Category Archives: કુન્તા શાહની ચિત્રકળા
કુન્તા શાહની ચિત્રકલા-૪
શિયાળો
અમેરિકામાં શિયાળાની સખત ઠંડીથી લોકો ડરે છે. આ ચિત્રમાં કુન્તા બહેન કહે છે, શિયાળાની ઠંડીથી ગભરાયા વગર શિયાળામાં કુદરતની સુંદરતા જુવો. આ ચિત્રમા થીજેલા તળાવની ચારે બાજુ ઠંડીમાં પણ અડીખમ ઊભેલા વૃક્ષો અને લાકડાની કેબિન જેવું ઘર કેટલું વાસ્તવિક દર્શાવ્યું છે. 11″ x 14″ ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોનું આ ચિત્ર ૨૦૧૧ માં તૈયાર કર્યું છે.
નર્તન
કુન્તાબહેનની દિકરીના નૃત્યકલાના શોખથી પ્રેરિત થઈ કુન્તાબહેને આ ચિત્ર તૈયાર કર્યું છે. આ ચિત્ર એમણે એમની દિકરીને ભેટમાં આપ્યું છે. પ્રકાશની સામે ઊભી રહીને નૃત્ય કરતી નર્તિકાનો પારદર્શક ઉપવસ્ત્ર, નર્તિકાનો પાછળની દિવાલ ઉપર પડતો પડછાયો, દિવાલ ઉપરનું ચિત્રામણ, દિવાલની પાછળના વૃક્ષો, ફરસ, સ્વીમીંગ પૂલ વગેરેને ચિત્રમાં આવરી લીધાં છે. કુન્તાબહેન કહે છે, “. I am watching her with all my love (find me in the tree trunk)”. 9″ x 12″ ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોવાળું આ ચિત્ર ૨૦૧૩ માં તૈયાર કર્યું છે.
સ્વપ્ન
આ ચિત્રમાં કુન્તાબહેને એક દિવસ એક દિવા–સપનું જોયું. એ સપનાને એમણે આ ચિત્રમાં કેદ કર્યું છે. સપનામાં એમણે જોયું કે કુદરતને ખોળે એનું કોટેજ છે. એમના લગ્ન થવાના છે, અને આ ઘર આ કુદરતી નજારો છોડીને જવાના છે. સામેના ડુંગરા, એમાંથી નીચે ઉતરતી નદી, વગેરેથી દૂર જવાના છે. એ પિતૃઓ પાસેથી આશીશ માંગે છે. ચિત્રમાં, દિવા–સ્વપન જોતાં બેઠેલા દેખાય છે. 11″ x 14″ ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોવાળું આ ચિત્ર ૨૦૧૫ માં તૈયાર કર્યું છે.
ધ્યાન ધરવા માટેની જગ્યા
મેડિટેશન માટે શાંત અને કુદરતી વાતાવરણ જોઈએ. કેલિફોર્નિયા રાજ્યના સાનડિયેગોમાં આવું એક મેડિટેશન પાર્ક મેં જોયું છે. ત્યાં દાખલ થતાં જ સેલફોન બંધ કરી દેવામાં આવે છે. કોઈ એક બીજા સાથે જરાપણ વાતચીત કરતું નથી. કુદરતી વાતાવરણ વચ્ચે એકલા બેસીને ધ્યાન ધરી શકાય એવી ઘણી જગ્યાઓ છે. આવા જ કોઈ ધ્યાન ધરવા યોગ્ય વાતાવરણની કુન્તાબહેનની કલ્પના આ ચિત્રમાં અંકિત થઈ છે. 18″ x 24″ ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોવાળું આ ચિત્ર કેટલું બધું કહી જાય છે. ચિત્ર ૨૦૧૪ માં તૈયાર કર્યું છે.
કુન્તા શાહની ચિત્રકલા-3
કુન્તાબહેન ૧૯૬૪માં નાયર હોસ્પિટલ, મુંબઈમાં, કાર્ડિઓલોજી ડિપાર્ટમેન્ટ્માં રિસર્ચ ટેકનીશિયન તરીકે કામ કરતા હતા, ત્યારે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો ગરીબીમાં પણ ભારતિય સંસકૃતિને કેવી રીતે નિભાવે છે તેનો અભ્યાસ કર્યો. આમ કલાકાર બનવા જરૂરી સંવેદનશીલતા કેળવવાના એમને અનેક અવસર મળેલા.
બીચ
કુન્તાબહેનને કુદરતના નજારા ખૂબ ગમે છે, પછી તે ગમે તે રૂપમાં હોય. 9” X 12” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી દોરેલું આ ચિત્ર બીચનું છે. ૨૦૦૯ માં તૈયાર કરેલા આ ચિત્રમાં બીચ ઉપરની રેતી કેટલી આબેહૂબ દેખાય છે. મુખ્ય સમુદ્રના એક ફાંટાનું પાણી અને મુખ્ય સમુદ્રના દૂર દેખાતાં મોજાંનું આવું દૃષ્ય મેં મુંબઈમાં મડ આયલેન્ડના બીચ ઉપર જોયું છે.
ચિત્રક્ળાનું શિક્ષણ
કુન્તાબહેનનું આ પ્રથમ પેઈન્ટીંગ છે. ચિત્રકળા શિખવાની શરૂઆત કરવા એમણે આ ચિત્રથી કરી. પાણી, ખડક, વૃક્ષ અને એના મૂળીયાં, નદીના વળાંક વગેરે કેનવાસ ઉપર કેવી રીતે અંકિત કરવા એની પ્રેકટીસ કરવા આ ચિત્ર તૈયાર કર્યું. 18” X 24” ના મોટા કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી ૨૦૦૮ માં શરૂ કર્યું અને ૨૦૧૦ સુધી એની ઉપર સુધારા કરતા રહ્યાં. ફરી આવો જ પ્રયોગ ૨૦૧૮ માં 30” X 40” ના કેનવાસ ઉપર કર્યો. આમ કુન્તાબહેન કાયમ એક ચિત્રક્ળાના વિદ્યાર્થી જ રહ્યા છે.
ખીણ
ચારે તરફ ડુંગરોથી ઘેરાયલી ખીણની વચ્ચેના આ તળાવમાં માછલીઓ જોઈને કુન્તાબહેન ખૂબ જ આશ્વર્યચકિત થતા. આસપાસના ડુંગરાના શિખરો એમને બીજી જ દુનિયામાં લઈ જતાં. એમને થતું કોણે કહ્યું સ્વર્ગ ખૂબ ઉપર છે, એમને તો એમની આસપાસના વાતાવરનમાં જ સ્વર્ગ દેખાતું. મને માછલી દેખાય છે, તમને મળી?
વન વગડાનાં ફૂલ
પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે, અને સૂર્યની આસપાસ પણ ચકકર લગાવે છે. આ બધી ગતિ માટે ગુરૂત્વાકર્ષણનું બળ કારણભૂત છે. ઉત્તર અને દક્ષિણ દિશાઓ તો આપણે નક્કી કરી છે, અને એ જ રીતે સ્વર્ગ અને નર્કની કલ્પના પણ આપણે જ કરી છે. કુન્તા બહેન કહે છે, સ્વર્ગ અને નર્ક બન્ને અહીં જ છે. 16” X 20” ના કેનવાસ ઉપર ૨૦૧૨ માં એમણે અહીં સ્વર્ગ અંકિત કર્યું છે.
કુન્તા શાહની ચિત્રકલા-૨
કુન્તાબહેન ચિત્રકળા ઉપરાંત સામાજીક પ્રવૃતિઓમાં પણ ગુંથાયલા છે. ફુરસદના સમયમાં ભારતની ફોજના સૈનિકો માટે હાથના મોજાં ગુંથતા અને હવે અમેરિકન વેટરન્સ માટે ગોદડી બનાવે છે.
એમના જીવનની ફીલોસોફી છે, અપેક્ષા વગર કામ કરવું. બીજા પહેલા, હું પછી. એ માત્ર ભગવદગીતા વાંચતા નથી, ગીતામય જીવન જીવે છે.
અપૂર્ણતામાં પૂર્ણતા
આ ચિત્ર કુન્તાબહેનની સુપુત્રીને ખૂબ જ ગમે છે. આ ચિત્ર અધુરૂં છે, પણ એમની પુત્રીએ એમને આમાં કંઈ પણ વધારે ઉમેરવામાંથી રોક્યા. ચિત્રમાં ડાબી બાજુએ નીચેના ભાગમાં સ્નોફોલ જેવું લાગે છે એ હકીકતમાં કેનવાસ તૈયાર કરવા માટે લગાડેલું Gesso છે. એમને તો દૂરના ઘરોના છાપરા ઉપર દેખાતા સ્નોના છૂટા છવાયા ટુકડાને ચિત્રમાં વણી લેવા હતા. 18” X 24” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી તૈયાર કરેલું આ ચિત્ર ૨૦૦૯ માં બનાવ્યું છે.
શાસ્તા શિખર
કુન્તાબહેન એમની દિકરીના કુટુંબ સાથે શાસ્ત પર્વતની મુલાકાતે ગયા હતા. સાંજના થોડું મોડું થયું હતું, અને એમની મોટેલ થોડે દૂર હતી. કારમાંથી એમને જે દૃષ્ય દેખાયું એ એમણે મનમાં અંકિત કરી લીધું, ખાસ કરીને એ દૃષ્યના રંગોને યાદ કરી લીધા. પછી એમણે 9” X 12” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી ૨૦૦૯ માં આ ચિત્ર તૈયાર કર્યું.
લાસન નેશનલ પાર્ક, કેલિફોર્નિયા
શાસ્તા શિખરના પ્રવાસ વખતે લાસન રસ્તામાં આવે. મોડી સાંજનો સમય અને વરસાદથી ભીંજાયેલી પર્વતોની ફરતે ઘાટીની સડક પરથી કાર વળાંક લેવાની હતી ત્યાં પાણીના ખાબોચિયામાં લાલ લાઈટનું વિખરાયલું પ્રતિબિંબ જોતાં એ દ્ર્ષ્ય મનમાં કોરાઈ ગયું. પછી એમને 9” X 12” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી આ ચિત્ર ૨૦૦૯ માં તૈયાર કર્યું,
કેટલાં પક્ષીનો કોયડો
ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝીયમમાં એમણે એક ચિત્ર જોયું. એમને એ ચિત્ર એટલું ગમી ગયેલું કે એમણે એને મનમાં અંકિત કરી લીધું. પછી 9” X 12” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોમાં એ યાદને કાયમી સ્વરૂપ આપ્યું. આ ચિત્ર પણ ૨૦૦૯ માં તૈયાર કરેલું.