દોરેલા ચિત્રમાં એક મુગ્ધા એક બ્લુ પંખી સાથે વાતચીત કરી રહી છે. બ્લુરંગ પુલીંગ માટે વપરાય છે, મુગ્ધાના બ્લુરંગ પ્રત્યેના પક્ષપાતને દર્શાવવા એના સ્વેટરને પણ કલાકારે બ્લુરંગ આપ્યો છે. કન્યા આદીવાસી છે દર્શાવવા એના વાળમાં બાંધેલાં પાંદડા અને પાણીના સ્ત્રોતમાંથી પાણી લાવવા વપરાતા ઘડા નજરે પડે છે. એના ઘરેણાંની ડિઝાઈન પણ આદીવાસી કન્યાઓના ઘરેણાં જેવી છે.

૧૮” X ૨૦ના કેનવાસ ઉપર ઓઈલપેઈન્ટથી દોરેલું એમનુંપાનખરઋતુનું ચિત્ર, અત્યાર સુધીમાં મેં રજૂ કરેલા કાર્તિકભાઈના ચિત્રોમાંથી મને સર્વાધિક ગમે છે. જીવનની વસંતમાં આવેલી કન્યા, કુદરતની પાનખર ઋતુમાં એકલી એક પાળ ઉપર વિચાર મગ્ન દશામાં બેઠી છે. એના મનમાં શું ચાલી રહ્યું છે કળવું મુશ્કેલ છે. ચિત્રમા કલાકારની મહેનત પાનખર દર્શાવત ખરેલાં અને ઝાડ ઉપરના સુકાં પાંદડા, વસ્ત્રોની ઝીણી ઝીણી ડીઝાઈન, પગના સેંડલની બારીકાઈ, હાથના આંગળા, પ્રત્યેક રેખામાં કલાકારની મહેનત અને સુઝબુઝના દર્શન થાય છે.

સાથે કાર્તિક ત્રિવેદીની કલાની ચિત્રોની હારમાળા સમાપ્ત કરૂં છું, અને કાર્તિકભાઈની પીંછી ઉત્તમ ચિત્રા સર્જતી રહે એવી શુભેચ્છા આપું છું.

કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા-૩

કાર્તિકભાઈએ તહેવારોના, ઉત્સવોના અને પ્રસંગોના અનેક ચિત્રો દોર્યા છે. અહીં મેં અલગ અલગ વિષયને આવરી લેતા એમના પાંચ ચિત્રો રજૂ કર્યા છે.

આ ચિત્રમાં કલાકારે દિવાળી ઉત્સવના પ્રતિકો રજૂ કર્યા છે. દિવા, રંગોળી, વસ્ત્રો, આભૂષણો, સંગીતના સૂર અને કુટુંબનું મિલન દર્શાવ્યાં છે. એક્રીલીક રંગોમાં વસ્ત્રોની ભાત અને એમાંની ઝીણી ઝીણી ભાત ખૂબ મહેનત માંગી લે છે.

વર્ષો પહેલા દેશભરમાં અફવા ફેલાયેલી કે ગણપતિની મૂર્તિઓ દૂધ પીયે છે. એ પ્રસંગને ૩૦” X ૩૦” ના એક્રીલીક રંગોવાળા ચિત્રમાં બખૂબી દર્શાવ્યું છે. પોતાના સુંદર વાહન ઊંદર ઉપર બેઠેલા ગણેશને ભક્ત સ્ત્રીઓ દૂધ પીતા નિહાળી રહી છે. ચિત્રમાં વાપરવામાં આવેલા રંગો ખાસ ધ્યાન ખેંચે છે.

પૂર્ણિમાની રાતે કૃષ્ણને ઝૂલે ઝૂલાવતા ગોપ-ગોપીઓનું આ ચિત્ર વૃંદાવનનું આબેહૂબ ચિત્ર ઉપસાવે છે. ગોપ-ગોપીઓના મુખભાવમાં ભક્તિ અને ઉલ્લાસ દેખાઈ આવે છે.

સંગીતના સૂરોમાં તલ્લીન આ કુટુંબનું ચિત્ર ૩૦” X ૩૦” નું એક્રીલીક રંગોમાં તૈયાર કરવામાં આવ્યું છે. કાર્તિકભાઈના કેટલાક પ્રાસંગિક ચિત્રોમાંનું આ એક ચિત્ર છે.

 ચિત્રની અંદરનું પાટિયું જ આ ચિત્રનો વિષય જાહેર કરે છે. ૩૦” X ૩૦”ના એક્રીલીક રંગોવાળા આ ચિત્રમાં સ્ત્રીઓ પાંજરે પુરેલા કોઈ પંખીની ગીત ગાય છે, જ્યારે પાછળ પાંજરે પુરેલો પંખી અસહાયતાથી એ જોઈ રહ્યું છે.

કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા-૨

કાર્તિકભાઈએ ચિત્રકળાના અનેક માધ્યમોનો ઉપયોગ કર્યો છે. કાગળ ઉપર પેન્સીલ, ચારકોલ અને શાહીના ચિત્રો એમણે દોર્યા છે. કાગળ ઉપર વોટર કલર અને એક્રીલિક કલરના ચિત્રો પણ તૈયાર કર્યા છે. કેનવાસ ઉપર એક્રીલિક અને કેનવાસ ઉપર ઓઈલ પેઈન્ટથી એમણે અનેક ચિત્રો તૈયાર કર્યા છે.

અહીં મેં એમનું કાગળ ઉપર શાહીથી તૈયાર કરેલું એક ચિત્રકાગળ ઉપર વોટર કલરથી તૈયાર કરેલું એક ચિત્ર અને કાગળ ઉપર એક્રિલિક રંગોથી તૈયાર કરેલાં બે ચિત્ર રજૂ કર્યા છે.

કાગળ ઉપર શાહીથી દોરેલા ઈંચ X ૧૧. ઈંચના ચિત્રમાં કંઈક યાદ કરતી સ્ત્રીની આંખોનો ભાવ, એની દામણી અને નાકની નથ સમયના શણગારને દર્શાવે છે, તો એની સાડી સમયના વસ્ત્રોની ડીઝાઈનનો ખ્યાલ આપે છે. શાહીથી ચિત્ર દોરવાનું ખૂબ અઘરૂં છે, કારણ કે એમાં ભૂલ સુધારી શકવાનો અવકાશ ખૂબ ઓછો છે. કાર્તિકભાઈના ચિત્રોમાં ઝીણવટ ભરેલી અનેક બાબતો જોવા મળે છે, ખરેખર ધીરજ માંગી લે છે. અહીં સાડીનું પ્રત્યેક નાનું ચોરસ કેટલી મહેનત પડી હશે એનો ખ્યાલ આપે છે.

કાગળ ઉપર વોટર કલરથી દોરેલું ૧૮” X ૨૪નું ચિત્ર સાન ફ્રાન્સીસ્કોનું ફીશરમેન્સ વાર્ફનું ચિત્ર છે. ચિત્રમાં Boats અને અન્ય દૃષ્યની બારીકાઈ જોતાંવેત ચિત્રકારની ધીરજ અને મહેનતનો પરિચય થાય છે. પીંછીંથી આટલું ઝીણું ઝીણું કામ થઈ શકે માની શકાય એવી વાત છે.

કાગળ ઉપર એક્રીલિક રંગોનું ૨૦” X ૨૦ના ચિત્રના રંગો કેટલા મોહક છે. વૃક્ષની પાછળથી ડોકિયાં કરતા ચંદ્રની ચાંદનીમાં ગીતોના સૂરો છેડતી યુવતીઓના વસ્ત્રોની બારીકાઈ, ઘરેણાંની નજાકત, એમના મુખભાવ અને પગ પાસે રહેલા પ્રતિકો દ્વારા કલાકાર કંઈક કહેવા માગે છે.

૨૦ “ X ૨૦નું એક્રીલીક રંગોવાળું ચિત્ર સંગીતમય મન રજૂ કરે છે. કોમળતાથી ધારણ કરેલું વાજીંત્ર, સંગીતના વિચારોમાં ખોવાયેલી મુખમુદ્રાઓ અને કુદરતના સંગીતના પ્રતિક એવા પક્ષીઓ સંપૂર્ણ સંદેશ આપી જાય છે. પ્રસંગ અનુસાર રંગોની પસંદગી, વસ્ત્રોની ભાત વૃક્ષોની તાજગી, દરેક વાતમાં કલાકારની ચીવટ અને મહેનતના દર્શન થાય છે.

કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા-૧

૧૯૬૭ માં કાર્તિકભાઈ કલાના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકામાં આવ્યા. ચિત્રકલા અને સંગીતના ક્ષેત્રમાં એમણે ત્રણ માસ્ટર્સની ડીગ્રીઓ મેળવી. ચાલીસથી વધારે વર્ષ સુધી સખત મહેનત કરી ચિત્રકલામાં અને પિયાનો વાદનમાં નામના મેળવી.

અમેરિકાના જુદા જુદા શહેરોમાં એમના ચિત્રોના પ્રદર્શનો ગોઠવી, એમણે પ્રસિધ્ધી મેળવી. અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધારે સુંદર ચિત્રો એમણે પ્રદર્શિત કર્યા, જેમાનાં ૭૦૦ થી વધારે ચિત્રો કલારસિકોએ ખરીદી લીધા.

એમણે અમેરિકા અને ફ્રાંસના પ્રમુખોને તથા બ્રિટનની મહારાણીને પોતાના ચિત્રો ભેટ કર્યા, જેમનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો. ઈન્દીરા ગાંધીને પણ એમણે ચિત્રો ભેટમાં આપેલા.

હું એમને ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૭ માં કેલિફોર્નિયાના Bay Area માં રૂબરૂ મળ્યો, અને એમના ચિત્રો વિષે એમની સાથે થોડી વાતચીત કરેલી. એમણે ચિત્રકલાના અનેક માધ્યમો ઉપર કામ કર્યું છે, પણ એમના મોટાભાગના ચિત્રો કેનવાસ ઉપર ઓઈલપેઈન્ટ, કે કાગળ ઉપર એક્રીલીક અને વોટર કલરના છે. એમણે નાની અને મોટી બન્ને સાઈઝના ચિત્રો તૈયાર કર્યા છે, અને ચિત્રકળાના અલગ અલગ પ્રકાર ઉપર કામ કર્યું છે.

ખોડિદાસ પરમારની જેમ કૃષ્ણ કાર્તિકભાઈનો પ્રિય વિષય છે. કૃષ્ણના જીવન ઉપર આધારિત ચિત્રોમાંથી વાંસળી સાંભળતી ગોપીઓનું આ ચિત્ર ૨૦” X ૨૦” નું એક્રીલીક રંગોમાં છે. ચિત્રમાં કૃષ્ણની તલ્લીનતા અને મંત્રમુગ્ધ થઈ સાંભળતી ગોપીઓના મુખભાવમાં ચિત્રકારની કલાનું ઊંડાણ સ્પષ્ટ દેખાઈ આવે છે. પાત્રોના વસ્ત્રો અને અલંકારોમાં જે બારીકી દેખાય છે, એ ચિત્રકારની મહેનતની પરાકાષ્ટાનો પરિચય આપે છે.

રાધા અને કૃષ્ણનું આ ચિત્ર ૨૦” X ૨૦” નું એક્રીલીક રંગોમાં છે. વાંસળી વગાડવામાં તલ્લીન કૃષ્ણનું મુખ રાધા તરફ નથી, એવી જ રીતે રાધા પણ વાંસળીના સુરમાં ખોવાઈ જઈને કૃષ્ણ તરફ જોતી નથી. બન્ને એકમેકની નીકટતા વાંસળીના સુરમાં માણે છે. આ ચિત્રમાં પણ રાધા અને કૃષ્ણના વસ્ત્રો ચિતરવામાં વપરાયલી ચીવટ અને મહેનત અદભૂત છે. પાત્રોની રેખાઓ સ્પષ્ટ અને જોરદાર છે, રાધા અને કૃષ્ણની આંખોમાં દેખાતી તલ્લીનતા ઉડીને આંખે વળગે છે.

૨૦” X ૨૦” ના આ એક્રીલીક રંગોવાળા ચિત્રમાં વાંસળી વગાડતા કમલનયન કૃષ્ણને રાધા કમળનું ફૂલ અર્પણ કરે છે. આ ચિત્રમાં એક સાથે અનેક સંકેત દેખાય છે. પૂર્ણીમાની રાત છે, કૃષ્ણના મસ્તકની આસપાસ દૈવી આભાનું વર્તુળ છે, અનેક વૃક્ષો અને Back Ground માં પાણીનો રંગ કદાચ યમુના કિનારાનો નિર્દેશ કરે છે. કૃષ્ણના સુંદર વસ્ત્રોની આસપાસ રાધાની ચુંદડી, રાધા-કૃષ્ણની એકાત્મતા દર્શાવે છે. વૃક્ષ અને વસ્ત્રોમાં કરેલું સુક્ષ્મ કામ અથાગ ચીવટ અને મહેનત માંગી લે છે.