Category Archives: જગન મહેતા

ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧૨ (અંતિમ)

જગન મહેતાના જીવનના અલગ અલગ મુકામની તસ્વીરો સાથે લેખમાળાની આજે સમાપ્તિ કરૂં છું.

તસ્વીરમાં વિયેનામાં ફોટોગ્રાફીનો અભ્યાસ કરવા ગયેલા યુવાન જગન મહેતા દેખાય છે. વિયેનામાં એમને નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે સારો એવો પરિચય થયો હતો.

આઝાદીની લડત દરમ્યાન પ્રતિક બની ગયેલી ગાંધીટોપી સાથે યુવાન જગન મહેતાની તસ્વીર છે.

મધ્યમ વયના જગન મહેતાની તસ્વીર વિદેશી વસ્ત્રોમાં શા માટે છે હું શોધી શક્યો નથી.

ચહેરાની પ્રત્યેક રેખામાં ઇતિહાસ અને અનુભવ દર્ષાવતી જગન મહેતાની તસ્વીર મને શોધખોળ કરતાં મળી આવી હતી.

જગન મહેતાની અંતીમ તસ્વીર ઝવેરીલાલ મહેતા લીધેલી છે. એમની તસ્વીર ખૂબ જાણીતિ છે. ૧૯૯૫ માં વિશ્વ ગુર્જરી એવોર્ડ સમારંભમાં જગન મહેતા કહેલું, “ સામાન્ય માણસ છું એટલે માનઅકરામ, એવોર્ડ મળે એય ગમે. પણ મારા અંતરની ખરી ઈચ્છા જણાવું તો તો તમે સહુ જગન એક ચાહવા લાયક માણસ હતો રીતે તમારા દિલના ખૂણે મને સાચવો તો મારો મોંધામૂલો એવોર્ડ છે.”

જગન મહેતાએ ભારતભરનાં તિર્થસ્થાનો તથા કુદરતી સૌંદર્ય ધરાવતાં સ્થળોનો પ્રવાસ કર્યો અને ત્યાંનાં દૃશ્યોને પોતાની આગવી સૂઝ અને સમજથી કેમેરામાં ઝડપી લીધા. ગુજરાતના આદિવાસીઓના જનજીવનને તેમણે દસ્તાવેજી સ્વરૂપ આપ્યું છે. તેમના લેન્ડસ્કેપના ફોટોગ્રાફોએ તથા તેમની પોટ્રેટ તસવીરોએ તો તેમને તસ્વીર જગતમાં અનેરું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. જગતભરના શ્રેષ્ઠ પોર્ટેટ ફોટોગ્રાફરોમાં અગ્રિમ હરોળમાં તેમનું  સ્થાન જરૂર આવી શકે. સુંદર પ્રિન્ટ, ક્વોલિટી, બ્લેક એન્ડ વહાઈટ  ટોનની ખૂબી અને કુદરતી પ્રકાશરચનાથી તેમના પ્રોટ્રેટ મનોહર લાગે છે. આછા પ્રકાશમાં મંદિરો અને ગુફાઓની અંદર સ્લો ફિલ્મનો ઉપયોગ કરી લાંબો એકસ્પોઝર આપે. એક સેંકડ, બે સેંકડ, ત્રણ સેકંડ, વગેરે. લાંબા એકસ્પોઝરની ટેક્નિકથી તેઓ નરી આંખે ઝાંખા દેખાતા શિલ્પસ્થાપત્યને પ્રકાશિત કરી શકતા અને જરૂરી બારીકી મેળવી શકતા.’’

જગનભાઈનું અવસાન તા. ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૦૩ ના થયું હતું.

ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧૧

આજે ગાંધીજીના તસ્વીકારે લીધેલી ગાંધીજીની આઠ તસ્વીરો મૂકી, ગાંધી તસ્વીરોનો અનુક્રમ સમાપ્ત કરૂં છું. આવતા અઠવાડિયે લેખમાળાનો અંતિમ લેખ મૂકી, લેખમાળા સમાપ્ત કરીશ.

હરિપુરા કોંગ્રેસ અધિવેશન વખતે ગાંધીજીના બે મુખ્ય મદદનીશો સાથેની તસ્વીર ઐતિહાસિક છે. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મંત્રી (ગાંધી ટોપી સાથે ડાબી બાજુએ) અને ગાંધીજીના તબીબ ડો. સુશીલા નાયર (જમણીબાજુએ) સાથે અધિવેશન તરફ જતાં ગાંધીજી.

બાળકોને જોઈ ગાંધીજી ખુબ ખુશ થઈ જતા. ગમે તેવી વ્યવસ્તા વચ્ચે પણ બાળક સાથે રમી લેતા. તસ્વીર બિહારની શાંતિ યાત્રા દરમ્યાન છે. ૨૮ મી માર્ચ, ૧૯૪૭ ના સાઈસ્તાબાદ ગામમાં મુસ્લીમોની એક સભામાં એક મુસ્લીમ બાળકને ફળ આપતા નજરે પડે છે.

આખરે બિહારમાં ગાંધીજીની કઠોર તપસ્યા અસરકારક નીવડી. હિન્દુ મુસલમાન બધા એક સાથે ગાંધીજીની શાંતિયાત્રામાં જોડાયા. માણસમાં જબરી શક્તિ હતી. જાનના જોખમે પણ એમનું ધાર્યું કરાવીને રહેતા.

બિહારમાં એમના ઉતારે આંગણાંમાં સવારે ચાલવા જતા ત્યારે મનુગાંધી અને ડો. સુશીલા નાયરના ભભાનો ટેકો લેતા. ત્યારે પણ એમના મુખ ઉપર ચિંતનના ભાવ જગન મહેતાએ સ્પષ્ટ ઝડપી લીધા છે.

બિહારમાં હિનદુએ એક મસ્જીદમા તોડફોડ કરી હતી. મસ્જીદની મુલાકાત લઈ ગાંધીજી મૃદુલા સારાભાઈ સાથે બહાર આવે છે. પાછળ સરહદના ગાંધી બાદશાહ ખાન (ખાન અબ્દુલ ગફારખાન) દેખાય છે.

ડાબીબાજુ મૃદુલા સારાભાઈ અને જમણીબાજુ મનુગાંધી સાથે બિહાર યાત્રા દરમ્યાન ચિંતનમય મુખમુદ્રામાં ગાંધીજી.

ગાંધીજીની યાદગાર તસ્વીરમાં ડાબીબાજુ આભાગાંધી અને જમણીબાજુ મનુગાંધી. પોત્રવધુ અને પૌત્રી ગાંધીજીની લાકડીઓ હતી. મનુગાંધીનું પુસ્તકબાપુ મારી બાવાંચો તો ખબર પડે.

એક હરિજન બાળક સાથેની મૂળ તસ્વીર જગન મહેતાએ કેમેરામાં કેદ કરેલી. ચિત્રકારે તસ્વીર ઉપરથી ઓઈલપેઈન્ટ ચિત્ર તૈયાર કર્યું છે.

 

ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧૦

બિહાર દંગા દરમ્યાન અમથુવા અને બેલા નામના ગામોમાં મસ્જીદોને નુકશાન કરવામા આવ્યું હતું. ગાંધીજીએ પગપાળા એ ગામોમાં જવાનું નક્કી કર્યું. રસ્તા ખાબડખુબડ હતા. સાથે વયોવૃધ્ધ ખાન અબ્દુલ ગફારખાર અને મૃદુલા સારાભાઈ, મનુ ગાંધી વગેરે હતા. ૨૭ મી માર્ચ, ૧૯૪૭ ના ગાંધીજી ત્યાં પહોંચી ગયા. તસ્વીરમાં રસ્તાની હાલત દેખાય છે.

શાંતિયાત્રા દરમ્યાન જેહાનાબાદ જીલ્લાના અબદુલ્લાચક ગામમાં એક મુસ્લીમ મહિલાએ મૃદુલા સારાભાઈને અને ગાંધીજીને કહ્યું, દંગામાં મારા પતિ અને બાળકોને દંગાખોરોએ મારી નાખ્યા છે. ગાંધીજીની આંખોમાં આંસુ સરી પડ્યા.

ઝુલ્ફીપુર નામના એક ગામમાં મુસલમાનોને મારીને એમના શબ એક નાના દુવામાં નાખી દેવામાં આવ્યા હતા. તસ્વીરમાં જે ઘર દેખાય છે એક મધ્યમવર્ગી મુસલમાનનું ઘર હતું, જેમાં તોડફોડ કરવામાં આવી હતી. ગાંધીજીના મનમાં કૂવો જોઈને શું વિચાર આવ્યા હશે એની તો હું કલ્પના પણ કરી શકતો નથી.

સાંજે ગાંધીજી ઓકરી નામના ગામમાં પહોંચ્યા અને પ્રાર્થના સભામાં મુસલમાનોને બોલાવ્યા અને શાંત્વના આપી. એમણે કહ્યું કે માણસ જ્યારે રાક્ષસ બની જાય ત્યારે આવું બની શકે. ફોટામાં બાદશાહખાનની બંધ આંખો અને ચહેરાના ભાવ જોઈને આજે પણ ધ્રૂજી જવાય છે.

ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૯

એપીસોડ (બિહાર શાંતિયાત્રા)

“મને તો મારો ફોટો લેવાય એ પણ પસંદ નથી. ફોટો કોઈ ખેંચે છે તો તે ગમતું નથી. પણ કોઈ કોઈ ખેંચી લે છે.” ગાંધીજીના શબ્દો જગ જાહેર છે. આવા સંજોગોમાં ૧૯૪૭ ના માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગાંધીજી જ્યારે બિહારના જહાનાબાદમાં તોફાનોનો શિકાર બનેલા લોકો વચ્ચે બાદશાહ ખાન અને મૃદુલા સારાભાઈ સાથે ફરતા હતા, ત્યાર લીધેલી જગનદાદાની તસવીરો વિના કોઈ પણ ગાંધીસંગ્રહાલય અધૂરું ગણાય. ગાંધીજીની શાંતિયાત્રાની ચુનંદી આઠ તસવીરોનો એક સંપુટ પ્રસિદ્ધ થયો હતો. તેના પ્રારંભમાં કાકાસાહેબ કાલેલકરે લખ્યું હતું, ‘ચિત્રકાર જગન મહેતા કો ભારતવર્ષ કી ઓર સે ધન્યવાદ મિલના ચાહિયે.’ ગાંધીજી અંગેની આ ફોટોગ્રાફીએ જગનભાઈને ખૂબ જ પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા અપાવ્યાં

આમાની જે તસ્વીરો હું ઉપલબ્ધ કરવામાં સફળ થયો છું, આજે આંગણાંના મુલાકાતી વચ્ચે વહેંચવામાં (મારા સ્વભાવ વિરોધી રીતે) ગર્વ અનુભવી રહ્યો છું.

‘પ્રકાશનો પડછાયો’ શીર્ષકવાળી તસવીરમાં ગાંધીજી મનુ ગાંધીના ખભે હાથ મૂકી વહેલી સવારે પદયાત્રા કરી રહ્યા છે અને તેમની સાથે જ સરહદના ગાંધી ખા અબ્દુલ ગફફારખાન પણ જોડાયા છે. ડો. સૈયદ મહમ્મદના બંગલના કંપાઉંડમાં ૨૪ મી માર્ચ, ૧૯૪૭ ના પાડેલી તસવીરે તો સમસ્ત જગતનું ધ્યાન ખેંચ્યું છે. પડછાયા આગળ છે એટલે સુર્યોદય પાછળ છે. સૂર્યની સામે ઊભા રહીને આટલી સ્પષ્ટ તસ્વીર એ સમયના ઉપલબ્ધ કેમેરાથી લેવી એ જગન મહેતા શિવાય કોણ કરી શકે?

તા. ૨૩મી માર્ચ ૧૯૪૭ ની સવારે જગન મહેતાએ જોયું કે એક અંધ ભિક્ષુક ગાંધીજીના ઉતારા બહાર ઊભો ઊભો તુલસીદાસજીની ચોપાઈ રટતો હતોઃ ‘અબ રામ કબ મિલેગેં?’ એ એનો હાથ પકડી એને અંદર લઈ ગયા. એ દિવસે ભીખમાં એને જે કંઈ મળ્યું હતું તે બધું જ તેણે ગાંઘીજીના ચરણમાં ધરી દીધું-પેટપૂજા માટે પણ તેણે કશું રાખ્યું નહીં. આવું પાવક દૃશ્ય ક્યાં જોવા મળે? એમણે એની તસવીર લઈ લીધી.

(આજની પોસ્ટના પ્રત્યેક ચિત્રના ઇતિહાસની શોધખોળ માટે અત્યાર સુધીની કોઈપણ પોસ્ટ કરતાં ખૂબ વધારે સમય લાગ્યો હતો. આંગણાંના મુલાકાતિઓ આની કદર કરે છે એટલે મને થાક નથી લાગતો.)

એક જગાએ ખૂબ પાણી ભરાયું હતું અને ત્યાં લાકડાં રોપી કામચલાઉ પુલ જેવું બનાવવામાં આવ્યું હતું-એક જ માણસ તેના પર થઈને ચાલી શકે એવું. બાપુ એ પુલ પર થઈને ચાલ્યા-જગન મહેતાને એ પુલ હિંદુમુસલમાન એકતાના દુર્ગમ પથ જેવો દેખાયો. એમણે અમૂલ્ય ઘડીની તસવીર લઈ લીઘી.

એક વૃધ્ધ મહિલા અચાનક આવી ચડીને ગાંધીજીના ચરણો પકડીને બેસી ગઈ, અને બોલીતમારા સિવાય અમને કોણ બચાવશે?” જગન મહેતાએ સજાગતાથી પ્રસંગને કેમેરામાં કેદ કરી લીધો.

ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૮

એમ કહેવાતું કે “જગન મહેતા ક્લિક્સ વન્સ’” એ તેમની ખુમારી અને એ તેમનો આત્મવિશ્વાસનો પરિચય છે. એકસાથે ધડાધડ ક્લિક કરવાના ડિજિટલ યુગમાં, ફ્લેશ વિના ઉત્તમ તસવીરો લેનાર જગનદાદા ખરા કેમેરાના કસબી કહેવાય.

આઝાદીની ચળવળમાં સર્જનાત્મક છબીકલામાં સંવેદનશીલતા અને કલ્પનાશક્તિના સર્જક અને ગાંધીજીની અલભ્ય તસ્વીરકાર જગન એક ભેખધારી તસ્વીર કલાકાર તરીકે જીવનના છ દાયકા સુધી ફોટોગ્રાફી કરી ફોટોગ્રાફીમાં નામના મેળવી હતી. તેમણે એક ગુજરાતી તરીકે ફોટોગ્રાફી કરી ગુજરાતને ગૌરવ અપાવ્યું  છે. ભારતના ૫૦ વર્ષના ઈતિહાસની ફોટોગ્રાફી કરી, શ્રેષ્ઠ તસવીરોમાં સ્થાન મળે તેવી તસવીરોનું સર્જન કરી વિશિષ્ઠ સ્થાન મેળવ્યું છે.

આજે જગન મહેતાએ પાડેલી ગાંધીજીની તસ્વીરો રજૂ કરૂં છું.

૧૯૩૮ માં હરિપુરાના ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનની તસ્વીર છે. ગાંધીજી એમના મંત્રીઓ મહાદેવભાઈ દેસાઇ અને પ્યારેલાલ (ડો. સુશીલા નાયરના ભાઈ) સાથે એમનો સવારના ચાલવાનો ક્રમ પતાવવા સાથે રાજકીય મુદ્દાની ચર્ચા કરતા જણાય છે.

સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન સાથે, મનુ ગાંધી અને આભા ગાંધીના ખભે હાથ મૂકી ગાંધીજી વહેલી સવારે એમનો ચાલવાનો નિત્યક્રમ પતાવવા નીકળ્યા ત્યારની તસ્વીર છે. વિશ્વ પ્રસિધ્ધ તસ્વીરનો ઈતિહાસ જગન મહેતાના શબ્દોમાં કંઈક આવો છે. “ગાંધીજી કયા સમયે ક્યાં ફરે છે, તેનું હું બરાબર ધ્યાન રાખતો હતો. મળસ્કે ફરવા જવાનો તેમનો રૂટ પણ મેં જોઇ લીધો હતો. આ બધું જાણી ગયા પછી એક સવારે હું બરાબર સજ્જ થઇને ગાંધીજીના મોર્નિંગ વોકના માર્ગ પર પહોંચી ગયો અને મારી પોઝિશન લઇને ગોઠવાઇ ગયો. કયા એન્ગલથી દૃશ્ય લેવું અને ફ્રેમમાં શું આવશે, એ તો મેં વિચારી રાખ્યું હતું. મનમાં થોડા ફફડાટ સાથે હું ગાંધીજીની રાહ જોતો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને સારો ફોટો મળે તેમ કરજો. વાતાવરણમાં પરોઢિયાનો ધુમ્મસમિશ્રિત પ્રકાશ છવાયેલો હતો. નક્કી સમયે મનુબહેન-આભાબહેનના ખભે હાથ મૂકીને મક્કમ ડગલાં ભરતા ગાંધીજી દૃષ્ટિમાન થયા. સાથે પહાડ જેવા પડછંદ પઠાણ બાદશાહખાન હતા. ચાલતાં ચાલતાં જેવા એ લોકો મારી કલ્પેલી ફ્રેમમાં આવ્યા કે તરત મેં ચાંપ દાબી. ત્યાર પછી આ સ્થળે અને સમયે જુદા જુદા દિવસોએ મેં પાંચ-છ ક્લિક કરી. સદ્‍નસીબે તેમાંથી બે-ત્રણ તસવીરો ખરેખર માસ્ટરપીસ થઇ.”

ગાંધીજી સતત પ્રવાસમાં રહેતા. જે ગામમાં રાત રોકાવાના હોય ત્યાં સાંજની પ્રાર્થના કરતા. ગામવાસીનો એમના માટે કામચલાઉ મંચ તૈયાર કરી લેતા. વીજળીની સગવડ હોય ત્યાં પેટ્રોમેક્ષથી કામ ચાવી લેતા. લાઉડસ્પીકર વગર પણ લોકો શાંતિ રાખી એમને સાંભળતા. ૧૯૪૭ માં ઓકરી ગામની પ્રાર્થના સભાની તસ્વીર છે.

૧૯૩૧ માં ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાન્ત સમારંભમાં મુખ્ય અતિથી તરીકે ગાંધીજીએ હાજરી આપી હતી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦માં કરી હતી.

ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૭

જગન મહેતાએ અનેક વિષયની બેનમૂન તસ્વીરો લીધી છે, પણ એમની સૌથી વધારે પ્રસિધ્ધી ગાંધીજીની ઐતિહાસિક તસ્વીરો માટે છે. ૧૯૪૭ ના માર્ચ મહિનામાં, બિહારમાં સળગેલી કોમી આગને ઠારવા ગાંધીજી અને ખાન અબ્દુલ ગફારખાન ગયેલા ત્યારે જગન મહેતા સતત એમની સાથે રહેલા. ગાંધીજીની ઐતિહાસિક તસ્વીરો વિશ્વ પ્રસિધ્ધ થઈ અને દુનિયાના અનેક દેશોમાં એમને પ્રદર્શિત કરવામાં આવી.

ગાંધીતસ્વીરોની શરૂઆત કરવા હું આજે મને ગમેલી થોડી અન્ય તસ્વીરો મૂકું છું. બિહારની તસ્વીરો આવતા અંકથી શરૂ કરીશ.

૧૯૩૨ માં ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાર્થના સભા દરમ્યાન લેવાયલી ગાંધીજીની તસ્વીર કેટલીય વાતો છતી કરે છે. જે વાસ્તુમાં ગાંધીજીની વ્યાસપીઠ છે અને ગાંધીજીની વ્યાસપીઠ બન્ને ગાંધીજીની સાદગી અને સામાન્ય માણસો સાથે ભળી જવાનો પ્રયાસ દર્શાવે છે. ગાંધીજીના મુખભાવમાં ભક્તિ અને એકાગ્રતા અજોડ છે. ક્યારેક તો એમ લાગે કે ગાંધીજી છે કે એમની પ્રતિમા !

૨૩ મી જુલાઈ ૧૯૩૩ના પાલડી, અમદાવાદના વિદ્યામંદિરમાં લેવાયલી તસ્વીરમાં પણ ગાંધીજીની સાદી વ્યાસપીઠ અને એમને સાંભળવા ભેળા થયેલા ગાંધીટોપી પહેરાલા માણસોનું નાનું જૂથ, સમયના વાતાવરણની ઝાંખી કરાવે છે. ગાંધીજી કેમેરા સામે જોઈને આપેલું સ્મિત મેળવવા બધા ફોટોગ્રાફર ભાગ્યશાળી હતા.

જગન મહેતાએ લીધેલી તસ્વીરોમાંથી ગાંધીજીની તસ્વીર ખૂબ જાણીતી છે. તસ્વીરમાં ગાંધીજીનું મનમોહક સ્મિત અને એમની આસપાસ બેઠેલા લોકોમાં હિન્દુમુસ્લીમોનું ગાંધીજી પ્રત્યેનું આકર્ષણ છતું થાય છે.

તસ્વીરમાં ગાંધીજીની મંડળી એક ગામથી બીજે ગામ જાય છે. ગાંધીજીની સાથે મૃદુલા સારાભાઈ છે. એક અતિ ધનાઢ્ય કુટુંબની સ્ત્રી ઉપર પણ ગાંધીજીની ચળવળની કેવી અસર થઈ હતી તેનું આનાથી મોટું ઉદાહર કયું હોઈ શકે?

 

ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૬

હીરાબેન રામનારાયણ પાઠક / હીરા કલ્યાણરાય મહેતા:

કવિ, વિવેચક. જન્મ વતન મુંબઈમાં. ૧૯૩૬માં મુખ્ય વિષય ગુજરાતી સાથે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી જી.એ. અને ૧૯૩૮માં ‘આપણું વિવેચન સાહિત્ય’ પર શોધનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૧૯૩૮થી ૧૯૭૨ સુધી મુંબઈની એસ.એન.ડી.ટી. કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક. ૧૯૭૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ‘પરલોકે પત્ર’ કાવ્યસંગ્રહ માટે ૧૯૬૮-૭૨નો નર્મદ સાહિત્યચંદ્રક. ૧૯૭૦-૭૧માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક.

કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા/કુન્દનિકા મકરંદ દવે, વાર્તાકાર, નવલકથાકાર. ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ ને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક. ૧૯૮૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

મકરન્દ વજેશંકર દવે: કવિ, ચરિત્રકાર, નિબંધકાર, નવલકથાકાર. ‘૪૨ની લડત માટે ઈન્ટર આર્ટસથી અભ્યાસ છોડ્યો. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’, જેવાં સામયિકો તથા વર્તમાનપત્ર ‘જયહિંદ’ વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી. ‘નંદીગ્રામ’ નામની, નવતર જીવનશૈલીનો પ્રયોગ કરતી સંસ્થાના સર્જક. ૧૯૭૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

પન્નાલાલ નાનાલાલ પટેલ: નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. કૌટુંબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડ્યો. ૧૯૩૬માં ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ.. ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૫ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત. દુષ્કાળનું આલેખન કરતી ‘માનવીની ભવાઈ’ તેમની કીર્તિદા કૃતિ છે.

રમેશ મોહનલાલ પારેખ: કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર. ૧૯૫૮માં મેટ્રિક. આધુનિક સર્જક તરીકેની ખ્યાતિ ૧૯૬૭માં પામ્યા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત.

ગુજરાતી કવિતાસાહિત્યમાં આગવી મુદ્રા પ્રગટાવતા સર્જક છે. એમણે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસ્વરૂપોને ખેડ્યાં છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. સોનલને ઉદ્દેશીને લખાયેલા ગીતો તેમ જ મીરાંકાવ્યો ખાસ ધ્યાન ખેંચે છે.

ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૫

એક સમય એવો હતો કે જ્યારે સાહિત્યકારો એકબીજાની મજાક કરતા કેતમારી તસ્વીર જગન મહેતાએ પાડી નથી તો તમે સાહિત્યકાર કહેવાઓ.”

જગન મહેતાએ એમના સમયના લગભગ બધા સાહિત્યકારોની Portrait તસ્વીરો પાડી છે. મારી પાસે આવી ૧૦૭ તસ્વીરો છે, એમાંથી ઓછી ઉપલબ્ધ એવી ચાર તસ્વીરો અંકમાં અને પાંચ તસ્વીરો આવતા અંકમાં મૂકીશ.

બાલમુકુન્દ મણિશંકર દવે

કવિ. જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં. વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાં. મેટ્રિક થઈ, ૧૯૩૮માં અમદાવાદમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી. ત્યારબાદ ‘નવજીવન’માં જોડાયા. ત્યાંથી ત્રણેક દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કાર્ય કર્યું. ૧૯૪૯માં કુમારચન્દ્રક મળ્યું. પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ એમના કવનના મુખ્ય વિષયો છે.

બળવંતરાય કલ્યાણરાવ ઠાકોર,:

કવિ, વિવેચક. જન્મ ભરૂચમાં. ૧૮૮૩માં મેટ્રિક. ૧૮૮૯માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક. ૧૮૯૧માં પૂના ડેક્કન કૉલેજમાં એમ.એ.ના અભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨માં ત્યાં ફેલો નિમાયા પણ ૧૮૯૩માં એમ.એ. થયા વગર જ કૉલેજ છોડી. ૧૯૨૪ સુધી ઘણી કોલેજોમાં અધ્યાપન કર્યું.

નવી વિભાવના, સોનેટનું નવું સ્વરૂપ, લાગણીને સ્થાને વિચાર, સરલતાની સામે અર્થઘનતા, આ સર્વ એમની આગવી દેન છે. ગુજરાતીમાં પ્રાસહીન પદ્યની નિકટ જવા એમણે અગેય પૃથ્વી છંદ યોજ્યો. ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ અને વિવેચનો કરીને તેમણે વિચારઘન કવિતાને પ્રજા સુધી પહોંચાડવાનો અથાક પુરુષાર્થ કર્યો.

ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષી:

નવલકથાકાર, નવલિકાકાર, નિબંધકાર, પ્રવાસકથાલેખક, આત્મકથાલેખક. જન્મ પાલનપુરમાં. ૧૯૫૨માં મુંબઈથી બી.એ. થઈ કોલકાતા ગયા. ૧૯૫૬માં એલએલ.બી. ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષયોમાં એમ.એ. ૧૯૭૦-૧૯૮૦ દરમિયાન મુંબઈની મીઠીબાઈ કૉલેજમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનનું અધ્યાપન. ૧૯૮૦થી ૧૯૮૨ એ બે વર્ષ માટે મુંબઈની એલ. એસ. રાહેજા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજના પ્રિન્સીપાલ. ત્યારપછી પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય.

‘ઘટનાના બેતાજ બાદશાહ’ ગણાયેલા ચન્દ્રકાન્ત બક્ષીએ વિપુલ પ્રમાણમાં કથાસાહિત્ય લેખન કર્યું છે. આગવી શૈલી, મહાનગર જીવનનાં વિષાદ, વેદના અને એકલતાના આલેખનથી તેઓ આધુનિક સર્જક ગણાયા છે.

ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર:

વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક. જન્મ પોરબંદરમાં. ૧૯૨૬માં મેટ્રિક. ૧૯૩૦માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૩થી ૧૯૬૪ સુધી મુંબઈ શેરબજારમાં બ્રોકર તરીકે કામ કર્યું. ૧૯૬૮નો કુમારચંદ્રક પ્રાપ્ત. ૧૯૭૪-૭૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

એમની વાર્તાસૃષ્ટિમાં મહાનગરનો વેપારીસમાજ, દેહમનનાં ભરતીઓટ, લગ્નેતર સંબંધો, પ્રેમ, મોહ અને દાંપત્યનાં સૂક્ષ્મ-સંકુલ મનોભાવોનું નિરૂપણ થયું છે.

ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૪

જગન મહેતાની ઓળખ ગાંધીજીના તસ્વીરકાર તરીકે હોવા છતાં, જગન મહેતાએ પ્રકૃતિ અને મનુષ્ય જીવનને લગતી અનેક યાદગાર તસ્વીરો લીધી છે, એમાં સ્થાપત્યો, કલાકારો અને સાહિત્યકારોની તસ્વીરોનો સમાવેશ થાય છે.

આજે અહીં હું સ્થાપત્યની બે અને કલાકારોની બે તસ્વીરો રજૂ કરૂં છું.

બારમી સદીમાં બંધાયેલું વિશાળ શિવ મંદિર કર્ણાટકના હલેબિદમાં આવેલું છે, એની દિવાલોમાં પથ્થરોમાં કોતરકામ કરી રામાયણ અને મહાભારતના એક હજારથી વધારે પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે. આ નૃત્ય કરતા ગણેશની પ્રતિમા મંદિરના પ્રવેશદ્વારમાં જ છે. તસ્વીરમાં જે ઝીણાંમાં ઝીણી વિગતો પણ સ્પષ્ટ દેખાય છે જગન મહેતા પોતાના કેમેરાના ફોકસ ઉપર કેટલું ધ્યાન આપે છે એનો નમૂનો છે. ઈલેક્ટ્રોનિક તસ્વીર આટલી સ્પષ્ટ છે, તો Original તસ્વીર કેટલી સ્પષ્ટ હશે એની તો કલ્પના કરવી રહી.

મંદિરની દિવાલ ઉપરના નાગદમનના કોતરકામમાં પણ સ્થાપત્યની બારીકીઓને આબેહૂબ તસ્વીરમાં ઝડપી લીધી છે. નાગની ફેણ ઉપર એક પગે ઊભેલા વિષ્ણુભગવાને નાગની પૂંછડીને ઉપર ઉઠાવેલા હાથમાં પકડી રાખી છે. બીજો હાથ આશીર્વાદની મુદ્રામાં છે. નાગના શરીર ઉપર હલન ચલન માટેના સ્નાયુઓ પણ સ્પષ્ટ દેખાય છે. નીચે નાગણ બે હાથ જોડી પ્રભુને પ્રાર્થાના કરી રહેલી દેખાય છે. ભગવાનના વસ્ત્રો અને અલંકારોની બારીકીઓ પણ આટલી નાની તસ્વીરમા ઝડપી લેવી સામાન્ય તસ્વીરકારનું કામ નથી.

કલાકારોની Still Photography માં પણ જગન મહેતાની તસ્વીરોએ એટલી ખ્યાતી પ્રાપ્ત કરી છે. તસ્વીરમાં દુષ્યંતની ભૂમિકામાં પૃથ્વીરાજ કપૂર છે. કલાકારનાઅ મુખભાવ, વસ્ત્રો અને અલંકારોની બારીકી બેનમૂન છે. ૧૯૪૦ પહેલાની તસ્વીર છે. ત્યારે તો કેમેરા પણ આજના જેવા શક્તિશાળી હતા.

શકુન્તલાના પાત્રમાં મરાઠી કલાકાર ઈન્દીરા લાલે છે. એની સાડીની પારદર્શિતા ચિત્રમાં પણ સ્પષ્ટ દેખાય છે. એના કંગન, કાનના ઝૂમકા, આંખો અને બીડેલા હોઠ, જે લાક્ષણિકતાઓ જગનભાઈને દેખાઈ બધી આપણને દેખાડી દીધી છે.

ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૩

જગન મહેતાની ગાંધીજીની તસ્વીરોની વાત કરૂં તેથી પહેલા એકબે એપીસોડસમાં એમની અન્ય તસ્વીરોની વાત કરી લઉં.

પ્રથમ એપીસોડમાં એમની ત્રણ સામાજી તસ્વીરો મૂકેલી. આજે બીજી ત્રણ તસ્વીરો મૂકી સામાજીક તસ્વીરોનો વિષય પુરો કરૂં છું.

કલકત્તામાં હજીપણ થોડા વિસ્તારોમાં માણસ દ્વારા ખેંચાતી હાથરિક્ષાઓ મોજુદ છે. ગરીબીને લીધે ૧૦૦ થી પણ વધારે વર્ષ અમાનવીય પ્રથા ચાલુ રહી. હું પણ આવી રીક્ષાઓમાં બેઠો છું (આજે મને એની શરમ આવે છે). “દો બિગા જમીનનામનું એક ચલચિત્ર ખૂબ  પ્રખ્યાત થયેલું, જેમા બલરાજ સહાનીએ આવા રીક્ષાવાળાનો રોલ કર્યો હતો. જગનભાઈની તસ્વીર કેટલી વાતો કહી જાય છે. ઘરાકોની રાહ જોતા બે યુવાનીમાં પ્રવેશેલા માણસો સમય પસાર કરવા વાતો કરે છે. તસ્વીરની સ્પષ્ટતા, પડચાયા અને વૃક્ષોના નીચલા હિસ્સા, બધાનું Focus કેટલું Sharp છે.

ચોખાના ખેતરમા રોપણી કરતી ખેત મજૂર સ્ત્રીની કમ્મરતોડ મહેનતને ઉજાગર કરતી તસ્વીરમાં કાદવ અને પાણી, ખેટરના સીમાડા, અને દૂરની વનરાઈ, બધું એક સરખું ચોખ્ખું દેખાય છે. આવી એક સરખા ફોકસવાળી તસ્વીરો કોઈ સામાન્ય તસ્વીરકાર લઈ શકે.

તસ્વીરમાં તો જીવનનો સંદેશ છે. વણાંકવાળી લાંબી વાટ અને એમાં એક એકલું ગાડું ધીમી ગતિએ ચાલ્યું જાય છે. દૂર દૂર સુધી એક્પણ ઘર તો શું ઝુપડું પણ દેખાતું નથી. આરામ કરવા છાંયડો આપતાં વૃક્ષ પણ કેટલાં થોડા અને કેટલે દૂર દૂર છે? જીવનનો સંદેશ છે, રસ્તે ચાલ્યો જા, મંઝીલ જરૂર આવશે.