( આજે લલિતકળાઃ મ્યુઝિયમ્સ – જયા મહેતા લિખિત અને સુરેશ દલાલ સંપાદિત શ્રેણીનો છેલ્લો હપ્તો છે. આપ સહુ વાચકોનો આભાર માનું છું કે આપે આ શ્રેણીને હોંશે હોંશે વાંચી અને માણી. મૂળ આ સિરીઝ ૨૦૦૫માં છપાઈ હતી આથી આજના પરિપેક્ષ્યમાં એને મૂકવાની કોશિશ જેટલી માહિતી મળી શકે અને જે મૂળ લખાણના પોત સાથે સુસંગત બેસી શકે, એ પ્રમાણે કરી છે. ક્યાંક એ જો ઊણી ઊતરી હોય તો એ મારી સમજણની ઊણપ છે અને જો યોગ્ય રીતે એ ભળી ગઈ હોય તો એ મૂળ લેખકની સર્જકતાનો કમાલ છે કે જેના વડે આ લેખ સમકાલિનમાંથી સર્વકાલિન બની શકે છે. અહીં હું જયાબેન મહેતાનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણા ગુજરાતી સાહિત્યને લોકભોગ્ય અને લોકપ્રિય કરવામાં જે એક સાક્ષરનો અથાક પ્રયાસ રહ્યો છે અને જેની નોંધ ગુજરાતી ભાષાનો ઈતિહાસ લખાશે ત્યારે એમના નામની નોંધ લેવી આવશ્યક બનશે એવા સ્વ. શ્રી સુરેશ દલાલને અહીં એમના સંપાદન માટે આભાર માનવાના નિમિત્તે ખૂબ જ આદર અને અહોભાવથી સ્મરણ કરીને નમન કરું છું.)
હવે તો, દરેક નાનાં-મોટા શહેરોમાં મ્યુઝિયમની કે મ્યુઝિયમ જેવી વ્યવસ્થા આજના ટેકનોલોજી યુગમાં કરવામાં આવી છે, જેને કારણે મ્યુઝિયમનું કાર્ય-ફલક પણ ઘણું વિકાસ પામ્યું છે અને વિસ્તર્યું છે. આવા સેંકડો મ્યુઝિયમને અહીં આવરી લેવા શક્ય નથી પણ થોડાંક ખાસ મ્યુઝિયમોનો અહીં ઉલ્લેખ કરીએ છીએ.
૧. રાજા દિનકર કેળકર મ્યુઝિયમઃ પૂણેનું આ પ્રસિદ્ધ મ્યુઝિયમ છે. એમાં ડો. દિનકર જી. કેળકર નું પર્સનલ કલેક્શન પણ છે. ૧૯૨૦ માં એમના પુત્ર રાજાના અકાળ અવસાનથી શોકગ્રસ્ત પિતા દિનકર કેળકરે દેશભરમાંથી કલાકારીગીરી યુક્ત પ્રાચીન ને અર્વાચીન દીવીઓનો સંચય કરવાનો આરંભ કર્યો; પછી બીજી વસ્તુઓ પણ સંચિત કરવા માંડી. આ મ્યુઝિયમમાં ૧૪મી સદીના શિલ્પના નમૂનાઓ, યુદ્ધના અલગ અલગ હથિયાર અને અન્ય પેઈંન્ટિંગ્સ તો છે જ, પણ આનું મુખ્ય આકર્ષણ છે હાથીદાંત, ચાંદી અને સોનાના ઘરેણાંઓ અને એ સમયની દીવીઓ સમી ઘરગથ્થુ ખાસ વસ્તુઓ. આમ તૈયાર થયું આ મ્યુઝિયમ. સ્ત્રી જીવનને આવરી લેતું આ પહેલું મ્યુઝિયમ છે
૨. સાલરજંગ મ્યુઝિયમ (સિકંદરાબાદ): હૈદરાબાદના નિઝામના એક પ્રધાનને અને પછી તેના પુત્ર અને પૌત્રને પણ સાલારજંગ બિરૂદ અપાયું હતું. આ ત્રણેયે કરેલો વસ્તુ સંચય આ મ્યુઝિયમમાં સચવાયો છે. અનેક સુંદર કલાત્મક વસ્તુઓના સંચય માટે આ મ્યુઝિયમ સુપ્રસિદ્ધ છે.
૩. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સ્ટાઈલ (અમદાવાદ): શ્રીમતિ ગિરા સારાભાઈના પ્રોત્સાહનથી સન ૧૯૪૯માં આ મ્યુઝિયમની સ્થાપના થઈ. હાથવણાટના શરબતી, મુગા સિલ્ક, ખાદી, પટોળાં, મહારાષ્ટ્રની વિશિષ્ટ પ્રકારની પૈઠણી સાડી, કાંચીપુરમ સિલ્ક, કલમકારી (કાપડ પર પેઈન્ટિંગ), પશમીનો વગેરે સૂતર, રેશમ અને ઊનનાં અનુપમ વસ્ત્રોનું આ સુંદર મ્યુઝિયમ છે.
૪. મ્યુઝિયમ ઓન વ્હિલ: પૂણેની ડેક્કન કોલેજ દ્વારા સન ૨૦૦૪થી આ હરતાફરતા સંગ્રહલયનો આરંભ થયો છે. ડેક્કન કોલેજના પુરાવસ્તુવિદ્યા વિભાગે પાષાણયુગના માનવજીવન સંદર્ભિત પ્રાપ્ત કરેલી વસ્તુઓ એક હરતીફરતી બસમાં પ્રદર્શિત કરવામાં આવી છે. તે સાથે જ એને લગતો દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ પણ બસમાં જ રજૂ કરવામાં આવે છે.
૫. નેશનલ કસ્ટમ્સ એન્ડ એક્સાઈઝ મ્યુઝિયમ સેલ: (ગોવા) સીમાશુલ્ક મ્યુઝિયમ! નામ વાંચીને આશ્ચર્ય જ થાય; પણ આ હકીકત છે. સીમાશુલ્ક એટલે કે કરવેરાને લગતી સામગ્રી અને કરવેરા ઉઘરાવવાની પ્રવૃત્તિઓનો ઈતિહાસ, દસ્તાવેજો વગેરે તેમાં પ્રદર્શિત થાય છે. સન ૨૦૦૫ના સપ્ટેમ્બર મહિનાથી શરૂ થયેલા આ મ્યુઝિયમ દ્વારા સીમાશુલ્કને લગતો ચાર હજાર વર્ષ જૂનો ઈતિહાસ દર્શાવતો ગ્રંથ તેમ જ દસ્તાવેજી ફિલ્મ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
૬. મચ્છર મ્યુઝિયમઃ દિલ્હીમાં આ એક અજબગજબનું મ્યુઝિયમ છે. ૧૯૩૮માં સ્થપાયેલું આ મ્યુઝિયમ, એના પ્રકારનું એશિયાભરમાં સૌથી જૂનું અને મોટું છે. તેમાં ટાંકણીથી બેસાડેલા લગભગ એક લાખ મચ્છરો, પ્લેગવાળા ઉંદરો તથા વિવિધ વાયરસ ફેલાવતા જાતજાતનાં પક્ષીઓ છે. સમયાનુસાર વિજ્ઞાનની શોધખોળને આધારે આ સંગ્રહનો વિસ્તાર થતો રહે છે. આ બધું વૈજ્ઞાનિક માહિતી સાથે રજુ કરાય છે અને તે રોગચાળા અંગેના સંશોધનો માટે અત્યંત ઉપયોગી નીવડે છે.
૭. ઈન્ડિયન એર ફોર્સ મ્યુઝિયમઃપાલમ – દિલ્હીમાં પાલમ એરફોર્સ સ્થિત આ મ્યુઝિયમ એક માત્ર આ પ્રકારનું હતું. પણ, હવે નેશનલ એવિએશન મ્યુઝિયમ, ૧૯૯૮થી ગોવામાં સ્થાપવામાં આવ્યું છે અને HAL નું સંગ્રહાલય ૨૦૦૧માં બેંગલોરમાં સ્થાપવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં જુદાજુદા એરક્રાફટ્ને એના ઈતિહાસ સાથે રજુ કરવામાં આવ્યાં છે.
ભારતનાં મ્યુઝિયમો દ્વારા અપાતી સેવાઓઃ ભારતનાં મ્યુઝિયમો ઓછેવત્તે અંશે નીચેની સેવાઓ આપતાં રહે છે. અહીં થોડાંક ઉદાહરણો આપ્યાં છે.
૧. ધ નેશનલ મ્યુઝિયમઃ (દિલ્હી) –મ્યુઝિયમમાં પ્રદર્શિત વસ્તુઓને આધારે અભ્યાસ લેખો તેમ જ મ્યુઝિયમનું સૂચિપત્રનું પ્રકાશન, પ્લાસ્ટરમાં બનાવેલી શિલ્પકૃતિઓ, સિંધુખીણની સંસ્કૃતિનાં રમકડાં અને પ્રાણીઓની પ્રતિકૃતિઓ વગેરેનું નિર્માણ અને વેચાણ કરે છે.
૨. ધ નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટસઃ (દિલ્હી) – ટૂંકા ગાળાનાં ખાસ પ્રદર્શનો યોજે છે. અભ્યાસ લેખ, પિક્ચર, પોસ્ટકાર્ડ, ભીંતચિત્રો – પોસ્ટર્સ, વગેરેનું પ્રકાશન અને વેચાણ કરે છે.
૩. ધ નેશનલ હેન્ડિક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ મ્યુઝિયમઃ (દિલ્હી) – બાળકો માટે પ્રવાસ, કાર્યશિબિરો, દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમો તેમ જ પ્રવચનો યોજે છે. તેમ જ પ્રકાશનો પણ કરે છે.
૪. ધ ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ ધ ગાંધી સ્મૃતિ મ્યુઝિયમઃ (દિલ્હી) – આ બંને મ્યુઝિયમો દ્વારા ગાંધીજીનાં લખાણો ને એમનું જીવન ચરિત્ર, આઝાદીની લડતને લગતાં પુસ્તકો વગેરેનું પ્રકાશન અને વેચાણ કરાય છે.
૫. નહેરુ મેમોરિયલ મ્યુઝિયમઃ (દિલ્હી) – આ મ્યુઝિયમોનો પ્રકાશન વિભાગ છે. તે પુસ્તકો, ફોટા વગેરેનું વેચાણ કરે છે.
૬. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમઃ (મુંબઈ) – મ્યુઝિયમને લગતાં પુસ્તકો, પિક્ચર, પોસ્ટકાર્ડ વગેરેનું પ્રકાશન કરે છે , વેચાણ કરે છે અને શૈક્ષણિક કાર્યક્રમો યોજે છે.
૭. આર્કિયોલોજીકલ મ્યુઝિયમઃ રાંચી – પુસ્તકો અને મ્યુઝિયમની વસ્તુઓની સચિત્ર ગાઈડ વગેરેનું વેચાણ કરે છે.
૮. આર્કિયોલોજીકલ મ્યુઝિયમઃ (સારનાથ) – આ મ્યુઝિયમ દ્વારા સારનાથ વિષે કેટલાંક પ્રકાશનો થયાં છે.
૯. ભારત કલાભવન (બનારસ હિંદુ યુનિવર્સીટી) – આ કલાભવન મિનિએચર પેઈન્ટિંગ્સનાં પોસ્ટકાર્ડ્સ, માહિતીપત્ર અને અભ્યાસ લેખોનું વેચાણ કરે છે.
આપણાં મ્યુઝિયમોની ઉપરોકત તેમ જ અન્ય સેવાઓ પર ઊડતી નજર નાખતાં એ જણાઈ આવે છે કે એમને હજી તો ઘણું કરવાનો અવકાશ છે. લોકાભિમુખ પ્રવૃત્તિઓ વિકસાવવાની જરૂર છે અને આ કામ સતત બદલાતાં સમય સાથે કદમ થી કદમ મિલાવીને કરવાનું છે. આ એકવારનું કામ નથી કારણ કે વખત પ્રમાણે લોકોની રૂચી અને રસના વિષયો પણ બદલાતાં રહે છે. વિશ્વભરમાં ઇતિહાસ, સાંપ્રત સમય એ બધું જ સાચવી લેવા પ્રત્યે જાગૃતિ આવી છે અને ભારતમાં આ જાગરૂકતા હજી જોઈએ એવી ફેલાઈ નથી. આથી જ આપણા દેશમાં લોકલ અને મધ્યવર્તી સરકારો આ બાબતમાં વધુ વિચારે અને યોજનાઓ લાગુ કરે એ અનિવાર્ય બની જાય છે.
એક નક્કરપણે સક્રિય સંસ્થા લેખે મ્યુઝિયમના મહત્વનો આધાર તે ક્યા કાર્યો કરે છે – કરી શકે છે એના પર રહેલો છે. ધ્યેય નિશ્વિત ન હોય તો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ચોક્કસપણે કોઈ મહત્વનું કાર્ય કરી શકે નહીં. મ્યુઝિયમનું ધ્યય આનંદ આપવાનું તેમ જ આનંદરસિત શિક્ષણ આપવાનું છે. Continue reading લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૫) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ→
ગેલેરીઃ આ નામ આજે મોટે ભાગે પેઈન્ટિંગ્સ અને શિલ્પનાં પ્રદર્શન્ખંડ તેમ જ તેના સંગ્રહાલયો માટે પણ પ્રયોજાય છે. પેઈંન્ટિંગ્સ અને શિલ્પ પ્રદર્શિત કરવા માટે વિશિષ્ટ પ્રકારની પ્રકાશયોજના જરૂરી છે. બંને બાજુએથી પ્રકાશ આવે એવી વિશાળ બારીઓવાળા વરંડા જેવા ખંડ ગેલેરી કહેવાતા હતા. હવે તો ગેલેરી-આકારના ન હોય એવા ખંડો તેમ જ સંગ્રહાલયો પણ, જ્યાં પેઈન્ટિંગ્સ અને શિલ્પ પ્રદર્શિત કરાયાં હોય તે ગેલેરી કહેવાય છે. જેમ જેમ લાઈટિંગની વ્યવસ્થા આધુનિક થતી ગઈ તેમ તેમ કુદરતી પ્રકાશ પરની નિલંબિતા ઘટતી ગઈ. આ પણ ગેલેરીના વ્યાપ માટે મુખ્ય કારણ છે. Continue reading લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૩) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ→
(લલિતકળાના વિભાગમાં મ્યુઝિયમો વિષેની આ શ્રેણીનો આરંભ કરતાં, આજે મને પહેલીવાર થાય છે કે, હું “દાવડાનું આંગણું”ના વડવૃક્ષના મૂળ સુધી પહોંચી છું. વડીલબંધુ દાવડાભાઈએ લલિતકળાને ઉજાગર કરવા આ બ્લોગનો પ્રારંભ કર્યો હતો, એમના નિધન પછી આ લલિતકળાના વિભાગમાં, પહેલીવાર આ લેખ મૂકતાં મને આનંદ પણ થાય છે અને પૂ. ભાઈની યાદ આવતાં આંખો અનાયસે ભીની પણ થાય છે. તો પ્રિય વાચકમિત્રો, આવનારા બીજા ૬ અઠવાડિયા સુધી આપણે મ્યુઝિયમો વિષે થોડીક જાણકારી મેળવીશું. આશા છે આપ સહુને આ શ્રેણી ગમશે) Continue reading લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૧) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ→