Category Archives: પરભુભાઈ મિસ્ત્રી

સાયકોલોજીકલ રિવર્સલ યાને મનની અવળચંડાઈ!- પરભુભાઈ મિસ્ત્રી

સાયકોલોજીકલ રિવર્સલ યાને મનની અવળચંડાઈ!

મારા એક મિત્રને બીડી પીવાનું વ્યસન છે. તેઓ ખુદ માને છે કે તમાકુ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મિત્રોની મહેફિલ જામી હોય કે કોઈ સભામાં બેઠા હોય ને એમને ખ્યાલ આવે કે હવે નિકોટિનનું લેવલ નીચે જઈ રહ્યું છે એટલે બહાર જઈને તેમણે ધુમ્રપાન કરી આવવું પડે છે. આમ કરતાં તેમને સંકોચ થાય છે, અપરાધભાવ અનુભવે છે, પણ સંનિષ્ઠ પ્રયાસો કરવા છતાં તેમનાથી આ વ્યસન છૂટતું નથી. આપણે કહીએ છીએ કે મન હોય તો માળવે જવાય, પણ ભૂતકાળમાં એમણે વ્યસન છોડવાના દિલથી પ્રયત્નો કર્યા હોવા છતાં વ્યસન એમને ગાંઠતું નથી. એમની પ્રામાણિકતા પર શંકા ઉઠાવવાનું કોઈ કારણ નથી. મક્કમ મનોબળ થકી એમણે જીવનમાં મુશ્કેલમાં મુશ્કેલ લક્ષ્યાંકો સર કર્યા છે, પણ નાનકડી બીડી સામે હાથ જોડવા પડ્યા છે.

Continue reading સાયકોલોજીકલ રિવર્સલ યાને મનની અવળચંડાઈ!- પરભુભાઈ મિસ્ત્રી

શબ્દો આપણાં સ્વજનો – પરભુભાઈ મિસ્ત્રી

શબ્દો આપણાં સ્વજનો

આ વિશ્વમાં કશુંય સ્થાયી નથી; જગત પરિવર્તનશીલ છે. ક્ષણે ક્ષણે સૃષ્ટિ બદલાતી રહે છે. માણસો પણ બદલાય છે અને સંબંધો પણ બદલાતા રહે છે. આપણે પોતે પણ હવે પહેલાંના જેવા ક્યાં રહ્યા છીએ! Continue reading શબ્દો આપણાં સ્વજનો – પરભુભાઈ મિસ્ત્રી

“મારે લાયક કામકાજ હોય તો કહેજો!” – પરભુભાઈ મિસ્ત્રી

ક્યારેક ને ક્યારેક આ વાક્ય આપણે કોઈને આશ્વાસન આપવા માટે બોલ્યા હોઈશું કે ‘મારે લાયક કંઈ પણ કામ હોય તો બોલજો, સંકોચ રાખશો નહિ.’ તો વળી ક્યારેક આપણને મદદ કરવા માટે કોઈના તરફથી પણ એ પ્રમાણે બોલાયું હોય, એ સાવ સામાન્ય ઘટના છે. હૃદયપૂર્વક બોલાયેલા આ શબ્દોથી માણસને તાત્કાલિક રાહત થાય છે. પોતીકાપણું લાગે છે, મુસીબતની વેળા હું એકલો નથી, મારી પાછળ મને ચાહનારાઓનું નક્કર પીઠબળ છે, એની ખાતરી પછી માણસનો ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો આવે છે. વ્યક્તિ હિંમતભેર પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ થાય છે. શબ્દોમાં આ તાકાત છે. એવું પણ બને કે મદદની ઓફર સ્વીકારવાનો વખત જ નહિ આવે. ન તો કોઈ આપણી પાસે મદદ માંગે કે ન તો આપણે કોઈને એ વચન યાદ કરાવવું પડે.

Continue reading “મારે લાયક કામકાજ હોય તો કહેજો!” – પરભુભાઈ મિસ્ત્રી

આપણી ભક્તિના પાયામાં જ લેવડ-દેવડ! – પરભુભાઈ મિસ્ત્રી

આપણી ભક્તિના પાયામાં લેવડદેવડ !

દર વર્ષે પવિત્ર શ્રાવણ મહીનો આવે છે અને સમાજમાં ભક્તિનું જાણે પૂર આવે છે. આડે દિવસે મંદિરમાં ન જનારા લોકો પણ મંદિરમાં દર્શનાર્થે જાય છે. પૂજાપાઠ કરે છે, ઉપવાસ કરે છે. પાંચ મહાદેવ કે અગિયાર મહાદેવના પ્રવાસો ગોઠવે છે. શિવ મંદિરોમાં રૂદ્રી કરાવે છે. કથાશ્રવણ કે ધાર્મિક પુસ્તકોનું વાચન થાય છે. ભજનની સપ્તાહો મંડાય છે- આ બધું કેવળ દેખાવ ખાતર થાય છે એવુંય નથી, લોકો પૂરા ભાવથી અને –શ્રદ્ધાપૂર્વક પોતાના ઈષ્ટદેવની પ્રીતિ અર્થે પોતપોતાની સમજણ અને આવડત મુજબ કરે છે. લોકોની આ ધાર્મિકતાને વટાવીને વેપલો માંડનારાઓ કમાય છે, તેમ લોકોની ધાર્મિકતાનું સમાજસેવા સાથે સંકલન કરી જાહેર કલ્યાણના કામો પણ થાય છે. પવિત્ર શ્રાવણ કે અધિક મહીનામાં કરેલા સત્કાર્યનું અનેકગણું પૂણ્ય મળતું હોવાની માન્યતાને લીધે ભાવિકજનો ઉદારતાથી દાનધરમ કરે છે, જેને લીધે નિઃસ્વાર્થ સમાજસેવા કરનાર પૂણ્યશાળી સજ્જનો કે સેવા સંસ્થાઓને એક ઉત્તમ તક પણ પ્રાપ્ત થાય છે. કાશ! એ ભાવના અને એ સત્કર્મોનું બારેમાસ સાતત્ય જળવાતું હોય તો સમાજને કેવું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય, પણ અફસોસ કરવા જેવો નથી; લોકોના હૈયામાં સુષુપ્ત ધરબાઈ પડેલી સદભાવના એ નિમિત્તે પ્રગટ થાય છે એ વાત ખૂબ મહત્ત્વની છે. એ અંકુર ફૂટશે તો વખત જતાં એ જરૂર ફૂલશે, ફાલશે અને ફળશે એવી આશા બંધાય છે.

જ્યારે જ્યારે ભક્તિની વાત કરતા હોઈએ ત્યારે શ્રીમદ ભગવદ ગીતા જરૂર યાદ આવે. ગીતાના સાતમા અધ્યાયમાં ભગવાને અર્જુનને કહ્યું છે કે ‘હે ભરતશ્રેષ્ઠ અર્જુન! ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની‘. રોગ અથવા શારીરિક કષ્ટથી પીડાતા લોકો ભગવાનને કરુણભાવથી યાદ કરતા હોય, તેમને આર્તભક્ત કહ્યા છે. જીવન છે એટલે સંકટો તો આવવાના જ, ભગવાને સંકટ કેમ મોકલ્યું એવી ફરિયાદ ચાલે નહીં. માણસ સંકટમાં હોય ત્યારે તેણે સૌ પ્રથમ તો બુદ્ધિપૂર્વકના તમામ પ્રયત્નો કરવા જોઈએ. ભગવાને બુદ્ધિ આપી છે તે શા માટે? ભગવાને આપેલી બુદ્ધિનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને મુસીબતોનો ઉકેલ શોધવો જોઈએ. તે સાથે ઈષ્ટદેવતાનું નામસ્મરણ કરવાનું ભૂલવું ન જોઈએ. મોટાભાગના રોગો દવાથી સારા થાય છે, પણ એકલી દવાને જશ ન આપતા ભગવાનની કૃપા વિસરાવી જોઈએ નહી. સંકટ સમયે ઈશ્વરને યાદ કરવા એ ધારવા જેટલું સરળ નથી. ટેવ પાડી હોય તો જ હોઠે ઈશ્વરનું નામ યાદ આવે. સંકટમાંથી પાર ઊતરી ગયા પછી પણ ભગવાનનો ઉપકાર ભુલાવો ન જોઈએ.

બીજો વર્ગ જિજ્ઞાસુ ભક્તોનો છે. આ જિજ્ઞાસા એટલે બ્રહ્મજિજ્ઞાસા. સંકટની જેમને કોઈ પરવા નથી, કોઈ અપ્રાપ્ય વસ્તુ પ્રાપ્ત કરવાની અભિલાષા પણ જેમને નથી, મોક્ષ પ્રાપ્તિની પણ જેમને ખેવના નથી, મુક્તિ સ્વયં જેમના પગ પાસે આવીને ઊભી રહી છે તેવા ઋષિમુનિઓ આ વર્ગમાં આવે છે.

અર્થાર્થી એટલે કે ભગવાનને ભજવા પાછળ જેમનો કોઈ ચોક્કસ હેતુ હોય, કોઈ અભિલાષા હોય, મહત્ત્વાકાંક્ષા હોય, મનોરથો પૂરા કરવાના હોય, કોઈ ગરજ હોય અથવા સ્પષ્ટ ભાષામાં કહીએ તો કોઈને કોઈ સ્વાર્થ હોય! શરીર સુખ, સ્ત્રીસુખ, પુત્રસુખ, રાજ્યસુખ, સ્વર્ગસુખ અને સંસારના ભોગોની પ્રાપ્તિ માટે જે લોકો ભગવાનને યાદ કરે છે તેમને પણ ભગવાને સુકૃતિન: એટલે કે પુણ્યશાળી કહ્યા છે તેનાથી આશ્ચર્ય જરૂર થાય છે કારણ કે, જે સંબંધમાં સ્વાર્થની દુર્ગંધ આવતી હોય તે સંબંધ ઉત્કૃષ્ટ તો નથી જ. એ તો નરી સોદાબાજી કરેલી કહેવાય. સ્વાર્થનો સંબંધ એટલે થૂંકથી ચોંટેલો સાવ તકલાદી સંબંધ! ગરજ પતે કે સંબંધ પૂરો. આવા સંબંધોમાં સુવાસ નથી હોતી.

ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે માણસ ગમે તેના પગ પકડવા તૈયાર થતો હોય છે. ગરજવાનનું તો એક જ લક્ષ હોય કે કોઈ પણ રીતે પોતાનો સ્વાર્થ પાર પડવો જોઈએ! પછી એ તાંત્રિક ભુવો હોય કે કોઈ રાજકીય પક્ષનો ગુંડો હોય કે પછી પોતાની જાતને ભગવાનની સમકક્ષ ગણાવનારો પાખંડી સાધુ હોય; એને તો ગોળ ખાધે ગરજ !! પણ ઈચ્છાપૂર્તિ માટે ભગવાનનો એક સાધન તરીકે ઉપયોગ કરવો એ કંઈ શ્રેષ્ઠ વાત તો નથી જ. મનવાંછિત ફળપ્રાપ્તિ હેતુ આપણે ત્યાં અનેક વ્રતો અને તત્સંબંધિત વ્રતકથાઓ પ્રચલિત છે, પણ ગીતાના બારમા અધ્યાયમાં ભક્તના જે લક્ષણો ભગવાને વર્ણવ્યા છે તેની સાથે એવા વ્રતધારીઓનો મેળ બેસાડવો અઘરો છે. ભગવાને ‘યદ્ ભક્ત: સ મે પ્રિય: –‘ આવો જે ભક્ત છે તે મને પ્રિય છે- એમ કહીને જેમને પોતાના ગણાવ્યા છે તેમાં આર્ત અને અર્થાર્થી ભક્તો આવતા નથી.

પરંતુ, ભગવાને એમને પુણ્યશાળી ગણાવ્યા તો તેનો કોઈ વિશિષ્ટ અર્થ હોવો જોઈએ. હેતુ ભલે સ્વાર્થપૂર્તિનો હોય, પણ મનુષ્ય ઈશ્વર તરફ વળે એ એક શુભ સંકેત છે. સ્વાર્થથી આવ્યો તો ભલે, પણ એને માટે સાચી ભક્તિ સમજવાના દ્વાર તો આજથી ખૂલી જ ગયા. સાચી નિરપેક્ષ, નિષ્કામ ભક્તિ સમજાશે તથા માગ્યા વગર પ્રભુએ કરેલા ઉપકારો જ્યારે સમજાશે ત્યારે એનું માંગવાનું છૂટી જશે. આપણને સમજાવવામાં આવ્યું છે કે આપણા સૌનો પરમ પિતા એક છે. આપણે સૌ ભગવાનના સંતાનો છીએ. ‘તમે જ માતા વળી તાત છો ને…-  ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ…‘ સંતાન પોતાના માતા પિતા પાસે નહીં માંગે તો કોની પાસે માંગવા જશે. દુઃખ આવી પડે ત્યારે આશ્વાસન મેળવવા મા-બાપ પાસે જઈને વ્યથા ઠાલવી હૈયું હળવું કરવું એ ઉચિત જ છે. પણ કેવળ માંગવા માટે જ જવું એ શોભાસ્પદ પણ નથી.

ગીતાનું બીજું એક સૂત્ર છે, ગમે તેટલો દુરાચારી માણસ પણ જો મારો ભક્ત બને તો તે જલદીથી ધર્માત્મા બને છે. અપિ ચેત્સુદુરાચારો ભજતે મામનન્ય ભાક્, સાધુરેવ સ મંતવ્ય સમ્યગ્વ્યવસિતો હિ સ: (અ.૯/૩૦) ભગવાનનું શરણું લેનાર ગમે તેટલો પાપી, અપરાધી અને દુરાચારી હોય તો પણ એકવાર ભક્ત બન્યા પછી તે દુરાચારી રહેતો નથી. ગીતાકારે તેને માટે સુદુરાચારી શબ્દ પ્રયોજ્યો છે તે ધ્યાનાર્હ છે. વાલિયો લૂંટારો, અંગુલિમાલ, જેસલ જાડેજા જેવા અનેક મનુષ્યો પૂર્વાશ્રમમાં ઘોર પાપી હતા, પણ સત્જનોના સંગથી તેમને પોતાની ભૂલ સમજાઈ. પાપ ડંખવા લાગ્યું, પશ્ચાતાપ થયો,  સન્માર્ગે વળી ગયા અને સુદુરાચારી બની ગયા. નાના મોટા પાપો તો આપણા હાથે પણ થાય જ છે, સત્સંગ તો આપણે પણ કરીએ છીએ છતાં આપણા જીવનો ઊંચા આવતા નથી. કારણ કે, આપણે પાપ કર્યા છે એમ આપણને લાગતું જ નથી. પાપ સ્વીકારતા નથી એટલે પાપ ડંખતું પણ નથી અને પાપ ડંખતું ન હોય તો પશ્ચાતાપ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પશ્ચાતાપ વિના જીવન બદલાતું નથી. વેશ પરિવર્તન નહિ, પણ જીવન પરિવર્તન થકી જ ધર્માત્મા બનાય.

આપણી ભક્તિના પાયામાં જ ઉધઈ લાગેલી છે, આપણે જીવન પરિવર્તન માટે નહિ, પણ કામ્ય પદાર્થોની પ્રાપ્તિ માટે ભગવાનનો કે ધર્મનો ઉપયોગ કરતા આવ્યા છીએ એટલે આપણી ભક્તિમાં અને સત્સંગમાં કંઈ દમ નથી. સ્પાર્ક નથી. બચપણથી માંડીને મોટા થઈએ ત્યાં સુધી ઈચ્છાપૂર્તિ માટે આપણે મમ્મી પપ્પાનો ઉપયોગ કરીએ છીએ, મોટા થયા પછી વારસામાં શું મળે, એના પર બધી ગણતરી મંડાતી હોય છે અને  બીજાને વધારે મળ્યું તો મને ઓછું કેમ, એવી ફરિયાદ થતી હોય છે. સાંસારિક સંબંધોમાં માણસ જેવો વર્તાવ કરતો રહેલો છે તેવો જ વર્તાવ તે ભગવાન સાથેના સંબંધમાં પણ કરતો રહેલો છે. જીવન પરિવર્તન કઈ બલાનું નામ છે આપણા શબ્દકોશની બહાર છે. એટલું તો નક્કી કે આપણી ભક્તિ રિનોવેશન માંગે છે.

પૌરાણિક વાર્તાઓ સત્ય કઈ રીતે હોઈ શકે? – પરભુભાઈ મિસ્ત્રી

ગણિતશાસ્ત્રના અભ્યાસ દરમિયાન ઘણીવાર કૂટપ્રશ્નો ઉકેલવાના આવતા હોય છે. કૂટ એટલા માટે કહેવાય કે એ સરળ નથી હોતા. એને ઉકેલવા માટે વિશેષ યુક્તિઓ વાપરવી પડતી હોય છે. સાદી પદ્ધતિથી કૂટપ્રશ્નના દાખલા ગણવા જઈએ તો ગુંચવાઈ જવાય છે. સાધારણ બાળકો એવા દાખલાને ઓમિટ કરતા હોય છે. ખરા હોશિયાર વિદ્યાર્થીઓને એવા અઘરા દાખલા ગણવામાં ઓર મજા આવતી હોય છે. આપણા ધર્મશાસ્ત્રોમાં પણ વિરોધાભાસી અને ગળે ન ઊતરે તેવી અતાર્કિક લાગતી બાબતો ઘણી છે. શ્રદ્ધાળુઓને તો કોઈ તકલીફ નથી, જે વાંચવામાં કે જે સાંભળવામાં આવ્યું હોય તેને યથાતથ સ્વીકારી લે છે, કોઈ દલીલબાજી નહિ, પણ જેઓ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરે છે તેમના મનમાં પ્રશ્નો થાય છે. તેઓ સમજવા માગે છે, પણ કોઈ સમજાવી શકતું નથી. તાર્કિક ઉકેલ ન મળતાં તેઓ નાસ્તિકવાદ તરફ સરકી જાય છે. શાસ્ત્રો પર શંકા ન થાય એમ માનનારા લોકો એમને નાસ્તિક અથવા પાપિયા તરીકે ઓળખાવે છે. ચાલો ભાઈ, શાસ્ત્ર પર શંકા ન રાખીએ, પણ જિજ્ઞાસા તો રાખી જ શકાય ને? જિજ્ઞાસા હોવી એ શું પાપ છે? જિજ્ઞાસા પણ ન રાખવાની હોય તો ભગવાને બુદ્ધિ આપી જ શા માટે?

કેલિફોર્નિયાથી એક વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વડીલે કેટલાક પ્રશ્નો કર્યા. વયોવૃદ્ધ એટલા માટે કે તેમની હાલની ઉંમર બ્યાસી વરસની છે અને તેઓ જુના જમાનાના સ્ટ્રકચરલ એન્જિનિયર છે. ખૂબ અભ્યાસી વ્યક્તિ છે અને આ ઉંમરે તેઓ બ્લોગ દ્વારા જ્ઞાન- વિજ્ઞાન પીરસવાનું કામ કરી રહ્યા છે. તેમણે વાંચેલી વાતો મુજબ જ્યોતિશશાસ્ત્રમાં સૂર્યને રાજા અને ચંદ્રને રાણી કહેવામાં આવી છે. એ ચંદ્રે ગુરુની પત્ની તારા જોડે વ્યભિચાર કર્યો હોવાથી ગુરુને અને ચંદ્ર વચ્ચે દુશ્મનાવટ છે. જો ચંદ્ર રાણી હોય તો તે ગુરુની પત્ની જોડે વ્યભિચાર કરીને બુધ નામનો પુત્ર કેવી રીતે પેદા કરી શકે? બે સ્ત્રી વચ્ચેના સંયોગથી પુત્ર પેદા થઈ શકે ખરો?…

હકીકતમાં એ બધા આકાશી પીંડો છે, તેઓ માણસ નથી કે તેઓ નર, નારી, રાજા, રાણી, સેનાપતિ, યુવાન, વૃદ્ધ, મિત્ર કે શત્રુ અથવા શુભ, અશુભ, પાપી, દુષ્ટ કે સીધી, બાડી નજરવાળા હોઈ શકે. વાસ્તવિક દૃષ્ટિએ સાવ હમ્બગ લાગતી આવી વાર્તાઓ જ્યોતિષશાસ્ત્રના નિયમો યાદ રાખવા માટે ખૂબ ઉપયોગી છે. શુષ્ક નિયમો યાદ નથી રહેતા જ્યારે વાર્તા સરળતાથી યાદ રહી જાય છે. જ્યોતિશશાસ્ત્રમાં તો સૂર્યને શનિનો પિતા કહેવામાં આવ્યો છે અને એ બાપ દીકરાને ક્યારેય બનતું નથી એમ કહેવાયું છે. આમ જોવા જઈએ તો સૂર્ય બધા ગ્રહોનો પિતા છે. કારણ કે બિગબેન થિયરી મુજબ સૂર્યમાં વિસ્ફોટ થવાથી આ ગ્રહમાળા સર્જાઈ તેથી બધા જ ગ્રહો તેના સંતાનો ગણાય. સૂર્ય અને શનિ વચ્ચે દુશ્મનાવટ કેમ છે તેને લગતી વળી એક ઓર વાર્તા છે કે શનિ એ છાયાનો પુત્ર છે. છાયા આવી એટલે શનિને માતૃછાયા નડી ગઈ! તે કાળો પડી ગયો. અદ્દલ મા પર ગયો. વિષયને રસપ્રદ બનાવવા માટેની આ તરકીબ છે. આકાશમાંના સૂર્ય અને શનિ ક્યારેય ન લડે, પણ જન્મકુંડળીમાં સૂર્ય શનિ એક જ રાશિમાં આવી ગયા કે શનિથી ત્રીજે, સાતમે, દસમે સ્થાને સૂર્ય આવતો હોય તો જાતકના પિતાને કષ્ટ આપે જ. આવી બધી વાર્તાઓ જે છે તે સામાન્યજનો માટે નથી, પણ તે જ્યોતિશશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટેના કોડવર્ડ છે.

રાહુ અને કેતુની વાર્તા લગભગ તમામને ખબર છે. દેવો અને અસુરોએ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે તેમાંથી ચૌદ રત્નો નીકળ્યાં. સમજૂતી પ્રમાણે બંને પક્ષોએ સરખા ભાગે એ વહેંચી લેવાના હતા, પણ દરેક ગઠબંધનના ઘટકો સ્વાર્થી જ હોય છે. ચૌદ પૈકીનું એક રત્ન તે અમૃત. અમૃતપાન કરે તે અમર થઈ જાય અને અમર થવાની અભિલાષા તો સૌને હોય. દેવોનેય અમર થવું છે ને અસુરોએ પણ અમર થવું છે. ગઠબંધનમાં જેમ બધાંને વડાપ્રધાન થવું છે અથવા મહત્વના દફતરો પોતાની પાસે રાખવાનું વલણ હોય છે. અને તે માટે ચાલાકી કરાતી હોય છે. દેવોએ સંપી જઈને નક્કી કર્યું કે અમૃતનું ટીપું સુદ્ધાં અસુરો સુધી પહોંચવું જોઈએ નહિ. અસુરોમાં રાહુ આ વાત જાણી ગયો. એણે કુંભમાંથી અમૃત પીવા ઘુંટ તો ભર્યો પણ દેવોએ કુંભ ઝૂંટવી લીધો. આવું જ થતું આવ્યું છે. એનો શિરચ્છેદ થઈ ગયો. અમૃત ગળામાં જ અટકી ગયું અને કેતુ એટલે કે પૂંછડી અમૃત વગર તરફડતી રહી ગઈ! રાહુ –હેડ તૃપ્ત થઈ ગયો અને – પૂંછડી અતૃપ્ત ! હવે જુઓ કે ગ્રહમાળામાં રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહો જ નથી પણ જ્યોતિશશાસ્ત્રમાં એને ગ્રહો ગણવામાં આવે છે, સૂર્ય એ ગ્રહ નથી પણ તારો હોવા છતાં તેને ગ્રહ જ કહેવાય છે. ચંદ્ર ગ્રહ નથી, પણ એ પૃથ્વીનો ઉપગ્રહ હોવા છતાં એને ગ્રહ તરીકે જ ઓળખવામાં આવે છે. રાહુ અને કેતુનું અવકાશી પિંડ તરીકે કોઈ સ્થાન જ નથી. એ તો સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વખતના ક્રાંતિમાર્ગ પરના કાલ્પનિક છેદબિંદુઓ છે છતાં, એનો છાયાગ્રહ તરીકે જ્યોતિશશાસ્ત્રમાં ઉલ્લેખ થાય છે.
વાર્તા સાવ કાલ્પનિક છે, રાહુ, કેતુ પણ કાલ્પનિક બિંદુઓ છે છતાં જોવાની ખૂબી એ છે કે કુંડળીના જે ભાવમાં રાહુ વિદ્યમાન હોય તે ભાવને લગતી બાબતોની તૃપ્તિનો એહસાસ કરાવે છે, કારણ કે અમૃત પીધેલું તે ગળાવાળો ભાગ છે, જ્યારે કેતુ જે ભાવમાં બેઠેલો હોય તે ભાવની સંબંધિત બાબતો મેળવવાનો તલસાટ જાગે છે, પ્રબળ ઝંખના થાય છે, પણ પરિણામ ઝાંઝવાના જળ જેવું હોય છે. કેતુ અતૃપ્તિ આપે છે.
હવે ચંદ્રની વાત કરીએ. પૌરાણિક વાર્તા પ્રમાણે દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ હતી. આ બધી પુત્રીઓ તેમણે સોમ નામના રાજવી સાથે પરણાવેલી. જેમાંની એક કન્યા રોહિણીને તે વધારે ચાહતો હતો. સૌંદર્યને અનુરૂપ સંસ્કાર મળે ત્યારે સૌંદર્ય સોળે કળાએ ખિલી ઊઠતું હોય છે. રોહિણી સૌંદર્યવાન અને સંસ્કારી હતી. અન્ય બહેનોને રોહિણીના સુખની અદેખાઈ આવી તેથી પિતા દક્ષને સોમ વિષે ફરિયાદ કરી કે સોમ અમારી અવગણના કરે છે. દક્ષ પ્રજાપતિએ સોમને વેરોવંચો ન કરવાની ચેતવણી આપી. સોમ પર સસરાના એ અલ્ટિમેટમની કોઈ અસર ના થઈ અને તે રોહિણીને જ વધારે પ્રેમ કરતો રહ્યો. રોહિણીની બહેનો ફરીથી પિતા પાસે ગઈ. આ વખતે દક્ષ ધુંધવાઈ ઊઠ્યો અને સોમને શાપ આપ્યો કે તારું શરીર ઉત્તરોત્તર ક્ષીણ થતું જશે. તને ક્ષય થશે. શાપની અસર વર્તાવા લાગી એટલે સોમ ગભરાયો. તેણે રોહિણી સાથે પ્રભાસપાટણના દરિયાકિનારે શિવજીનું ઘોર તપ કર્યું. શિવજી પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે દક્ષના શાપને સાવ નિર્મૂળ તો નહિ કરી શકું, પણ તને વરદાન આપું છું કે આકાશમાં રહેલા આ ચંદ્રના ગોળાની જેમ મહિનાના પંદર દિવસ તારું શરીર ક્રમશ: વધતું જશે અને ત્યાર બાદ પંદર દિવસ ક્રમશ: ક્ષીણ થતું જશે.
ખગોળ સમજાવતી આ રસપ્રદ ઘટના છે. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે નિરંતર પૃથ્વીની પ્રદક્ષિણા કરતો રહેલો છે. તેના આ ભ્રમણમાર્ગમાં બાર રાશિ ચિહ્નો અને સત્તાવીસ નક્ષત્રો આવેલાં છે. ચંદ્ર એક રાશિમાં લગભગ સવા બે દિવસ રહે છે. પૃથ્વીની ફરતે એક પરિક્રમા કરતા ચંદ્રને ૨૭. ૩ દિવસો લાગે છે. એટલે કે એક નક્ષત્રમાં ચંદ્ર એક દિવસ રહે છે. વાર્તા મુજબ દરેક પત્નીની સાથે તે એક દિવસ વીતાવે છે. રોહિણી નક્ષત્ર વૃષભ રાશિમાં આવેલું છે અને વૃષભમાં ચંદ્ર ઉચ્ચનો બને છે. ચંદ્ર અહીં ખિલેલો જણાય છે અને તેથી તે બળવાન બને છે. વૃષભનો ચંદ્ર જાતકને શુભ ફળ આપે છે. રોહિણી જેવી પ્રિયતમાના ઘરમાં તો એ ફુલ ગુલાબી મુડમાં હોય જ એમાં કોઈ આશ્ચર્ય નથી!
જ્યોતિશશાસ્ત્રમાં ગ્રહોને ઉચ્ચ, નીચ, શુભ, અશુભ, પાપી, ક્રૂર, ઠંડા, ગરમ, ઉગ્ર અને વિવિધ સ્વરૂપના, વિવિધ અવસ્થાના તથા પરસ્પર મિત્રતા, શત્રુતા અને તટસ્થ ભાવ દર્શાવતા બતાવવામાં આવેલા છે. તે માટે જાતજાતની વાર્તાઓ ઘડી કાઢવામાં આવેલી છે. વાસ્તવમાં ગ્રહો તો અવકાશી પીંડો જ છે તેને માણસ જેવા ગણીને બનાવવામાં આવેલી વાર્તાઓ કાલ્પનિક છે, છતાં એ રસપ્રદ હોવાથી યાદ રહી જાય છે અને ફળકથન કરવામાં ઉપયોગી સિદ્ધ થાય છે. આ એની ઉપયોગિતા છે.

પવિત્ર શ્રીમંત અને સુદુરાચાર – પરભુભાઇ મિસ્ત્રી

પવિત્ર શ્રીમંત અને સુદુચાર- વદતોવ્યાઘાત!
કહતા બી દિવાના ઔર સુનતા બી દિવાના!!
—- પણ આ શબ્દો ગીતાએ આપ્યા છે.

રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે,લટકાવો ઝુમ્મરો, રંગે ઉડાવો જળના ફુવારા!

રચો,રચો ચંદનવાટિકાઓ, ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા રચો ભલે! અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે? દરિદ્રની એ ઉપહાસલીલા સંકેલવા,
કોટિક જીભ ફેલતો ….. …..

પ્રાથમિક થળામાં ભણતા ત્યારે આ કવિતા ભણવામાં આવી. ખાસ કરીને વિચાર વિસ્તાર કરવાના પ્રશ્નમાં એની છેલ્લી લીટી પૂછવામાં આવતી; ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે!‘ અમે બધા તો ગામડામાં, અભાવો અને અછત વચ્ચે ઉછરેલા. મોટાભાગના લોકો ગરીબીમાં જ જીવે. આજનું કમાઈને આજે ખાવાનું એ તો બિલકુલ સામાન્ય બાબત ગણાય. કેટલાક લોકોને તો મજૂરીકામ ન મળતું હોય અને ઘર- ગામ છોડીને કામની શોધમાં અન્યત્ર પણ ભટકવું પડતું હોય છે તેના કરતા તો અમે નસીબદાર જ છીએ ને, એવો ભાવ અનુભવાતો હતો. અમારા જાતભાઈઓ પણ ખભે કરવતી વાંસલો ભેરવીને તથા ઓજારોનો થેલો લઈને સવારમાં પરગામ જવા નીકળી પડતા. નજીકમાં કામ ચાલતું હોય તો મોડી સાંજે આવતા નહિતર જ્યાં કામ ચાલતું હોય ત્યાં જાતે રસોઈ બનાવીને ખાતા અને ત્યાં જ રહેતા. આખા મહિનામાં એક અમાસના દિવસે જ કામ બંધ હોય ત્યારે જ ઘરે આવતા. લાકડાના ઘર, છાણ માટીથી બનાવેલા ઘરના આગળ પાછળની પીંઢોર અને વચમાં કામડાની ભીંતો. આટલો જ વૈભવ અને તેમ છતાં કોઈ કોઈની અદેખાઈ નહોતું કરતું. પાકા મકાનને હવેલી કહેતા. દસ પંદર એકર જમીનનો માલિક જમીનદાર કહેવાતો. એમને ત્યાં હાળી મજુર હોય અને અમે એમને ત્યાં ખેતમજુરી કરવા જતા, પણ ક્યારેય કોઈની અદેખાઈ આવી નથી. શહેરમાં તો લોકોના પાકાં, આલિશાન ઘણા બધા મકાનો હોય, બંગલા હોય, ઘોડાગાડી કે મોટરકાર હોય, મોટા શાહ સોદાગરો હોય, ઉદ્યાગપતિઓ હોય પણ એ બધું જોયા પછીયે ક્યારેય કોઈના હૈયે જલન થઈ હોય એવું જાણવામાં આવ્યું નહોતું. તે વખતે આ કવિતા વાંચીને નવાઈ લાગતી કે આવા મોટા કવિએ શ્રીમંતોને શાપ આપવાની શી જરૂર પડી? એની સર્વ સંપત્તિ બળીને ભસ્મ થઈ જાય અને એની રાખ પણ હાથમાં ન આવે ત્યાં સુધીની કલ્પના શા માટે કરી હશે? ધનિકોની આટલી બધી ઈર્ષ્યા? કોઈનામાં વધારે કુશળતા હોય, તેઓ વધારે મહેનત કરે અને નસીબ પણ તેમને સાથ આપે તો સંપત્તિવાન બની શકે. તેઓ તેમની કમાણીમાંથી સારાં સગવડદાયી બંગલા બનાવે, સજાવે અને પરિવાર સાથે સુખના હિંડોળે ઝૂલતા હોય તેમને જોઈને પ્રેરણા લેવાની હોય કે એમની જેમ આપણે પણ શ્રીમંત બની શકીએ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. કોઈનું સુખ જોઈને બળવું શા માટે જોઈએ? સાચું પૂછો તો તે ઉંમરમાં આ કવિ મને તો અદેખો માણસ જ લાગેલો!

વિચાર વિસ્તાર કરતી દલીલોમાં પવિત્ર બાઈબલનો હવાલો આપીને એવું લખેલું વાંચવા મળેલું કે ‘કદીક સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ શકે, પણ સ્વર્ગના દ્વારમાંથી શ્રીમંત પસાર ન થઈ શકે‘. આઘાત લાગેલો કે ધનિકો પ્રત્યે આટલી બધી નફરત શા માટે? શું ધનિક થવું ગુનો છે? શ્રીમંત થવું એ પાપ છે? .. તો પછી સમય આવે ત્યારે બધા શ્રીમંત માલેતુજાર વર્ગ પાસે જ મદદ માટે શું કામ દોડતા હશે? ધન સ્વીકાર્ય પણ ધનિકો અસ્પૃશ્ય આ વળી કેવું? જેની મદદ વગર કામ આગળ ચાલે નહિ તેમની જ સૂગ રાખવાની?

મારા માનસમાં આવા વિચારો ઘુમરાયા કરતા. પૈસાદારોની નાત જુદી અને આપણી ગરીબોની નાત જુદી. પૈસાદારો પાપી અને આપણે દરિદ્રનારાયણો સૌથી ઊંચા! સુદામાનું ઉદાહરણ હાથવગું હતું. સુદામા ગરીબ હતા એટલે જ એના તાંદુલના બદલામાં ભગવાને એને ન્યાલ કરી દીધો. ધનવાનોના પકવાન કરતાં ગરીબની ભડકી જ સારી! દુર્યોધન રાજા હતો એટલે એના પકવાન અને મેવા મિઠાઈ જમવા જવાની ભગવાને ના પાડી દીધી અને વિદુર ગરીબ હતા એટલે જ ભગવાન એમને ત્યાં પધાર્યા અને લુખી સૂકી ભાજી પ્રેમથી આરોગી! – આવું શીખવીને આપણે ભાવિ નાગરિકોમાં કેવા સંસ્કારો રેડતા આવ્યા છીએ. પ્રજા પ્રજા વચ્ચે આવો દ્વેષ શા માટે ઊભો કરવાનો. હશે, આપણે તો નાના બાળકો, આપણામાં અક્કલ ઓછી. મોટા માણસોમાં અક્કલ વધારે. એમનામાં સમજદારી પણ વધારે અને આપણા કરતા એમણે વધારે દિવાળી જોયેલી હોય એટલે એમને વધારે ખબર હોય. મોટા જે કહે તે માનવાનું એને જ વિવેક અને નમ્રતા કહેવાય.

હાઈસ્કૂલમાં ભણવા ગયા ત્યારે મને જુદો જ અનુભવ થયો. અમારા ગામના લોકો કરતા સાતેમ ગામના લોકો વધારે શ્રીમંત હતા. અમારા ગામમાં તો કોળી કુંભાર અને પછાત લોકોની વસ્તી જ્યારે સાતેમ તો કણબી લોકોનું ગામ. મોટા મોટા જમીનદારો અને દેશ દેશાવર જઈ આવેલા લોકો. જૈન વાણિયાઓની પણ સારી વસ્તી. તેઓ વેપાર કરીને સારું કમાયેલા લોકો. આ શ્રીમંત લોકો કેવળ પૈસાથી જ નહિ, પણ દિલથી પણ શ્રીમંત હતા. આ ગામને આદર્શ ગામનો એવોર્ડ એમનેમ તો નહોતો જ અપાયો. દિલદાર લોકોના દિલની ઉદારતા પ્રત્યક્ષ અનુભવ્યા પછી મારા મનમાંથી પેલા વિચારો વિદાય લેવા માંડ્યા. માણસને માણસ તરીકે જોવાનો અભિગમ વિકસવા માંડ્યો. કોઈ માણસ ત્યાજ્ય નથી.

ભગવદ ગીતા વાંચતો હતો તેણે વળી વધારે વિચાર કરવા પ્રેર્યો. ગીતાએ ‘શૂચિનામ્ શ્રીમતામ્ ગૃહે યોગભ્રષ્ટ: અભિજાયતે’- ‘પવિત્ર શ્રીમંતના ઘરે યોગભ્રષ્ટ આત્માનો પુનર્જન્મ થાય છે અને ત્યાં રહીને આગલા જનમનો અધૂરો રહેલો યોગ પૂરો કરે છે‘ એમ લખીને સર્વ સંશયોનું શમન કરી આપ્યું. બધા જ શ્રીમંતો તેના નોકર ચાકર કે કર્મચારીઓનું શોષણ કરીને તાલેવંત નથી બનતા. બધા જ શેઠિયાઓ અને ઉદ્યોગપતિઓ કે જમીનદારો ગરીબોનું લોહી નથી પીતા. નજર કરો તો ઘણા બધા સુખદ અપવાદો આપણી આસપાસ પણ જડી આવશે. જેઓ વાજબી વેતન આપે છે, કર્મચારીઓની કુશળતાનું ગૌરવ કરીને તેમને બઢતી આપે છે. તેમના પરિવારોની સંભાળ રાખે છે તે ઉપરાંત સમાજના અન્ય વર્ગો માટે પણ કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. સરકારના કાયદાઓનું નિષ્ઠાથી પાલન કરે છે અને પ્રામાણિકતાથી ટેક્ષ પણ ભરે છે. તેમની પ્રગતિની ઈર્ષ્યા કરવાનું કોઈ કારણ નથી.

ગીતાએ બીજો પણ એક શબ્દ આપ્યો છે ‘સુદુરાચાર‘! એક શ્લોકમાં ‘અપિ ચેત્ સુદુરાચારો ભજતે મામ્ અનન્યભાક્‘ – કહેવાયું છે. સુદુરાચાર શબ્દ વિરોધાભાસ ઊભો કરે તેવો છે અને તે જ એની વિશિષ્ઠતા પણ છે. દુરાચારી એટલે ખરાબ આચરણ કરવાવાળો, એટલે તો તેની આગળ નકારાત્મક ‘દુ‘ પ્રત્યય લગાડાતો આવ્યો છે. તે નકારાત્મક શબ્દની આગળ ફરીથી હકારાત્મક ‘સુ‘ પ્રત્યય લગાડીને સુદુરાચાર બોલીને ગીતાકાર શું કહેવા માંગતા હશે?

કુસંસ્કારને કારણે કે ખરાબ સોબતને કારણે કે સ્વભાવગત નબળાઈને કારણે અથવા પરિસ્થિતિજન્ય આવેશના કારણે માણસ દુરાચરણ કરી બેસે અને કાયદાની નજરે કે સમાજની નજરે તે ગુનેગાર કે પતિત ઠરે પછી એને સન્માનની નજરે કોઈ જોતું નથી. એની અવગણના થાય છે, એ હડધૂત થાય છે. એને માથે કલંકની એવી અમીટ છાપ અંકાઈ જાય છે કે એણે કરેલી ભૂલનો પસ્તાવો પણ સમાજ માન્ય રાખતો નથી. એના સુધરવાના તમામ રસ્તા હવે બંધ થઈ જાય છે. પોતાના માથે પાપની ગઠરી ઉંચકીને ફરતો માણસ એના પાપના પોટલાથી થાકી જાય છે. એને લાગે છે કે એણે જીવનમાં અક્ષમ્ય ભૂલ કરી છે. હવે આ બોજો ઊંચકી શકાય તેમ નથી. મારે પણ બીજાઓની જેમ નિષ્પાપ થઈને સામાન્ય જિંદગી જીવવી છે. મનુષ્યજન્મ વારંવાર નથી મળતો. મારે પણ મારું જીવન સાર્થક કરવું છે- પણ પેલું પોટલું કાયમ આડે આવે છે. ખરા હૃદયથી પસ્તાવો કરી જીવન વિકાસ ઝંખતા જીવો માટે ધર્મશાસ્ત્રોએ વિકાસના દ્વાર છેક બંધ નથી કરી દીધા. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાનો મોકો શાસ્ત્રકારોએ આપ્યો છે. મહાપુરુષોએ એમને પાસે લીધા પછી એ જીવોએ ગજબની પ્રગતિ કરી છે. વાલિયો લુંટારો, અંગુલિમાલ અને જેસલ જાડેજાના પાત્રો તો દંતકથારૂપ બની ગયા છે પણ એ સિવાય આપણી આસપાસ એવા ઘણા માણસો મળી આવશે કે જેમણે પૂર્વજીવનમાં અનેક અમાનૂષી જુલ્મો કર્યા હોય, અક્ષમ્ય અપરાધો કર્યા હોય પણ પાછળથી એમનું જીવન સાવ બદલાઈ ગયું હોય અને લોકકલ્યાણના માર્ગે વળી ગયા હોય. આ ક્ષણે ચંબલની ખીણનો જગ્ગા ડાકુ યાદ આવે છે. જીવનપરિવર્તન થયા પછી એ લોકગાયક બનેલો. જેનું નામ સાંભળતા જ લોકો બીકથી ધ્રૂજવા લાગતા તેના કંઠેથી લોકગીત સાંભળવા લોકો ટિકિટ ખરીદીને ઓડિટોરિયમમાં જાય. નવસારીના રંગવિહારમાં એનો એક કાર્યક્રમ થયેલો તે જોવા હું ગયેલો.

ખરેખર ગીતા ક્રાંતિકારી ગ્રંથ છે. ‘પવિત્ર શ્રીમંત‘ અને ‘સુદુરાચાર‘ શબ્દો લખીને એણે ખોટી ભરાઈ ગયેલી સૂગ મગજમાંથી ખંખેરી કાઢી છે.

મારી કલમ, મારા વિચાર – ૧૩ (પરભુભાઈ મિસ્ત્રી)

નામની રામાયણ

નામ એટલે કોઈપણ પ્રાણી કે પદાર્થને ઓળખવા માટેનો શબ્દ; સંજ્ઞા; અભિધાન.

બાહ્ય ઈન્દ્રિય કે મન વડે સમજી શકાય એવા પદાર્થને ઓળખવા માટે જે શબ્દ વપરાય તેને નામ કહેવાય છે. નામ શબ્દ નમ્ નમવું ધાતુ ઉપરથી થયો છે., એટલે કે ક્રિયાપદના અર્થને જે નમે છે તે નામ (સંસ્કૃત પુષ્પાંજલિ) Continue reading મારી કલમ, મારા વિચાર – ૧૩ (પરભુભાઈ મિસ્ત્રી)

મારી કલમ, મારા વિચાર – ૧૨ (પરભુભાઈ મિસ્ત્રી)

દેશી માદળિયાં જેવી પ્લસીબો પિલ્સ!

એકવાર સિનિયર સિટિઝન ક્લબના ઉપક્રમે શહેરના વિવિધક્ષેત્રના ત્રણ ડોકટરોને પ્રવચન કરવાનું આમંત્રણ અપાયું. હૃદયના અને સાંધાના બે તજ્જ્ઞો ઉપરાંત એક મનોચિકિત્સકે પણ પ્રૌઢોને ઉચિત માર્ગદર્શન આપ્યું હતું. Continue reading મારી કલમ, મારા વિચાર – ૧૨ (પરભુભાઈ મિસ્ત્રી)

મારી કલમ, મારા વિચાર – ૧૧ (પરભુભાઈ મિસ્ત્રી)

દેવોનું વતન- દેવભૂમિ વિશે કિંચિત્

દેવો કાલ્પનિક છે. મનુષ્યમાં જુદા જુદા સદગુણો વિકસાવવા માટે દેવોને પ્રતીક બનાવીને તેમનું ધ્યાન. જાપ અને તે ગુણ વિકસાવવાનો સભાન પ્રયાસ કરીને દેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એનું નામ જ ભક્તિ એમ આપણે જોયું, પણ આ તો એક જુદો મુદ્દો થયો. સમાજમાં તો એવી જ માન્યતા પ્રવર્તતી આવી છે કે દેવો અંતરિક્ષમાં વસે છે. વાયુ સ્વરૂપે કે પછી અદૃશ્ય રીતે રહે છે અને સાધકની સાધનાથી પ્રસન્ન થઈને તેની સમક્ષ હાજરાહજુર પ્રગટ થાય છે.સાધકને ઈચ્છિત વરદાન માંગવાનું કહે છે અને માંગણી રજુ થાય કે તરત જ ‘તથાસ્તુ‘ કહીને અલોપ થઈ જાય છે. કેટલાક લોકોને દુન્યવી પદાર્થોની જરૂર હોય છે તેઓ સાંસારિક માંગણીઓ રજુ કરે અને કેટલાક સાધકો લખ ચોરાસીની આવન જાવનના ત્રાસથી મુક્ત થવા મોક્ષધામ, અક્ષરધામની ઈચ્છા રાખે છે. સ્વજનોના અવસાનના સમાચાર લખતી વખતે તેઓ દેવલોક પામ્યા, વૈકુંઠવાસી કે કૈલાસવાસી થયા, કાળધર્મ પામ્યા, સ્વર્ગવાસી થયા એવું લખવાનો રિવાજ આપણે ત્યાં છે. આપણી શ્રદ્ધાને અનુરૂપ જીવાત્મા જે તે દેવની સમીપ પહોંચ્યો એમ આપણે માનીએ છીએ. એ માન્યતાને ચકાસવાની કોઈ જરૂર આપણને લાગતી નથી. માનવું હોય તે માને અને ન માનતું હોય તે નમ્રતાથી બે હાથ જોડીને શ્રદ્ધાળુની શ્રદ્ધાને વંદન કરે. નાહકનું ચોળીને ચીકણું કરનાર કે વિવાદ ઊભો કરનારનું માન રહેતું નથી. છતાં જિજ્ઞાસુઓનું મન ઠરીને બેસતું નથી. તેમની શોધ ચાલુ જ રહે છે. Continue reading મારી કલમ, મારા વિચાર – ૧૧ (પરભુભાઈ મિસ્ત્રી)

મારી કલમ, મારા વિચાર – ૧૦ (પરભુભાઈ મિસ્ત્રી)

દેવીપૂજક બાઈની ચતુરાઈ!

અમદાવાદની પોળમાં શાકભાજીવાળી લીલાં તાજાં શાક લઈને આવી. માલિનીબેને એને પોતાના ઘરના ઓટલા પાસે બોલાવી. ટોપલો ઉતાર્યો અને જરૂરી શાકભાજીની ખરીદી કરી. શાકભાજીને  ઘરમાં મૂકવા તથા પૈસા લેવા માટે માલિનીબેન અંદર ગયાં. દરમિયાન શાકભાજીવાળીએ એના સાડલામાં સંતાડેલો એક કાર્ડ કાઢીને તૈયાર રાખ્યો. પૈસા ચૂકવીને ઘરમાં જવા માટે માલિનીબેન પાછા વળતાં જ હતાં ને પેલીએ ટહુકો કર્યો. ‘બેન. મારે તમારું એક કામ છે. તમે તો સારું ભણેલા છો જ્યારે અમે તો સાવ અભણ અને ગમાર. અમારા વાસમાં સારા ઘરના કેટલાક ભાઈબેનો આવ્યા હતા. ખૂબ સારી વાતો કરી અને આ કાર્ડ અમને આપી ગયા. એમાં જે લખેલું છે તે અમારે પાકું કરવાનું છે, પણ અમને વાંચતાં આવડે તો ને! તો તમને મારી તમને એક વિનંતી છે કે તમે મને એ વાંચી સંભળાવો અને એ બોલતાં શીખવો‘. Continue reading મારી કલમ, મારા વિચાર – ૧૦ (પરભુભાઈ મિસ્ત્રી)