Category Archives: હરીશ દાસાણી

મિત્રો સાથે વાતો. વાર્તા-કવિતા સરયૂ પરીખ. કાવ્ય.હરીશ દાસાણી

http://મિત્રો સાથે વાતો. વાર્તા-કવિતા સરયૂ પરીખ. કાવ્ય.હરીશ દાસાણી

ઉન્માદ અને ઉદાસી…    લે.સરયૂ પરીખ

એ દિવસે અમારી સેવા-સંસ્થામાં એક ભદ્ર મહિલા આવી…ગોરો વાન અને ભરાવદાર બાંધાવાળી, આદર્શ ગૃહિણી સમી લાગતી હતી. હિન્દીભાષામાં તેણે મારી સાથે વાતચીત શરૂ કરી.

“મારું નામ શોભા. મારા પતિને છૂટાછેડા લેવા છે. તેની ફરિયાદ છે કે હું થોડી ગાંડી છું અને મારા કારણે અમારી દીકરી બગડી ગઈ છે. નાનપણથી મારો સ્વભાવ અસ્થિર કહેવાતો. પણ આપણા જૂના રીતરિવાજ પ્રમાણે કેળવાયેલી છોકરીની જાત…નમ્રતા સ્વભાવમાં વણાયેલી હોવાથી મારું જીવન ઠીક જઈ રહ્યું હતું. પરંતુ મારી અમેરિકામાં ઊછરેલી કિશોરવયની દીકરીની શું વાત કરું? …તેનામાં ઉન્માદ અને ઉદાસીનો અતિરેક જોતા અમે તેને મનોચિકિત્સક પાસે લઈ ગયા ત્યારે આ સ્વભાવને નામ મળ્યું, ‘બાયપોલાર’ અને મારા પતિને ખાત્રી છે કે, મારી દીકરી મારે લીધે, વારસાગત બાયપોલાર છે.”

“તમારા પતિ અત્યારે ક્યાં રહે છે?” મેં સવાલ પછ્યો.

“અમે એક જ ઘરમાં રહિયે છીએ. અમારા વચ્ચે કડવાહટ નથી પણ ગમગીની છે, નિરુત્સાહી સહજીવનથી તે દૂર જવા માંગે છે. મુશ્કેલી એ છે કે, તેમણે નક્કી કરેલા વકીલ પાસે જ જવાનું અને તેની વિચારણા પ્રમાણે જ ભાગલા પડે, એવી તેમની જોહુકમી છે, અને તે વાત મને માન્ય નથી. તેથી મારે તમારી સંસ્થાની મદદની જરૂર છે, તમારા તરફથી માનસિક સહારાની જરૂર છે.” શોભાની છૂટાછેડાની કોર્ટની તારીખ નજીક આવી રહી હતી.

“તમારી દીકરી હાઈસ્કૂલમાં ભણે છે અને તમારી સંભાળમાં છે, ખરું?” મેં સવાલ પૂછ્યો.

“અમે ત્રણ જણા એક જ ઘરમાં – પણ જાણે એકલાં છીએ. અમારો નોકરિયાત દીકરો સ્વતંત્ર રહે છે અને ક્યારેક જ મળવા આવે છે. એને અમારા જીવનમાં રસ નથી,” શોભા ઉદાસી સાથે બોલી.

ચાર દિવસ પછી મળવાનું નક્કી કરી શોભા વિદાય થઈ. શોભાની વાત સાંભળ્યાં પછી મેં બાયપોલાર વિષે વાંચ્યું… “બાયપોલાર ડિસઓર્ડર. આ બીમારીના પ્રમુખ લક્ષણ વ્યવહારમાં બદલાવ આવવો છે. દર્દી જેમાં અતિશય ઉત્સાહ અને અતિશય નિરાશા જેવા મૂડના, બે અંતિમો વચ્ચે ઝોલાં ખાધા કરે. થોડાં લોકો સ્વભાવથી અસ્થિર હોય છે, જેનો અર્થ એવો નથી કે તેઓ બીમાર છે. સામાન્ય રીતે બાયપોલાર ડિસઓર્ડરના પ્રાથમિક લક્ષણો કિશોરાવસ્થા અને યુવાનીના પ્રથમ ચરણમાં જ જોવા મળી જાય છે. નિરાશામાં વ્યક્તિ ખૂબ જ નિષ્ક્રિય થઇ જાય છે અને ઉન્માદમાં ખૂબ જ સક્રિય થઇ જાય છે. લગભગ 50 ટકા લોકોમાં આ વિકાર વારસાગત હોય છે. બંને પ્રકારના એપિસોડ્સની દવાઓ પણ અલગ-અલગ હોય છે. અનેકવાર આ વિકાર આપમેળે પણ ઠીક થઇ જાય છે પરંતુ સાવધાની માટે મનોચિકિત્સક પાસે સલાહ લેવી જરૂરી છે. ઘણા કલાકરો જેવા કે, મહાન સંગીતકાર બિથોવન, નારીવાદની પ્રણેતા વર્જિનિયા વુલ્ફ, મહાન પેઇન્ટર વાન ગોગ વગેરે પણ આ રોગના શિકાર હતા.”

મનઝૂલો ઝૂલે,
ભાવોના ઠેસ હલેસે, પલના પલકારે ડોલે,
જતન પતન જોળ રે
સ્તુતિ-સુમન ફાલે મ્હાલે, ઊડ ઊડ પતંગા પાંખે,
પાંપણના શુષ્ક પ્રહારે, નીચે ઝૂલણ ઝાલે રે
મનઝૂલો ઝૂલે

એ દિવસે, મળવાના સમય કરતા શોભા થોડી મોડી આવી. “મોડું થઈ ગયું માફ કરજો… પણ ગઈ રાતના નવેક વાગે મારી દીકરી, અમને ન ગમે તેવા કપડા પહેરી, બહાર જવા નીકળી. એક તો ચાલુ સ્કૂલના દિવસો, અને તેના મિત્રો સામે મને અણગમો હોવાથી મેં તેને જવાની ના પાડી. મને ગાંઠતી નહોતી તેથી મારા પતિ વચ્ચે પડ્યા અને પરાણે તેના રૂમમાં ધકેલી… કકળાટ થઈ ગયો. અમારા ત્રણે માટે રાત અને સવાર બહુ ખરાબ હતી.” શોભા ચિડાઈને બોલી, “છોકરીનો ગુસ્સો તેનો બાપ મારા પર ઉતારે છે.”

મેં તેને ઠંડુ પાણી આપી શાંત થવાનો સમય આપ્યો. પછી મેં કહ્યું કે, “અમે એક સેવાભાવી વકીલની સલાહ લીધી છે. તેની સાથે તમારી મુલાકાત ગોઠવી તમારો મુકદ્દમો તૈયાર કરી શકશું.”

આ વાતથી શોભાના ચહેરા પર ચમક આવી. “મારી દીકરી છે અને મને વ્હાલી છે. હું એને નોધારી છોડીશ નહીં. ભલે ગમે તે થાય.” થોડા દિવસોમાં તૈયારી થઈ ગઈ અને કોર્ટનો દિવસ આવી ગયો. છૂટાછેડા પહેલા, સમજાવટ-સુલેહ(mediation), કરાવવા માટેની કારવાહી મહિનાઓ પહેલા થઈ ગઈ હતી તેથી હવે કોર્ટનો ફેંસલો છેલ્લો હતો. એ દિવસે, હું અને મદદગાર વકીલ, શોભાની રાહ જોતા ઉભાં હતાં.

અમારા આશ્ચર્ય વચ્ચે, શોભા, તેનો પતિ અને વકીલ સાથે આવ્યા. મેં શોભાને પ્રશ્ન કર્યો તો એ કહે, “એક ઘરમાંથી નીકળી એક જ કોર્ટમાં જવાનું હતું, તેથી અમે સાથે આવ્યાં.” મને આ સરળ જવાબથી આનંદ થયો.જજની સામે પણ શોભા અને તેનો પતિ યોગ્ય રીતે વર્તતા હતા. શોભાને અમારા વકીલની મદદથી થોડો વધારે ફાયદો થયો અને છૂટાછેડા થઈ ગયા. પતિનો ચહેરો ઉદાસ હતો અને શોભાની આંખો ભીની હતી. પતિ ઘર છોડીને જતો રહેવાનો હતો. પરંતુ શોભાની આંખોમાં પતિની વાપસીનો ઇંતઝાર-એતબાર ઝળકતો હતો.

શોભા બોલી, “હવે મારે છોકરીને કેમ સંભાળવી એ વાતથી ગભરામણ થાય છે. એમને બોલાવીશ તો મદદમાં આવશે પણ અત્યારે તો મને એક પગની આગળ બીજો પગ કેમ મૂકું…તેની મૂંઝવણ છે.”

શોભાને પોતાની અવ્યવસ્થિત હાલત અને તેમાં વળી દીકરીની માનસિક બીમારી, ભવિષ્યની મુશ્કેલીઓની કલ્પનાથી જ ડર લાગતો હતો. તે દિવસે તો હું તેને સહારો આપી શકું પણ પછી શું! એટલું જરૂર કરી શક્યા કે, તેને Bipolar Support Group and Bipolar Treatment Optionsની માહિતી આપી અને તેને સાથે લઈ જઈને સંવેદનશીલ સભ્યોની ઓળખાણ કરાવી.

વેરવિખેર
ગૂંથેલા માળાના કુંજન ને ગુંજન,
ઓસરતા ભીને અવસાદે.
ખુલ્લા ખાલીપાનાં ખોખાંને આજ
સૌ ધીરે ધીરે કરતાં નોખાં.

વેગે વિખરાતી નાની શી દુનિયા
ને કેટલાં દૂર જઈ પંહોચ્યાં!
ઓળંગી અવધી તણાયે પ્રવાહમાં
પાંદડીઓ અળગી વહેણમાં.

સંધ્યાના ઓળાઓ પોકારે વાળવાં
પણ, મારગ ભાસે છે મૃગજળ સમા.
ગાણાં સમાઈ ગયાં સૂના સન્નાટામાં
વિહ્વળ રે વ્હાલપ લિસોટા.
                                 ——- saryuparikh@yahoo.com
==========================================================

બે કાવ્યો

ક્ષર-અક્ષરની ભીતર…હરીશ દાસાણી

શબ્દની ભીતર છૂપાયા કોઈ અક્ષરમાં મળે.
જે મળે અક્ષરમાં એ કયારેક તો ક્ષરમાં મળે.
આ હવામાં હરક્ષણે મારા જ હસ્તાક્ષર મળે.
રામ હો કે કૃષ્ણ હો, ઇચ્છા જ ઇશ્વર થઇ મળે.
કંઈ નથી આકાશમાં એવું બધાં કહેતાં રહે.
હું જોઉં છું કે તેજબુટ્ટાથી ભરેલી રેશમી ચાદર મળે.
અંધ હો ધૃતરાષ્ટ્ર કિંતુ વેર તો ઝળહળ મળે.
હર પળ શકુનિને સ્મરે, હર પળ કપટનું શર મળે.
—-
પહેલી પંક્તિમાં વૈજ્ઞાનિક તથ્યનું કથન છે. તેથી જ ‘કંઈ નથી આકાશમાં’ એવું બધાં કહેતાં રહે. આ સામાન્ય રીતે સ્વીકૃત વાત છે કે આકાશમાં જે નિર્લેપતા છે તેને કારણે બધું તેમાં છે અથવા તેમાં કંઈ નથી. આ બંને વાતો અલગ અલગ દ્રષ્ટિકોણથી સાચી છે. 
હરીશ દાસાણી.   harishdasani5929@gmail.com

———

અધ્યાત્મ
એક
 પગલું આગળ ને બે પગલાં પાછળ,
એવી  અધિ
આતમની ગતિ  સતસંગી,
એવી  અધિ આતમની ગતિ….

આજ લગી જાણ્યું સંસાર સર્વસ્વ,
કેટલાં  જતનથી  જીરવેલું  વર્ચસ્વ,
સાધન  હું  એને
બનાવું   રે સાધુ,
એવી  અધિ  આતમની  ગતિ….

સુંદર  મુજ આવરણ  સજાવ્યું  સર્વોત્તમ,
અંતરનુ મંદિર ને
વસતાં ત્યાં પુરુષોત્તમ,
અક્ષર
ક્ષરમાં સમાયું રે સાક્ષર,
એવી અધિ આતમની  ગતિ….

ક્વચિત મંદમંદ ક્ષણમાં એ  તિવ્રત્તમ,
શરીર મન બુદ્ધિની પગથીની ઊતર-ચડ,
ઉગમ આગ મૂલાધાર લાગી રે
ગુરુજી,
એવી અધિ આતમની ગતિ….
                   ——-  
સરયૂ પરીખ

અધ્યાત્મ સાધનામાં વિદ્યાર્થીને પ્રગતિ થતી લાગે ત્યાં પાછી અસફળતા પણ લાગે.
પ્રતિભાવઃ વાહ! “અક્ષર આ ક્ષરમાં સમાયું” આત્મા અને તેનું આવરણ…સુંદર રચના. અંબુભાઈ શાહ.
———

http://www.saryu.wordpress.com
રંગોળી… ઈલા મહેતા

વિશિષ્ટપૂર્તિ. …કઈંક ખાસ

કઈંક ખાસ… સરયૂ પરીખ, હરીશ દાસાણી, ઈલા મહેતા

નીતરતી સાંજ

નીતરતી સાંજ્ફોટો
   ચિત્રઃ દિલીપ પરીખ                                   નીતરતી સાંજ

 આતુર આંખો રે મારી બારણે અથડાય,
  વાટે   વળોટે    વળી    દ્વારે   અફળાય.

ગાજવીજ   વર્ષા   ને   વંટોળો   આજ,
  કેમ   કરી  આવે  મારા  મોંઘેરા  રાજ!

અરેથંભોને  વાયરા આગંતુક  આજ,
  રખે  એ    આવે  તમ  તાંડવને  કાજ.

મૌન મધુ  ગીત  વિના  સંધ્યાનું સાજ,
 ઉત્સુક  આંખોમાં   ઢળે  ઘનઘેરી  સાંજ.

વિખરાયાં વાદળાં  ને  જાગી  રે  આશ,
  પલ્લવ  ને   પુષ્પોમાં   મીઠી   ભીનાશ.

ટપ ટપ ટીપાંથી હવે નીતરતી   સાંજ,
   પિયુજીના   પગરવનો   આવે   અવાજ.
——   સરયૂ પરીખ
પ્રીત ગુંજનઅને “દેશવિદેશ” માં પ્રકાશિત.

પ્રતિભાવઃ સપ્ટેમ્બર ૨૦૦૭. શબ્દોની પસંદગી અને ભાવનું નિરુપણ મઝાનું છે. ચિત્રાત્મકતા અને પ્રતિકાત્મકતા  પણ ધ્યાન ખેંચે છે. જુઓ : આંખોનું અંદર-બહાર અથડાઈને વળી વળી પાછું બારણે આવવું; મૌન અને ગીત વગરનું સંધ્યાનું સાજ (વાદ્ય); ઉત્સુક આંખોમાં ઢળતી ‘ઘનઘેરી’ સાંજ (બહુ મઝાનો સમાસ -ઘન =સઘન અને વાદળ બંને અર્થો થાય ! એનાથી ઘેરાયલી !!) ‘સાજ’ અને ‘સાંજ’ શબ્દોનો વિનિયોગ માણો !! ઉપરાંત વાદળના વિખરાવા સાથે જાગતી આશાની પ્રતિકાત્મકતા; અને છેલ્લે તો આગળ કહ્યું તેમ કાવ્યના નાયકના આવવાના અવાજ સાથે કાવ્યની સફળતાનો સંકેત જ જાણે મળી જાય છે !! છેલ્લી બે પંક્તિઓમાં ‘હવે’ શબ્દની તાકાત જુઓ! એ શબ્દના આવવાથી છેલ્લી પંક્તિ આખા કાવ્યને એક નવું જ પરિમાણ આપી દે છે. સર્જકની આખા કાવ્ય દરમિયાનની ઝંખના ‘હવે’ શબ્દથી નીખરી ઊઠે છે…જુગલકિશોર.

ચિંતનઃ દિલીપ પરીખ… નીતરતી સાંજ. આ કાવ્યનું શિર્ષક છે અને એ અમારા પુસ્તકનું મથાળું છે. સ્થુળ ભાવ – literal meaning  વરસાદ અને તોફાનની વચ્ચે પ્રિયતમની આતુરતાથી રાહ જોતી પ્રેમિકાનું ચિત્ર છે. પ્રિયતમ આવશે કે નહીં તે ભય અને શંકાથી તેનું મન વિહ્વળ છે….થોડીવારમાં વાતાવરણ શાંત થાય છે અને પ્રેમિકાની આશા જાગૃત થાય છે.પ્રિયતમના પગની આહટ અનુભવે છે. આ એક  romantic ભાવ છે.

બીજો એક સુક્ષ્મ ભાવ પણ છે. જીવનમાં આવતા Conflictsને વરસાદ, તોફાનની સાથે સરખાવ્યા છે. એ બધાં અવરોધોની વચ્ચે “આત્મજ્ઞાન” (self knowledge)ની પ્રાપ્તિ માટે પ્રયત્નો હોય છે. જ્યારે એ શંકા ને ભયગ્રસ્ત મન થોડીક પળો માટે શાંત થઈ જાય છે, ત્યારે એ નીરવતામાં કાંઈક સુંદર અનુભૂતિ થાય છે. આ અનુભૂતિને “પ્રિયતમનો પગરવ” – ઈશ્વરનાં પરિચયની ઝાંખી ગણી છે.
——-
નીતરતી સાંજ Essence of Eve. Saryu Parikh
 Paintings by Dilip Parikh. our book published in 2011
                         https://saryu.wordpress.com                      
————————————————————————————————————————————

રાષ્ટ્ર વંદન

“સ્વ”ની સમજથી સમૃદ્ધ આ રાષ્ટ્રને નમું.
વંદન આ માતૃભૂમિને. ૠષિ-રાષ્ટ્રને નમું.

વેદોની ૠચાઓ પ્રગટ થઇ છે અહીં પ્રથમ.
સંસ્કૃત ને સંસ્કૃતિ પ્રગટ થઇ છે અહીં પ્રથમ.
પુણ્ય સલિલા  ગંગા,  યમુનાને  હું   નમું.

અવતારોની  આ ભૂમિને, સૌરાષ્ટ્રને નમું..

પ્રકાશમાં  જે  રત  રહે.  ભારતમાં એ રહે.
અસત્ તમસ્ ને કાળને જીતે તે અહીં રહે.
નગાધિરાજને  નમું. સાગરને  હું નમું.

માટી ચડાવી મસ્તકે આ રાષ્ટ્રને નમું…

જ્યાં શબ્દ,સૂરનો રવિ પ્રકાશતો સતત.
રવીન્દ્રની વીણામાં  સૂર પ્રેમનો સતત.
એ વિશ્વભારતીમાં  વિશ્વ-માનવી   મળે.

સુંદર ને સત્ય,શિવ રવીન્દ્ર રાષ્ટ્રનેનમું…

ત્રિગુણોથી પર એ અત્રિની પવિત્ર ભૂમિ આ.
દઇ  દીધું છે  સમસ્ત;દત્તની  ભૂમિ છે આ.
રોહાની  રાજ વિદ્યા,  મહાયોગને    નમું.
પ્રગટયા જ્યાં પાંડુરંગ,મહા-રાષ્ટ્રને નમું.

હરીશ દાસાણી.

રંગોળી…  ઈલા મહેતા

.    ૨અ   રા૨

રા૧  રંજન્માષ્ટમી

૧

ગઝલ અને કાવ્ય – હરીશ દાસાણી

 

ગઝલ – “તારો છે કે મારો છે?”- હરીશ દાસાણી

ઉડતો જે સંકલ્પ હવામાં તારો છે કે મારો છે?
શૉર મચ્યો જે જરાજરામાં તારો છે કે મારો છે?

વિજળી પાછળ સૂરજ દોડી સંતાયો છે આંખોમાં.
કેદ થયો જે ખરાખરામાં, તારો છે કે મારો છે?

ટેબલ ખુરશી પલંગ સોફા અને પુસ્તકે પથરાયો.
પછડાયો ભય દડા દડામાં, તારો છે કે મારો છે?

એક અચરજે હિંચકો ઝૂલે, આ પારે ના તે પારે.
કિચૂડાટ જે કડા કડામાં, તારો છે કે મારો છે?

શબ્દ સુરમાં બે પળ આવી અટકી ઊભાં મઝધારે.
આ જે ડચૂરો ગળા ગળામાં, તારો છે કે મારો છે?

  • હરીશ દાસાણી.
કાવ્ય – “હજુ તો યાત્રા બાકી છે”- હરીશ દાસાણી
પ્રવાસ બંધ. પણ યાત્રા ચાલે છે.
સવારે ઉઠીને કંઈક અનિર્વચનીય એવું લાગ્યું.
આજે હું છું ખરો? કદાચ હું છું તો ખરો પણ હરીશ દાસાણી નથી.
આજે બધું અવળું ચાલે છે.
ઘડીયાળ બારથી એક તરફ ગઇ પણ પહેલાં અગીયાર. પછી દસ….એવી રીતે.
કેલેન્ડરમાં પાનું ફાડયું ત્યાં આખું જ કેલેન્ડર ફાટી ગયું.
આ ફાટેલાં પાનાં ઘરમાં આમતેમ લથડીયા ખાતાં જાય છે.
વરસાદના છાંટા તેને ભીંજવે છે. આંકડાઓ અને અક્ષરો ચોખ્ખાં દેખાતાં નથી.
તેમાંથી એક પાનું મારી પાસે આવીને સ્થિર થઇ ગયું.
તેણે માણસનો આકાર લીધો. મારી સામે જોયું અને હું ઓગળી ગયો.
પછી યાત્રા શરૂ થઈ. દરિયો દેખાય છે. મોજાં સાથે હું પણ સફર કરી રહ્યો છું.
બધાં શબ્દો, સમય અને સ્થળો દરિયામાં ડૂબતાં જાય છે તે હું જોઉં છું.
હું ત્રણે કાળમાં એક સાથે વિહાર કરી રહ્યો છું.
બધું જ સમાંતર દેખાય છે. આ દરિયો પોરબંદરનો છે કે મુંબઈનો?
મેં દરિયાને પૂછયું કે તું કયાંનો? તું એક કે અનેક?
એ તો ખડખડાટ હસી પડ્યો. કહે છે કે મને નવા નવા નામ ને ગામ ગમે.નવા નવા લોકોને મળવાનું થાય.
કોઈ હિન્દ મહાસાગર કહે કે કોઈ વળી પેસિફિક પણ કહે.
મને કહે કે મૂક ને બધી લપ.
ચાલ આપણે ફરવા જઇએ.
મેં કીધું ચાલ ત્યારે.
મારો આ ભાઈબંધ અને હું બંને એકબીજાના હાથ પકડી ગીત ગાતાં ગાતાં આકાશમાં ગયાં.
ત્યાં સુધીમાં તો રસ્તામાં પણ મજા પડી ગઈ.
રંગો-વાદળો-ચન્દ્ર-સૂર્ય-તારાઓ બધાં અમારી સાથે યાત્રામાં સહયાત્રી.
પછી તો મેં દરિયાને કીધું કે મને તારી અદેખાઈ થાય છે.
ઈ કહે કેમ, શું વિચાર આવ્યો? મેં કીધું યાર, આટલાં બધાં ભાઈબંધો તો મારે ફેસબુકમાં પણ નથ
પછી તો ખબર ન પડી કે કયારે ગુરુત્વાકર્ષણ છૂટી ગયું, ને,
અમે બે ભાઈબંધો………ના…ના…. બે નહીં…..બધાં જ ભાઈબંધો છૂટાં પડ્યાં
ખોવાઈ ગયા.
હું હવે મૂંઝાયો.
કયાં છું હું?
એક વિરાટ હાસ્ય મને વીંટળાઈ વળ્યું.
પછી……એક ધીમો અવાજ.
અહીં બધું જ અંધ, અહીં ઇન્દ્રિયોને પ્રતિબંધ.
અહીં હોઠ વિનાનું હાસ્ય. ભાષા વગરના અવાજ.
મેં કહ્યું કે એ તો કહો. અહીં હું સ્વતંત્ર?
ફરી મૌન.
યાત્રા ચાલે છે. આંખ નથી પણ જોઇ શકું છું.
બધાં ને બધું જ દેખાય છે. આ સાંજનું પંખી કંઈ સીમ જેવું ચરે છે.
લાલ રંગ તરંગ હાથ મિલાવી ઊભાં છે. આ ભીની માટીની ખુશ્બુ મનને ભરી દે છે.
મારી પાસે હવે શરીર નથી પણ માત્ર અનુભવ રહ્યો છે.
સ્થળ-કાળ-સંદર્ભ રહિત આ જગત મારી સામે પરપોટાની જેમ પેદા થાય છે, હસે છે. રમે છે.
હું આ બુદબુદાથી રમું છું. ફૂંક મારી ઉડાડી દઉં છું ને પછી તે પકડવા માટે દોડું છું.
હજુ તો યાત્રા બાકી છે.
આવવું છે મારી સાથે?
—-     હરીશ દાસાણી

કાવ્ય- હરીશ દાસાણી

હવે સૌ સૂક્ષ્મસ્થૂળ,સ્થળ-કાળને પામી.
અને આગળ જવાનું છે.
સદા રમતું રહે વડ-પાંદડે એ બાળને પામી.
અને આગળ જવાનું છે.
શબદની આંગળી છોડો હંમેશા મનમાં રમનારા.
બધી સીમા વળોટીને જ ત્યાં.
આગળ જવાનું છે.
નથી જાગૃત,સ્વપ્ન કે સુષુપ્તિ કાળની વાતો.
સહુ પુરુષાર્થ છોડીને જ તો.
આગળ જવાનું છે.
અહીં ના શબ્દ સ્પર્શ રૂપ રસ કે ગંધની સૃષ્ટિ.
પરંતુ તે છતાં રમતાં રહી.
આગળ જવાનું છે.
કદી સર્જન,કદી પોષણ,કદી સંહારની લીલા.
સ્વયંભૂ સ્વસ્થ રહીને. જોઇને.
આગળ જવાનું છે.

– હરીશ દાસાણી.

“વાર્તા બનતી નથી “. – હરીશ દાસાણી.

એક લીટીનો પત્ર.
અને ન ઉકલે તેવાં હસ્તાક્ષર.
તેનું મોઢું લાલચોળ થઈ ગયું.
આંખોમાં આંસુ આવી ગયાં. ગુસ્સો અને હતાશા બંનેના સંયુક્ત આક્રમણ સામે તે હારી ગયો.
ટેબલ પર માથું ઢાળીને બેસી ગયો.
દસ મિનિટ થયા છતાં ચા ઠરી ગઇ તો પણ તે ઊભો ન થયો તો પત્ની નજીક આવી.
“શું થયું છે?”
“કોઈ દુર્ઘટના?”.
“કોઈ મિત્રના ખરાબ સમાચાર મળ્યા છે?”
અચાનક પત્નીની નજર તેની પાસે રહેલા પોસ્ટકાર્ડ પર ગઇ અને હસવા લાગી.
“ઓહો ,આ વાતમાં સાહેબ આટલાં નારાજ થઈ ગયા છે?
ખોટું ન લાગે તો એક વાત કહું?”.
તેણે ટેબલ પર ઢળેલું માથું ઊંચક્યું.
પત્ની સામે જોઈ રહ્યો.

“શું છે તારે?”.
“હા. હવે મારા પર ગુસ્સો કરજો. કાલે જ કહેતા હતા ને કે પત્ની એટલે ગુસ્સો ઠાલવવાની જગ્યા !
ગુસ્સો કરો મારા ઉપર. ચા ઢોળી નાખો. છાપાં ફાડી નાખો. ટીવી ના રિમોટનો ઘા કરી દો !”
તે સ્તબ્ધ થઈ પત્ની સામે જોઈ રહ્યો. બાથરૂમમાં ગયો. ફ્રેશ થઈ પાછો આવ્યો અને પત્નીને સામે ખુરશી પર બેસાડી. હવે તેના અવાજમાં ઉશ્કેરાટ કે અશાંતિ ન હતી.
“બોલ,શું કહેવું છે તારે?”
“જુઓ, તમે ફરી પાછા તમારી વાર્તા વાંચી જુઓ અને પછી જાતે જ નક્કી કરો કે વાર્તા બને છે?
નથી કોઈ ઘટના. નથી કોઈ પાત્રો. નથી કોઈ સંઘર્ષ. નથી કોઈ નિશ્ચિત વિચારો.
તમે અત્યાર સુધી વાંચેલું, સાંભળેલું, યાદ રાખેલું કાગળમાં આડું અવળું ઉતારી દીધું છે. અસ્તિત્વવાદ,પરાવાસ્તવ,એલિયેનેશન,સમાજવાદ,વિજ્ઞાન,અર્થશાસ્ત્ર,સમાજશાસ્ત્ર,પર્યાવરણ……..
કેટલું બધું ઠાંસીને ભરી દીધું છે……..પણ….દાળ, ચોખા, પાણી, મીઠું, બધું જ હું તમને અલગ અલગ પીરસીને આપું તો ભાવશે તમને?
બધું એકરસ થાય તો ખીચડી બને.
આ જ વસ્તુ તંત્રી, સંપાદક તમને કહે ત્યારે કેમ તમને ખોટું લાગી જાય છે?”
તેની આંખો વિસ્મય, આનંદ અને સ્વસ્થતા પૂર્ણ દેખાઇ.
સાહિત્ય વિશે પત્ની આટલી ઊંડી સમજ ધરાવે છે !
તે હસવા લાગ્યો. “મને તો એમ કે તને સારી રસોઈ બનાવતા જ આવડે છે ! પણ…..”
“તો પછી સાહેબ સાંભળો તમે. પત્નીએ કહ્યું-હું ચાલીસ વર્ષોથી વાર્તા ઓ લખું છું અને અનેક વાર્તાઓ છપાયેલી પણ છે.
“હેં………….?”.તે મુગ્ધ બની જોઈ રહ્યો.
પત્નીએ બેગ ખોલી તેમાંથી પોતાની છપાયેલી વાર્તાઓ તેને બતાવી.
“પણ…આ તો કોઈ સ્વપ્નદ્રષ્ટા નામની વ્યક્તિ એ લખેલી છે. આ તારી છે?”
“હા. મારું ઉપનામ સ્વપ્નદ્રષ્ટા છે. ”
અને બીજી એક વાત. સાહેબ; હવે તમને મળેલ પોસ્ટકાર્ડના અક્ષરો તો જરા તપાસી જુઓ. !
“કેમ?”
“કેમ કે આ પોસ્ટકાર્ડ મેં લખેલું છે. તમે જે સામયિકમાં વાર્તા મોકલી હતી તેના સંપાદક મંડળમાં હું છું. ત્યાં પણ સ્વપ્નદ્રષ્ટા નામ છે !”
તે તાળીઓ પાડીને નાચવા લાગ્યો.
મળી ગઇ ! મળી ગઈ ! બની ગઇ-વાર્તા બની ગઇ !
હવે પત્ની આશ્ચર્યથી તેની સામે જોઈ રહી. તેણે કહ્યું-મારી વાર્તા તો મારી સામે જ ઊભેલી છે !યુરેકા….યુરેકા…!
મને ખબર ન હતી કે વાર્તા તો ચાલીસ વર્ષો પહેલાં જ બની ગઇ હતી !

હરીશ દાસાણીના બે કાવ્યો

આ માણસને મારી સાથે નહીં ફાવે.

પ્રેમ ન કરશે.

પ્રેમની પંડિતાઇ કરશે.

ના ઓગળશે.

ના પીગળશે.

કરમકપાળે હાથ દઇ કઠણાઇ કરશે. Continue reading હરીશ દાસાણીના બે કાવ્યો

કવિતા -શબ્દથી અશબ્દ તરફની યાત્રા (હરીશ દાસાણી)

કવિતા આ દ્રશ્ય સૃષ્ટિમાં એક રહસ્યમય વસ્તુ છે.

કવિતા આકાશમાં સતત ઉડતા પંખી જેવી અથવા હાથમાંથી સરકતી રેતી જેવી કે હવામાં ઉડી જતા કપૂર જેવી જ છે.

શબ્દનો ઉપયોગ કરવા છતાં તે શબ્દમાં બંધાતી નથી. એક શબ્દ કવિતામાં આવે ત્યારથી તેના અનેક રૂપ પ્રગટ થાય. Continue reading કવિતા -શબ્દથી અશબ્દ તરફની યાત્રા (હરીશ દાસાણી)

વળાંક (હરીશ દાસાણી)

 

આશા રાહ જુએ છે.

વિચાર કરે છે.

નિર્ણાયક ઘડી આવી ગઇ છે.

તેની પાસે માત્ર નવ મિનિટનો સમય છે.

સિંગાપોરની ફલાઇટનું બોર્ડીંગ શરૂ થાય તે પહેલાં નક્કી કરવાનું છે. Continue reading વળાંક (હરીશ દાસાણી)

હરીશ દાસાણીના કાવ્યો

(૧૯૫૧ માં પોરબંદરમાં જન્મેલા શ્રી હરીશ દાસાણી ૧૯૭૦ થી ૨૦૦૭ સુધી બેંકમાં નોકરી કરતા હતા. હાલમાં તેઓ મુંબઈમાં રહે છે. કવિતા લખવાની શરૂઆત તો એમણે છેક ૧૯૬૬ થી કરી દીધેલી, જે શોખ એમણે આજ સુધી જાળવી રાખ્યો છે. એમની કવિતાઓ પરબ સૃષ્ટિ, નવનીત, અખંડ આનંદ, મિલાપ, નિરીક્ષક અને અન્ય સામયિકોમાં પ્રગટ થઈ ચૂકી છે. એમની વાર્તાઓ અને અન્ય ગદ્ય લખાણ કંકાવટી, અખંડ આનંદ, નવચેતન અને સંકલ્પમાં પ્રકાશિત થયાં છે. આકાશવાણીના રાજકોટ કેંદ્ર ઉપરથી એમની કવિતાઓ અને વાર્તાઓ પ્રસારિત થઈ છે. આંગણાંના તેઓ નિયમિત મુલાકાતી છે.

આજે એમની ટુંકી ટુંકી પંક્તિઓવાળી પાંચ કવિતાઓ અહીં રજૂ કરૂં છું. એમની કેટલીક કવિતાઓમાં માત્ર શબ્દાર્થ સમજવો પુરતું છે, તો કેટલીકમાં ભાવાર્થ અને ગુઢાર્થ સમજવા પડે એમ છે. –સંપાદક)

Continue reading હરીશ દાસાણીના કાવ્યો