ભાષાને શું વળગે ભૂર: ૧ (બાબુ સુથાર)


ઘણા ગુજરાતી સાહિત્યકારો, એમાં પણ ખાસ કરીને નવોદિતો, અવારનવાર એવી દલીલ કરતા હોય છે કે અમારાં સર્જનોમાં જો ભાષાદોષ દેખાય તો એ માફ કરી દેવાના. કેટલાક એમ પણ કહેતા હોય છે કે તમને અમારાં લખાણોમાં કોઈ ભાષાદોષ દેખાય તો તમારે અમને ખાનગીમાં બતાવવાના; જાહેરમાં નહીં. તો વળી કેટલાક એમ પણ કહેતા હોય છે કે સર્જનમાં સામગ્રી વધારે મહત્ત્વની હોય છે, ભાષા નહીં. લોકો સમજે એટલે ઘણું. Facebook પર અમને like મળે છે, જાહેર વાંચનમાં અમને ‘દોબારા દોબારા’ કે તાળીયોના ગડગડાટ મળે છે. બસ, એ પૂરતું છે. અમારે વિદ્વાનોના અભિપ્રાયોની કોઈ જરૂર નથી. સમગ્ર ભારતમાં આજકાલ anti-intellectual આબોહવા ઊભી થઈ રહી છે. એ સંજોગોમાં ગુજરાતી સાહિત્ય શા માટે એનાથી મુક્ત રહી જાય? જો કે, નવોદિતોમાં કેટલાક એવા પણ છે જે કહે છે કે અમને તમે દોષ બતાવજો. અમે એવા દોષોનું પુરાવર્તન ન થાય એની પૂરેપૂરી કાળજી રાખીશું.

ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોષીના આગમન પછી સર્જનની ભાષા વિશેની સમજ બે પ્રવાહોમાં વહેંચાઈ ગઈ છે. એક પ્રવાહ ભાષાને સાધન માને છે ને બીજો પ્રવાહ ભાષાને સાધ્ય માને છે. પહેલો પ્રવાહ માને છે કે ભાષા એક સાધન છે, એક માધ્યમ છે. સર્જક એ સાધન મારફતે અથવા તો એ માધ્યમ દ્વારા એની સામગ્રી વ્યક્ત કરતો હોય છે. કેટલાક લોકો ‘સામગ્રી’ માટે ‘લાગણી’ શબ્દ પણ વાપરે છે. એની સામે છેડે, બીજો પ્રવાહ માને છે કે ભાષા સાધન નથી. સાધ્ય છે. જેમ સામગ્રી છે, જેમ લાગણી છે એમ ભાષા પણ કાચી સામગ્રી છે. સર્જનમાં એ બધાનું રૂપાન્તર થવું જોઈએ. આ ‘રૂપાન્તર’ માટે બીજો શબ્દ છે ‘વ્યંજના’. સર્જનમાં સામગ્રી અને ભાષા બધું જ વ્યંજના સુધી પહોંચવું જોઈએ (સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં શબ્દની ત્રણ શક્તિઓની વાત કરવામાં આવી છે. એક તે અભિધા, બીજી લક્ષણા અને ત્રીજી વ્યંજના. મને લાગે છે કે દરેક સર્જકે આ ત્રણ શક્તિઓનો અભ્યાસ કરવો જોઈએ).

આ બન્ને અભિગમમાંથી કયો સાચો અને કયો ખોટો, કયો ઊંચો અને કયો નીચો, એવો પ્રશ્ન આપણે ઊભો નથી કરવો. પણ, અહીં એક વાત નોંધવી પડશે કે આ બન્ને અભિગમમાંથી એક પણ અભિગમ એમ નથી કહેતો કે ભાષાદોષો હોય તો ચલવી લેવાના. જે સર્જકો ભાષાને સાધન માને છે એ સર્જકો પણ સાધન દોષમુક્ત રાખવાનો આગ્રહ રાખે છે. એ જ રીતે, જે સર્જકો ભાષાને સાધ્ય માને છે એ લોકો પણ ભાષાદોષોને ઉત્તેજન નથી આપતા. જે નવોદિતો આ ઐતિહાસિક હકીકતનો સ્વીકાર નથી કરતા એ નવોદિતોને એમના જેવા સર્જકોનો બનેલો વર્ગ  સરળતાથી સ્વીકારશે. ભાવકો પણ સ્વીકારશે. પણ સાહિત્ય કદાચ એમનો સરળતાથી સ્વીકાર નહીં કરે.

ઘણાં વરસો પહેલાંની વાત છે. હું ત્યારે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ ભણાવતો હતો. ત્યારે વિખ્યાત ભાષાશાસ્ત્રી વિલિયમ લેબોવે એક નવો કોર્સ ભણાવવાનું શરૂ કરેલું. એનું નામ હતું Linguistics for Creative Writers. મેં એ કોર્સમાં પ્રવેશ આપવા વિનંતી કરેલી પણ લેબોવે મને કહેલું કે આ કોર્સ અંગ્રેજીમાં લખતા લેખકોને જ વધારે કામ લાગે એવો છે.

લેબોવ આમ તો ભાષા અને સમાજ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરતા Sociolinguisticsના નિષ્ણાત. એમને Sociolinguisticsના સ્થાપક પણ કહી શકાય. તદ્ઉપરાંત, એમણે narrative (કથન) પર પણ ઘણું પાયાનું કામ કર્યું છે. ખાસ કરીને ભાષાવિજ્ઞાનના દૃષ્ટિકોણથી. એ વિશે ક્યારેક વિગતે વાત કરીશું. એ Linguistics for Creative Writersમાં ભાષાવિજ્ઞાનની પાયાની કેટલીક વિભાવનાઓ ઉપરાંત એમની narrative theory પણ ભણાવવાના હતા. એ વખતે મને થયેલું: ગુજરાતીમાં પણ જો ‘સર્જકો માટે ગુજરાતી ભાષાવિજ્ઞાન’ જેવો કોર્સ આપ્યો હોય તો કેવું રહે? મને નથી લાગતું કે હું લેબોવની narrative theory બ્લોગ પર ભણાવી શકું. પણ, હું ગુજરાતી ભાષાના વ્યાકરણની કેટલીક વાતો કરી શકું અને સર્જનમાં ભાષાનું વ્યાકરણ કઈ રીતે કામ કરે છે એનાં કેટલાંક ઉદાહરણોની ચર્ચા કરી શકું. મેં ત્યારે ‘સર્જકો માટે ગુજરાતી ભાષાવિજ્ઞાન’ જેવા કોર્સ માટે કેટલીક નોંધો પણ તૈયાર કરેલી. હજી પણ મારી પાસે એ નોંધો અકબંધ પડેલી છે.

હવે હું યુનિવર્સિટીમાં ભણાવતો નથી. એટલું જ નહીં, હું હવે ફરી એક વાર યુનિવર્સિટીમાં ભણાવવા જઈશ એવી મને કોઈ આશા નથી. લોકો કહે છે કે હજી પણ ચમત્કારો બને છે. પણ એ કેટલાક લોકોના જીવનમાં જ. પરમ કૃપાળુ પરમાત્માએ મને એમાંથી મુક્ત રાખ્યો છે. તમે જાણો છો એમ દાવડા સાહેબના ‘આંગણું’ બ્લોગ પર હું દર અઠવાડિયે મારી આત્મકથાનું એક પ્રકરણ મૂકતો હતો. મેં એમાં કેટલીક અંચઈ કરી છે. ઘણાં પ્રકરણ નથી મૂક્યાં. કેમ કે એ પ્રકરણો અમુક વર્ગને રુચે એવાં ન હતાં. એટલું જ નહીં, મેં કેલિફોર્નિયાના પાલો આલ્ટો આવ્યા પછી જે કંઈ ઘટનાઓ બની એનો પણ મેં એમાં સમાવેશ નથી કર્યો. એ અનુભવો વિષે અત્યારે પ્રમાણિક બનીને લખી શકાય એમ નથી. અહીં આવ્યા પછી અમને ઘણા અનુભવો થયા છે. મેં દાવડા સાહેબને પણ કહ્યું કે હું અપ્રમાણિક બની શકું એમ નથી અને પ્રમાણિક બનીશ તો તમારા બ્લોગ પર કદાચ એ શોભશે નહીં. એટલે એ આત્મકથા અહીં જ પૂરી કરીએ.

એ સંમત થયા પણ પછી એમણે કહ્યું કે શુક્રવાર તો તમારો જ. તમારે કોઈક સામગ્રી આપવી પડે. મને થયું કે ચાલો, શુક્રવાર આમ તો સંતોષી માનો છે. એમાં આપણે પણ ભાગ પડાવીએ. મેં એમને કહ્યું કે અત્યારે તો ‘ભાષાને શું વળગે ભૂર’ એવું શીર્ષક રાખો. મારી ઇચ્છા એ નિમિત્તે ભાષાવિજ્ઞાનની અથવા તો ભાષાની ફિલસૂફીની ચર્ચા કરવાની હતી. પછી મને થયું કે સર્જકો માટે ભાષાશાસ્ત્ર એવું રાખીએ તો? તો કદાચ કેટલાક સર્જકો એમના સર્જનની ભાષાની કાળજી લેતા થશે. અને કેટલાક લોકો મને અવારનવાર એમ કહે છે કે લોકોને ઉપયોગી બને એવું કંઈક આપોને. અમૂર્ત ચર્ચા કરવાનો શો અર્થ. મને લાગે છે કે એમની વાત પણ સાચી છે.

એના જ એક ભાગ રૂપે આવતા શુક્રવારથી હું ગુજરાતી સર્જકો માટે ભાષાશાસ્ત્ર પરના લેખોની શ્રેણી શરૂ કરીશ. એ શ્રેણીમાં હું વાચકોના પ્રશ્નોના જવાબ પણ આપીશ. Facebook પર કોમેન્ટ મૂકતા મિત્રોને પણ હું કહીશ કે એમની કોમેન્ટને હું આવકારું છું પણ જો એમને કોઈ પ્રશ્ન હશે તો એમણે ‘આંગણું’ પર જ પૂછવો પડશે જેથી બીજા વાચકોને પણ એનો લાભ મળે.

17 thoughts on “ભાષાને શું વળગે ભૂર: ૧ (બાબુ સુથાર)

  1. બાબુ સુથાર સાહેબ,
    આ વિષય મને ગમ્યો.
    મુખપોથીમાં અમુક ટોપીક થોડા સમય પછી ફરીથી વાચવા / શોધવા કે પહોચવા માટે વધારે સમય લાગે છે અહીં ઝડપથી મળી રહેશે. આ વિષય અને તમને શુભેચ્છાઓ.

    Liked by 2 people

  2. પૂજ્ય સર,
    આપનો વિચાર ખૂબ ગમ્યો. આપને સતત વાંચું છું અને વ્યાકરણમાં રસ વધે છે. સતત નવું જાણવા મળે છે. આપને સાદર વંદન.

    Liked by 2 people

  3. સર, આપની ભાષાપ્રવૃત્તિને હું સવિનય આવકારું છું. ઘણા વિદ્વાનો ફેસબુક કે અન્ય ઈલે.માધ્યમોથી દૂરી રાખે છે, મોં મચકોડે છે. પણ આપ એમાંના એક નથી. અમારા જેવા ભાષા અને ભૂગોળની બેય રીતે જોતાં છેક છેવાડે છીએ. આ એકમાત્ર માધ્યમ છે કે આપ અમારા માટે સુલભ છો. ભલે આપની પોસ્ટને લાઈક- કોમેન્ટ ના કરતા હોય પણ આપણને વાંચનારા ઘણા છે. આપે ગુજરાતી ભાષામાં એક વર્ગ તૈયાર કર્યો છે. આપની આ પ્રવૃત્તિને અવાક થઈ માણનારા છે. આપણને જેટલા વાંચશું એમ વધુ સજ્જ થવાશે.

    Liked by 2 people

  4. માનનીય શ્રી બાબુભાઇ, આપની આત્મકથાના બધાય પ્રકરણો અતિશય રસપૂર્વક વાંચ્યા. અંતિમ પ્રકરણ એવું શીર્ષક વાંચીને થોડી નિરાશા થઇ. પણ અમારા જેવા વાચકો ના મનની વાત જાણી લઈને શુક્રવાર ના આપના લખાણનો અમને મળતો લાભ ચાલુ રાખવા માટે દાવડા અંકલ નો ઘણો આભાર .

    Like

  5. ગુજરાતી ભાષાને જરૂર ઉપયોગી થાય તેવો વિષય પસંદ કર્યો છે ! “જો ‘સર્જકો માટે ગુજરાતી ભાષાવિજ્ઞાન’ જેવો કોર્સ આપ્યો હોય તો કેવું રહે?” I personally think it’s a good idea .. Thanks for providing a platform .

    Liked by 1 person

  6. રસ પડે એવો જ્ઞાનસભર વિષય છે. આભાર.
    એક પ્રકારે ઓશોની શૈલી અપનાવશો એવી વિનંતી, એટલે કે એક એપિસોડ આપે લખ્યો. એના પર પ્રશ્નોરૂપે જે કૉમેન્ટ્સ આવે એના ઉત્તર કૉમેન્ટમાં જ આપવાને બદલે જરૂરી સવાલોના ઉત્તર માટે પછીનો એપિસોડ ફાળવવો. આ એક સૂચન છે.

    Liked by 1 person

  7. બાબુભાઈ, હું ચાતક જેમ રાહ જોઈશ. I am very excited to have this unique opportunity to learn from a most literate professor like you.
    આ શ્રેણીમાં “REVERSE PLAGIARISM વિષે જો લખી શકાય તો લખવા માટે વિનંતી. આપ જેવા વિદ્વાન પાસથી આવતી શીખ કદાચ સાહિત્યને એના સાચા સ્વરૂપમાં સાચવવામાં મદદરૂપ થશે.
    તાજેતરમાં સોશ્યલ મિડીયા પર કોઈકની નબળી કવિતાને સક્ષમ કવિના નામ પર મૂકવાની હોડ ચાલી રહી છે. આનાથી વધુ કુસેવા સાહિત્યની હોય જ ન શકે. જો આ REVERSE PLAGIARISM અટકવું જોઈએ.

    Liked by 1 person

  8. હું અપ્રમાણિક બની શકું એમ નથી અને પ્રમાણિક બનીશ તો તમારા બ્લોગ પર કદાચ એ શોભશે નહીં’ વાંચી આપની પ્રમાણિક વાત વિષે ઉત્સુકતા થઇ ..જાણે દુનિયાનો અંત થવાનો હોય તેવી ભય અને હતાશા સાથે !

    ગુજરાતી સર્જકો માટે ભાષાશાસ્ત્ર અંગે જાણવાનું ગમશે.હાલ તો ગુજરાત ઉપરાંત વિદેશના સર્જકોએ સમકાલીન પ્રવાહ સાથેના સર્જનો ઉપરાંત જે તે સ્થળના સમકાલીન પ્રવાહો આધારિત સાહિત્ય રચીને અનોખું વૈવિધ્ય ઉભું કર્યું છે. અમેરિકા સ્થિત ગુજરાતી સાહિત્યકારો અહીંના પ્રવાહો અને લક્ષણોને અનુસરીને સર્જન કરે છે. પાકિસ્તાનના સર્જકો મુસ્લિમ સમાજ પર સર્જન કરે છે. બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય પરિષદગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસારનું કાર્ય કરે છે.
    રા હ

    Like

  9. મા સંદીપભાઇ પકવાસાજી
    આપને ગુજરાતીમા કોમેંટ આપવી હોય તો આ સાધન વાપરશો
    Speech to Text Gujarati
    First Ever in the History Speech to Text typing in Gujarati Language. Just Set your Mic and Press the mic button and start speaking the software will recognize your voice and type automatically in Gujarati text. You can save this typed text and use any where. Now you can give rest to your hand and just type by speak as long as you like. Worlds First Gujarati Voice To Text Converter Free.

    Like

  10. શ્રીમતી પ્રજ્ઞાજુબેન,
    ગુજરાતી બોલીને કેવી રીતે લખાય તે વિગતવાર સમજાવશો? મેં પ્રયત્ન કર્યો, પણ, સમજમાં ના આવ્યું. ગુજરાતીમાં લખી તો શકું છું, પણ પણ બોલીને લખાઈ જાય એ તમે નવું બતાવ્યું છે, તો જરૂરથી સમજાવશો.

    મનસુખલાલ ગાંધી
    લોસ એન્જલસ
    યુ.એસ.એ.

    Like

  11. મા શ્રી મનસુખભાઇ
    ઘણા સફળ થયા છે
    આપ પણ પ્રયત્ન કરશોજી
    ust now i had communication with team of speech typing by mail–
    see now following 2 sites for all details
    https://speechtyping.com/
    and
    http://www.indiatyping.com/

    https://speechtyping.com/voice-typing/speech-to-text-gujarati

    Speech to Text Gujarati | Type by Speak in Gujarati | Gujarati Speech …
    https://speechtyping.com/voice-typing/speech-to-text-gujarati

    par-excellent
    you can try and if find useful–pl let me know and circulate or tell me to circulate
    mhthaker
    ………………………………………………………………….
    Gandabhai Vallabh
    To:
    Pragna Vyas

    નમસ્તે પ્રજ્ઞાબહેન,

    આપે મોકલાવેલ બંને લીન્ક ટ્રાઈ કરી. ખુબ સરસ છે. જો કે વર્ષો પહેલાં મારા સન તરલકુમારે ગુજરાતી કીબોર્ડનું પ્રોગ્રામીંગ યુનીકોડમાં કર્યું છે, અને હું એ વર્ષોથી વાપરું છું. પરંતુ સ્પીચને ટાઈપ કરતો પ્રોગ્રામ ખુબ સરસ છે. મોકલવા બદલ ખુબ ખુબ હાર્દીક આભાર.

    Like

  12. બાબુભાઈ,

    ખરેખર ગમ્યું, ભલે તમે એક નાનકડા તો નાનકડા ભાષાની નિસ્બત ધરાવતા વર્ગ માટે આ શ્રેણી શરૂ કરી. ખૂબ જ આનંદ થયો. હવે ચૂક્યા વગર આપના આ શ્રેણીના દરેક લેખો વાંચીશ.

    Like

  13. હૅલ્લો સર,
    હું ચેતન પટેલ.
    ફેસબુક પરથી પીછો કરતાં કરતાં તમારા ‘આંગણે’ પહોંચી ગયો.

    ‘ભાષાને શું વળગે ભૂર’ પહેલું પ્રકરણ વાંચ્યું અને આગળનાં વાંચવાની પ્રેરણા સાથે આ કમેન્ટ્સ દ્વારા શ્રી ગણેશ બેસાડું છું.

    ફેસબુક ચેટમાં તમને હેરાન કરતો હોઉં છું. હવેથી અહીંયા પણ કિરીશ.

    Liked by 1 person

પ્રતિભાવ