Category Archives: લેખ

ઝળહળતું મારું બારણું ~ કવિ: વિજય સેવક, આસ્વાદ: હિતેન આનંદપરા

આપજે એકાદ એવું બારણું
હર ઘડી પળ રાહ જોતું બારણું

તોરણો બાંધ્યા ને પૂર્યા સાથિયા
જિંદગીભર તોય સૂનું બારણું

વાગતા ભણકાર પગલાંના અને
ભીતરે છાનું રડેલું બારણું

વાત અંગત લાગણીની માંડવા
પળ-વિપળ માટે અઢેલું બારણું?

ક્યાંક હું ખૂલી ગયો હળવેકથી
ક્યાંક કાયમ બંધ મારું બારણું

લાગણીને આગળો માર્યો હતો
તે છતાં એ છટપટ્યું’તું બારણું

અંધકારે જે વસાયું રાતભર
પામવા અજવાસ ઉઘડ્યું બારણું

દીવડો જો તું બને મુજ ટોડલે
થઈ જશે ઝળહળતું મારું બારણું
– વિજય સેવક

ઘરની સલામતી બારણા-દરવાજાને કારણે છે. હજાર સ્ક્વેર ફીટનું ઘર હોય પણ સાડા છ ફીટ બાય ત્રણ ફીટનું બારણું એક સધિયારો આપે છે. ઘર બંધ કરીને જઈએ ત્યારે ગેસનું બટન બંધ કરવાનું કદાચ ભૂલી જવાય, પણ બારણું બરાબર લોક થયું છે કે નહીં તે બે વાર ચકાસી લઈએ. ચકાસવું જ પડે એવો જમાનો પણ છે. વેકેશનમાં બહારગામ ગયા હોઈએ ને પાછા ફરી જોઈએ તો ચોરો ઘરમાં હાથ કી સફાઈ કરી ગયા હોય. અરે રજાની વાત જવા દો, મુંબઈમાં તો એવા કિસ્સા બને છે કે ત્રણ-ચાર કલાક બહાર ગયા હો તો પણ ઘરમાં પડેલા જોખમનું અચ્યુતમ કેશવમ થઈ ગયું હોય. દાગીના અને રોકડ જોખમ માટે બેન્કનું લોકર સારું. બીજો એક આડફાયદો એ કે આપણે દુનિયાને જણાવી શકીએ કે જુઓ અમે કેટલી સાદાઈથી જીવીએ છીએ.  

વાત બારણાની કરવી છે. સાંજે ઓફિસેથી પાછા ફરીએ ત્યારે બારણું આપણી રાહ જોતું હોય. પંખી સાંજે પાછું ફરે એની રાહ માળો જોતો હોય એમ જ. ઘરમાં અવસર આવે ત્યારે બારણું ઝૂમી ઉઠે. એના પર આસોપાલવનું તોરણ કે ફૂલોનો હાર બંધાય તો લાગે નક્કી જતેદહાડે આનું રૂપાંતર ઝાડમાં થઈ જવાનું. એક કુમાશ ઉમેરાય છે જડત્વમાં.

બારણાએ પોતે જડ રહેવું જરૂરી છે કારણકે એણે સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવવાની છે. ઉંબરા પર સાથિયા પુરાય ત્યારે એમ લાગે કે બારણાની પાનીમાં ઉમંગોની પવિત્ર મહેંદી પૂરાઈ રહી છે. દીકરીના લગ્નપ્રસંગે સજધજ થયેલું બારણું એને વળાવી એકાકી થઈ જાય. અચાનક એની તિરાડમાંથી એક સંબંધ સરીને બીજે ઘર જતો રહે. હર્ષનો પ્રસંગ હોય કે શોકનો પ્રસંગ હોય, વિદાય પછીનું ઘર વસમું જ લાગે. ઘર ભાંગી ન પડે એટલે બારણાએ તટસ્થ રહેવું પડે.

ઘણી વાર બારણાને અઢેલીને પાડોશી સાથે આપણે સુખદુઃખની વાતો કરી લઈએ છીએ, પણ બારણું કોને અઢેલે? હવા સિવાય કોઈ એની પાસે હોતું નથી. એના ઉઘાડબંધ થવા સાથે કેટલીક વાતો વસાઈ જાય છે અને કેટલીક વાતો ખુલે છે.

વિદેશ વસેલા માલિક માટે ઝૂરતું બારણું રાહ જોતું રહે છે. કસરત ન કરીએ તો શરીર કટાઈ જય એમ જ વપરાશ વગરનું બારણું ધીરે ધીરે નાના બાળક જેવું જિદ્દી બનતું જાય. ઘણી વાર એવું રિસાઈ જય કે માલિક પરદેશથી આવે ત્યારે ગુસ્સામાં ઉઘડે જ નહિ. એકાંત બધાને ગમે, પણ એકલતા કોઈને ગમતી નથી. કોઈ વાત કરવાવાળું ન હોય તો ભીતરે તોફાન સર્જાતા વાર નથી લાગતી.

આપણે પાડોશીને ઘરે અમસ્તા થોડી વાર માટે ગયા હોઈએ તો બારણાને તાળું નથી મારતા. આગળો મારીએ તો ચાલે. ધારો કે ઘરમાં કોઈ નાનું બાળક હોય તો થોડી વાર થાય એટલે બારણું ઝટ આવી જવાનું રિમાઈન્ડર મોકલે. એ પોતે બોલાવવા ન આવી શકે એટલે બાળકનું રડવું મોકલી પોતાની ફરજ બજાવે.

ફ્લેટ સિસ્ટમમાં મોટાભાગે બારણું બંધ રાખવાનો વણલખ્યો રિવાજ હોય છે. રાતે તો બંધ હોય જ, પણ દિવસે ય કામ પૂરતું જ ઉઘડે. સલામતીના પ્રશ્નો હોય એટલે મુખ્ય દરવાજાને કંપની આપવા સેફટી ડોર હોય. આ બંને દોસ્તની જેમ એકબીજા સાથે હળીમળીને રહે. જવાબદારી વહેંચી લે.

પહેલાના સમયમાં બારણાની બાજુમાં ટોડલાનો રિવાજ હતો. દિવાળીમાં તથા શુભ પ્રસંગે એના પર દીવો મુકાય એટલે આંગણું રોશન રોશન થઈ જાય. હવે તો પગલુછણીયાની બાજુમાં જ દીવો મુકવાના સમાધાન કરવા પડે છે.  ખેર, ફરિયાદ કરવા કરતા બારણે બેએક ટકોરા હળવેકથી મારીને ક્રોસ ચેક કરીએ કે આપણી ભીતર કોઈ જીવે છે કે નહિ!!

***

છોડવું પડશે ~ કવિ: અશોક ચાવડા ‘બેદિલ’, આસ્વાદ: હિતેન આનંદપરા

માને મન છતાં પણ આખરે ઘર છોડવું પડશે;
અચાનક શરીરી આવરણ તરછોડવું પડશે.

કદી વ્હેલું, કદી મોડું ખરેખર છોડવું પડશે;
તું અંતે તો અહીંયાં છે મુસાફર છોડવું પડશે.

નથી નળિયું, નથી ફળિયું, ફકત છે એક ઝળઝળિયું,
હવે ભારે હૈયે ગામપાદર છોડવું પડશે.

મને રોકીને રાખે છે ભલે તારી સજલ આંખો,
નથી છોડી જવું પણ તોય આખર છોડવું પડશે.

રહી ના જાય એકે યાદ બાકી કોઈ ખૂણામાં,
તું છોડી જાશરત છે બસ બરાબર છોડવું પડશે.

અશોક ચાવડાબેદિલ

        એકલા જ આવ્યા મનવા એકલા જવાના, આ ગીત સાંભળ્યું જ હશે. આ શરીર એક ઘર છે જેમાં જીવ કે આત્મા વસે છે. એ ક્યાંથી પ્રવેશે છે ને ક્યાં જાય છે એની આપણે ખબર નથી. જે ખબર છે એ અનુમાનો છે, ધારણાઓ છે. રબર સ્ટેમ્પ મારીને કશું કહી ન શકાય. મજા પણ આ રહસ્યની જ છે, આ શોધની જ છે. એની કોઈ કળ હાથ લાગી જાય તો જિંદગીનું ધબકવું સાર્થક થઈ જાય.

ગમે એટલી મમત કેળવીએ, અંતે તો એને અલવિદા કરવી જ પડે. મરણનો જે ડર રાખે, એનું મરવાનું આ ડર સાથે જ શરૂ થઈ જતું હોય છે. આપણી મુશ્કેલી એ છે કે આપણે જિંદગીને પણ નથી સ્વીકારી શકતા અને મરણને પણ.  

        આ જિંદગી એક સફર છે અને આપણે બધા મુસાફર છીએ. સફર કરવાના રસ્તાઓ જુદા જુદા હોય, સાધનો જુદા જુદા હોય, પણ ધબકારા દરેકના પોતાના હોય, જિજીવિષા દરેકની પોતાની હોય, આવડત દરેકની પોતાની હોય, માન્યતા દરેકની પોતાની હોય. ટૂંકમાં સ્થિતિ, સંજોગ, પરિબળ ભલે અલગ અલગ હોય, પણ સફર કાપવાની છે એ તો નક્કી જ છે. સફરનો આનંદ લેવાનો હોય. જેમ વધારે ને વધારે ભાર સંચિત કરીએ તેમ એને સાચવવામાં જ આપણું ધ્યાન રહે અને બારીની બહાર જોવાનું ચૂકી જવાય. સુવિધા  માટે લેવું અને સંઘરો કરવો આ બંનેમાં ફેર છે. સંગ્રહખોરી અંતે તો શૂન્યતાને જ વરવાની એ હકીકત મરણ સમજાવે છે. 

        વાત શરીરની હોય કે વતનની, એક ઝુરાપો રહેવાનો. આપણે શરીર છોડીએ ત્યારે સ્વજનને તકલીફ પડે, વતન છોડવાનું આવે ત્યારે અસ્તિત્વને. કામકાજ માટે જ્યાં તક હોય ત્યાં જવું પડે. હયાતી ટકાવવાની લડાઈ છેલ્લા શ્વાસ સુધી ચાલતી રહેવાની. ગામથી શહેર જવાનો ટ્રેન્ડ વધતો જ ગયો છે. ગામમાં ખેતી કે  નાનો વ્યવસાય હોય, એમાં ટકી રહેવાય પણ ઉડાન ભરવાનો રોમાંચ મળતો ન હોય. એનાથી પણ વિશેષ પરિબળ જરૂરિયાતો હોય. એક વાર શહેર કે પરદેશમાં સ્થાયી થઈ જવાય પછી, ગામનું ઘર સાચવવું મુશ્કેલ બની જાય. રહેનારું કોઈ ન હોય એ ઘર દયનીય લાગે. દિવાલોને વાત કરવા કોઈક તો જોઈએ. ઘરની કોઈ વસ્તુ નિર્જીવ નથી હોતી. એ તમારી સાથે જ ધબકતી હોય છે. વસવાટ વગરનું ઘર સન્નાટાથી ભરાઈ જાય. એમાં પણ એક પ્રિયજનને લાંબો સમય ઘરથી બહાર રહેવું પડતું હોય ત્યારે બીજી વ્યક્તિની હાલત કફોડી થઈ જાય. પરદેશ જતાં પ્રિયતમને કે સરહદ પર ફરજ નિભાવવા જતાં જવાનને પત્નીની સજલ આંખો જુએ ત્યારે એમાં આવતું પૂર સમયને તાણીને લઈ જાય. આંખોની અલકનંદામાં રોકા  વાની મમત મૂકીને જવાબદારીનો ઝંઝાવાત ઝેલવો જ પડે.

વિરહ વખતે સ્મરણ ડોક્ટરની જેમ સાચવવા આવી પહોંચે છે. સ્મરણનો લેપ ચંદનના લેપ જેવો હોય છે. આ લેપ ન હોય તો સળગી જવાય. અંતરના કોઈ પણ ખૂણામાં એક પણ યાદ બાકી ના રહે એ રીતે બધું સંકેલી લેવું અઘરું જ નહિ અશક્ય હોય છે. વાત એ યાદ રાખવાની છે કે મમત હોય ત્યાં પીડા પણ મળવાની. છોડવું અને છૂટવું બહુ દુષ્કર હોય છે.

અશોક ચાવડાની એક સંવેદનશીલ ગઝલ સાથે તંતોતંત બંધાઈએ. 

રીતે ગૂંથાઈ શ્વાસોની કડીમાં બા,
હું સતત પ્હેરી શકું છું ચામડીમાં બા.

અચરજ હોય છે ક્યાં ચાખડીમાં બા?
ખૂબ અથડાઇ છે બાધાઆખડીમાં બા

બાની પૂંજી બાપુજી સમજી શક્યો છું પણ,
હું કદી જોઇ શક્યો ના ચૂંદડીમાં બા.

  પછી એકેય અક્ષર ક્યાં લખાયો છે?
મેં જરા શીખી લીધી બારાખડીમાં બા.

ઘાટ મારો ઘડાયો કારણથી,
રોજ વ્હેરાયા કરી છે શારડીમાં બા.

***

ઘરની તરસ ~ કવિ: તેજસ દવે ~ આસ્વાદ: હિતેન આનંદપરા

કદી ન આંગણ તુલસી વાવી, કદી ન બાંધ્યાં તોરણ
ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ?

જાતે થઈ ખંડેર ઊભાં છો હવે એકલા ઝૂરો
તમે ખરા છો સાંકળ મારી ઘરને ઘરમાં પૂરો

નસીબમાં પણ એને આવ્યું આખેઆખું રણ
ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ?
દીવાલ ઉપર પડ્યા ઉઝરડા કેમ કરી એ જોવે?

બારસાખ પર ચીતરેલા એ મોર હજી પણ રોવે
હજી નેજવું કરી જુએ છે રાહ તમારી તો પણ
ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ?

તેજસ દવે

અમદાવાદમાં રહેતા કવિ તેજસ દવેનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઓગળતી જિંદગીના સમ’ વાંચવું અને ઠરવું ગમે એવો ગીતસંગ્રહ છે. પ્રસ્તુત ગીત પોણી જિંદગી ઘરને આપતી ગૃહિણીની અંતરંગ વ્યથાને વ્યક્ત કરી ગૃહસ્થને આડે હાથે લે છે.

પુરુષપ્રધાન સમાજ એકવીસમી સદીમાં પણ અત્રતત્રસર્વત્ર જોવા મળશે. ગામમાં એનો દેખાવ કઠોર હશે અને શહેરમાં સોફેસ્ટિકેટેડ હશે, પણ અંદરની વાત તો એક જ રહે છે. ગૃહસ્થ અને ગૃહિણી આ બંનેની વેવલેન્થ પરથી ઘર ખરેખર ઘર બનતું હોય છે. 

અચૂક જોવા મળે છે કે પતિદેવોની ચાંચ ઘરના કામમાં ડૂબતી નથી અથવા તો એમની ઉદાસીનતા નિષ્ઠાને વળોટી જાય છે. માળિયે રાખેલી પસ્તી ઉતારવાની હોય કે પંખા લૂછવાના હોય; તેઓ આ પ્રકારના કામો કરવાને બદલે સાક્ષીભાવે બધું જોયા કરે છે. એ વખતે તેમનામાં નિરંજન ભગત પ્રવેશી જાય છેઃ હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું? ક્રિકેટ મેચ ચાલુ હોય ત્યારે આ સાક્ષીભાવ સળવળાટ કરી એવરેસ્ટના રોમાંચને આંબી જાય. પત્ની માટે આ કાયાકલ્પ સમજવો મુશ્કેલ છે. સોફા ઉપર ઠઇઠું બેસીને બધું જોયા કરતા શરીરમાં અચાનક ચોગ્ગા-છગ્ગા ફૂંકાય.

ઘર ચલાવવાની જવાબદારી ઉભય પક્ષે છે. અઢારમી સદીની માનસિકતા સાથે એકવીસમી સદીની જરૂરિયાતો મેળ નથી ખાતી. એક આવકમાં ચાલતું ઘરે હવે બે આવક માગે છે. સ્ત્રીએ જ્યારે જૉબ પણ સંભાળવાની આવે અને ઘર પણ સાચવવાનું આવે ત્યારે પુરુષની જવાબદારી વધવી જોઈએ. રેસ્ટોરાંમાં ઑર્ડર આપીએ એ રીતે ઘરમાં ઑર્ડર છોડવાની ગુસ્તાખી આપણને કોઠે પડી ગઈ છે.

ડાઈનિંગ ટેબલ ઉપર બધી સામગ્રી ગોઠવવાની હોય એમાં પણ કોઈ મદદ ન કરે. થાળી પીરસાય પછી જ જનાબ સદેહે ઊભા થાય. ગૃહિણી અરજ કરે કે ન કરે, ઘરમાં હાથવાટકો થવું એ ફરજ પણ છે અને ગરજ પણ છે. થાળીમાં પીરસાતા ભોજન પાછળનો પરિશ્રમ જેને દેખાતો નથી એમની આંખો ઉપર નિષ્ઠુરતાની સેલો ટેપ ચોંટી હોય છે. મદદ કરવાની વાત તો જવા દો, પ્રિયજનમાં જે પ્રતિભા છે એની ઓળખ પણ નથી હોતી. ઓળખ થાય તો વિકસવાની તક દાબી દેવામાં આવે. સુપેરે  તન વાંચી શકતી ઇચ્છાઓ મન વાંચવાનું સિફતપૂર્વક ચૂકી જાય છે.

સ્ત્રીમાં ઈશ્વરે ભારોભાર સંવેદના મૂકી છે. બાળકના ઉછેર અને પોતાની પ્રતિભાના વિકાસ વચ્ચે જો પસંદગી કરવાની આવે તો એ બાળકને જ પ્રાધાન્ય આપશે. આવા તબક્કે એના સંવેદનને માન આપીને એને પ્રોત્સાહન આપવાની જરૂર છે. મોરના ટહુકા ઉછેરતી છોકરી પરણ્યા પછી ડૂસકાં લણતી થઈ જાય એમાં વાંક કોનો? એના સપનાંઓ ઉપર છોડાતા ટિયર ગેસ અને ફિયર ગેસના શેલ ઘાતકીપણાનો પુરાવો છે. બહુ કપરું હોય છે એક જગ્યાએથી ઉખડીને બીજી જગ્યાએ રોપાવું. રોપાયા પછી જો સરખા ખાતર-પાણી ન મળે તો છોડ અને કોડને મુરઝાતા વાર નથી લાગતી. પાછા પગ કરવા અશક્ય હોય અને છતે પગે સ્ટેચ્યુ થઈ જવાની નિયતિ સર્જાય એ સ્ત્રીત્વ ઉપર કુઠરાઘાત છે. વિશાળ હૃદય સાથે સંકુચિત વલણને ગળી જવાનું અઘરું કામ તે કરે છે. સવારે હડહડ થયેલી હયાતી સાંજે રાહ જોતી ઊભી હોય. એ વખતે પણ એ ચોક્કસ નથી હોતી કે વડકાં મળશે કે વ્હાલ. સમર્પણ સ્ત્રીનો ગુણ છે, પણ સંવેદન પુરુષનો ગુણ ક્યારે બનશે? 

વ્યક્તિગત વેદના પછી સામાજિક વાસ્તવિકતાનો ચિતાર આપતું એક અન્ય ગીત સંગ્રહમાંથી તારવ્યું છે.

ફુટપાથે સૂતેલાં ભૂખ્યાં કોઈ બાળકની
આંખો પર ધ્યાન કદી દેજો
છાતીના મૂળ સુધી એની એ ભૂખ પછી
તમને ના વાગે તો કહેજો

ઈંટ અને સિમેન્ટે ભીંતો બંધાય
        એમ લાગણીઓ થોડી બંધાય છે?
ભીંતેથી પોપડા ખરે ને એમ રોજ
        અહીં માણસ પણ જર્જર થઈ જાય છે
ડામરના રસ્તા પર કાળીધબ ઇચ્છાના
        એકલા નિસાસા ન લેજો

સૂરજ ડૂબે ને પછી ટળવળતી સાંજ
        રોજ ટોળે વળીને મૂંઝાય છે
અહીં નાનકડા રોટલાનો ટુકડો પણ       
માણસની આંખોનું સપનું થઈ જાય છે
કાચ સમી જિંદગીને સાચવતા માણસની       
આંસુની ધાર કદી સહેજો

***

કુદરતનું કરન્ટ એકાઉન્ટ – કવિ: ડૉ. જગદીપભાઈ નાણાવટી ~ આસ્વાદ: હિતેન આનંદપરા

વાદળો ઉતર્યા બધા, હડતાળ પર
માનવી આવી ગયો છે, ગાળ પર

વાહનો”, અ-વૃક્ષતા”, ને પાપસૌ
કેટલા લેબલ લગાવ્યા આળ પર

જે હતી, ફર્નીચરોમાં લુપ્ત થઈ
કોયલો ટહુકે હવે કઈ ડાળ પર..??

જંગલે કોંક્રીટ, ટિટોડી ઝુરતી
બાંધવો માળો રે ક્યા ક્યા માળ પર..!!

બહુ હવે દોડ્યા કર્યું, બિંદાસ થઈ
ચાલ, ચડવાનુ હવે છે ઢાળ પર….

મેઘલી કાળી ઘટા’, કોરે મુકી
માંડજે લખવા ગઝલ દુષ્કાળ પર

-ડૉ. જગદીપભાઈ નાણાવટી

વરસાદ આવું આવું  થઇ રહ્યો છે. આ દેશને કોઈ પણ પ્રકારની હડતાળ  પોષાય એમ નથી. માનવકલાકોનો  મહત્તમ ઉપયોગ આવકાર્ય પણ છે અને અનિવાર્ય પણ. વાદળો હડતાળ પાડે તો તરત એમના પર કેસ કરવો જોઈએ. પ્રસ્તાવ સારો છે, પણ હિતાવહ નથી. સામે વાદળો સીધા સુપ્રીમ કૉર્ટમાં કેસ આપણા ઉપર દાખલ કરી દે. ભાઈ માણસ! આ બધા જંગલો આડેધડ કપાય છે. માણસની સંખ્યા લાખોમાં વધે અને વૃક્ષોની  સંખ્યા લાખોમાં ઘટે તો આ સૃષ્ટિનો મેળ કેવી રીતે બેસે? 100 વરસ પહેલાના ગ્રીન કવર અને અત્યારના ગ્રીન કવરની સરખામણી થાય તો ટબુડીમાં ગંગાજળ લઈને ડૂબી મરવું પડે. આવા ઘણા આરોપો કીકબેક થઇ શકે  એટલે કેસની વાત પડતી મુકીએ. 

પ્રકૃતિને હણનારા કારણો ઘણા છે. વાહનોની સાથે ડામર અને સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાની બોલબાલા કરવી પડે. એટલે પહેલો ઘા વૃક્ષો પર થવાનો. ઘણી જગ્યાએ રસ્તામાં આડા આવતા વૃક્ષ ન કાપવાની માનવતા દેખાય છે, તો ઘણી જગ્યાએ વૃક્ષને સિમેન્ટમાં એવું પેટીપેક કરી દે જાણે શરત મારી હોય: એક ટીપું પાણી ઉતારે તો ખરું! માટી માગતા વૃક્ષોએ સિમેન્ટ ખાવી પડે. વૃક્ષની આજુબાજુ 2 ફૂટનું અંતર છોડવું જોઈએ એટલી સાદી સમજ સંબધિત ખાતાઓ પાસે નથી હોતી. 

વરસાદ  પહેલાં ઝાડને ટ્રીમિંગ કરવું જરૂરી બને છે જેથી એ તૂટે તો નુકસાન ન કરે. બરછી લઈને ડાળીઓ કાપતા મજુરોને એ તાલીમ આપવામાં નથી આવતી કે ભાઈ, તું જે ડાળીઓ કાપવાનો છે એના પર કોઈ પંખીનો માળો તો નથીને! ધન ધન કાપવા જ લાગતી બરછી જાણે કસાઈના હાથમાં હોય એવું પ્રતીત થાય. પંખીનો કમનસીબ છે, તેઓ ટહુકા કરી શકે, ફરિયાદ નહિ. ચકલી,  ટિટોડી જેવા પંખીઓ માળો બનાવવા સારી જગ્યા શોધતા જ રહી જાય છે. સંતતિ નિયમન એમના હાથમાં નથી એટલે નાછુટકે શહેર છોડવું પડે. 

આપણે કુદરતને  કરન્ટ એકાઉન્ટની જેમ વાપરીએ છીએ.  ફિક્સ ડિપોઝિટ જેવું કંઈ રાખવું જોઈએ એ વિચાર આપણને આવતો નથી. આવનારી પેઢી વિચારશે કે અમારા પૂર્વજો શું કરીને ગયા? તંગ દોર પર ચાલવું પડે એ દિવસો વધારે દૂર નથી. કુદરતે એનો પ્રકોપ જાહેર કરવા માંડ્યો છે. ભલભલા વિકસિત દેશોમાં રસ્તા પર પૂરના  પાણી ફરી વળ્યા હોય એવા  દ્રશ્યો સામાન્ય થઇ ગયા છે. ગ્લોબલ વોર્મિંગની અસર દરેક જગ્યાએ દેખાય છે. જેટલી સુવિધા વધે એટલો કચરો વધે. કચરો પંચમહાભુતમાંથી બનતો હોત તો વાંધો ન આવત. મોટા ભાગનો કચરો ઉકરડા રૂપે અટ્ટહાસ્ય કરતો અનંત વરસોનું આયુષ્ય લઈને ડરાવે છે. 

સુવિધાઓ જરૂરિયાત બની જાય ત્યારે પાછા પગલે સમસ્યાઓ પધારે છે. રણમાં વરસાદ પડે ને લીલાછમ પ્રદેશો પાણીને તરસે એવા વિરોધાભાસ સર્જાઈ રહ્યો છે. આ વિરોધાભાસ ધીરે ધીરે પ્રાદેશિક રહેવાને બદલે વૈશ્વિક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ટેકનોલોજી વિકસે છે, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ વધે છે, પણ પરિણામ શૂન્ય દિસે  છે.  ઇશ્વરને એક વિનંતી કે પ્રત્યેક માનવજનમ સાથે દસેક ઘટાદાર વૃક્ષ ભેટ આપે. વૃધ્ધાવસ્થામાં એક તો બચે. દુષ્કાળ હવે પોષાય એમ નથી – ખેતરનો અને આંખનો. 

***

ખોવાયેલી મિલકત ~ કવિઃ આહમદ મકરાણી ~ આસ્વાદઃ હિતેન આનંદપરા

સીમ, શેઢો, મોર, ટહુકો ને પછી શું શું ગયું?
ઘર, ગલી, સરિયામ રસ્તો ને પછી શું શું ગયું?

ટેરવે થીજી ગયેલી છે પળો કૈં બર્ફ થૈ
તાપ, સગડી, સૂર્ય, તડકો ને પછી શું શું ગયું?

તરફડે છે એક પીંછું જોઈને આ આભને
ઝાડ, જંગલ, પાંખ, માળો ને પછી શું શું ગયું?

પ્રેત જેવી શૂન્યતા ધૂણે હવે ખંડેરમાં
શબ્દ, અર્થો, મૌન, પડઘો ને પછી શું શું ગયું?

આટલામાં ક્યાંક મારા દિવસો વસતા હતા
તોરણો, છત, બારી, પરદો ને પછી શું શું ગયું?

– આહમદ મકરાણી

      જિંદગીમાં કશુંક આવે છે ત્યારે કશુંક જતું હોય છે. શહેરની સડકો સાથે અનુસંધાન સાધવા ગામની માટીને છોડવી પડે. પૈસો કમાવા દેશ છોડી પરદેશ સ્થાયી થતા સ્વપ્નોત્સુકે સ્વજનોને છોડવા પડે. સર્વાઈવલ માટે અનેક સમાધાનો કરવા પડે. 

      જ્યારે જાત ટકાવતા થઈ જઈએ, સેટલ થઈ જઈએ, બીજા બે જણને તારી શકીએ એટલું રળી લીધું હોય પછી અફસોસની ઍન્ટ્રી થતી હોય છે. ઘણું બધું મળ્યું, પણ ક્યારે? ઘણું બધું છોડયું ત્યારે.

      નાનપણમાં વડની વડવાઈઓએ ઝૂલવાનો જલસો, ગામની પાસે વહેતી નદીમાં ધુબાકા મારવાની લજ્જત, બોરા ને કેરી પાડવાની પથ્થરશાહી કવાયત, ઓટલા પર બેસી ચાની ચુસકી લગાવવાની બાદશાહી, વગેરે મોટા થઈએ એટલે જવાનું જ છે. ઉંમરના આગલા પડાવો તરફ પ્રયાણ કરીએ એટલે આ બધું છૂટતું જાય. બેફિકરીનું સ્થાન જવાબદારી લેતી થઈ જાય ત્યારે સમજદારીએ પણ સમજદારીથી કામ લેવું પડે.

     ગામ છોડીને જાઓ એટલે એક આખું સામ્રાજય વિલીન થઈ જાય. ખાસ કરીને જેનું શૈશવ ગામમાં વીત્યું હોય એને એક કસક ને થોડો ઝુરાપો ગિફ્ટમાં મળવાનો જ. જે લોકો ગામમાં ઘર રાખી મૂકે છે એમને માટે વેકેશન એક અવકાશ હોય છે જૂની ચીજોને ફરી એક વાર પંપાળી લેવાનો. જેઓ સંજોગવસાત્ ગામનું ઘર કાઢી નાખે છે તેમનું થડ ગમે એટલું વિશાળ હોય, પણ મૂળ અદૃશ્ય થઈ જાય છે.

     કવિ અલગ અલગ શેરમાં આ જ સૂરમાં વાત છેડે છે. જે હૂંફ, જે લગાવ મળતો હતો હવે એ બર્ફ થઈ ગયો છે. સંવેદનાઓમાં ઓટ આવી છે. ગરમાટાની જગ્યા હવે હાડ થીજાવી નાખે એવી સંવેદનાઓએ લઈ લીધી છે. ઓવનમાં શેકાતો પિત્ઝા ગમે એટલો રૂપાળો હોય, પણ ચૂલા પર માના હાથે બનેલી રોટલીની જગ્યા એ ક્યારેય નહીં લઈ શકે. માની મમતાનો પણ એક પોતીકો સ્વાદ હોય છે જેને કોઈ રેસિપીમાં બયાં ન કરી શકાય.

      ખરી ગયેલું પીંછું પોતાનું અતીત સંભારતું કોઈ કેડી ઉપર પડયું હોય ને ઉપર આભને જોતું હોય ત્યારે એના ભેરુ બનવાનું મન થાય. એને ઉપાડીને પૂછવાનું મન થાય કે આ કેવી રીતે થયું? એ જવાબ નહીં આપી શકે, સમજવાનું આપણે જ છે. દેહ, માટી, ઘર, સ્વજન સાથેનું અનુસંધાન છૂટે ત્યારે એકલતા તરાપ મારી ઘેરી ન લે તો જ નવાઈ.

       ખંડેરો જોવા એ આંખોનો વિષાદયોગ છે. કોઈ ધમધમતી સેંકડો વરસો જૂની હવેલી ચહેલપહેલ વગરની પડી હોય ત્યારે કૉમામાં સરી ગયેલા દરદી જેવી લાગે. એ જીવતી હોય, પણ જીવંત ન હોય. કેટલાય કિસ્સા એની દીવાલોમાં સચવાયા હોય. એ કહેવા માગતી હોય, પણ કહે કોને? બિહામણા ચામાચીડિયા સાથે એ કરીકરીને કેટલી વાતો કરે?

      દિવસો સરી જતાં વાર નથી લાગતી. કોઈ ઘટના એવી બને કે આખો પ્રવાહ પલટાઈ જાય. થોડા વરસોમાં તો જિંદગીનો એવો ઘાટ ઘડાઈ જાય જે વિચાર્યો પણ ન હોય. સ્મૃતિને સહારે વ્યાવહારિક જગતમાં કેટલું જીવાય એ પેચીદો અને પ્રેકટિકલ પ્રશ્ન છે. એ તો રહેવાનો જ, પણ ક્યારેક ક્યારેક સ્મૃતિને આધારે જાત તરફ સરવાની તક મળે તો એ ઝડપી લેવા ખરી. અતીતરાગ એક એવો રાગ છે, જેમાં વિષાદ પણ છે અને વ્હાલપ પણ.

।।।

સપના તો દોડે પરદેશ | કવિ ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ~ આસ્વાદ: હિતેન આનંદપરા

દીકરો પરદેશ જો દોડી ગયો,
એક સ્મરણ પાછળ સખ્ત છોડી ગયો.

ભાલને ચમકાવવાના લોભમાં,
ઘર તરફ જાતી નજર મોડી ગયો.

લાગણીની દોર તોડી નાખી, ને
તાર દૂરસંચારના જોડી ગયો.

રાતભર ખટકો રહે છે આંખમાં,
એક તણખલું કેવું ખોડી ગયો.

માહવે માખણને ક્યાં સંતાડશે,
કાનજી ઘરને તરછોડી ગયો.

હસતે મુખ ‘નાશાદ’ કીધું આવજે,
બાકી એક એક શ્વાસ ઝંઝોડી ગયો.

ગુલામ અબ્બાસ ‘નાશાદ’

      વિકાસ સાથે વિષાદ સંકળાયેલો છે. સંતાન જિંદગીમાં આગળ વધે, ખૂબ કમાય, ચાર માણસમાં એનું નામ થાય એવી ખેવના દરેક માબાપને હોય. સાથેસાથે એ નજર સામે રહે એની છાની કે છતી અપેક્ષા પણ હોય.

     સંતાનથી વિખૂટા પડવું એટલું સહેલું નથી. નવી પેઢી પરદેશમાં સ્થાયી થાય એની કોઈ નવીનવાઈ નથી. એ તો વરસોથી ચાલતું આવ્યું છે. આજે અમેરિકામાં લાખો ભારતીયો સ્થાયી થયા છે જેઓ ત્રણ-ચાર દશક પહેલાં ભારત છોડીને ગયા હતા.

    પ્રશ્ન પરદેશમાં સ્થાયી થાય એનો નથી. એનો તો આનંદ જ હોય, પણ એ પ્રગતિ ઘરવાળા સાથે છેડો ફાડીને પ્રાપ્ત થતી હોય, એમાં સ્વાર્થ ભળેલો હોય તો એ કણાની માફક ચૂભ્યા કરે. પોતાના દીકરાને લાલનપાલનથી ઉછેરતા માબાપ અનેક સપના જોતા હોય છે. એ સપનાને શ્વાસમાં ભરી દીકરો પરદેશ જાય છે કે સ્વાર્થમાં લપેટી જાય છે એ જોવું રહ્યું.

     એક વાર ગયા પછી જલદી પાછા અવાતું નથી એ હકીકત છે. અરે આપણે જે શહેરમાં સ્થાયી થયા હોઈએ ત્યાંથી આપણા ગામે જવું હોય તોય ઘણી વાર મેળ નથી પડતો, તો પરદેશથી પાછા આવવાના માર્ગમાં તો અનેક પ્રશ્નો ઊભા હોય. નોકરીમાંથી રજા મળવી, ઘર ઊભું કરવું, બજેટ સાચવવું વગેરે પ્રશ્નો પૃથ્વી પર સાર્વત્રિક છે.

      દીકરો પરદેશ ગયો છે કે ભાગી ગયો છે એના પર સંવેદનનો ખેલો રચાતો રહે. રોટી મેળવવાની લ્હાયમાં કોટિ કોટિ વંદન પણ ઓછા પડે એવા માતૃત્વને ત્યજીને નીકળતી મહત્વાકાંક્ષા ગમે એટલી વિસ્તરે, તોય એમાં કશુંક ખૂટવાનું.  

      આજે પ્રત્યાયનના સુપર ફાસ્ટ જમાનામાં આંગળીને ટેરવે સંપર્ક અને મેસેજ રમતા હોય છે. મોબાઈલ સ્ક્રીન પર અમેરિકામાં રહેતા દીકરાનો ચહેરો તરત ઉપસી આવે. ખરેખર આ ઉપકારક ક્રાંતિ છે. બાકી કાગળ-પત્રના જમાનામાં તો પ્રતીક્ષાની સો સો મણની પરીક્ષા લેવાતી.  સવાલ એ છે કે દૂરસંચારના સાધનો ઉપલબ્ધ ભલે હોય, પણ લાગણીનો તંતુ અકબંધ રહેવો જોઈએ. એમાં જ જો સંચાર ન હોય તો સંસાર ખારો લાગે.

      પોતાની મનમાની કરવા માબાપની માનહાનિ કરીને પરદેશ ગયેલો દીકરો ડૉલર્સની માયાજાળમાં લપેટાતો જાય. ધીરે ધીરે નવા સંબંધો ઉમેરાય અને જૂના છૂટતા જાય. કર્તવ્ય પ્રત્યે આંખમિચામણા થાય. પૈસા મોકલીને જવાબદારી નિભાવવાનો સંતોષ કેળવાતો જાય. માબાપને મોકલાતું મની ઓર્ડર ગમે એટલું મોટું હોય, એમાં પ્રેમ ભળેલો ન હોય તો ખાલી એક રુટિન ટ્રાન્સેક્શન બનીને રહી જાય.

      માની આંખો તો હંમેશાં દીકરાનો ચહેરો જોવા તરસતી રહેવાની. એક તરફ મમતા એનું કવચ છે, તો બીજી તરફ વિરહ એની મર્યાદા છે. સ્કૂલમાંથી દીકરાને આવતા અડધો કલાક પણ લેટ થઈ જાય તો અડધી અડધી થઈ જતી મા, વરસો સુધી પરદેશ રહેતા દીકરાનું મોઢું જોવા ન પામે ત્યારે શું થાય?

       પરદેશના અંતર પણ મોટા અને વિરહ પણ મોટો. પ્રગતિ માટે બધું કરવું પડે નહિતર જિંદગીભર હતા ત્યાં ને ત્યાં જ રહી જાઓ એ દલીલ સાચી છે. તો સામે માની મમતા શું ખોટી છે? વચ્ચેનો રસ્તો જેને મળી જાય એ ગંગા નાહ્યા.

***

અગાશીનો વૈભવ ~ કવિ: જયન્ત પાઠક ~ આસ્વાદ: હિતેન આનંદપરા

સંવાદ

આ અગાશી;
આપણાં હરદ્વાર, કાશી
આ તાડ માથે ચાંદની ટોપી ઘણી નાની પડે છે!
ને તેથી તો પડતો હસી આ પીપળો
– જો પાન એનાં ફડફડે છે!
એક માળો બાંધીએ આકાશમાં;
ચંદ્રકિરણોની સળી લો ચાંચમાં.
આ રાત કેવી!
તારી તેજલ આંખ જેવી!
આકાશમાં ઊડીએ બની પંખી;
તો તો વીંછુડો જાય ને ડંખી!
સપ્તર્ષિઓ નમી જો પડ્યા,
જાણે નદીના નીરમાં તરવા પડ્યા!
ચાલો જશું ઊંઘી
રાતરાણી આ જરા લઈએ સૂંઘી!
મળશું સ્વપ્નમાં
આકાશના અલકાભવનમાં!

જયન્ત પાઠક

અગાશી મકાનનો મુગટ છે. હવે ઊંચા મકાનો બનવા લાગ્યા છે એમ અગાશીઓ પણ વૈભવી ને રૂપાળી બની છે, પણ એને વાપરવાનો ઝોક આજના સમયમાં ઓછો થતો જાય છે. પહેલાના સમયમાં જ્યારે ટીવી ને મનોરંજનના માધ્યમોનું આટલું આક્રમણ નહોતું ત્યારે સાંજ ને રાત પુસ્તકો, શેરીઓ ને અગાશીને હવાલે થતી.

    આ કાવ્ય વાંચીને બાળપણના સ્મરણો નજર સમક્ષ આવીને ઊભા રહે છે. મુંબઈમાં ભૂલેશ્વરના ત્રીજા ભોઈવાડામાં અમારું મકાન સ્વામિનારાયણ બિલ્ડીંગ. બાળવયે અગાશી અમારો રોજિંદો અડ્ડો. ન જઈએ તો ચેન જ ન પડે. ક્રિકેટ તો રમાય જ, પણ લખોટીઓની અનેક રમતો રમવાની પણ મજા આવતી. રાતના જમ્યા પછી ઠંડી હવા ખાવા મિત્રમંડળી અગાશીમાં બેસતી.

    કવિ જે પીપળાની વાત કરે છે એ બે પાઈપ વચ્ચે ઊગતો જોયો છે. સાંજના ઘર તરફ પાછા વળતાં પંખી ને સમડીના ચકરાવા જોવાનો વૈભવ હજી છાતીમાં એક ખૂણે સચવાયેલો છે. અગાશીની પાળી પરથી ક્યારેક બહાર ડોકાતા ત્યારે એક ખેધીલો કાગડો માથે ચાંચ મારવા આવતો. પહેલા તો ખબર ન પડી, પણ પછી ખ્યાલ આવ્યો કે પાળીથી થોડાક ફૂટ નીચે બે પાઈપની વચ્ચે એણે માળો બનાવ્યો છે. જે કોઈ આવે એ જાણે એના બચ્ચાને ઉઠાવી જવાનું હોય એવી આશંકા સાથે ઊભા રહેનારને ટાંચ મારી ડરાવતો.

      કોઈ વાતે બોલાચાલી થઈ હોય તો સામસામી અગાશીઓ પરથી નળિયાબાજી શરૂ થઈ જતી. મજા અમને આવતી પણ એના ઉઝરડા અગાશીને પડતા.

     ઉત્તરાયણમાં અગાશી સોળે કળાએ ખીલી ઊઠતી. ઊભા રહેવાની જગ્યા ન હોય. બચ્ચાઓ સાથે ફૂલફટાક મમ્મી-પપ્પા ને છોગામાં દાદા-દાદીમાંથી એકાદ અતિથિવિશેષ તરીકે હાજર હોય. મમ્મી ફિરકી પકડે, પપ્પા ચગાવે અને નાનું બચોળું સેલ ખાવાનું ઈનામ મેળવે. મોબાઈલ ફોન હતા નહીં એટલે સમગ્ર પરિવારને એકરૂપ થતો જોવાની તક અગાશીને મળી જતી. ઊડતો પતંગ પકડી પાડતા ત્યારે મફતના ભાવે મળેલી મૂડી વધારે વ્હાલી લાગતી.

     કોઈ મહત્વની ખગોળીય ઘટના બનવાની હોય ત્યારે માળાવાસીઓ કૌતુક જોવા ધસી આવતા. બધા ગ્રહો એક લાઈનમાં આવે એવી મહાન એવી ઘટનાની સાક્ષી બનવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય એવી અગાશી તારાઓનો લખલૂટ વૈભવ તો રોજેરોજ માણતી હોય એમાં શી નવાઈ? સપ્તર્ષિને નીરખવાની ને ધ્રુવના તારાને સીઈઆડીની નજરે તપાસવાની મજા આવતી.

      આજે જમાનો બદલાયો છે. વૉચમેન પાણીની ટાંકી ભરવાના કામ માટે અગાશીનો ઉપયોગ રોજ કરે છે, પણ ભાડુઆતો ઉત્તરાયણ જેવા તહેવારોમાં જ અગાશીમાં ઠલવાય છે.  અગાશી જેટલી મોટી અને સરસ થઈ એમ એમ એનો ઉપયોગ ઓછો થતો ગયો.

      ધમધમતું શહેર રાતે અગાશી પર જઈને જોઈએ તો જરા જુદું લાગશે. અગાશી આકાશ જોડે વાત કરવાની આસમાની તક આપે છે. ઉનાળાના દિવસોમાં ગાદલા નાખી ખુલ્લા આકાશ નીચે સૂવાની ઐય્યાશી જે લોકો ભોગવી શકે છે એ લોકો ખરેખર નસીબદાર છે.

       અગાશી આમ જુઓ તો અલકમલકની અલકાનગરી છે. એનું અનુસંધાન આકાશ સાથે છે એટલે જ એ પાયાની સમસ્યાઓથી દૂર પોતાની મસ્તીમાં જીવી શકે છે.

।।।

હવે હદપાર પંખીઓના ટહુકા થઈ ગયા ~ કવિ: ભગવતીકુમાર શર્મા ~ આસ્વાદ: હિતેન આનંદપરા

આ ગતિથી દૃષ્ટિના દીવાઓ ધૂંધળા થઈ ગયા
હું, સ્કૂટર, રસ્તો – અને ચહેરાઓ ઝાંખા થઈ ગયા

લક્સની ફિલ્મી મહેક, ગીઝર ને શાવર બાથ આ
નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઈ ગયા

સિક્સ ચૅનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં
કે હવે હદપાર પંખીઓના ટહુકા થઈ ગયા

બારીઓમાંથી સ્કાયસ્ક્રેપર રોજ આવે ખરેખર
સૂર્યના સોનેરી અશ્વો સાવ ભૂરા થઈ ગયા

વૃક્ષ છોડીને વસાવ્યાં પંખીઓએ એરિયલ
લીલાં લીલાં પાંદડાં તરડાઈ પીળાં થઈ ગયાં

આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહૂમ પણ
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઈ ગયા?

અંજલિ અર્પ઼ું પ્રથમ સંવસ્તરીએ હું મને
કે મગર કાગળના દરિયામાં વિહરતા થઈ ગયા!

~ ભગવતીકુમાર શર્મા

‘અંધારમાંથી આવવું અંધારમાં જવું, કોઈ કરે શું વંશ ને વારસની વારતા?’… જેમણે અંધકારને આકંઠ વેઠયો હતો એવા સમર્થ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માએ 5 સપ્ટેમ્બરે 2018ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. તા. 31 મે તેમનો જન્મદિવસ. સાહિત્ય અને પત્રકારત્વ બંનેમાં ઉચ્ચતમ પ્રદાન કરનાર ભગવતીકુમાર શર્માએ 84 વર્ષની જિંદગીમાં 80થી વધુ પુસ્તકો આપ્યાં.

રઈશ મનીઆરે એમના પર  બનેલા દસ્તાવેજી ચિત્રમાં કહ્યું હતું કે એમણે સંબંધોનું વિશ્વ કદાચ સીમિત રાખ્યું હશે, પણ એમના સંવેદનોનું વિશ્વ અપાર અને અગાધ છે. સુરતના શાયર ગૌરાંગ ઠાકરે કરેલા તારણ પ્રમાણે ભગવતીકુમાર શર્મા કવિસંમેલન, મુશાયરામાં જ્યારે કવિતા રજૂ કરતાં ત્યારે કોઈપણ પ્રકારના નાટકીય અંદાજ વગર, શુદ્ધ ઉચ્ચારો અને છંદોલયની પૂરી સમજણ સાથે કવિતાના ભાવપ્રદેશમાં ભાવકોને આસાનીથી લઇ જઇ શકતા. વક્તા તરીકે વિષયને વળગીને વિગતવાર રજૂઆત કરવાની શૈલી સ્પર્શી જાય એવી હતી. શબ્દનાં પ્રખર ઉપાસક હોવાથી અણીશુધ્ધ ઉચ્ચાર અને શબ્દની જોડણી અનુસાર તેનું ઉચ્ચારણ તેમની વિશિષ્ટતા હતી.

પદ્યમાં સોનેટ, ગીત-ગઝલ, અછાંદસ, તથા ગદ્યમાં નવલકથા, નવલિકા, પ્રવાસકથા, લલિત નિબંધ, હાસ્યલેખો, વિવેચન, આસ્વાદ-અનુવાદ, આત્મકથાલેખન અને પત્રકારત્વમાં કટારલેખન-તંત્રીલેખોમાં તેમની કલમ વિલસી.

‘વીતી જશે આ રાત!’, ‘સમયદ્વીપ’, ‘પડછાયા સંગ પ્રીત’, ‘અસૂર્યલોક’, ‘નિર્વિકલ્પ’ જેવી નવલકથાઓને વાચકો વધાવી. આત્મકથા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ જેવું પુસ્તક તેમની કલમથી મળેલી ઉત્તમ ભેટ છે. યાદશક્તિ એટલી તેજ કે કોઈ પણ મહત્ત્વની ઘટનાનો સંદર્ભ તેમને હોઠવગો હોય. એમની અભિવ્યક્તિ અત્યંત સંવેદનશીલ છતાં ઠરેલ. પત્નીના અવસાન સમયે તેમણે 72 હૃદયસ્પર્શી સોનેટ લખ્યા હતા.

જન્મજાત નબળી આંખો ધરાવતા આ સર્જક ભણવામાં અત્યંત તેજસ્વી. એક વાર સ્કૂલમાં શિક્ષકે એમને બ્લેકબોર્ડ પર લખેલું લખાણ વાંચવાનું કીધું. એમનાથી કેમે કરીને વંચાયું નહીં. બીજા દિવસે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે આંખો તપાસી સ્પષ્ટ શબ્દોમાં સલાહ આપી કે કાલે ને કાલે સ્કૂલેથી ઊઠી જાઓ અને આખી જિંદગી પુસ્તકને સ્પર્શ પણ નહીં કરતા. નવ-દશ વર્ષના બાળક માટે આ મોટો આઘાત હતો. પછી તો તેઓ ડાબલા જેવા ચશ્મા ચડાવી આંખોને નીચોવતા રહ્યા. 16 વર્ષની ઉંમરે સુરતની મોટાભાગની લાઈબ્રેરીઓમાં થોકબંધ પુસ્તકો વાંચ્યા. એમની આ વાચનમૂડી છેવટ સુધી તેમનો ભગવદ-સધિયારો બની રહી.

‘અસૂર્યલોક’ એમની અત્યંત નોંધનીય નવલકથા. ભગવતીભાઈએ એક મુલાકાતમાં કહેલું કે મેં મારી આત્મકથાના અંશો જેવી નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો હતો. ‘અસૂર્યલોક’ નવલકથાનું તો થીમ જ એ છે કે સ્થૂળચક્ષુ તો વિલાતા જાય, પણ ચર્મચક્ષુમાંથી પ્રજ્ઞાચક્ષુ, જ્ઞાનચક્ષુ વિકસે એ જ માણસનો સાચો વિકાસ ગણાય!

અનેક પારિતોષિકો ને પુરસ્કારો પ્રાપ્ત કરનાર આ સર્જકે અનેક અભાવો વચ્ચે પણ કાગળનો સતત સામનો કર્યો. ગઝલોમાં પણ તેમણે અનેક પ્રયોગો કર્યા. ચુસ્ત કાફિયાના પ્રયોજન અને નોખી બાની દ્વારા તેમણે શેરિયત હાંસલ કરી બતાવી. અંગ્રેજી શબ્દોનો ગઝલમાં વિનિયોગ કર્યો છતાં ક્યાંય કઠે નહીં એવી એમની રચનારરીતિ હતી. ગીતોમાં પણ તેમણે હરિગીતો દ્વારા ઉલ્લેખનીય પ્રદાન કર્ય઼ું. વાર્તાઓમાં તેમણે વિવિધ સંવેદનોને સુપેરે આકાર આપ્યો. તંત્રીલેખોમાં તેમણે સાંપ્રત સમસ્યાઓ વિશે તટસ્થતાથી લખ્યું. ગુજરાતમિત્રમાં તેમની કટાર ‘શ્રીમાન શ્રીમતી’ અને ‘નિર્વિકલ્પ’ અત્યંત લોકપ્રિય નીવડી હતી.

ભગવતીકુમાર શર્મા એટલે સુરતના સુખે સુખી અને સુરતના દુઃખે દુઃખી થનાર સર્જક. તેઓ પોતાને આશિક-એ-સુરત કહેતા. દસેક વર્ષ પહેલા જ પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમણે કહેલું કે અંતિમ શ્વાસ હું સુરતમાં લઉં અને તાપી નદીના કિનારે મારો અગ્નિસંસ્કાર થાય. ‘મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે, હતા આપણે મૂળ તડકાના માણસ’ લખનાર આ મુઠ્ઠી ઊંચેરા સર્જકને તેમના જ એક હરિગીત દ્વારા સ્મરણાંજલિ આપીએ. 

હરિ, સુપણે મત આવો!

મોઢામોઢ મળો તો મળવું
મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું
આ બદરાથી તે બદરા તક
ચાતકનો ચકરાવો… 

પરોઢનું પણ સુપણું
એનો કબ લગ હો વિશ્વાસ
મોહક હોય ભલે
ફોગટ છે ચિતરેલો મધુમાસ
મુંને બ્રજ કી બાટ બતાવો
હરિ, સુપણે મત આવો!

સુપણામાં સો ભવનું સુખ
ને સંમુખની એક ક્ષણ
નવલખ તારા ભલે ગગનમાં
ચન્દ્રનું એક કિરણ
કાં આવો, કાં તેડાવો!
હરિ, સુપણે મત આવો!

***

ઍક્ઝિટ લેતાં પહેલાં ~ કવિ: કરસનદાસ માણેક ~ આસ્વાદ: હિતેન આનંદપરા

એવું જ માગું મોત,
        હરિ, હું તો એવું જ માગું મોત!
આ થયું હોત ને તે થયું હોત ને
        જો પેલું થયું હોત…

અન્ત સમે એવા ઓરતડાની
        હોય ન ગોતાગોત! હરિ, હું0
કાયાની કણીકણીથી પ્રગટે
        એક જ શાન્ત સરોદ:
જોજે રખે પડે પાતળું કદીયે
        આતમ કેરું પોત! હરિ, હું0

અંતિમ શ્વાસ લગી આતમની
        અવિરત ચલવું ગોતઃ
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે
        ઊડે પ્રાણકપોત!

ઘન ઘન વીંધતાં, ગિરિગણ ચઢતાં,
        ખરતાં સરિતાસ્રોત.
સન્મુખ સાથી જનમજનમનો
        અંતર ઝળહળ જ્યોત!
હરિ, હું તો એવું જ માગું મોત!

કરસનદાસ માણેક

મોત માગવા જેવી વસ્તુ નથી. દુનિયામાં આવવા માટે અંજળ જોઈએ ને અલવિદા કહેવા માટે જિગર જોઈએ. રાતે સૂતી વખતે એક ક્ષણ માટે વિચારો કે સવારે નહીં ઊઠું તો? ઊંઘ બળવો પોકારશે. હૈયું ધબકારો ચૂકી જશે. મોત આવવું સહજ છે, સ્વીકારવું સહજ નથી.  

    અસંતોષ સાથે મોતને આવકારો ન અપાય. ઘણી મહત્વાકાંક્ષાઓથી આપણું મન ફાટફાટ થતું હોય છે. આ બનું, તે બનું, આમ કરું, તેમ કરું… એવા અનેક પ્લાનમાં બાન થયેલી જિંદગી ફોકસ ન થઈ શકે ત્યારે અસંતોષ જન્મે. જે કામ ભાગે આવ્યું હોય એ નિભાવવાની જીવની ફરજ છે. દરેક માણસમાં બધું જ ન મળે.

    ચાની જાહેરખબરમાં એક કેચ લાઈન આવે છેઃ ઊઠો નહીં જાગો. આ જાગવું જેટલું સમયસર થાય એટલી ઊંઘ સાર્થક થાય. નિરાંતે આથમતા શ્વાસ પાસે ગરિમા હોય છે. અધૂરા ઓરતા સાથે મૂકાતા શ્વાસ ભગવાન જાણે કઈ ગતિ પામતા હશ! એન્ટ્રી થઈ છે તો ઍક્ઝિટ લેવાની જ છે. કોઈનો અને પોતાનો આત્મા પણ દુભાય નહીં. કવિ કહે છે એમ દેહની સરોદમાંથી શાંત સૂર ઝંકૃત થવા જોઈએ, ઉહાપોહ નહીં.

     પ્રત્યેક જિંદગી એક પ્રયોજન છે. પ્રત્યેક શ્વાસ રિફિલીંગ છે. પ્રત્યેક સમજણ શોધ છે. પ્રત્યેક સમર્પણ ભક્તિ છે. આપણે શું કરવા આવ્યા છીએ કે આપણે શું કરવા લાયક છીએ એની ગતાગમ પડતાં પડતાં લગભગ અડધી જિંદગી વીતી જાય છે. બાકીની અડધી આ ગતાગમને ઉજાળવાની હોય છે. જીવની યાત્રા સ્વથી સર્વસ્વ તરફ અને સર્વસ્વથી સ્વ તરફની છે. જ્યાંથી શરૂ કર્ય઼ું ત્યાં જ પાછું પહોંચવાનું છે. વચ્ચેનો પ્રવાસ આપણને સમૃદ્ધ કરે છે, દૃષ્ટિને ખોલી આપે છે.

     આ પ્રવાસ દરમ્યાન આપણે ઓતપ્રોત થવાનું હોય છે. સાંપ્રત દૃષ્ટિએ વિચાર કરીએ તો માત્ર મૂર્તિ સામે બેસી રહેવું એ જ ભક્તિ નથી. તમે જે કામ કરો છો તેમાં નિષ્ઠા હોય, તમારી સમજણનો લાભ સમાજને મળતો હોય, તમારા થકી કોઈની જિંદગીને સધિયારો મળતો હોય, તમારા કારણે કોઈ આગળ આવતું હોય તો એવા બધા સદ્કાર્યો પૂજા જ છે. માળા ફેરવવાથી મણકા જરૂર ફરે, માણસાઈ તો લોહીમાં જ ફરવી જોઈએ. સ્માર્ટફોનની ભાષામાં વાત કરીએ તો તમારી એક એપ્લિકેશનથી ખરેખર કોઈનું ફંક્શન સ્મૂધ થતું હોય તો એ તમારું યોગદાન કહેવાય.

     જિંદગીના અંતિમ વરસોમાં અરીસો લાજશરમ નેવે મૂકીને એક સોંસરવો સવાલ પૂછવાનો. ભઈલા! તે શું કર્ય઼ું આખી જિંદગી? માત્ર ટક્યો? સર્વાઈવલની સોગઠાબાજી એટલી સંકુલ છે કે બીજું બધું આડે હાથે મૂકાઈ જાય. જેને ઓડકાર આવતો હોય એણે બીજાની ભૂખ વિશે વિચારવું જોઈએ. જેની પાસે સમૃદ્ધિ હોય એણે ઍટલિસ્ટ આસપાસના લોકો વિશે વિચારવું જોઈએ. 

     હે ઈશ્વર! મારી વાસના પર ઉપાસના હાવી થાય, મારી ઝંખના પર તૃપ્તિ હાવી થાય, મારી લાલસા પર કરુણા હાવી થાય એવી કૃપા વરસાવજે. મોત આપોઆપ સુધરી જશે. મંદિરમાં એક પૈસાની લાંચ આપ્યા વગર.

***

ઇચ્છા ~ રમેશ પારેખ : (આસ્વાદ) હિતેન આનંદપરા

એક કવિની ઇચ્છા શું હોય?

ઇચ્છા

બૉમ્બ ન પડે કોઈના વિચારો પર
ઘરડી ન બની જાય આંખ
દોસ્તો ચાલ્યા જતા ન હોય
ભવિષ્ય તરફ અજાણ્યા બનવા
ખાવા ધાતાં ન હોય રસ્તાઓ, મકાનો, ચહેરાઓ
ફૂટી ન જાય બાળકના ફુગ્ગાનું સુખ
ન અવતરે કોઈ સ્ત્રીને મૃત બાળક
વાંઝણી સ્ત્રીનો ખોળો ભરાઈ જાય બાળકોથી
દરેક બાળક પાસે હોય પિતાનું નામ
નગરમાં ઉજવાય કવિતાવાચનના ઉત્સવો
પતંગિયાંના સત્કાર-સમારંભમાં અર્ધુંઅર્ધું થતું હોય શહેર
ખોફનાક હથિયારો ફેરવાઈ જાય ફૂલહારમાં.

~ રમેશ પારેખ

17 મે એટલે કવિ રમેશ પારેખની ઍક્ઝિટનો વસમો દિવસ. 2006માં આ કવિએ વિદાય લીધી ત્યારથી એમના ચાહકોને કળ વળી નથી. કાયમી લીલુંછમ આ છ અક્ષરનું નામ હજીયે લયના કસુંબલ કેફ સાથે ઘોળાયા કરે છે. આ કવિના સંગ્રહનું કોઈ પણ પાનું ઉઘાડીએ, આગિયાની જેમ ઝગમગ થતી કોઈ વિરલ સંવેદના તમારી આંખોને અચૂક ઝળહળ કરશે.

પ્રસ્તુત રચના ‘ઈચ્છા’ કાવ્યનો તારવેલો એક અંશ છે જેમાં કવિએ કેટલીક ઇચ્છાઓ પ્રગટ કરી છે. સામાન્ય માણસની ઇચ્છા સ્વ અથવા સંબંધીઓ પૂરતી સીમિત રહી જાય. કવિની ઇચ્છાને કોઈ આરો નથી હોતો. એ તો આખી સૃષ્ટિને પોતાની બાથમાં સમાવી લે. એને આસપાસના વાતાવરણથી લઈને સચરાચર સુધી પહોંચવું હોય છે. એના હાથમાં માણસાઈની મશાલ હોય છે જેનું અજવાળું એ બધામાં વ્હેંચવા માગે છે. એને એક એવી દુનિયા જોવી છે જે અસ્તિત્વમાં નથી, છતાં અશક્ય પણ નથી.

જેમ લોકો સાધનસંપન્ન હોય એમ વિચારોનો વૈભવ જેમની પાસે હોય એ લોકો વિચારસંપન્ન છે. એક નાનકડો વિચાર સાકાર થાય ત્યારે મોટી હરણફાળ સાબિત થઈ શકે. મોટાભાગની વિરલ વૈજ્ઞાનિક શોધ અચાનક ઝબકેલા વિચારને આધીન હોય છે. સર્જકના વિચારોમાં જો ખલેલ પહોંચે તો એનું સર્જનાત્મક ચિત્ર-ચરિત્ર અધૂરું રહી જાય. બાળકના વિચારોમાં જો ખલેલ પડે તો એની બાળસહજ વિસ્મયી સૃષ્ટિ નંદવાઈ જાય. ધ્યાનસ્થ યોગીની તલ્લીનતામાં જો ખલેલ આવે તો સદીઓનું અનુસંધાન ક્ષણમાં સમેટાઈ જાય. આસ્વાદને અહીં જ સ્ટેચ્યુ કહી ઈચ્છા કાવ્યની કેટલીક અન્ય પંક્તિઓને વહેવા દઈએ.

કવિ ઇચ્છા વ્યક્ત કરતાં કહે છેઃ હૉસ્પિટલોમાં રઝળતું કાળું મોત રૂપાંતર પામે શિશુઓના પ્રથમ રુદનમાં. રૂપવતીના ગાલે ખીલ ન થાય. કતલ ન થાય સૈનિકોની સામસામી. સામસામા ન ફરકે રૂમાલો છેલ્લી વારના. ન વાગે ઠેસ રસ્તાની સપનાંને. બાળક સાથે ન જોડાય દૂધનો અભાવ. માળામાંથી ઈંડું નીચે ન પછડાય. મનગમતી ફિલમની ટિકિટ મળી જાય સૌને. અફસોસ ન હોય કોઈને લૉટરી નહીં લાગ્યાનો. છાપરે છાપરે લુંટાવાય પતંગો. શીંગદાળિયા ફાંકતાં ફાંકતાં નીકળાય ઊભી બજારે. ચાબુકની બીક ન હોય ઘોડાને. જાહેર હોજમાં વિવસ્ત્ર નાહવાય. છોકરીના ઘર સામે સિટ્ટી વગાડાય ખુલ્લેઆમ. કોઈ હાથ ખિસ્સાકાતરુ ન બને. પતાસાંનો વરસાદ વરસે શેરીએ શેરીએ. ટ્રેન નીચે કપાયેલું આંધળું કૂતરું જીવતું થઈ દોડી જાય. દુષ્કાળની આગાહીઓ ખોટી પડે. બાપની આંખમાં પડતી હોય બાળકની પ્રથમ પગલી. વિખૂટા પડવાના દિવસો લંબાતા જાય અનંત. ગર્ભ પડી ન જાય કોઈ સ્ત્રીનો. કતલખાનાઓ બંધ થઈ જાય.

સહુ સપડાય વસંતમાં. ચુપકીદીથી તણખલું ચોરી જતી હોય ચકલી. કાચી કેરી જેવી છોકરીઓને ચૂંટી ખણાતી હોય, ઠેરઠેર. માતાઓનાં સ્તનો ઉજવે દૂધ ઉભરાવાનાં પર્વો. ગાડાંમાં બેસી ગામ ધાન્યો લણવા જાય. શેરીઓમાં નાગીપૂગી દોડાદોડી હોય ટાબરિયાંની. શરમાતી છોકરીઓના વાળમાં તાજાંતાજાં ફૂલ મૂકાતાં હોય. ચંદુ સાથે બુચ્ચા થાય. વૃદ્ધોને ફૂટે દુધિયા દાંત…

રમેશ પારેખ એટલે દૂરબીન વગર સમષ્ટિની પીડા જોઈ શકતી દૃષ્ટિ. રમેશ પારેખ એટલે એક ખોળિયામાં અનેક પરકાયાને અનુભવી શકતી સંવેદના. રમેશ પારેખ એટલે આરસના મોરમાં ટહુકા ઉમેરતો શખ્સ. રમેશ પારેખ એટલે વરસાદને પણ ભીના થવાનું મન થાય એટલું વ્હાલ વેરતો ખેડૂત. રમેશ પારેખ એટલે છોકરીને મઘમઘ અહેસાસ કરાવતી મુલાયમ વેણીમાં પરોવાયેલી મોગરાની ખુશ્બુ. રમેશ પારેખ એટલે હરિને અડીને આવેલો દર્શનાર્થી. રમેશ પારેખ એટલે ગુજરાથી કવિતામાં પાંગરેલો ગરવો ગુલમહોર. છોકરી ન હોય ત્યારે અરીસાઓ સામટા ગરીબ બને છે કે નહીં એ તો ખબર નથી, પણ રમેશ પારેખ નથી એટલે કેટલાય ભાવકો સામટા ગરીબ બની ગયા છે એ નક્કી. તેમના બહુ ઓછા વંચાયેલા ગીત સાથે ર.પા.ને શકવર્તી સલામ.  

ચિઠ્ઠી, જીવણા, તને

ગોકુળમાં હોઈ શકે દહીંની દુકાન
અને રાધાને હોઈ શકે ચશ્માં
અમરેલી ગામમાં મસાણ જોઈ જીવણા,
તું ખિખ્ખીખી ખિખ્ખીખી હસ મા.

છતરી ખોલીને કોઈ હાશકારે બેસે
ત્યાં ભોમાંથી ફાટે વરસાદ
બેઉ કાન જોડી વંદન કરો તો
Bomb ટોપરાંનો વ્હેંચે પરસાદ
અમથું દીવાસળીનું ટોપકું ય હોઈ શકે
વેશ્યા કે મહાસતી જસમા.

શ્રીમંગળવાર કે બુદ્ધજયંતી
ને એક ઘટનાવિશેષનો ત્રિભેટો
ઘર ખુશખુશાલ (ઉર્ફે બકરો હલાલ)
જણ્યો ખાટકીની બીબીએ બેટો
જીવણા, તું લાખેણો લાડકો છતાંય
અરે, નહીં દોઢમાં કે નહીં દસમાં

નક્શા પર દરિયાનું નામ લખો એટલામાં
રેખાઓ નદી બની જાય
જીવણા, તું ફૂલ જેમ ખીલે તો
એમાંથી મ્હેંક નહીં અફવા ફેલાય
હલ્લા કરતાં ય ઘણીવાર કોઈ
હોણાના અણસારા હોઈ શકે વસમા

***