Category Archives: સપના વિજાપુરા

“ઊંઘી ગઈ છે”- ગઝલ નો આસ્વાદ – સપના વિજાપુરા

“ઊંઘી ગઈ છે” – ગઝલ

ટેબલ ઉંઘી ગયું છે , ખુરશી ઊંઘી ગઈ છે
કાગળ , કલમ , ગઝલની પંક્તિ ઊંઘી ગઈ છે !

અંધાર આખા ઘરમાં , બિંદાસ્ત હરે ફરે છે
એને ખબર પડી ગઈ , બત્તી ઊંઘી ગઈ છે !!

વાતો રહે પવન , પણ મર્મર જરી ન થાયે
પર્ણો ઉંઘી ગયાં છે , ડાળી ઊંઘી ગઈ છે !

સારું થવાની આશે , બેસી રહ્યો સમય પણ
સારપની આખ્ખેઆખી , પેઢી ઊંઘી ગઈ છે !!

વિરમી ગયા વિચારો , એવી જ રીતે મનમાં
મેટ્રો સીટીમાં જાણે , ગિરદી ઊંઘી ગઈ છે !!

જાગ્યા નહીં જરા પણ , કેવી તમારી નિદ્રા ?!
તમને જગાડવામાં , મૂર્તિ ઊંઘી ગઈ છે !!

શ્રદ્ધાને હક છે જાગે , ઇશ્વરને પણ જગાડે
જાણી બુઝીને મારી , બુદ્ધિ ઊંઘી ગઈ છે !!

એની જ દ્રષ્ટિમાં છે અંધાપો , એ ન જાણે
એને તો એમ છે કે સૃષ્ટિ ઊંઘી ગઈ છે !!

ભીંતો તમારા ઘરની ખખડાવતો રહ્યો હું…
જ્યારે વહેમ પડ્યો કે બારી ઊંઘી ગઈ છે !

મોડે સુધી ગઝલને આદત છે જાગવાની
લાગે છે આજ થોડી જલ્દી ઊંઘી ગઈ છે !!

રિષભ મહેતા 

રિષભ મહેતા ની ગઝલ નો આસ્વાદ – સપના વિજાપુરા

ગઝલ જગતમાં રિષભ મહેતાના નામથી કોઈ અજાણ્યું નહિ હોય. મલ્ટી ટેલેન્ટ ધરાવતા કવિ શ્રી ગોધરાના વાતની છે અને ગોધરામાં વસવાટ કરે છે. કવિશ્રી એક સુંદર અવાજના માલિક અને સ્ટેજ શો માટે મશહૂર છે. એમની આ ગઝલ ફેઈસબુક પરથી મળી. વાંચતા જ ગમી જાય એવી આ ગઝલના નવ શેર છે અને ઉંઘી ગઈ છે રદીફ લઈને એક થી એક ચઢિયાતા શેર આપ્યા છે.


ટેબલ ઉંઘી ગયું છે , ખુરશી ઉંઘી ગઈ છે
કાગળ , કલમ , ગઝલની પંક્તિ ઉંઘી ગઈ છે !

કોઈવાર ગઝલ લખવા બેઠા હોઈએ અને કલમ હાથમાં રહી જાય અને કાંઈ સૂઝે નહિ. તો કેવી હાલત થાય. મગજ સુન્ન હોય એમાં કોઈ પણ પ્રકારની ખળભળ ના હોય કશું યાદ ના આવે ત્યારે કોઈપણ કાઇને લાગે કે ટેબલ ઉંઘી ગયું છે ખુરશી ઉંઘી ગઈ છે કાગળ, કમ અને છેવટે ગઝલની પંક્તિ ઉંઘી ગઈ છે. મત્લાનો શેર કોઈપણ ગઝલકારની હાલતનું બયાન કરે છે. આવી પરિસ્થિતિ દરેક કવિના જીવનમાં આવતી હશે. પંક્તિ ડોકિયા કરીને ઉંઘી જતી હોય છે.

અંધાર આખા ઘરમાં , બિંદાસ્ત હરે ફરે છે
એને ખબર પડી ગઈ , બત્તી ઉંઘી ગઈ છે !!

જેવી બત્તીની સ્વીચ બંધ કરો. અંધકારની ભૂતાવળ ચારેબાજુ ફરવા લાગે છે. અંધકારને બિંદાસ્ત ફરે છે. કારણકે હવે પ્રકાશ એને કનડતો નથી. એને ખબર છે કે બત્તી ઉંઘી ગઈ છે. કવિની બત્તીને ઉંઘાડવાની વાત ગમી. સામાન્ય માણસ હોય તો કહે બત્તી બંધ કરો, પણ કવિ આત્મા હોય તો એમ જ કહે બત્તીને ઉંઘાડી દો.

વાતો રહે પવન , પણ મર્મર જરી ન થાયે
પર્ણો ઉંઘી ગયાં છે , ડાળી ઉંઘી ગઈ છે !

પવન ભલે ધીમે ધીમે વાતો રહે. પણ બિલકુલ ચુપચાપ! જરા પણ મર્મર કે સળવળ ના થાએ! કારણ? કારણકે થાકીને આ પર્ણો ઉંઘી ગયા છે અને ડાળી ઉંઘી ગઈ છે. કવિ પ્રકૃતિને પણ સુવાડી દે છે.

સારું થવાની આશે , બેસી રહ્યો સમય પણ
સારપની આખ્ખેઆખી , પેઢી ઉંઘી ગઈ છે !!

આજ સારું થશે કાલ સારું થશે !! એમ કરતા કરતા સમય વીતતો જાય છે. પણ આ સમય ખરેખર વીતે છે કે કૈક સારું થશે એની આશ માં બેસી રહે છે. આજકાલની પેઢી પર શ્લેષ કરતા કવિ કહે છે કે સારપ ની આખી પેઢી ઉંઘી ગઈ છે. ખરેખર જ્યારે આંખે બુરાઈની પટ્ટી આંખે બાંધેલી હોય એ પેઢીને ઉંઘતી પેઢી જ કહેવાયને!! સારપ ની એ પેઢીને શું થયું? જમાનાની એવી હવા લાગી છે કે લોકો માં ભલમાનસાઈ રહી નથી. સારપ શોધવા જાઓ તો મળતી નથી.

વિરમી ગયા વિચારો , એવી જ રીતે મનમાં
મેટ્રો સીટીમાં જાણે , ગિરદી ઉંઘી ગઈ છે !!

મેટ્રો સિટીમાં માણસને માણસની પડી નથી. ગિરદી એટલી છે કે માણસને શોધવો અઘરો છે. એ ગિરદી પણ કેવી? ઉંઘેલી લાગણીવહિન, બેઅસર, પથ્થર સમાન માનવી જાગે તોય શું અને ઉંઘે તોય શું? ગામ છોડવાની સજા છે. કે માણસને પથ્થર બનાવી ગઈ. પછી વિચારો પણ એ રીતે લાગણીવિહીન અને બેઅસર થઇ જતા હશે. બિલકુલ મેટ્રો સિટીની જેમ!

જાગ્યા નહીં જરા પણ , કેવી તમારી નિદ્રા ?!
તમને જગાડવામાં , મૂર્તિ ઉંઘી ગઈ છે !!

મંદિરમાં થતા ઘંટારવથી ઈશ્વર જાગતો નથી! તો તમને કેવી રીતે જગાડવા? આ તમારી નિદ્રા કેવી છે ઈશ્વર? મૂર્તિ ઈ સમક્ષ રોજ પૂજા થાય છે. તમને જગાડવા ઘંટારવ થાય છે તમને જગાડતા જગાડતા મૂર્તિ ઉંઘી ગઈ છે! પણ તમારી નિદ્રા તૂટતી નથી! આ કરોના કાળમાં તો દરેક ધર્મના લોકો ઈશ્વરનો દરવાજો ખટખટાવી ચુક્યા પણ ઈશ્વર પણ જાને બધિર થઇ ગયા છે કે પછી ઈન્સાનના પાપ વધી ગયા છે!

શ્રદ્ધાને હક છે જાગે , ઇશ્વરને પણ જગાડે
જાણી બુઝીને મારી , બુદ્ધિ ઉંઘી ગઈ છે !!

ઉપરના શેર કરતા બિલકુલ વિરુદ્ધનો શેર બન્યો છે કવિને હજુ પણ શ્રદ્ધા છે કે એ ઈશ્વરને જગાડી શકશે. આ તો બુદ્ધિ ક્યારેક ઉંઘી જાય એટલે ઈશ્વર પરથી શ્રદ્ધા ઉઠી જાય પણ ફરી શ્રદ્ધા જગાડી પણ જાય અને ઈશ્વરને જગાડે!

એની જ દ્રષ્ટિમાં છે અંધાપો , એ ન જાણે
એને તો એમ છે કે સૃષ્ટિ ઉંઘી ગઈ છે !!

આંખો બંધ કરી લેવાથી સામેથી મુશ્કેલીઓ હટી નથી જતી! એ તો ત્યાંજ હોય છે. આંધળા માણસને વળી પ્રકાશની શું ખબર? એજ રીતે પોતાની આંખનો અંધાપો આપણને ક્યાં સાચી હકીકત બતાવે છે. સુષ્ટિ ઉંઘી નથી પણ મારી આંખ સામે પરદા છે. કહે છે ને જગતના કાંચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે,જગત કાજી થઈને તું ના પીડા વહોરી લેજે!

ભીંતો તમારા ઘરની ખખડાવતો રહ્યો હું…
જ્યારે વહેમ પડ્યો કે બારી ઉંઘી ગઈ છે !

દીવાલ સાથે માથા પટકાવાથી શું ફાયદો? કોઈના દિલમાં ઉતારવા માટે હૃદયની બારી પર દસ્તક કરો અને જ્યારે ખબર પડે કે હૃદયની બારી ના ખુલે તો એ પથ્થર હૃદયની દીવાલો પર ટકોરા મારતા રહો!! બારી જ ઉંઘી ગઈ છે તો ભીંત શું જવાબ આપવાની!

મોડે સુધી ગઝલને આદત છે જાગવાની
લાગે છે આજ થોડી જલ્દી ઉંઘી ગઈ છે !!

ગઝલ આવે તો અડધી રાતે આવે!! આ ગઝલનું પણ એવું છે. દિવસના ભાગમાં ભાગતી ફરે અને રાતે તકિયે આવીને બેસી જાય! એટલે ગઝલ પણ રાતરાણી જેવી છે. એ રાતે જ મહેકે! એને જાગવાની આદત છે. પણ ક્યારેક આખી રાત જાગો તો પણ એ ના આવે! ત્યારે કવિ કહે છે કે આમ તો મોડે સુધી જાગતી હોય છે પણ આજ જરા વહેલી સુઈ ગઈ છે! કવિ શ્રી રિષભ મહેતાજી ખૂબ સુંદર રદીફ સાથે સુંદર ગઝલ !!ધન્યવાદ!

સપના વિજાપુરા

‘મરીઝ’ ને એક સ્મરણાંજલિ -આસ્વાદઃ સપના વિજાપુરા

અસર વધતી જવાની છે મરીઝના શેરની માફક,
સુરા છે તું? કે સાકી છે મરીઝના શેરની માફક?

જીવનની યોજના પેટે મફત છે એક ઉપર એક
દરદ છે ત્યાં ખુમારી છે, મરીઝના શેરની માફક.

તરીને મોજ માણું? કે ડૂબીને જાન આપી દઉં?
ઘણી ઊંડી ઉદાસી છે મરીઝના શેરની માફક.

હતી બીજા જ કોઈ વિશ્વમાં એવી અનુભૂતિ
ગગન ચીરીને આવી છે મરીઝના શેરની માફક.

છે એવું શું કે તારો હર પ્રસંગે હોય છે સંદર્ભ!
તને મેં યાદ રાખી છે મરીઝના શેરની માફક.

છે ચહેરો એક તો પણ અવનવા રંગો બતાવે છે,
અદા તારી નિરાળી છે મરીઝના શેરની માફક.

ભલે તું ધ્યાન ના ખેંચે, છતાં મહેફિલ મરે તુજ પર
તું સીધી છે ને સાદી છે મરીઝના શેરની માફક.

વિચારોના બગીચામાં ખીલી છે ફૂલ જેવી તું,
મને તું બહુ જ વ્હાલી છે મરીઝના શેરની માફક.

(આવતીકાલે મરીઝ સાહેબની સ્મરણતિથિ. એમને સ્મરણાંજલિ આપવા એક કોશિશ.

– પ્રજ્ઞેશ નાથાવત ‘પગુ’

કવિ શ્રી અબ્દુલ અબ્બાસ વસી ” મરીઝ” સાહેબની વસમી વિદાયને આહ 37 વરસના વહાણા વહી ગયા. એમની ગઝલ થકી હજુ એ લોકોના દિલમાં વસી રહેલા છે. કવિ શ્રી મરીઝની કોઈ ગઝલનો આસ્વાદ કરાવું એવી ઈચ્છા હતી ત્યારે ફેઈસબુક પર મને કવિ પ્રજ્ઞેશ નાથાવત ‘પગુ’ નીઆ ગઝલ મળી આવી. એમણે કવિ શ્રી મરીઝને ગઝલ દ્વારા સ્મરણાંજલિ અર્પણ  કરી છે જે મને ખૂબ ગમી ગઈ.

કવિ શ્રી મરીઝ નું જન્મ સ્થાન સુરત હતું. અભ્યાસમાં એમને રસ ના હતો તેથી એમના પિતાએ એમને મુંબઈ કામ કરવા મોકલી આપેલા. શરૂઆતમાં એમણે રબ્બર શુ ફેક્ટરીમાં કામ કર્યું પણ બુક્સ ખરીદવા માટે પૂરતા પૈસા ના હતા. એ પોતાની કઝીનના પ્રેમમાં હતા પણ કઝીનના પિતાએ એમન લગ્નના પ્રસ્તાવને ઠુકરાવી દીધો. જેનો એમને સખત આઘાત લાગેલો. પછી એમણે જર્નાલિસ્ટ તરીકે કામ કર્યું. 1946 માં લગ્ન કર્યા. 1942 માં ‘ભારત છોડો’ મૂવમેન્ટમાં પણ ભાગ લીધો.

એમની નઝમ અને ગઝલ હજુ લોકોના દિલોમાં વસે છે. એમને ગુજરાતના ગાલિબ ગણવામાં આવે છે .ભલે એમને જિંદગીભર પૈસા માટે મુશ્કેલી વેઠી પણ લોકોના દિલો પર રાજ કરીને ગયા. એમના મૃત્યુ પછી એમને વધારે કામયાબી મળી. એમની કેટલાક ગઝલ સંગ્રહ એમના મૃત્યુ પછીપ્રકાશિત થયા.

કવિ શ્રી ગુલામ અબ્બાસ ‘નાશાદ ‘ અને એમના દીકરા મોહસીન વસી એ એમના ધાર્મિક મરશિયા અને કવિતાઓ ‘ અકીદત ‘ માં એડિટ કરી પ્રકાશિત કર્યા હતા. કવિ શ્રી રઈશ મણિયારે એમની બાયોગ્રાફી “મરીઝ : અસ્તિત્વ અને વ્યકિતત્વ ” પ્રકાશિત કરી હતી જેના પરથી નાટક પણબનાવવામાં આવ્યું છે.

કવિ શ્રી પ્રજ્ઞેશ નાથાવત અમદાવાદના નિવાસી છે. તેમણે ફિજિકલ થેરાપી નો અભ્યાસ કર્યો છે. અને હાલમાં અમદાવાદમાં જ પ્રેકટીસ કરે છે. એમની આ ગઝલ જે એમને મરીઝ સાહેબને સ્મરણાંજલિ તરીકે પેશ કરી છે જે મને એમની ટાઈમ લાઈન પરથી મળી છે. તેથી હું પણ મરીઝસાહેબને સ્મરણાંજલિ પેશ કરવાની લાલચ ના રોકી શકી.

અસર વધતી જવાની છે મરીઝના શેરની માફક,
સુરા છે તું? કે સાકી છે મરીઝના શેરની માફક?

કવિ શ્રી મરીઝ જે પ્રેમના મરીઝ હતા. અને એમને શરાબની આદત હતી જે લગભગ બધા સાહિત્ય જગતના લોકો જાણે છે. મરીઝના શેરનીમાફક એ એમણે રદીફ પસંદ કર્યો છે. અને મરીઝના શેરમાં શું હતું? સુરા, સાકી અને શરાબ! અસર વધતી જાય છે ત્યારે શરાબની અસર લાગે છે પણ એ અસર કેવી છે? મરીઝના શેરની જેવી! અને સુરા સાકી યાદ આવે છે તે પણ “મરીઝના શેરની માફક” મત્લા ના શેર પરથી ભાવુક માની લે છે આ ગઝલ મરીઝના શેરની માફક જ બનવાની છે.અહીં મરીઝનો એક શેર યાદ આવે છે.

“મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.” મરીઝ

જીવનની યોજના પેટે મફત છે એક ઉપર એક
દરદ છે ત્યાં ખુમારી છે, મરીઝના શેરની માફક.

 અહીં બાય વન એન્ડ  ગેટ વન ફ્રી ની ફિલોસૂફી પર શેર બનાવ્યો છે,પણ અહીં વસ્તુની વાત નથી અહીં પીડા અને ખુમારીની વાત થાય છે. મરીઝના દરેક શેરમાં કાં તો પીડા અને કાં તો ખુમારી જોવા મળે છે. તેથી દર્દ અને ખુમારી બંને મળે છે પ્રેમના મરીઝ ને !! મરીઝનો એક શેર યાદ આવે છે.


“પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.”

તરીને મોજ માણું? કે ડૂબીને જાન આપી દઉં?
ઘણી ઊંડી ઉદાસી છે મરીઝના શેરની માફક.

પ્રેમમાં તરી જવું એટલે મોજ કરવી પણ પ્રેમમાં લોકો ડૂબીને જાન પણ આપતા હોય છે. પ્રેમનું દર્દ ચાહે મરીઝને હોય કે પછી ‘પગુ’ નેહોય પ્રેમમાં ઉદાસી તો બધાને સરખી જ મળવાની. પ્રેમમાં હોવું અને દર્દમાં હોવું એ બંનેમાં ખાસ ફર્ક નથી. પ્રેમમાં હોય એ દર્દમાં હોય જ છે. બંને પક્ષે પ્રેમહોય તો આ દર્દ મીઠું મીઠું હોય અને પ્રેમ એક પક્ષીય હોય અથવા ભગ્ન પ્રેમ હોય તો એ દર્દ ઉદાસીમાં ફેરવાય છે અને જાન લેવા હોય છે.

“થઈને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,

ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.” મરીઝ

હતી બીજા જ કોઈ વિશ્વમાં એવી અનુભૂતિ
ગગન ચીરીને આવી છે મરીઝના શેરની માફક.

પ્રેમની આ અનુભૂતિ જાણે પરલોક કે બીજા કોઈ વિશ્વમાંથી આવી હોય તેવું લાગે છે છતાં એ આવી છે ગગન ચીરીને મરીઝના શેરની માફક. જો પ્રેમી હશે તો મરીઝના શેર દિલના સોંસરવા ઉતરશે.

“બુલંદી પર રહીને હું સદા હસતો જ રહેવાનો,
ભલે મારી સિતારા જેમ ગણના થઈ નથી શકતી.”મરીઝ

છે એવું શું કે તારો હર પ્રસંગે હોય છે સંદર્ભ!
તને મેં યાદ રાખી છે મરીઝના શેરની માફક.

પ્રેમિકા હર સારા નરસા પ્રસંગે યાદ આવી જ જાય. અહીં હરીન્દ્ર દવેનું ગીત યાદ આવી જાય છે. કે

“પાન લીલું જોયુંને તમે યાદ આવ્યા.” પ્રકૃતિના હર રંગમાં પ્રિયતમાની યાદ ભરેલી છે. જેમ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની ! અહીં કવિ શિકાયતના રૂપમાં કહે છે કે એવું તો વળી શું છે? કે હર પ્રસંગે હોય છે સંદર્ભ ! એ પણ કેવો સંદર્ભ? તને મેં યાદ રાખી છે મરીઝના શેરનીમાફક! અહીં કવિએ કવિ મરીઝના શેર સાથે  સાથે પ્રેમિકાની યાદને સરખાવી કવિ મરીઝને ખૂબ ઊંચા સ્થાને બેસાડી દીધા છે.

“આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.”મરીઝ

છે ચહેરો એક તો પણ અવનવા રંગો બતાવે છે,
અદા તારી નિરાળી છે મરીઝના શેરની માફક.

તારો એક જ ચહેરો છે પણ એમાં અવનવા રંગ હોય છે. એમાં પ્રેમનો રંગ, પીડાનો રંગ, ખુમારીનો રંગ, અને ક્યારેક શરાબી રંગ પણ બતાવે છે. મરીઝના શેરમાં આવા ઘણા રંગ જોવા મળે છે જેને કવિએ મરીઝના શેર સાથે સરખાવ્યાં છે.

“પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.”મરીઝ

ભલે તું ધ્યાન ના ખેંચે, છતાં મહેફિલ મરે તુજ પર
તું સીધી છે ને સાદી છે મરીઝના શેરની માફક.

મરીઝ જ્યાં જતા ત્યાં મહેફિલ લૂંટી લેતા . એમના સીધા સાદા શેર પણ હજારો દાદ મેળવી લેતા. અને મહેફિલ એમના પર મરી પડતી. કવિ શ્રી ‘પગુ’ પોતાની પ્રેમિકાને મરીઝના શેર સાથે સરખાવતાં કહે છે કે તું ભલે બેપરવા હોય ભલે તું કોઈનું ધ્યાન ના ખેંચતી હોય છતાં મહેફિલ તારા પરમરતી હોય છે. હુસ્ન મોટે ભાગે બેપરવા હોય છે. સીધી અને સાદી હોય છે.પોતાની સુંદરતાનું એને ભાન નથી હોતું. છતાં લોકો તો એના પરમરતા હોય છે. જે રીતે મરીઝના શેરની પાછળ સાહિત્યકારો દીવાના બની ગયા હતા.

કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં ! મરીઝ

વિચારોના બગીચામાં ખીલી છે ફૂલ જેવી તું,
મને તું બહુ જ વ્હાલી છે મરીઝના શેરની માફક.

ઘણીવાર કલ્પનાની પ્રેમિકા સાચી પ્રેમિકા કરતા વધારે વહાલી હોય છે. કારણકે વિચારમાં વસેલી પ્રેમિકા ફૂલ જેવી કોમળ હોય છે. વજ્ર જેવી સખત નથી હોતી. વળી રિસામણાં મનામણાં પણ નથી કરતી ! અને મન ચાહે ત્યારે પ્રેમ કરી શકાય છે. જેવા મરીઝના શેર વહાલા છે એવી જ એ વહાલી છે. કવિ પ્રજ્ઞેશે એ સુંદર ગઝલ કવિ શ્રી મરીઝને સ્મરણાંજલિ તરીકે આપી છે .આભાર કવિ!

એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી. મરીઝ

સપના વિજાપુરા

પ્રેમાગ્નિ – વાર્તા – સપના વિજાપુરા

પ્રેમાગ્નિ 

નાદિયાને એકદમ ચક્કર આવ્યા, અને જમીન પર પડી ગઈ.બેભાન નાદિયાને ઘરનાં લોકો ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા.નાદિયા હોશમાં ન આવી.એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી.જલ્દીથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા.ડૉક્ટરે નાદિયાના પપ્પાને એક બાજુ લઈ જઈને કહ્યું કે નાદિયાએ આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો હતો.વધારે પડતી ઊંઘની ગોળીઓ લીધી હતી.ઘરનાં સર્વ લોકો ઉપર જાણે વીજળી પડી.

Continue reading પ્રેમાગ્નિ – વાર્તા – સપના વિજાપુરા

“તમે જતાં રહ્યાં પછી” – ગઝલઃ મોહસીન મીર ‘સ્પર્શ’ – આસ્વાદઃ સપના વિજાપુરા

“તમે જતાં રહ્યાં પછી!”

વિશેષ કંઇ થયું નથી, તમે જતાં રહ્યાં પછી !
શ્વસન જરા શમ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

રમત બમત રમે નહીં, કશાયથી રીઝે નહીં ;
હ્રદય હ્રદય રહ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

ચમન,સુમન,નદી,ઝરણ,પહાડ ગીત ને ગઝલ;
ઘણું બધું ગમ્યું નથી, તમે જતાં રહ્યા પછી !

ગલી ગલી, ડગર‌ ડગર, નગર નગર, અવાક છે;
કશું જ ધમધમ્યુ નથી તમે જતાં રહ્યાં પછી !

તમારૂ મુલ્ય કેટલું વધારે કંઇ ખબર નથી;
તમારૂં ઘર જમ્યું નથી તમે જતાં રહ્યાં પછી !

ધબક ધબક જતું રહ્યું પલક જબક જબક નથી,
બીજું કશું ગયું નથી, તમે જતાં રહ્યાં પછી !

                                 – મોહસીન મીર ‘સ્પર્શ’

યુવા કવિ મોહસીન મીર  ‘સ્પર્શ’ ગોધરા  નિવાસી છે. એક શિક્ષક અને ખૂબ જ સારા ગઝલકાર છે. એમની આ ગઝલ મને ફેઈસ બુકમાંથી સ્વરાંકન સાથે મળી હતી. એમના સૂરીલા અવાજમાં આ ગઝલ સાંભળી મને આ ગઝલ વધારે પસંદ પડી ગઈ. આ ગઝલ પ્રિયતમાના જવા પછીશું શું થયું એની વાત એ રીતે દર્શાવામાં આવી છે કે વાત સીધી હૃદયમાં ઉતરે છે. કવિ દરેક શેરમાં કબુલ કરે છે કે તમે જતાં રહ્યાં પછી શું શું થયું  છતાં કવિનું માન  જળવાઈ રહે છે. મારો એક શેર અહિં યાદ આવી ગયો!

तूमसे बिछडके खास कुछ नही हुआ
बस जिंदगीसे हम खफा खफासे रहे
મત્લાના શેરમાં કવિ કહે છે કે

વિશેષ કંઇ થયું નથી ,   તમે જતાં રહ્યાં પછી !
શ્વસન જરા શમ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

વિશેષ કઇં થયું નથી. તમે જતાં રહ્યાં પછી એટલે તમારા જવાથી કંઈ જીવનમાં કઈ બહુ ફરક નથી આવ્યો.  પોતાની વ્યથા તેમ છતાં છુપાવી શકતા નથી અને બીજા મિસરામાં કહે છે કે શ્વસન જરા શમ્યું નથી. પ્રેમિકા વગર નું જીવન કેવું છે? હૃદયમાં ઉત્પાત રહે છે. ચેન ક્યાંય પડેનહી.  ક્યાંય ચેન પડે નહીં તેથી શ્વસન શી રીતે શમે ? શ્વસન શમવાની વાત કરી પોતાની બધી વ્યથા એક મિસરામાં કહી બતાવી છે. આનાથી વધારે પ્રિય વ્યક્તિને શું કહો કે તારા જવા પછી શું થાય છે?

રમત બમત રમે નહીં, કશાયથી રીઝે નહીં ;
હ્રદય હ્રદય રહ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

“દિલ હૈ કે માનતા નહીં , મુશ્કિલ બડી હૈ યેહ જાનતા નહીં। ” દિલ ક્યાંય લાગે નહીં , રમત ગમત માં કે પછી હવેનાં રમકડાં ફોન કે કૉમ્પ્યુટરમાંદિલ લાગે નહીં. બેચેની બેચેની રહે. દિલને મનાવવાની હજારો કોશિશ નિષ્ફ્ળ જાય કોઈ પણ વાતથી દિલ રીઝતું નથી. આવું જિદ્દી થઇ ગયું છેહ્ર્દય  હ્રદય રહ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

ચમન,સુમન,નદી,ઝરણ,પહાડ ગીત ને ગઝલ;
ઘણું બધું ગમ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

ઘણીવાર કુદરતના આ અપ્રતિમ સૌંદર્ય ફક્ત કોઈની હાજરીને લીધે સુંદર લાગે છે. કવિને તો કુદરત ના દરેક રૂપમાં સૌંદર્ય દેખાય છે. ચમન હોય કે ફૂલ હોય નદી ઝરણ પહાડ કે ગીત અને ગઝલ !! કવિને આ ગમતી વસ્તુઓ છે. પણ જો પ્રિયતમાની ગેરહાજરી હોય તો ? તો આ ચમન માં જવું કોને ગમે આ સુમન આ નદી આ ઝરણ એ બધામાં શું પ્રિયતમા નહિ દેખાય? આ બધું જે અતિ પ્રિય હતું બધું એ હવે નથી ગમતું તમે જતાં રહ્યાં પછી !

ગલી ગલી, ડગર‌ ડગર, નગર નગર, અવાક છે;
કશું જ ધમધમ્યુ નથી તમે જતાં રહ્યાં પછી !

કોઈનું મીઠું બોલવાનું, કોઈની હાજરી, કોઈનું હોવાપણું આપણા અસ્તિત્વને કેટલું તરબોળ રાખતું હોય છે. કોઈના જવાથી જે સુનકાર જે સન્નાટો છવાઈ જાય છે. એ કોઈ પ્રેમીનું દિલ જ જાણી શકે! પ્રિયતમા વગર બધે સુનકાર છે. ગલી ગલી , ડગર ડગર, નગર નગર બધું અવાક છે. કશું જ ધમધમ્યું નથી તમેં જતાં રહ્યાં પછી! ભીડમાં પણ પોતાની જાત એકલી લાગે ત્યારે સમજવું કે પ્યાર છે.

તમારૂ મુલ્ય કેટલું વધારે કંઇ ખબર નથી;
તમારૂં ઘર જમ્યું નથી તમે જતાં રહ્યાં પછી !

માણસની કિંમત માણસના ગયા પછી થાય છે. વ્યકિતની હાજરીમાં એની કિંમત થતી નથી. આ શેર જાણે કોઈ પ્રિયતમા માટે કહેવાયો હોય એવું નથી લાગતું.  કોઈ એવી વ્યક્તિ જીવનમાંથી જતી રહી છે, અને એટલે દૂર ગઈ છે કે પાછી ફરી શકે એમ નથી એવું લાગે છે. તમારું મુલ્યકેટલું વધારે એ ખબર નથી પણ એ વ્યક્તિ જેનું આ ઘર છે એ ઘર જમ્યું નથી તમે જતાં રહ્યાં પછી!! અહીં એવી અઝીઝ વ્યક્તિની વાત થઇ રહી છે જે ઘરની મોભ જેવી હતી. એમની ચીર વિદાય સહન થતી નથી.

ધબક ધબક જતું રહ્યું પલક જબક જબક નથી,
બીજું કશું ગયું નથી, તમે જતાં રહ્યાં પછી !

હ્રદયે ધબકવાનું બંધ કર્યું, પલકો પણ તમારી રાહમાં જબક જબક નથી , બસ બીજું કશું ગયું નથી તમે જતા રહ્યાં પછી. મકતાના શેરમાં આખી ગઝલનો નિચોડ છે. કવિ ભલે કહે બીજું કશું ગયું નથી. પણ આખી ગઝલમાં એમની દુનિયા લૂંટાઈ ગઈ એવો ભાસ થાય છે. છતાં કવિ મત્લામાં કહે છે કે વિશેષ કાંઈ નથી થયું તમે જતા રહ્યાં પછી! એક સુંદર હ્રદયસ્પર્શી ગઝલ!

“જરા તો નજીક આવ” – ગઝલઃ અમર પાલનપુરી – આસ્વાદઃ – સપના વિજાપુરા

“જરા તો નજીક આવ…!”

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ ! Continue reading “જરા તો નજીક આવ” – ગઝલઃ અમર પાલનપુરી – આસ્વાદઃ – સપના વિજાપુરા

મૌન – સપના વિજાપુરા

મૌન – સપના વિજાપુરા

આરતી પોતાના પ્રેમને બીજાનો થતા જોઈ રહી હતી! કોઈને ખબર ના પડે એ રીતે એણે પોતાની આંખો લૂછી નાખી! અજય, મારો અજય આજ પારકો થતો હતો! કેટલાં વરસોનો પ્રેમ હતો બન્ને વચ્ચે! યાદ પણ નથી! બન્ને ને કહેવામાં આવ્યું હતું કે તમે બન્ને એક દિવસ પતિ-પત્ની બનશો અને હા, તે દિવસથી એ અજયને પોતાનો પતિ માનતી હતી! ઘરનાં બધાંએ સ્વીકારી પણ લીધું હતું. Continue reading મૌન – સપના વિજાપુરા

આપઘાત – વાર્તા – સપના વિજાપુરા

આપઘાત 

ભીખુકાકા કડકડતી ટાઢમાં કાળમીંઢ પાણા ઉપર બેઠા હતાં. મોઢામાં બત્રીસ દાંત તો ન હતાં પણ જેટલાં હતા એટલા ટાઢમાં કપકપી રહ્યા હતાં. ભીખુકાકાની અડધી ધોળી મૂંછ માંથી જાણે લાચારી ટપકી રહી હતી. પગમાં ફાટેલા સ્લીપર હતાં. માથા પર મેલો ફેંટો,  મેલું કેડિયું અને મેલી, મેલી ચોયણી ભીખુકાકા ભારતનાં ગામડાનું પ્રતિક દેખાતા હતાં. ભીખુકાકા બે હાથ ઘસીને ટાઢ ઉડાડવાના મિથ્યા પ્રયાસ કરી રહ્યા હતાં. ચાંદની પણ ફીકી ફીકી લાગી રહી હતી. જાણે કોઈ વિધવાની સફેદ સાડી! Continue reading આપઘાત – વાર્તા – સપના વિજાપુરા

વિશ્વાસઘાત – વાર્તા – સપના વિજાપુરા

વિશ્વાસઘાત

મીરા શૂન્ય આંખે બારી બહારના આકાશને તાકી રહી હતી. એના સફેદ થઈ ગયેલા નેણ અને સફેદ થઈ ગયેલા વાળ, નિરાશા અને જિંદગીથી હાર માની લીધેલી સ્ત્રીની ચાડી ખાતા હતાં. વરસોથી ચાલી રહેલા જુલ્મની એક માત્ર સાક્ષી હતી. યા તો પછી પેલું આસમાની આકાશ કે બારીમાંથી દેખાતી પેલી બોગનવેલ અથવા પછી વરસોથી ભીંતે ચઢેલી પેલી લીલ!! હા આ બધાં તો ચોક્કસ સાક્ષી હતાં. એની વેરણ રાતના, એની તકિયાની ભીની ખોળ ના, અને પ્રેમ વગરની અનેક રાતના. અને મેણાંટોણાથી ભરેલા દિવસોના અને સ્મિત વગર શરુ થતા દિવસના તથા રુદન સાથે ખતમ થતી રાતના! Continue reading વિશ્વાસઘાત – વાર્તા – સપના વિજાપુરા

કોને કહું? – વાર્તા – સપના વિજાપુરા

કોને કહું? – સપના વિજાપુરા

સામે રાહુલની લાશ પડી હતી. આલિયા ફાટી આંખે રાહુલનો નિર્જીવ દેહ જોઈ રહી હતી. કેવી રીતે માનું કે હવે રાહુલ નહીં બોલે? . થયો. રાહુલને બદલે એની લાશ આવી. Continue reading કોને કહું? – વાર્તા – સપના વિજાપુરા

દેવની દીધેલી – વાર્તા – સપના વિજાપુરા

દેવની દીધેલી

નેહાનો કોમળ હાથ પકડી આકાશ બોલ્યો,” તું મારી સાથે લગ્ન કરીશ?” નેહાની આંખો શરમથી ઢળી ગઈ અને ગાલો ઊપર ગુલાબી રંગની પીંછી ફરી ગઈ. આંખોથી જ જવાબ આપ્યો. અને આકાશ કૉલેજના મેદાનમાં એક વૃક્ષ નીચે નાચવા લાગ્યો. નેહા શરમથી જમીનમાં ઘૂસી જતી હતી. કોલેજનું છેલ્લું વરસ હતું. આમ તો પંખીની જેમ બધાં વિખેરાઈ જવાના હતાં. પણ આકાશ એ નેહાને શી રીતે જવા દે? નેહા પ્રાણ હતી તો પોતે દેહ હતો. શ્વાસોશ્વાસમાં નેહા વસી ગઈ હતી. નેહા વગરની જિંદગીની કલ્પના પણ એ કરી શકતો નહોતો. બન્ને સાયન્સ ના સ્ટુડન્ટ્સ હતાં. બન્ને ચારે વરસ સાથે સાથે રહ્યા. અને હવે નેહાની અનુમતિ થી જિંદગીભર ના બંધનથી બંધાય જશે. Continue reading દેવની દીધેલી – વાર્તા – સપના વિજાપુરા