Category Archives: ભાષાને શું વળગે ભૂર?

ભાષાને શું વળગે ભૂર? – (૪૭) બાબુ સુથાર

શું ભાષાઓ મરે ખરી? – બાબુ સુથાર

ઘણા લોકો કહે છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે. એની સામે કેટલાક લોકો એમ પણ કહે છે કે ગુજરાતી ભાષાને કંઈ થવાનું નથી. ભાષા તો વહેતી નદી જેવી છે. એ સતત બદલાયા કરશે પણ મરશે નહીં. જો કે, આવી દલીલો કરતા લોકો એક વાત ભૂલી જાય છે કે સરસ્વતી પણ એક નદી હતી અને એ પણ એક જમાનામાં સતત વહેતી હતી. અત્યારે એ નદી કેવળ પુરાણોમાં ને દંતકથાઓમાં જ મળી આવે છે. જો કે, આપણા માટે સવાલ એ છે કે ભાષાઓ મરે ખરી?

Continue reading ભાષાને શું વળગે ભૂર? – (૪૭) બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર – (૪૬) – બાબુ સુથાર

ગુજરાતી સંખ્યાવાચકો

બાબુ સુથાર

વિશેષણોની વાત કરતી વખતે આપણે એક, બે, સવા, સો જેવા સંખ્યાવાચકોની પણ વાત કરેલી. આપણે એમણે વિશેષણોની કોટીમાં મૂકેલા. પણ હવે એક પ્રશ્ન થાય છે: આ સંખ્યાવાચકો ભલે ક્યાંક ક્યાંક વિશેષણની જેમ વર્તતા હોય પણ એ સાચેસાચ વિશેષણ છે ખરા? દા.ત. આપણે ‘ઊંચો છોકરો’ કહી શકીએ. એટલું જ નહીં, ‘ઊંચો’ની જગ્યાએ સંખ્યાવાચક ‘એક’ પણ મૂકી શકીએ.

Continue reading ભાષાને શું વળગે ભૂર – (૪૬) – બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર – (૪૬) – બાબુ સુથાર

ગુજરાતીમાં અસ્તિત્વવાચકો

બાબુ સુથાર

ગુજરાતી વ્યાકરણ પરનું કોઈ પણ પુસ્તક લો. એમાં ‘પેલો મોહન છે’ અને ‘પેલો માણસ શિક્ષક હતો’ જેવાં વાક્યોમાં આવતા ‘છે’ અને ‘હતો’ જેવા શબ્દો માટે મોટે ભાગે તો ‘સહાયકારી ક્રિયાપદ’ શબ્દ વપરાયેલો જોવા મળશે. પણ શું એ સાચેસાચ સહાયકારી ક્રિયાપાદો છે ખરાં? Continue reading ભાષાને શું વળગે ભૂર – (૪૬) – બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર – (૪૪) – બાબુ સુથાર

ગુજરાતીમાંસાથસંયોજકો

બાબુ સુથાર

આપણે ગુજરાતી ભાષાના વિવિધ પ્રકારના સંયોજકો જોયા. એમાં એક પ્રકાર હતો ‘સમુચ્ચયવાચક સંયોજકો’નો. ‘અને’ આ પ્રકારનો સંયોજક છે. દાખલા તરીકે, (૧) ‘લીલા અને મોહન આવ્યાં’ જેવું વાક્ય લો. અહીં આપણે ‘લીલા’ અને ‘મોહન’ને સમુચ્ચયવાચક ‘અને’થી જોડ્યાં છે. આવો જ બીજો એક સંયોજક પણ છે. પણ, આપણા ભાષાશાસ્ત્રીઓએ કે વ્યાકરણશાસ્ત્રીઓએ એના પર ખાસ ધ્યાન આપ્યું નથી. એ છે ‘સાથે’. કેટલાક ભાષકો ‘સાથે’ના વિકલ્પે ‘જોડે’ અને ‘હારે’ પણ વાપરે છે. આ ‘સાથે’ પણ ‘અને’ પ્રગટ કરે છે એ જ માહિતી પ્રગટ કરે છે. જેમ કે, આ વાક્ય લો: (૨) ‘લીલા મોહન સાથે આવી’. વાક્ય (૧) અને (૨) બન્નેમાં a (લીલા) અને b (મોહન) એક જ ક્રિયા c (આવવું) કરે છે. એનો અર્થ એ થયો કે વાક્ય (૧) અને વાક્ય (૨) બન્નેનો તાર્કીક અર્થ એકસમાન છે. પણ, બન્નેનું વ્યાકરણ એકસમાન નથી. એમ હોવાથી ભાષાશાસ્ત્રીઓને જેટલો ‘અને’ જેવા સમૂચ્ચયવાચક સંયોજકોના અભ્યાસમાં રસ પડે છે એટલો જ રસ ‘સાથે’ જેવા સંયોજકોના અભ્યાસમાં પણ પડે છે. અને એથી જ એમણે ‘સાથે’ જેવા સંયોજકને ‘Comitative સંયોજક’ તરીકે ઓળખાવ્યો છે. ગુજરાતીમાં આપણે એને ‘સાથે-સંયોજક’ કહી શકીએ.  Continue reading ભાષાને શું વળગે ભૂર – (૪૪) – બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર – (૪૫) – બાબુ સુથાર

ગુજરાતી ઉદગારવાચકો
બાબુ સુથાર

આપણામાંના ઘણાને કલાપીની ‘રે પંખીંડાં! સુખથી ચણજો’ કવિતા યાદ હશે. એમાં કલાપીએ આવી પંક્તિઓ લખી છે: (૧) ‘રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો’; (૨) ‘રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી’; અને (૩) ‘રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી’. આમાં આવતા ‘રે’ અને ‘રે રે’ હકીકતમાં તો ઉદગારવાચકો છે. આપણે જોઈ શકીએ છીએ કે આમાંની પહેલી પંક્તિમાં એ ‘રે’નો ઉપયોગ પંખીઓને સંબોધવામાં કરે છે. બાકીની બે પંક્તિઓમાં એ ‘રે રે’નો ઉપયોગ પોતાનો અંગત ભાવને, અહીં ‘આક્રંદનો ભાવ’ કહી શકાય, પ્રગટ કરવા માટે કરે છે. કેવળ કલાપીએ જ નહીં, ગુજરાતી ભાષાના ઘણા કવિઓએ એમની કવિતાઓમાં આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. મજાની વાત તો એ છે કે કેવળ કવિઓએ જ નહીં, આપણે પણ રોજબરોજના વ્યવહારમાં આ પ્રકારના શબ્દોનો અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે, ‘અરેરે, તમને શું થયું?’; ‘હે ભગવાન, તું કંઈક કર.’ ‘ઓહો, તમે તો આજે બહુ રૂપાળા લાગો છોને કંઈ’. ઊર્મિબેન દેસાઈને બાદ કરતાં મોટા ભાગના ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓએ આવાં ઉદ્ગારવાચકો પર છૂટીછવાઈ નોંધો આપી છે. ઊર્મિબેને એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં આ વિષય પર એક નાનકડું પ્રકરણ લખ્યું છે અને એમાં એમણે ગુજરાતી ઉદગારવાચકોનું અર્થ અને વ્યવહારના માપદંડથી વર્ગીકરણ પણ આપ્યું છે.

એમના મતે ગુજરાતી ઉદગારવાચકોને (૧) હર્ષવાચક (જેમ કે: વાહ, શાબાશ, હાશ, આહા, ધન્ય..), (૨) દુ:ખવાચક (જેમકે: હાય હાય, હાય રે, ઓહ, ઓહ્, ઓરે…) (૩) આશ્ચર્યવાચક (જેમકે: ઓહ, ઓહોહો, અધધધ, હેં…), (૪) ધિક્કારવાચક (જેમ કે: હટ્, છી, છટ્, થૂ, ફટ્…), (૫) સંબોધનવાચક (જેમ કે: એ, એય, અરે, ઓ, હે, હેય…), (૬) પ્રશ્નવાચક (જેમ કે: હં…), (૭) અનુમતિવાચક (જેમ કે: હંઅ, હોવે, હો, હાં, હં…), (૮) નિષેધવાચક (જેમ કે: અહં, ઊંહું…) અને (૯) આશીર્વાચક (જેમ કે: ખમ્મા…) જેવા પ્રકારોમાં વહેંચી શકાય. આ ઉપરાંત એમણે હાલરડામાં વપરાતા કેટલાક ઉદ્ગારવાચકો (જેવા કે: હલુલુલુ, હાં હાં…) તથા બીજી ભાષામાંથી લાવવામાં આવેલા ઉદ્ગારવાચકો (જેવા કે: હલો, બાય બાય, ટા ટા, ઓકે…), અભિવાદનવાચક (જેવાકે: નમસ્તે, નમસ્કાર, તથાસ્તુ. જે જે…) અને સાવચેતીવાચક (જેમ કે: સાવધાન, ખબરદાર…) જેવા ઉદગારવાચકો પણ આપ્યા છે.

પ્રશ્ન એ થાય કે ભાષાશાસ્ત્રીઓ આ પ્રકારના શબ્દો સાથે કઈ રીતે કામ પાર પાડશે? હું સમજું છું ત્યાં સુધી ભાષાશાસ્ત્રીઓ સૌ પહેલાં તો આ શબ્દોની સંરચનાનો અભ્યાસ કરશે. કેમકે, કેટલાક શબ્દો રવાનુકારી છે તો કેટલાક વળી બીજી વ્યાકરણમૂલક કોટિમાંથી લાવવામાં આવ્યા છે. જેમ કે, ‘શાબાશ’ શબ્દ જુઓ. હું જ્યારે કોઈને એમ કહું કે ‘શાબાશ’ ત્યારે એનો અર્થ એ થયો કે હું સામેની વ્યક્તિને શાબાશી આપી રહ્યો છું. હું એને કહી રહ્યો છું કે ‘હું તને શાબાશી આપું છું’. પણ, હું જ્યારે ‘ઓહ્’ બોલું ત્યારે હું એવું કશું કહી રહ્યો નથી. હું કેવળ મારી લાગણી વ્યક્ત કરતો હોઉં છું. એ જ રીતે ‘હોવે’ જેવા શબ્દો જુઓ. મૂળે તો ‘હા’ શબ્દ છે. જેમ ‘હા’ ‘ના’ પ્રશ્નોના જવાબમાં ‘હા’ વપરાય છે એમ ‘હોવે’ પણ વપરાય છે. જો એમ હોય તો એને ઉદગારવાચકોમાં મૂકી શકાય ખરો?

એ જ રીતે બીજો પ્રશ્ન થાય Placement ને લગતો. આ ઉદ્ગારવાચકો વાક્યની બહાર આવી શકે કે વાક્યની અંદર. જેમ કે, ઉપર ટાંકેલી કલાપીની કવિતામાં ‘રે’ અને ‘રે રે’ વાક્યની પહેલાં આવે છે. પણ, ‘મને થયું કે અરેરેરે, મોહનને શું થયું?’ જેવાં વાક્યો આપણા માટે પડકાર રૂપ બની જાય. એ જ રીતે, ગરબા જેવાં સાહિત્યિક સ્વરૂપોમાં આવતો ‘રેલોલ’ શબ્દ પણ પડકારરૂપ બને. અહીં સવાલ એ છે કે આ પ્રકારના શબ્દોના Placement ની બાબતમાં આપણે એક સામાન્ય સિદ્ધાન્ત પર કઈ રીતે આવી શકીએ? આ કે તે શબ્દ વાક્યની પહેલાં કે પછી આવે એ તો Description થયું. ભાષાશાસ્ત્રીઓ કેવળ Description આપીને સંતોષ ન માને.

એવો એક ત્રીજો પ્રશ્ન થાય આ પ્રકારના શબ્દોના કાર્યનો. ભાષાશાસ્ત્રમાં આ વિષય પર ઘણું કામ થયું છે. ઘણા ભાષાશાસ્ત્રીઓ જર્મન મનોવૈજ્ઞાનિક અને ભાષાશાસ્ત્રી કાર્લ બુહલરના (૧૮૭૯-૧૯૬૩) ભાષાસિદ્ધાન્તના આધારે આ પ્રકારના શબ્દોનું વર્ગીકરણ કરે છે અને એવો દાવો કરે છે કે ઉદ્ગારવાચકો પ્રતીકાત્મક નહીં પણ Deictic હોય છે. ‘Deictic’ શબ્દ સમજવા માટે આપણે સૌ પહેલાં પ્રતીકાત્મક શબ્દો સમજવા પડશે. જ્યારે હું ‘વૃક્ષ’ શબ્દ બોલું ત્યારે એ શબ્દ કોઈ એક ચોક્કસ એવા વૃક્ષનો ઉલ્લેખ નથી કરતો. પણ જ્યારે હું ‘આ વૃક્ષ’ એમ કહું ત્યારે હું એક ચોક્કસ એવા વૃક્ષની વાત કરતો હોઉં છું. એ ‘ચોક્કસતા’નો ભાવ ‘આ’ના કારણે ઉમેરાય છે. બહુલર કહે છે કે એનો અર્થ એ થયો કે ‘આ’ જેવા શબ્દો કશાક ભણી ‘આંગળી ચીંધતા’ હોય છે. આવું Pointing નું કામ કરતા શબ્દોને Deictic શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ માને છે કે ઉદગારવાચક શબ્દો કશાક ભણી આંગળી ચીંધતા હોય છે. એમ હોવાથી એમને પ્રતીકાત્મકને બદલે Deictic શબ્દો ગણવા પડે. જ્યારે કલાપી એમ કહે કે ‘રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો’ ત્યારે એમાં આવતો ‘રે’ ‘પંખીડાં’ ભણી (આંગળી) ચીંધતો હોય છે. એ જ રીતે, ‘રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી’; અને ‘રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી’ જેવી પંક્તિઓમાં આવતા ‘રે રે’ પણ પ્રતીકાત્મક નથી. એ પણ Deictic છે. એ કવિની લાગણી ભણી (આંગળી) ચીંધતા હોય છે. એ જ રીતે માનો કે હું મારી જાતને આમ કહું તો: ‘ઓહ્ બાબુ, તું આવું વિચારે છે!’ ત્યારે ‘ઓહ્’ ઉદગારવાચક શબ્દ મારા તરફ (આંગળી) ચીંધતો હોય છે. પણ, જો હું બીજા કોઈ બાબુને આમ કહું તો એમાં આવતો ‘ઓહ્’ શબ્દ વાક્યની બહાર રહેલા બીજા કોઈક બાબુ તરફ (આંગળી) ચીંધતો હોય છે. જેમ, રમેશ એમ કહે કે ‘હું શિક્ષક છું’ અને મહેશ એમ કહે કે ‘હું શિક્ષક છું’ તો બન્નેમાં ‘હું’ ના અર્થ જુદા થાય; બરાબર એમ જ ઉદગારવાચકોના અર્થ પણ સંદર્ભ પ્રમાણે બદલાય.

મને લાગે છે કે ગુજરાતી ઉદગારવાચકો પર વધારે નહીં તો બે શોધનિબંધો લખી શકાય. એક તે સાહિત્યમાં, ખાસ કરીને ગુજરાતી કવિતામાં આવતા ઉદ્ગારવાચકો પર અને બીજો તો ગુજરાતી ભાષામાં ઉદ્ગારવાચકો કઈ રીતે કામ કરે છે એના પર. આશા રાખીએ કે કોઈક આ બીડું ઝડપી લેશે.

ભાષાને શું વળગે ભૂર – (૪૩) – બાબુ સુથાર

ગુજરાતીમાં તુલના – બાબુ સુથાર

માણસ માત્ર તુલના કરતો હોય છે. અને એથી જ તો જગતની તમામ ભાષાઓમાં તુલના કરવાની એક ચોક્કસ એવી વ્યવસ્થા હોય છે. જો કે, આ વ્યવસ્થા ભાષાએ ભાષાએ જુદી પડતી હોય છે. એમ છતાં, ભાષાશાસ્ત્રીઓએ, અલગ અલગ ભાષાઓના અભ્યાસના અંતે, એ વ્યવસ્થાનું એક વ્યાકરણ શોધી કાઢ્યું છે. એ પ્રમાણે જોતાં માણસ માત્ર કાં તો બે વસ્તુઓને સરખાવે, કાં તો એ બે વસ્તુઓને ચોક્કસ એવી Rank માં મૂકે. જ્યારે આપણે કહીએ કે (૧) ‘આ બિલાડી વાઘ જેવી છે’ ત્યારે આપણે ‘બિલાડી’ અને ‘વાઘ’ને સરખાવતા હોઈએ છીએ. એથી આવાં વાક્યોને આપણે સરખામણીમૂલક વાક્યો કહી શકીએ. એ જ રીતે, જ્યારે આપણે એમ કહીએ કે (૨) ‘આ બિલાડી વાઘ કરતાં નાની છે’ ત્યારે પણ આપણે ‘બિલાડી’ને ‘વાઘ’ સાથે સરખાવતા હોઈએ છીએ. પણ, એમ કરતી વખતે આપણે ‘બિલાડી’ને ‘વાઘ’ના કદની સાથે સરખાવતા હોઈએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે વાક્ય (૧) માં આપણે સરખાપણાને ધ્યાનમાં લીધું છે તો વાક્ય (૨) માં આપણે વિષમપણાને અથવા તો વિષમતાને ધ્યાનમાં લીધી છે. ભાષાશાસ્ત્રીઓ જેની તુલના કરવાની હોય એને object of comparison તરીકે ઓળખાવતા હોય છે. આપણે એને ટૂંકમાં OBJ કહીશું. એ જ રીતે, જેમાં સરખામણી કરતા હોઈએ છીએ એને ભાષાશાસ્ત્રીઓ standard of comparison તરીકે ઓળખાવતા હોય છે. આપણે એને STD કહીશું. જેમ કે, વાક્ય (૨)માં આપણે બિલાડીને વાઘ સાથે ‘કદ’માં સરખાવીએ છીએ. એથી અહીં ‘વાઘનું કદ’ STD બનશે. એટલું જ નહીં, આવી સરખામણી વ્યક્ત કરવા માટે આપણે ચોક્કસ એવાં વિશેષણો પણ વાપરતા હોઈએ છીએ. જેમ કે, વાક્ય (૨) માં આપણે ‘નાનું’ વિશેષણ વાપર્યું છે. આપણે આ વિશેષણ માટે ADJ સંજ્ઞા વાપરીશું. કોઈ પણ ભાષામાં તુલનામૂલક વાક્યો કેવળ વાક્યની રીતે જ મહત્વનાં નથી હોતાં. એવાં વાક્યોની પાછળ ઘણી વાર કેટલાક સાંસ્કૃતિક વિચારધારા તો કેટલાક પૂર્વગ્રહો પણ છુપાયેલા હોય છે. જ્યારે આપણે એમ કહીએ કે (૩) ‘વિજ્ઞાનમાં છોકરાઓ કરતાં છોકરીઓ વધારે નબળી હોય છે’ ત્યારે આપણે તુલના તો કરીએ જ છીએ પણ સાથોસાથ આપણો છોકરીઓ માટેનો પૂર્વગ્રહ પણ વ્યક્ત કરતા હોઈએ છીએ. આપણે અહીં છોકરાઓને આદર્શ માનીને ચાલતા હોઈએ છીએ. એ જ રીતે જ્યારે આપણે કોઈ છોકરાને એમ કહીએ કે (૪) ‘શું છોકરીની જેમ રડે છે’ ત્યારે પણ આપણે એવું સ્વીકારતા હોઈએ છીએ કે રડવાનું કામ છોકરીઓનું હોય છે, છોકરાઓનું નહીં! જો કે, આ લેખમાં આપણે આ પ્રકારની વાક્ય રચનાઓની પાછળ રહેલી વૈચારિક માન્યતાઓ કે પૂર્વગ્રહોની વાત નથી કરવાના. એને બદલે આપણે ગુજરાતીમાં તુલનાત્મક વાક્યોની સંરચના કેવી હોય છે એ સમજવાનો પ્રયાસ કરીશું.
સરખાપણું બતાવવા આપણે ‘જેવું’ વાપરતા હોઈએ છીએ. એના માટે આપણે ‘સરખાપણુંદર્શક’ જેવો શબ્દ બનાવી શકીએ. ભાષાશાસ્ત્રીઓ એવા શબ્દો માટે marker of equals જેવા શબ્દો વાપરતા હોય છે. આવા શબ્દો માટે આપણે MKR જેવું સંક્ષિપ્ત સ્વરૂપ વાપરીશું. ગુજરાતીમાં સરખાપણું બતાવતાં વાક્યોમાં OBJ અને STD નો ક્રમ કોઈ પણ હોઈ શકે. જેમ કે: (૫) ‘બિલાડી વાઘ જેવી છે’ અને (૬) વાઘ બિલાડી જેવો છે. વાક્ય (૫) માં OBJ તરીકે ‘બિલાડી’ છે ને STD તરીકે ‘વાઘ’ છે. એની સામે, વાક્ય (૬) માં OBJ તરીકે ‘વાઘ’ છે અને STD તરીકે ‘બિલાડી છે’. જો કે, બન્ને વાક્યોમાં MKR નું સ્વરૂપ બદલાતું હોય છે. (૫) માં ‘બિલાડી’ સ્ત્રીલિંગ એકવચન હોવાથી ‘જેવું’ બદલાઈને ‘જેવી’ બને છે જ્યારે વાક્ય (૬) માં ‘વાઘ’ પુલ્લિંગ એકવચન હોવાથી ‘જેવું’ ‘જેવો’ બને છે. જો કે, ગુજરાતીમાં સમાનતા દર્શાવવા માટે એક બીજી પણ વાક્યરચના છે. દા.ત. આ વાક્ય લો: (૭) ‘બિલાડી અને વાઘ બેઉં સરખાં.’ એ જ રીતે, આપણે (૮) ‘બધા રાજકારણીઓ સરખા’ એમ પણ કહી શકીએ. પણ, આપણે કદી પણ (૯) ‘એક રાજકારણી સરખો’ નહીં કહી શકીએ. આ પ્રકારની વાક્યરચનાઓમાં પણ ‘સરખું’ જેની સરખામણી કરવામાં આવી હોય એ બન્નેનાં લિંગ અને વચન લે. જો એમનાં લિંગ જુદાં હોય તો એમની વચ્ચેનો clash અંતિમે નપુસંકલિંગમાં પરિણમે.
અસમાનતા દર્શાવવા માટે આપણે મોટે ભાગે બે પ્રકારની વાક્યરચનાઓ વાપરતા હોઈએ છીએ: (૧) OBJ-STD-MKR-ADJ અને (૨) STD-MKR-OBJ-ADJ. દાખલા તરીકે આ વાકયો જુઓ: (૧૦) કૂતરો બિલાડી કરતાં મોટો છે. અહીં ‘કૂતરો’ OBJ છે, ‘બિલાડી’ STD છે, ‘કરતાં’ MKR છે અને ‘મોટો’ ADJ છે. એમનો ક્રમ આમ છે: OBJ-STD-MKR-ADJ. એની સામે આ વાક્ય જુઓ: (૧૧) ‘બિલાડી કરતાં કૂતરો મોટો છે’. આ વાક્યમાં પણ એ જ OBJ, MKR, STD અને ADJ છે પણ એમનો ક્રમ જુદો છે. અહીં આ ક્રમ છે: STD-MKR-OBJ-ADJ. યાદ રાખો કે આ બન્ને પ્રકારની રચનાઓમાં આપણે હંમેશાં ‘કરતાં’ (અનુસ્વાર સાથે) વાપરતા હોઈએ છીએ. એટલું જ નહીં, આ પ્રકારની વાક્યરચનાઓમાં જો ADJ વિકારી હોય તો એ હંમેશાં OBJ નાં લિંગવચન પ્રમાણે બદલાતું હોય છે. પછી શબ્દક્રમ ગમે તે હોય. આ પ્રકારની તુલનાઓમાં ક્યારેક ‘તુલનાની માત્રા’ પણ પ્રગટ કરવામાં આવતી હોય છે. જેમ કે (૧૨) ‘બિલાડી કરતાં કૂતરો વધારે મોટે છે’. અહીં, ‘વધારે’, ‘ઓછું’ જેવાં પ્રમાણદર્શક વિશેષણો વાપરવામાં આવતાં હોય છે.
જેમ કોઈ બે પદાર્થ સમાન હોય એમ કોઈ બે પદાર્થ અસમાન પણ હોય. એ જ રીતે, કોઈક પદાર્થ, જે, તે પદાર્થ વર્ગમાં ઉત્તમ પણ હોય અથવા તો કનિષ્ક પણ હોય. અંગ્રેજીમાં એ ભાવ વ્યક્ત કરતાં વાક્યો માટે આપણે superlative વાક્યો વાપરતા હોઈએ છીએ. ગુજરાતીમાં પણ એવાં વાક્યો છે. એમાં superlative નો ભાવ વ્યક્ત કરવા આપણે કાં તો ‘સૌથી’ અથવા ‘સૌમાં’ જેવા શબ્દો વાપરતા હોઈએ છીએ. આપણે એમને SUPER તરીકે ઓળખાવી શકીએ. આ પ્રકારની વાક્યરચનાઓ આમ તો ખૂબ સરળ લાગે. પણ જ્યારે એમનું આકારવાદી વિશ્લેષણ કરવા બેસીએ ત્યારે આપણે ઘણા પડકારોનો સામનો કરવાનો આવે. જો કે, આપણે એ પ્રકારના વિશ્લેષણમાં નહીં પડીએ. કેમ કે આ લેખમાં મારો આશય આ પ્રકારની વાક્યરચનાઓની સંરચના સમજાવવા પૂરતો જ મર્યાદિત છે. આ પ્રકારનાં વાક્યો સમજવા આ વાક્ય જુઓ: (૧૩) ‘લીલા સૌથી/સૌમાં હોંશિયાર’. આ જ વાક્ય આ રીતે પણ લખી શકાય: (૧૪) ‘લીલા સૌ વિદ્યાર્થીઓમાં હોંશિયાર’. જો કે, (૧૫) ‘લીલા સૌ વિદ્યાર્થીઓથી હોંશિયાર’ જેવું વાક્ય વપરાય છે કે કેમ એ વિશે હું ચોક્કસ નથી. પણ, એ હકીકત છે કે આ પ્રકારનાં વાક્યોમાં ‘સૌ’ પછી નામનો લોપ કરી શકાય અને નામને લાગેલો વિભક્તિનો પ્રત્યય પછી ‘સૌ’ને લાગતો હોય છે. ‘સૌ’ને બદલે આપણે SUPER નો ભાવ વ્યક્ત કરવા ‘બધું’ અને ‘સર્વ’ પણ વાપરી શકીએ. જેમ કે, (૧૬) ‘લીલા બધા વિદ્યાર્થીઓમાં હોંશિયાર’ અથવા તો (૧૭) ‘લીલા સર્વ વિદ્યાર્થીઓમાં હોંશિયાર’.
ગુજરાતીમાં ક્યારેક, ખાસ કરીને સંસ્કૃત ભાષાના પ્રભાવ હેઠળ ‘ઉચ્ચ’, ‘ઉચ્ચતર’ અને ‘ઉચ્ચતમ’ જેવાં તુલનાવાચક રૂપો વાપરીને પણ તુલના કરવામાં આવતી હોય છે. જો કે, એ પ્રકારની વાક્યરચનાઓ મેં અહીં ધ્યાનમાં લીધી નથી.

ભાષાને શું વળગે ભૂર – (૪૨) – બાબુ સુથાર

વિરોધવાચક તથા પરિણામવાચક સંયોજકો
બાબુ સુથાર

વિરોધવાચક સંયોજકો

બે વાક્યો વચ્ચેના અર્થનો વિરોધ કરવા માટે આપણે કેટલાક શબ્દો અને કેટલાંક પદો પણ વાપરીએ છીએ. આ પ્રકારના શબ્દો અને પદોને વિરોધવાચક સંયોજકો તરીકે ઓળખવામાં આવે છે. દા.ત. વાક્ય (૧) લો:

(૧) રમેશ આવવાનો હતો પણ ન આવ્યો.

અહીં આપણે ‘રમેશ આવવાનો હતો’ અને ‘રમેશ ન આવ્યો’ એ બે વાક્યોને ‘પણ’ વડે જોડ્યાં છે. આ ‘પણ’ અહીં વિરોધવચાક સંયોજક છે. જો કે, ગુજરાતીમાં ‘પણ’ હંમેશાં વિરોધવાચક સંયોજક તરીકે કામ નથી કરતો એ વાત પણ યાદ રાખવાની છે. જેમ કે:

(૨) તે દિવસે રમેશ પણ મારા ઘેર આવ્યો હતો.

વાક્ય (૨) માં ‘પણ’ બે વાક્યોને જોડવાનું કામ કરે છે. અંગ્રેજીમાં આ ‘પણ’ માટે ‘also’ અને ‘too’ વપરાય છે.
ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓ વિરોધવાચક સંયોજકોમાં ‘પણ’, ‘છતાં’, ‘છતાં પણ’, ‘જો કે’, ‘તો પણ’, ‘તોય’, ‘પરંતુ’, ‘કિન્તુ’ વગેરેનો સમાવેશ કરે છે. મેં અવારનવાર નોંધ્યું છે એમ જ્યારે આપણે વ્યાકરણમૂલક કોટિઓની વાત કરીએ ત્યારે આપણે દેખીતી રીતે જ આપણી ભાષાના શબ્દોના વ્યાકરણમૂલક વર્ગીકરણની વાત કરતા હોઈએ છીએ. એમ હોવાથી આમાંના કેટલાક ‘વિરોધવાચક સંયોજકો’ને આપણે બાજુ પર મૂકવા પડશે. કેમ કે એ ‘શબ્દો’ નથી. આવા સંયોજકોમાં ‘છતાં પણ’, ‘જો કે’, ‘તો ય’નો સમાવેશ કરી શકાય.
પણ હવે પ્રશ્ન એ થાય કે આ બધા સંયોજકો ગુજરાતી ભાષામાં કયા પ્રકારનું વર્તન કરે છે? આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે પણ કમનસીબે હજી આપણે એનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો નથી. જેમ કે, આપણે ફરી એક વાર વાક્ય (૧) લઈએ:

(૩) રમેશ આવવાનો હતો પણ ન આવ્યો.

અહીં આપણે જે બે વાક્યો જોડ્યાં છે એ બન્ને વાક્યોની સંરચના એક જ પ્રકારની છે. બન્ને એક જ કાળમાં છે, અહીં પૂર્ણભૂતકાળમાં. એ જ રીતે, બન્નેનાં ક્રિયાપદો પણ એક સરખાં જ છે. આપણે (૪) જેવાં વાક્યો ન બનાવી શકીએ:

(૪) *રમેશ આવવાનો હતો પણ એણે કેરી ના ખાધી.

એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં ‘પણ’ના જે વિવિધ ઉપયોગો છે એમાંનો આ એક ઉપયોગ છે. એમાં પહેલું વાક્ય સકારાત્મક હોય તો બીજું વાક્ય નકારાત્મક અને જો પહેલું વાક્ય નકારાત્મક હોય તો બીજું વાક્ય સકારાત્મક. જેમ કે, વાક્ય (૫) લો:

(૫) રમેશ આવવાનો ન હતો પણ આવ્યો.

હવે વાક્ય (૬) લો:

(૬) રમેશ આવવાનો હતો પણ એને તાવ આવી ગયો.

અહીં પણ (૧)ની જેમ જ બે વાક્યો છે: એક તે, ‘રમેશ આવવાનો હતો’ અને બીજું તે, ‘રમેશને તાવ હતો’. આ બે વાક્યોને આપણે સંયોજક ‘પણ’થી જોડ્યાં છે. જોવા જેવી વાત એ છે કે આ બન્ને વાક્યો સંરચનાની દૃષ્ટિએ એકસરખાં નથી. તો પણ આપણે એમને ‘પણ’ વડે જોડી શકીએ છીએ. એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં ‘પણ’ વિરોધવાચક સંયોજક તરીકે જ કામ કરે છે એ દલીલ સ્વીકાર્ય નથી. અહીં, ‘પણ’નું કાર્ય વિરોધ કરવાનું નથી. અહીં એનું કામ પહેલી ઘટના ન બનવા માટેનું કારણ આપવાનું છે.
આવું જ બીજું એક વાક્ય લો:

(૭) મીના રમેશ સાથે પરણવા તૈયાર થઈ પણ એણે એક શરત મૂકી.

અહીં પણ ‘મીના રમેશ સાથે પરણવા તૈયાર થઈ’ અને ‘મીનાએ રમેશ સમક્ષ એક શરત મૂકી’ એવાં બે વાક્યોને ‘પણ’ વડે જોડ્યાં છે. બન્ને વાક્યોની સંરચનાઓ જુદી છે. એમ છતાં આપણે એમને ‘પણ’ વડે જોડી શકીએ છીએ. વળી અહીં ‘પણ’નો અર્થ વિરોધવાચક નથી. એટલું જ નહીં, એ કારણ પણ દર્શાવતો નથી.
એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં વિરોધવાચક ‘પણ’ જ્યારે બે વાક્યો એકસમાન સંરચના ધરાવતાં હોય ત્યારે જ વાપરી શકાય. બીજી પરિસ્થિતિઓમાં ‘પણ’ના અર્થ જુદા થતા હોય છે. બીજું, વિરોધવાચકમાં સમાન કર્તાનો આપણે લોપ કરી શકીએ. જેમ કે, ફરી એક વાર વાક્ય (૧) લો:
(૮) રમેશ આવવાનો હતો પણ ન આવ્યો.

રસ પડે એવી હકીકત એ છે કે આ પ્રકારનાં વાક્યોમાંના પહેલા વાક્યમાં પણ આપણે કર્તાનો લોપ કરી શકીએ. આપણે (૯) પ્રકારનું વાક્ય બોલી શકીએ:

(૯) આવવાનો હતો પણ રમેશ ન આવ્યો.

‘પણ’ જેવા સંયોજકો ગુજરાતીમાં કયા અર્થ પ્રગટ કરે છે એ એક તપાસનો વિષય છે. હું માનું છું કે એ કામ અર્થવિજ્ઞાન (semantics) અને ભાષાવ્યવહારશાસ્ત્ર (pragmatics) વધારે સારી રીતે કરી શકે. જો કે, આ પ્રકારનું કામ કરતી વખતે સંશોધકે ‘તો પણ’ જેવાં સયોજક પદો પણ ધ્યાનમાં લેવાં પડે.

પરિણામવાચક સંયોજકો

કેટલીક વાર આપણે બે વાક્યોને પરિણામવાચક સંયોજકો વડે જોડતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે નીચે આપેલું (૧૦) મું વાક્ય લો:

(૧૦) તમે બોલાવ્યો એટલે હું આવ્યો.

અહીં ‘એટલે’ ‘તમે બોલાવ્યો’ અને ‘હું આવ્યો’ એ બે વાક્યોને જોડે છે. આ પ્રકારના, અર્થાત્ પરિણામવાચક બીજા સંયોજકોમાં આપણા વ્યાકરણશાસ્ત્રીઓ ‘આથી’, ‘એથી’, ‘જેથી’, ‘તેથી’, ‘એટલા માટે’ અને ‘તો’નો સમાવેશ કરે છે. જો કે, આમાંના મોટા ભાગના સંયોજકોની આ પ્રકારની ઓળખ વિશે આપણે શંકા કરી શકીએ. હું માનું છું કે ‘આથી’, ‘એથી’, જેથી’ તેથી’ હકીકતમાં શબ્દો નથી. આપણે એમનો શબ્દકોશમાં સમાવેશ કરીએ છીએ એ હકીકત છે પણ કદાચ એમ કરવા પાછળ બીજાં કોઈક કારણો હશે. આમાં દરેકને વિભક્તિનો પ્રત્યય -થી લાગેલો છે. ગુજરાતી વ્યાકરણના નિયમ પ્રમાણે નામ કે સર્વનામને વિભક્તિ પ્રત્યય લાગે. એ રીતે જોતાં ‘આ’, ‘એ’, ‘જે’ અને ‘તે’ પણ આમ જુઓ તો સર્વનામ છે. હવે સવાલ એ ઊભો થાય કે આ બધા સંયોજકોને વ્યાકરણમૂલક કોટિ ગણવી કે વાક્યમૂલક? આવો જ પ્રશ્ન આપણે ‘એટલે’ વિશે પણ પૂછી શકીએ.
મને લાગે છે કે પરંપરાગત ગુજરાતી વ્યાકરણોમાં જે કોઈ શબ્દને કે શબ્દસમૂહને પરિણામવાચક સંયોજક તરીકે ઓળખાવવામાં આવે છે એ બધાંની પુન: તપાસ કરવી જોઈએ. દા.ત. એક પુસ્તકમાં આ ઉદાહરણ આપવામાં આવ્યું છે:

(૧૧) વાંચશો તો પાસ થશો.

આ ‘તો’ શરતવાચક નથી? આ વાક્ય મને તો ‘જો તમે વાંચશો તો તમે પાસ થશો’માંથી derive કરેલું વાક્ય લાગે છે. એમાં ‘તો’નું કાર્ય પરિણામ બતાવવાનું નથી.
ટૂંકામાં, આ બધા સંયોજકોનો નિકટવર્તી અભ્યાસ થવો જોઈએ. આશા રાખીએ કે કોઈક તો આવું કામ કરશે જ.

ભાષાને શું વળગે ભૂર – (૪૧) – બાબુ સુથાર

સંયોજકો: સમુચ્ચયવાચક
બાબુ સુથાર

સંયોજકો સમાન શબ્દોને, સમાન પદોને, સમાન ઉપવાક્યોને કે સમાન વાક્યોને જોડવાનું કામ કરતા હોય છે. દાખલા તરીકે ‘અને’ લો. ‘અને’ બે સમાન શબ્દોને જોડે. જેમ કે, ‘રમેશ અને મીના’. આમાં બન્ને નામ છે. પણ આપણે ‘રમેશ અને સફેદ’ એમ ન કહી શકીએ. કેમ કે, ‘રમેશ’ નામ છે જ્યારે ‘સફેદ’ વિશેષણ છે. એ જ રીતે, આપણે ‘હોંશિયાર રમેશ અને ડફોળ મહેશ’ એમ કહી શકીએ. કેમ કે બન્ને એકસમાન પદો છે. આ બન્ને નામપદો છે. આપણે ‘હોંશિયાર રમેશ અને ધીમે ધીમે આવે છે’ ન કહી શકીએ. કેમ કે, અહીં જોડવામાં આવેલાં બન્ને પદો એક જ વર્ગનાં નથી. એક નામપદ છે તો બીજું ક્રિયા-પદ છે. બરાબર એ જ રીતે આપણે ‘રમેશ આવ્યો અને મહેશ ગયો’ કહી શકીએ. અહીં બન્ને વાક્યો છે. જો કે, આ માટે બન્ને વાક્યોના કાળ એકસમાન જ હોવા જોઈએ એવું જરૂરી નથી. દાખલા તરીકે, આપણે ‘રમેશ આવ્યો અને મહેશ હવે આવશે’ એમ કહી શકીએ. આ રીતે કયા શબ્દો, કયાં પદો અને કયાં વાક્યો ‘અને’ વડે જોડી શકાય એ એક તપાસનો વિષય છે. ઘણા ભાષાશાસ્ત્રીઓએ કેવળ ‘અને’ પર જ એમના શોધનિબંધો લખ્યા છે. જો કે, ગુજરાતી ‘અને’ને હજી એવું નસીબ પ્રાપ્ત થયું નથી. Continue reading ભાષાને શું વળગે ભૂર – (૪૧) – બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર (૪૦) – બાબુ સુથાર

ગુજરાતીમાં વિકલ્પવાચક સંયોજકો
બાબુ સુથાર

ગુજરાતીમાં ‘કે’ અને ‘અથવા’ એમ બે વિકલ્પવાચક સંયોજકો છે. જો કે, એ ઉપરાંત પણ ‘યા’ જેવાં વિકલ્પવાચક સંયોજકો મળી આવે છે ખરાં. કેટલાક વ્યાકરણશાસ્ત્રીઓ ઘણા બધા વિકલ્પવાચક સંયોજકોની યાદી આપે છે. જેમ કે ઊર્મિ દેસાઈ. એમણે એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં વિકલ્પવાચક સંયોજકોમાં ‘અથવા’, ‘કે’, ‘યા’ ‘અગર’, ‘અગર તો’, ‘યા તો’, ‘કાં તો’, ‘વા’ અને ‘કિંવા’ શબ્દોનો સમાવેશ કર્યો છે. જો અર્થ પ્રમાણે જઈએ તો આ યાદી ખોટી નથી. પણ, જ્યારે પણ આપણે વ્યાકરણમૂલક કોટિઓની વાત કરીએ ત્યારે અર્થ પર બહુ મદાર રાખવો નહીં.
મને લાગે છે કે જો આપણે તર્કશાસ્ત્ર પ્રમાણે જઈએ તો આપણને ગુજરાતીમાં ‘કે’ અને ‘અથવા’ એમ બે જ વિકલ્પવાચક સંયોજકો છે એવું લાગશે. બાકીના વિકલ્પવાચક સંયોજકોમાંના કેટલાક ‘અથવા’ જેવું કામ કરે છે. એટલે કે એમનું વ્યાકરણમૂલક વર્તન ‘અથવા’ જેવું જ છે. જેમ કે, ‘મારી સાથે રમેશ આવશે અથવા મહેશ આવશે’ જેવાં વાક્યો લો. આ પ્રકારનાં વાક્યોમાં આપણે ‘અથવા’ની જગ્યાએ ‘યા’ વાપરી શકીએ. જો કે, ‘યા તો’ જેવા સંયોજકો આપણા માટે મુશ્કેલી ઊભી કરે. કેમ કે એ પ્રકારનાં સંયોજકો વાક્યના કે અર્થના સ્તરે નહીં prgamaticsના સ્તરે કામ કરતા હોય છે. મેં અવારનવાર કહ્યું છે એમ Pragmatics ભાષાવિજ્ઞાનની એક શાખા છે અને એ શાખાના ઉપક્રમે ભાષાશાસ્ત્રીઓ ભાષા કઈ રીતે વપરાય છે એની વાત કરતા હોય છે. ‘વા’ અને ‘કિંવા’ મૂળે તો તત્સમ શબ્દો છે. એમનો વપરાશ ઘણો ઓછો છે. એ સાહિત્યની ભાષામાં વધારે જોવા મળે છે. એ જ રીતે ‘કાં તો’ લો. એ વિકલ્પનો અર્થ પ્રગટ કરે છે એ વાત સાચી પણ વાક્યતંત્રના સ્તરે એનું વર્તન વિકલ્પવાચક સંયોજક કરતાં જુદા પ્રકારનું છે.
મને લાગે છે કે આ બધા સંયોજકો આપણી ભાષામાં કઈ રીતે કામ કરે છે એનો પ્રત્યક્ષ અભ્યાસ કર્યા વિના આપણે એમના વ્યાકરણમૂલક, અર્થમૂલક અને વ્યવહારમૂલક વર્તનને સમજી બરાબર સમજી શકીશું નહીં. આપણે એ માટે પણ રાહ જોવાની રહી. એમ છતાં આ લેખમાં હું કેવળ ‘કે’ અને ‘અથવા’ ગુજરાતી ભાષામાં કઈ રીતે કામ કરે છે એની થોડીક વાત કરીશ.
તર્કશાસ્ત્ર, ગણિત અને હવે કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં પણ બે પ્રકારના ‘or’ની વાત કરવામાં આવે છે. એક તે inclusive અને બીજો તે exclusive. કેટલીક ભાષાઓમાં આ બન્ને અર્થો પ્રગટ કરવા માટે કેવળ એક જ સંયોજક વપરાય છે. જેમ કે, અંગ્રેજી ભાષા. આપણે જાણીએ છીએ એમ અંગ્રેજીમાં ‘કે’ અને ‘અથવા’ માટે કેવલ ‘or’ શબ્દ જ છે. તો એની સામે છેડે કેટલીક ભાષાઓમાં આ બન્ને અર્થ પ્રગટ કરવા બે કે એથી વધારે શબ્દો છે. જેમ કે ગુજરાતી ભાષા લો. ગુજરાતીમાં ‘કે’ અને ‘અથવા’ એમ બે સંયોજકો છે. આમાંના inclusiveનો અર્થ થાય either …or અથવા તો બન્ને. જ્યારે આપણે એમ કહીએ કે ‘રમેશ કે મહેશ આવશે…’ ત્યારે કાં તો રમેશ આવે, કાં તો મહેશ આવે, કાં તો બન્ને આવે, કાં તો બન્નેમાંથી કોઈ પણ ન આવે, કાં તો બન્નેને બાદ કરતાં ત્રીજું કોઈક આવે. આપણે આ પાંચેય શક્યતાઓનો સ્વીકાર કરતા હોઈએ છીએ. એનો અર્થ એ થયો કે ગુજરાતી ‘કે’ આ અર્થમાં inclusive છે. એ કોઈને exclude કરતો નથી. પણ, જો આપણે એમ કહીએ કે ‘મારી સાથે રમેશ આવે અથવા મહેશ આવે’ ત્યારે આપણે એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે બોલનારની સાથે કાં તો રમેશ જાય, કાં તો મહેશ. બન્નેમાંથી કોઈ એક જ. બન્ને સિવાયનું ત્રીજું પણ કોઈ નહીં. અહીં આ વાક્યનો બોલનાર સાંભળનારની પસંદગી નિયંત્રિત કરી નાખે છે. સાંભળનાર એમ નહીં કહી શકે કે ‘સારું, મોહન આવશે’. તર્કશાસ્ત્ર, ગણિત અને હવે કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં પણ આ બન્ને માટે જુદાં પ્રતીકો છે. એ લોકો inclusive માટે v પ્રતીક વાપરે છે. જેમ કે, p v q. અને exclusive માટે v પ્રતીક વાપરે છે. જેમ કે, p v q. એનો અર્થ એ થયો કે ગુજરાતી ‘કે’નો તાર્કીક અર્થ v થાય છે અને ‘અથવા’નો તાર્કીક અર્થ v થાય છે.
‘કે’ અને ‘અથવા’ની વચ્ચે વાક્યતંત્રના સ્તરે પણ કેટલાક ભેદ છે. જેમ કે, આપણે કદી પણ ‘અથવા’વાળું વાક્ય પ્રશ્ન પૂછવા માટે નહીં વાપરીએ. આપણે એમ નહીં કહીએ કે ‘રમેશ આવશે અથવા મહેશ આવશે?’ અથવા, ‘કોણ આવશે? રમેશ અથવા મહેશ.’ મેં ‘અથવા’ વાળાં પ્રશ્નાર્થ વાક્યો શોધવાનો બહુ પ્રયાસ કર્યો છે પણ મને મળ્યાં નથી. જો કોઈ વાચક મિત્રને એવાં વાક્યો મળે તો મારી સાથે share કરવા વિનંતી. ‘અથવા’નો ઉપયોગ પસંદગી પર નિયંત્રણો લાદતો હોવાથી કદાચ એનો પ્રશ્નાર્થ વાક્યોમાં ઉપયોગ નહીં થતો હોય.
જો કે, ‘કે’ના ઉપયોગમાં એવું નથી. આપણે પૂછી શકીએ કે ‘મારી સાથે કોણ આવશે? રમેશ કે મહેશ’. અથવા તો, ‘મારી સાથે રમેશ આવશે કે મહેશ?’ એટલું જ નહીં, હા-ના પ્રશ્નોમાં પણ ‘કે’નો વિશિષ્ટ ઉપયોગ થતો હોય છે. આપણે એમ કહીએ જે ‘તમે ખાધું કે?’ ત્યારે આ વાક્ય હકીકતમાં તો ‘તમે ખાધું કે (તમે) નથી ખાધું’ વાક્યનું જ એક સ્વરૂપ છે. આપણે ‘તમે ખાધું અથવા?’ જેવો પ્રશ્ન ન પૂછી શકીએ.
ટૂંકામાં, આપણે એમ કહી શકીએ કે ગુજરાતીમાં ‘કે’ અને ‘અથવા’ એમ બે વિકલ્પવાચક સંયોજકો છે અને ‘કે’નો અર્થ ‘either or’ અને ‘કદાચ બન્ને’ અથવા ‘ત્રીજું કોઈ/કશું’ એવો થતો ન હોય છે જ્યારે ‘અથવા’નો અર્થ ‘either or પણ બન્ને કે ત્રીજું કોઈ/કશું નહીં’ એવો થતો હોય છે.

ભાષાને શું વળગે ભૂર (૩૯) – ભાષાતંત્ર, રોગપ્રતિકારતંત્ર અને કોવિડઃ૧૯ – બાબુ સુથાર

ભાષાતંત્ર, રોગપ્રતિકારતંત્ર અને કોવિડ:૧૯
બાબુ સુથાર
—-

કોવિડ:૧૯ની સામે લડવા માટે તબીબો મોટે ભાગે બે પાંખિયા વ્યૂહરચના અપનાવી રહ્યા છે: (૧) દર્દીને દવાઓ આપીને એનું રોગપ્રતિકારતંત્ર મજબૂત બનાવવું, અને (૨) દર્દીને કોવિડ-૧૯નો નાશ કરતી એન્ટીબાયોટિક દવાઓ આપવી. આપણે બધા જાણીએ છીએ એમ હજી આપણી પાસે કોવિડ-૧૯નો નાશ કરવા માટે કોઈ નિશ્ચિત એવી દવા નથી. પણ, બહુ ઓછા વાચકોને ખબર હશે કે આપણું રોગપ્રતિકારતંત્ર, કેટલાક વૈજ્ઞાનિકોના દાવા પ્રમાણે, આપણી ભાષાના તંત્ર જેવું હોય છે! આવો દાવો સૌ પ્રથમવાર ડેનીશ રોગપ્રતિકારતંત્રના નિષ્ણાત Niels Kaj Jerneએ કરેલો. આ શોધ બદલ એમને ૧૯૮૪માં બીજા બે વિદ્વાનોની ભાગીદારીમાં તબીબી વિજ્ઞાનનું નોબલ ઇનામ પણ મળેલું!
Jerneએ ત્રણ વાત કરેલી: (૧) દરેક માણસના રોગપ્રતિકારતંત્રમાં બહારથી આવતા વાયરસ કે જીવાણુઓ સામે લડવા માટે કેટલાંક પ્રતિપિંડો (antibodies) હોય છે; (૨) માણસ માત્રનું રોગપ્રતિકારતંત્ર હંમેશાં બહારથી આક્રમણ કરતાં તત્ત્વોને લાંબે ગાળે સહન કરતાં શીખી લેતું હોય છે; અને (૩) રોગપ્રતિકારતંત્રના T અને B કોષ એકબીજા સાથે પ્રત્યાયન કરતા હોય છે. આપણને પ્રશ્ન એ થાય કે આ પ્રતિપિંડો ભાષાના ઘટકો જેવા તો નહીં હોય? એટલું જ નહીં, આપણને બીજો પ્રશ્ન પણ એ થાય કે જેમ આપણે બીજી ભાષા શીખીએ છીએ એમ આપણું રોગપ્રતિકારતંત્ર પણ પેલાં બહારથી આવતાં તત્ત્વો સાથે જીવવાનું નહીં શીખી લેતું હોય? અને ત્રીજો પ્રશ્ન પણ એ થાય કે T અને B કોષો જ્યારે પરસ્પર પ્રત્યાયન કરતા હશે ત્યારે એ પ્રત્યાયનની કોઈક ચોક્કસ એવી વ્યવસ્થા તો નહીં હોય. જો T અને B એકબીજા સાથે પ્રત્યાયન કરતા હોય તો નો અર્થ એ થયો કે બન્ને એકજ ભાષા ‘બોલતા’ હશે અને એ ભાષાનું વ્યાકરણ પણ T અને B વારસામાં મેળવતા હશે.
મને તો આ બધું પરિકથા જેવું લાગે છે. કદાચ તમને પણ લાગતું હશે. કેટલાકને કદાચ આ બધું તાણીતૂંસીને ઊભું કરેલું પણ લાગતું હશે. પણ Niels K. Jerneએ છેક ૧૯૮૫માં એક સામયિકમાં પ્રગટ કરેલા The Generative Grammar of the Immune Systemમાં મેં ઉપર ઊભા કર્યા છે એ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.
એ લેખના પ્રારંભમાં જ Jerne કહે છે જે વ્યાકરણ લગભગ બે હાજર વરસથી વિકસતું આવેલું વિજ્ઞાન છે. એની સામે છેડે રોગપ્રતિકારતંત્રના વિજ્ઞાનને તો હજી માંડ સોએક વરસ થયાં હશે. તો પણ બન્ને વિજ્ઞાનની વચ્ચે ઘણું સામ્ય છે. એટલે સુધી કે આપણે વ્યાકરણનો એક analogy તરીકે ઉપયોગ કરીને રોગપ્રતિકારતંત્રને વધારે સારી રીતે સમજી શકીએ. અહીં ‘analogy’ શબ્દ મહત્ત્વનો છે. એ બતાવે છે કે માણસનું રોગપ્રતિકારતંત્ર એની ભાષાના તંત્ર જેવું હોય છે!
Jerneનો આ લેખ વાંચતાં મને થયું કે આ તો ખુશ થવા જેવી વાત છે. લોકો ભાષાશાસ્ત્રીઓની મશ્કરી કરતા હોય છે. એમની ઠેકડી પણ ઊડાડતા હોય છે. પણ, અહીં એક એવો વૈજ્ઞાનિક છે જે દાવો કરે છે કે માણસના રોગપ્રતકારતંત્રને સમજવા માટે ભાષા એક રૂપક તરીકે કામ લાગે. Jerne કહે છે કે descriptions of language અને descriptions of immune system વચ્ચે analogyનો સંબંધ છે!
Jerneએ જે ટેકનીકલ ચર્ચા કરી છે એમાં આપણે નહીં જઈએ. કેમ કે એમાંની કેટલીક તો મારે પણ કોઈક વૈજ્ઞાનિક પાસે બેસીને સમજવી પડે એવી છે. પણ, આપણને જે પ્રશ્ન થાય તે એ કે Jerne આ વિચાર ક્યાંથી લાવ્યા હશે? એમણે ક્યાંથી પ્રેરણા મેળવી હશે?
આ પ્રશ્નનો સાવ સાદો જવાબ છે: અમેરિકન ભાષાશાસ્ત્રી નૉમ ચોમ્સકીના ભાષાવિચારમાંથી. આપણે બધા જાણીએ છીએ એમ ચૉમ્સકીએ જે ભાષાવિચાર વિકસાવ્યો છે એ generative ભાષાવિચાર તરીકે ઓળખાય છે. અહીં generative એટલે explicit. જરાક અઘરી સંજ્ઞા છે. પણ, એના પાયામાં એક મહત્ત્વનો પ્રશ્ન પડેલો છે અને એ પ્રશ્નને બાળકો ભાષા કઈ રીતે શીખે છે એની સાથે સંબંધ છે. આપણે જાણીએ છીએ કે બાળકો જે ભાષા બોલતાં હોય છે એ બધી જ મોટેરાંઓ પાસેથી કે સમાજ પાસેથી શીખેલી નથી હોતી. બાળકો જે કંઈ વાક્યો સાંભળે એના આધારે જે તે ભાષાનું વ્યાકરણ આત્મસાત કરે અને પછી પહેલાં કદી ન સાંભળ્યાં હોય એવાં વાક્યો બોલે અને સમજે. ચોમ્સકી કહે છે: બાળકો માટે ભાષાનો input આટલો બધો દરિદ્ર હોવા છતાં એ કઈ રીતે નવાં નવાં વાક્યો બનાવતાં હશે અને સમજતાં હશે? આપણામાંના ઘણાને પેલી બાળકવિતા યાદ હશે: ભાઈને નાની આંખ, એ જુએ કાંક કાંક, એ તો કેવી નવાઈ જેવી વાત છે! એવીજ કવિતા ભાષા પર પણ લખાવી જોઈએ. ભાઈને/બહેનને (આપણે gender bias નથી રાખવો) નવાં નવાં વાક્યો બોલતાં સમજતાં આવડે એ તો કેવી નવાઈ જેવી વાત છે! એનો અર્થ એ થયો કે ભાષાશાસ્ત્રીએ ખાલી કર્તા, કર્મ અને ક્રિયાપદ કે સંધિ છોડોને જોડો કરીને નથી બેસી રહેવાનું. એણે એનાથી પણ ખૂબ આગળ જવાનું છે અને આ બાળકો ભાષા કઈ રીતે શીખે છે એ કોયડો વ્યાકરણની મદદથી ઉકેલવાનો છે! આ કામ generative ભાષાસિદ્ધાન્ત કરે છે. તદ્ઉપરાંત, generative ભાષાસિદ્ધાન્ત ભાષાનાં ઘટકતત્ત્વો અને એમની વ્યવસ્થાનું વર્ણન તો કરે જ પણ અંતિમે એ એવો પ્રશ્ન પણ પૂછે કે ભાષામાં આવ્યું કેમ થાય છે? ચૉમ્સકી કહે છે કે ભાષાશાસ્ત્ર ત્રણ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરતું હોય છે. પહેલો પ્રશ્ન તે What પ્રશ્ન. હું જ્યારે એમ કહું કે ‘રમેશે કાગળ લખ્યો’ તો આ ત્રણ શબ્દો શું છે? એનો જવાબ ભાષાશાસ્ત્રએ આપવો પડે. પછી બીજો પ્રશ્ન તે How પ્રશ્ન. આપણે જાણીએ છીએ એમ ‘રમેશે કાગળ લખ્યો’ પૂર્ણ ભૂતકાળમાં વાક્ય છે. અને એમાં ‘રમેશ’ને -એ લાગે છે. પણ ‘રમેશ આવ્યો’ વાક્ય પણ ભૂતકાળમાં હોવા છતાં આપણે ‘રમેશ’ને -એ નથી લગાડતા. આપણે ‘રમેશે આવ્યો’ એમ નથી કહેતા. ચોમ્સકી પૂછશે: આવું કઈ રીતે બને છે? અહીં ક્યા પ્રકારની યંત્રવ્યવસ્થા કામ કરે છે? અને ત્રીજો પ્રશ્ન તે Why પ્રશ્ન. કેમ એક વાક્યમાં ‘રમેશ’ને -એ લાગે છે ને બીજા વાક્યમાં નથી લાગતો? જગતની બીજી ભાષામાં આવું થાય છે ખરું? જો થતું હોય તો બન્નેની યંત્રવ્યવસ્થા એક જ પ્રકારની છે કે જુદી. એક હોય તો કેમ? જુદી હોય તો પણ કેમ એમ? અને છેલ્લે, ગુજરાતી બાળક જ્યારે ભાષા આત્મસાત કરે છે ત્યારે આ પ્રકારનાં વાક્યો કઈ રીતે શીખે છે? બીજી ભાષાનાં બાળકો પણ એ રીતે જ શીખતાં હશે કે? જો એમ હોય તો આપણે ભાષાના કોઈક universal વ્યાકરણની વાત કરી શકીએ કે નહીં? અને જો કરીએ તો એને જીવવિજ્ઞાન કે જિનેટિક્સ સાથે કોઈ સંબંધ ખરો કે નહીં? Generative ભાષાશાસ્ત્રીઓ, અથવા તો એમ કહોને કે આધુનિક ભાષાશાસ્ત્રીઓ, આ પ્રકારના પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરતા હોય છે.
Jerneએ એમના રોગપ્રતિકારતંત્ર પરના લેખમાં ચૉમ્સકીનાં બે પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે. એક તે Current Issues in Lingusitc Theory. આ પુસ્તક ૧૯૬૪માં પ્રગટ થયેલું. બીજું તે, Language and Mind. આ પુસ્તક ૧૯૭૨માં પ્રગટ થયેલું. જ્યારે પણ હું ચોમ્સકીની વાત કરવા બેસું ત્યારે હું એક વાત અવશ્ય કરતો હોઉં છું. ચૉમ્સકીની વાત કરતી વખતે જો કોઈ ‘નડતું’ હોય તો ચોમ્સકી પોતે. એ છેક ૧૯૫૫થી ભાષાશાસ્ત્ર વિશે લખતા રહ્યા છે અને એ જેમ જેમ નવી નવી સમસ્યાઓનો સામનો કરતા ગયા એમ એમ એમના ભાષાવિચાર બદલતા રહ્યા. Jerneનો આ લેખ પ્રગટ થયો ત્યાં સુધીમાં તો ચૉમ્સકીએ ચાર વાર એમના વિચાર બદલેલા. જો કે, એમના ભાષાવિચારના કેન્દ્રમાં સતત બે પ્રશ્નો રહ્યા છે. પહેલો પ્રશ્ન તે એ કે માણસ માત્ર ભાષા બોલે છે અને સમજે છે. એનો અર્થ એ થયો કે દરેક માણસના brain/mindમાં Universal વ્યાકરણ પડેલું હોય છે. તો એ વ્યાકરણનું સ્વરૂપ કયા પ્રકારનું હશે? એને જીવવિજ્ઞાન સાથે સંબંધ હશે? જીનેટિક્સ સાથે સંબંધ હશે? કે બીજા કશાક સાથે સંબંધ હશે? બીજો પ્રશ્ન આ છે: માણસના ચિત્તમાંનું Universal વ્યાકરણ જે તે વ્યક્તિ માટે એની ભાષાનું વ્યાકરણ કઈ રીતે બનતું હશે? ગુજરાતી સમાજમાં જનમતું બાળક, ચોમ્સકી કહે છે એમ, Universal વ્યાકરણ સાથે જનમતું હોય છે. પછી એ બાળક ગુજરાતી ભાષા સાંભળે અને એની સમાન્તરે પેલું Universal વ્યાકરણ ગુજરાતી ભાષાનું વ્યાકરણ બનતું જાય. આવું કઈ રીતે બનતું હશે? અને જગતભરનાં બાળકો પાછાં મોટે ભાગે એકસરખા ક્રમમાં જ પોતપોતાની ભાષાનું વ્યાકરણ શીખતાં હોય છે.
Jerne કહે છે કે જેમ બાળક માત્ર Universal વ્યાકરણ સાથે જન્મે છે એમ એ જ બાળક Universal કહી શકાય એવું રોગપ્રતિકારતંત્ર લઈને જનમતું હોય છે. આ સમાનતા સાચે જ ભાષાના તંત્રને અને રોગપ્રતિકારતંત્રને પાસપાસે બેસાડતી હોય છે. આગળ એ કહે છે કે જેમ ભાષાનું જ્ઞાન એક તંત્ર છે એમ રોગપ્રતિકારની વ્યવસ્થા પણ એક તંત્ર છે. એટલું જ નહીં, જેમ ભાષાનાં ઘટકતત્ત્વો હોય છે એમ રોગપ્રતિકારની વ્યવસ્થાનાં પણ ઘટકતત્ત્વો હોય છે! એટલે કે જેમ ભાષામાં શબ્દભંડોળ એમ રોગપ્રતિકારતંત્રમાં મનુષ્યનાં અવયવો! ફરક માત્ર એટલો જ છે કે રોગપ્રતિકારતંત્રનાં અવયવોની સંખ્યા નાની છે. આગળ Jerne એમ પણ કહે છે કે જેમ બાળક ભાષા શીખે છે એમ મનુષ્યનું રોગપ્રતિકારતંત્ર પણ બહારથી આક્રમણ કરતા વાઈરસ કે જીવાણુઓ સાથે જીવવાનું શીખી લેતું હોય છે. Jerneનાં ટેકનીકલ લખાણોમાં રોગપ્રતિકારતંત્ર કઈ રીતે આ શીખે છે એની ચર્ચા છે. આપણે એમાં ઊંડા નહીં ઊતરીએ.
Jerneનો આ લેખ સરેરાશ વાચકો માટે ખૂબ અઘરો છે. એમણે એમાં વ્યાકરણની વાત કરતી વખતે વાક્યની પણ વાત કરી છે અને અર્થની પણ. અને એ બન્નેને પ્રોટીનની સંરચના સાથે પણ સાંકળ્યાં છે. એટલું જ નહીં, લેખના અંતે એમણે એમ પણ કહ્યું છે કે જો Universal વ્યાકરણ જીવવૈજ્ઞાનિક હોય, એને આપણા ક્રોમોઝોમના DNA સાથે સંબંધ હોય તો એનો અર્થ એ થયો કે ભાષાશાસ્ત્ર એક દિવસે જીવવિજ્ઞાનનો ભાગ બની જશે અને કદાચ માનવવિદ્યાઓ કુદરતી વિજ્ઞાનનો ભાગ બની જશે. અત્યારે અમેરિકાની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં Biolingustics ભણાવાય છે. Jerne એમાં સાચા પડ્યા છે. આપણે રાહ જોઈએ કે માનવવિદ્યાઓ પણ હવે જીવવિજ્ઞાનનો જ એક ભાગ બની જશે.
છેલ્લે, કોઈને પણ એક પ્રશ્ન થવાનો: Jerneએ જે કંઈ કહ્યું છે એને રોગપ્રતિકારતંત્રના નિષ્ણાતો અત્યારે કઈ રીતે જુએ છે? મેં હમણાં જ ૨૦૧૯માં પ્રગટ થયેલું Philosophy of Immunology (લેખક: Thomas Pradeu) પુસ્તક પૂરું કર્યું. એમાં લેખકે Jerne અને ત્યાર પછીની વિચારણાની પણ વાત કરી છે. એ કહે છે કે જેમ ભાષાશાસ્ત્રમાં cognitive turn આવ્યો છે એમ Jerneની વિચારણામાં પણ cognitive turn આવ્યો છે. ૨૦૦૬માં કોહન નામના વિદ્વાને Jerneની દલીલોનો બચાવ કરતાં કહ્યું છે કે રોગપ્રતિકારતંત્ર પણ દુશ્મનોના અને સહ્રદયોના પણ સંકેતો ઝિલે છે, સમજે છે અને એના આધારે નિર્ણયો પણ લે છે.
આપણા રોગપ્રતિકારતંત્રએ કોવિડ-૧૯ના સંકેતો પણ ઝિલ્યા જ હશે. પણ એ સંકેતો એ સમજે અને પોતે પોતાનો બચવા કરવા નિર્ણય લે એ પહેલાં એ પોતાની પ્રતિકારશક્તિ ગુમાવવા માંડતું હશે. મને લાગે છે કે અત્યારે આપણે જે મહામારીમાંથી પસાર થઈ રહ્યા છે એની સામેની લડાઈને સમજવામાં ભાષાશાસ્ત્રએ પણ કંઈક તો પ્રદાન કર્યું જ છે.