Category Archives: ખોડિદાસ પરમાર

ધરતીના કલાકાર-૧૪ (અંતીમ)

ખોડીદાસ પરમાર સૌરાષ્ટ્રની લોકકળાની ફોરમને પારખી ચિત્રાંકન કરતા અને તે ચિત્રોને અલૌકિક સ્વરૂપ આપી દેતા.એમણે એમનું સમગ્ર જીવન લોકકલા, લોકસાહિ‌ત્ય અને ચિત્રકલાને સમર્પિ‌ત કરી દીધું હતું. પોતે જે ધરતી પર જન્મ્યા, રમ્યા, ભમ્યા એ ગોહિ‌લવાડની ધરતીની લોકકલાને પોતાની પીંછી વડે ગૌરવપૂર્ણ બનાવી અને વિશ્વના ચોક વચ્ચે મૂકી. ખોડિદાસભાઈને સૌરાષ્ટ્રની લોકકલા અને લોકસાહિ‌ત્યના આભને અડતો ચંદરવો કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તેમણે સૌરાષ્ટ્રની લોક કલાનું તેજ પારખ્યું, અને એને આત્મસાત કરી. એમણે ભૂમિની ભાવનાઓને ચિત્રકલા વડે અભિવ્યક્ત કરી હતી.

ખોડિદાસભાઇએ રીતસરની કોઇ ચિત્રશાળામાં ચિત્રકલાની તાલીમ લીધી ન હતી, પણ સૌરાષ્ટ્ર અને કચ્છી લોક કળાઓ અને લોક સંસ્કુતિઓનો વિગતે અભ્યાસ કરી ચિત્રોમાં ઉજાગર કરી દેખાડ્યા હતા.

સંસ્કૃતિમાં નિરૂપાયેલા જોમ જુસ્સથી ભરપૂર પાત્રોને તેઓએ ધીંગી રેખાઓથી કંડાર્યા છે. વિવિધ ઉત્સવોની ઉજવણી, વિવાહ સંસ્કાર, તહેવારો, કૃષ્ણ કે રામની જીવન કથાના પાત્રો, કાલિદાસની કૃતિના પાત્રો તેમની આગવી ઓળખ સમા બની ગયાં છે.

૩૦મી માર્ચ, ૨૦૦૪ના રોજ ખોડિદાસભાઇ સવારે તો ચિત્ર કાર્યમાં મશગુલ હતા પણ એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો અને બપોરે 3 કલાકે તો આ ફાનિ દુનિયાને અલવિદા કહી દીધી. ધરતીના કલાકારના પંચતત્વો ધરતીમાં મળી ગયા.

એમના શબ્દોથી જ આ લેખમાળા સમાપ્ત કરૂં છું

” હું ચિતારો અલક મલકનો,

      ચીતર્યાં મેં બહુ સ્વરૂપ,

કાનડ કાળા, મુખ મોરલીવાળા,

      હવે તવ દર્શનની ભૂખ.”

-પી. કે. દાવડા

(આવતા અઠવાડિયે પ્રિષાના પેન્સીલ ચિત્રો)

 

ઘરતીના કલાકાર-૧૩

ખોડિદાસ પરમારે રંગીન ચિત્રો ઉપરાંત અનેક પેન્સીલ અને ચારકોલ ચિત્રો દોર્યા છે. એમના એ સ્કેચીસ પણ એમના રંગીન ચિત્રો જેવાં જ જીવંત છે. અહીં એમના માત્ર ચાર ચિત્રો રજૂ કરૂં છું

.

બહેનો

શિયાળાની સવારે કંબલ ઓઢીને ફરવા નીકળેલી આ બે બહેનોનું ચિત્ર Two Dimensional હોય એવું જરા પણ લાગતું નથી. ગામડામાં જોવા મળે છે તેમ ઉઘાડા પગ, ઠંડીથી બચવા પાછળ ઉભેલી બહેનના બન્ને હાથ કંબલની અંદર, બન્નેની ભાવવાહી આંખો, અને નાકમાં વાળી. કેટલી બધી વિગત એક સ્કેચમાં સમાવી લીધી છે?

શિયાળો

શિયાળાનું આ બીજું ચિત્ર જુવો. થરથરતી ટાઢથી બચવા આ કોઈ વાતની રાહ જોતાં પતિ-પત્ની, એમના ગંભીર મુખભાવ, અને પાછળની દિવાલની ઈંટ, બધું કેટલું અસલી લાગે છે?

સિધ્ધાર્થનું ધનુર્વિદ્યાનું શિક્ષણ

આ ચિત્રમાં રાજકુમાર સિધ્ધાર્થ ધનુર્વિદ્યાનું શિક્ષણ લઈ રહ્યા છે. અન્ય વિદ્યાર્થીઓ નીચી નજર કરીને નમ્રતાથી બેઠા છે, જ્યારે રાજકુમારના મુખ ઉપરની ખુમારી ઉડીને આંખે વળગે છે.

હંસ કોનો? મારનારનો કે જીવાડનારનો? આ વાર્તાને આ ચિત્રમાં કેવી સુંદર રીતે કહી દીધી છે? આખી વાર્તા કે આખી કવિતાને એક ચિત્ર દ્વારા રજૂ કરવાની કળા ખૂબ અઘરી છે.

ધરતીના કલાકાર-૧૨

શ્રી ખોડિદાસ પરમારના રંગીન ચિત્રોની આ આખરી પોસ્ટ મૂકું છું. હવે પછી એમના થોડા પેન્સીલ ચિત્રો મૂકીશ.

પતિ-પત્ની

ગામડાના આ પતિ-પત્નીના ચિત્રમાં સ્થાનિક પહેરવેશ અને આભુષણો તો છે જ પણ એમના મુખ ઉપરની શાલિનતા તમને શહેરી પતિ-પત્ની જ્યારે ફોટોગ્રાફરને પોઝ આપતા હોય ત્યારે જોવા નહીં મળે. અહીં પુરુષના વસ્ત્રોની રંગીન કોર પણ ખાસ ધ્યાન આકર્ષે છે. રક્ષણ માટે ચોવીસે કલાક જરૂરી એવી લાકડીને પણ ભૂલ્યા નથી. પુરૂષના કાન અને ગળાના અલંકારોની મને પણ જાણ ન હતી.

પ્રતિક્ષા

જશોદા અને રોહીણી કાનો અને બલરામ ગાયો ચરાવીને પાછા ફરે એની રાહ જોઈ રહ્યા છે. પગમાં પહેરેલા રંગીન પગરખાં એમનો રાજકુટુંબ જેવો દરજ્જો દર્શાવે છે. થાકીને પાછા આવતા કુમારો માટે ખાવાનું ઠરી ન જાયે એમ જતન પુર્વક બાંધી રાખ્યું છે. વલોણું તો ખોડિદાસભાઈનું ટ્રેડમાર્ક છે.

શિકારી

ખોડિદાસભાઈએ આ ચિત્રને શિકારી નામ આપ્યું છે, હું એને પારધી નામ આપું. આ લોકો પક્ષીઓને જાળમાં ફસાઈ, એમને પાંજરે પૂરી, શોખીન લોકોને વેંચવાનો વ્યવસાય કરે છે. એમના મુખભાવમાં ક્રૂરતા સ્પષ્ટ નજરે પડે છે.

હરણનું ટોળું

વિશ્રાંતિ લેત આ હરણના ટોળાંમાં એમની ચારે દિશામાં દૃષ્ટી એમની સલામતિ માટેની ચંચળતા દર્શાવે છે. હરણના અલગ અલગ ત્વચા, હરણાંની અલગ અલગ પ્રજાતિઓ દર્શાવે છે.

 

ધરતીના કલાકાર-૧૧

ખોડિદાસ પરમારના એટલા બધા ચિત્રો મને ગમે છે કે એમાંથી પસંદ કરી આંગણાંમાં મૂકવાનું કામ ખૂબ કઠીન છે. આજે થોડા અલગ અલગ વિષયને આવરી લેતા ચિત્રો મૂકું છું.

વસંતશ્રી

વસંત ઋતુ દર્શાવતા આ ચિત્રમાં પ્રકૃતિની વસંત જ નહીં, મનુષ્યજીવનની વસંત પણ આબેહૂબ રજૂ કરી છે. મુગ્ધાવસ્થા, વસ્ત્રો અને ફૂલોના બનેલા આભૂષણો ઉપરાંત પ્રકૃતિમાં પૂરજોશમાં ખીલેલી વસંત, બધી વાતોનું ઉત્તમ સંયોજન આ ચિત્રમાં નજરે પડે છે.

સ્નાનમુગ્ધા

Two Dimensional હોવા છતાં આ ચિત્રના લાલિત્યમાં જરયે ઓછપ આવી નથી. વૃક્ષો, પક્ષીઓ અને ઉગતા સૂર્ય સાથે નદીમાં સ્નાન કરી બહાર નીકળેલી સખીઓનું આ ચિત્ર કલાની એક અનોખી અનુભુતિ કરાવે છે.

મેળામાંથી પાછા ફરતા માનવીઓ

મેળામાંથી ખરીદેલા વસ્ત્રો, પગરખાં, ઝાંઝર, ઝુમખાં, હાર વગેરે સ્પષ્ટ નજરે પડે છે. મેળાનો થાક પણ વર્તાય છે. વચ્ચેની સ્ત્રી અને મેળામાં મળતી ઢીંગલી વચ્ચે કેટલું સામ્ય છે?

રાસ

ગામડાંનો જીવ, ગ્રામ્ય રાસનું ચિત્ર ન દોરે એવું બને જ કેમ? ઢોલ-શરણાઈના તાલે રાસ રમતા નર-નારી જાણે આસપાસની દુનિયાને ભૂલી ગયા છે. રાસની ગતિમાં પણ સ્નેહ નિતરતી સાહેલીઓના મુખભાવ અને પુરૂષોનો જોમ-જુસ્સો આબેહૂબ રજૂ કર્યો છે.

ધરતીના કલાકાર-૧૦

ખોડિદાસભાઈએ ધર્મ, સામાજીક પ્રથાઓ અને ગ્રામ્ય જીવનને પોતાના ચિત્રોમાં પ્રદર્શિત કર્યા છે. આજે  ધાર્મિક વિષયમાંથી બે ચિત્રો, અને  સામાજીક પ્રથાઓમાંથી એક ચિત્રર જૂ કરૂં છું.

આ ચિત્રમાં માયાવી સુવર્ણ મૃગનો શીકાર કરવા ધનુષ્ય સાથે મૃગની પાછળ દોડતા રામને એક ઉચ્ચ કોટીના કલાકારને છાજે એ રીતે રજૂ કર્યા છે. રામ અને કૃષ્ણ બન્ને વિષ્ણુના જ અવતાર હતા, એટલે અહીં રામને પણ કૃષ્ણના રંગે રંગ્યા છે. નાસતા મૃગની દૃષ્ટી રામ તરફ છે એ પણ કલાકારનો કોઈ સંકેત જ હશે.

બાળકના નામકરણનો વિધિ ભારતમાં અનેક કોમોમાં આજે પણ પ્રચલિત છે. અહીં જશોદાના લાલની નામકરણ વિધિ દર્શાવી છે. શરણાઈ નગારા, ધાર્મિક સંત અને નંદબાબા, લાલાને લાવતી જશોદા, ભીંત ઉપરના શણગાર, કેટકેટલું નાજુક ચિત્રકામ જોવા મળે છે? લાલાનો રંગ કેમ ભૂલાય?

લગ્નવિધિ દર્શાવતા આ ચિત્રમાં લગ્નના ફેરા લેવાના મંડપની એક એક વસ્તુ ધ્યાન ખેંચે એવી છે. એક બાજુ પુરૂષો વચ્ચે એક વડિલ સ્ત્રી અને બીજીબાજુ સ્ત્રીઓ વચ્ચે એક પુરુષ પણ પ્રથાનો કોઈ હિસ્સો હશે. વરરાજાની તલવાર અને કન્યાની મદદમાં કોઈ સંબંધી સ્ત્રી કે સખી, આમ જાણે કે આપણે એ લગ્નમાં હાજર હોઈયે એવી અનુભૂતિ થાય છે.

ધરતીના કલાકાર-૯

ખોડિદાસ પરમારના મોટાભાગના ચિત્રો Two Dimensional છે. તેમણે ભીંત આલેખનો, લોક રમકડાં, કપડાંની ભાત, પાળિયા, ધાર્મિક તહેવારો, વગેરેને એકઠાં કરી એક આગવી શૈલીનું સર્જન કર્યું છે.

તેમના ચિત્રોમાં સીધી અને સરળ રચનાની ગૂંથવણી, સ્થાનિક પહેરવેશવાળાં માનવીઓ, ગૂઢા ઘેરા રંગોનો ઉપયોગ, એમની આગવી ઓળખ બની રહે છે.

વિવાહ, મેળા, ધાર્મિક કથાઓ, કાલિદાસની કૃતિઓ અને એના પાત્રો એ ખોડિદાસના પ્રિય વિષય છે. કૃષ્ણ પ્રત્યે એમને ખાસ પક્ષપાત છે.

પશુઓ, પક્ષીઓ અને વનસ્પતિને પણ એમણે સરસ ન્યાય આપ્યો છે.

હવે પછીની પોસ્ટમાં મારી ટીપ્પણી ઓછી આપવાનો છું. માત્ર ચિત્રને શીર્ષક આપવાની લાલચ ટાળી શકીશ નહીં.

વચ્ચેના ચિત્રમાં કંસના કારાગ્રહમાંથી નીકળી, વસુદેવ કૃષ્ણને યમુના પાર લઈ જાય છે. શેષનાગ વરસાદ સામે રક્ષણ આપે છે. યમુનાજી મારગ કરી આપે છે. આસપાસના ચિત્રોમાં કાનાનું ગોકુળમાં બાળપણ દર્શાવ્યું છે.

જશોદામા કાનાને લાડ-પ્યારથી ઉછેરે છે. માતાપુત્રની આંખોમાં એકબીજા માટેની માયા છલકાય છે. ઝાડ ઉપરથી પુષ્પ વૃષ્ટી થઈ છે. જશોદાના પગણી મેંદી પણ દેખાય છે.

માતા-પુત્ર વચ્ચેનું interaction જોવા જેવું છે. જશોદાએ એને હૈયા સરસો ચાંપી રાખ્યો છે. એને ક્યાં ખબર છે કે એ કોણ છે?

ગોકુળવાસીઓ કુંવર માટે માખણ મીસરી લઈ આવે છે, જો કે જશોદાને ઘરે એની કમી નથી, પણ નંદબાબા ગોકુળના મુખિયા છે એટલે ખુશી વ્યક્ત કરવાની આ એક પ્રથા છે.

ધરતીના કલાકાર-૮

આ અગાઉ મેં જણાવ્યું તેમ દરેક જન્માષ્ટમીને દિવસે ખોડિદાસભાઈ શ્રીકૃષ્ણના જીવન ઉપર આધારિત રંગીન ચિત્રો તૈયાર કરતા. આ બધા ચિત્રોમાં એમનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, એમની કૄષ્ણભક્તિ છલકાતી નજરે પડે છે. આ અને આ પછીની બે-ત્રણ પોસ્ટમાં હું એમના કૃષ્ણ ચિત્રો રજૂ કરીશ. ચિત્રોની નીચે સૂચક શીર્ષક લખીશ, પણ કોઈ બીજું આંકલન નહીં કરું. એ કામ આંગણાંના કલારસિક મહેમાનોએ જાતે જ કરવું પડશે.

         કૃષ્ણ જન્મ

        જશોદાનો લાલ

લાલાના દર્શન માટે આવેલી ગોવાલણો

ધરતીના કલાકાર-૭

આજે અહીં કોઈપણ જાતની ટીપ્પણી વગર ખોડિદાસભાઈના કેટલાક લોકકલાના ચિત્રો મૂકું છું. આ અને આવા ચિત્રો જ ખોડિદાસ પરમારની ઓળખ બની ગયા છે.

         ગણેશ

           ઈસુ

               દહીં મંથન

       ધરતીના છોરૂ

                       લોકકલા

ધરતીના કલાકાર-૬

સંસ્કૃતિમાં નિરૂપાયેલા જોમજુસ્સાથી ભરપૂર પાત્રોને તેઓએ ધીંગી રેખાઓથી કંડાર્યા છે.  વિવિધ ઉત્સવોની ઉજવણી, વિવાહ સંસ્કાર, તહેવારો, કૃષ્ણ કે રામ જીવન કથાના પાત્રો, કાલિદાસની કૃતિ પરના પાત્રો વગેરે તેમની આગવી ઓળખ સમા બની ગયાં છે. આજે અહીં મેં સામાજીક ઉત્સવોના બે અને કૃષ્ણકથામાંથી એક ચિત્ર રજૂ કર્યા છે.

(સીમંત)

સ્ત્રી ગર્ભવતી થાય પછી સાતમે મહિને સીમંત વિધી કરવાનો અમુક કોમોમાં રિવાજ છે. ચિત્રમાં ગર્ભવતીને બાજઠ ઉપર બેસાડી અને સગાં-સંબંધીઓની પરણેલી સ્ત્રીઓ સીમંત વિધિ માટે એકઠી થઈ છે. એક સ્ત્રી સાથે બાળકની હાજરી ખાસ ધ્યાન ખેંચે છે. સીમંત વિધિ માટે જરૂરી વસ્ત્ર અને અન્ય સાજ-સામાન પણ દેખાય છે. બધી સ્ત્રીઓના એક સરખા વસ્ત્રો પણ કદાચ રીત-રિવાજનો હિસ્સો હશે.

(લગ્નવિધિ)

પ્રત્યેક કોમની લગ્નવિધિ અલગ અલગ હોય છે. અહીં વરરાજાને બાજઠ ઉપર ઊભેલો બતાવ્યો છે, એના હાથમાં તલવાર છે. કન્યા વરમાળા લઈને સામે ઊભેલી છે. બન્ને પક્ષના સ્ત્રી-પુરૂષો અને બાળકોના સુરેખ ચિત્રો, એમના વસ્ત્રો અને ઉઘાડા પગ વગેરે રિવાજ અનુસાર દર્શાવ્યા છે.

(નાગ દમન)

નાગ દમન એ ખોડિદાસભાઈના ખૂબ જ પ્રખ્યાત ચિત્રોમાંનું એક છે. વચ્ચે નાગને નાથીને શ્રીકૄષ્ણ ઊભા છે અને બન્ને બાજુ નાગણો રત્નોના થાળ ભરી શ્રીકૃષ્ણને વધાવે છે. “જળકમળ છાંડી જાવ ને બાળા” ની અંતિમ પંક્તિઓનું આ સંપૂર્ણ ચિત્ર છે. નાગણો દર્શાવવા માટે  અર્ધું માનવ અને અર્ધું સર્પ શરીર દોરીને ચિત્રકળાને એ એક ઉચ્ચ સ્તરે લઈ ગયા છે. ગ્રામ ચિત્રકળાનો ઉપયોગ કરીને એમણે એક કલાજગતમાં સ્થાન પામેલું ચિત્ર આપ્યું છે.

ધરતીના કલાકાર-૫

લોકકલા

આજે ખોડિદાસ પરમારને જે સૌથી વધારે પ્રિય હતા એવા ગામડાની લોકકલાના ચિત્રો રજૂ કર્યા છે.

મોર, વાઘ અને હાથીઓ સાથેનું આ એક કલાત્મક ચિત્ર અનેક પ્રકારના આર્ટફોર્મમાં વાપરી શકાય એમ છે. કેનવાસ, વસ્ત્રો ઉપર ચિત્રકામ કે ભરતકામ કે દિવાલ ઉપરનું ચિત્રામણ. આ એક ખાસ પ્રકારની ચિત્રકળાનો નમૂનો છે.

નયન રમ્ય રંગોમાં આ ચિત્રમાં પારણું, બાલિકા અને એની ઢીંગલી દેખાય છે, પણ દરેકની સાથે પ્રતિકો જોડાયલા છે. આવા ચિત્રોનું રસદર્શન કોઈ નિષ્ણાત જ કરાવી શકે. પગમાં જે ગતિના પ્રતિક છે, એવા જ ગતિના અને હલન ચલન પ્રતિકો બધે જ નજરે પડે છે.

આ રથનું ચિત્ર તો ખોડિદાસભાઈ જ સમજાવી શકે. ઉપર અને નીચે ઘોડા, વચ્ચે સારથી, રથમાં રાજા, રાણી અને કુંવરી, ગ્રામકળા અને આધુનિક કળાના મિશ્રણવાળું આ ચિત્ર સમજવું-સમજાવવું એ મારા વશની વાત નથી.